આ બ્લૉગ શોધો

30 નવેમ્બર, 2017

શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરો છે ?

   વિશ્વમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ચલણ વધતું જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એટલે કૃત્રિમ રીતે વિકસાવેલી બૌદ્ધિક ક્ષમતા ! આનો પ્રારંભ ૧૯પ૦ના દશકામાં થયો હતો. આનો મુખ્ય હેતુ કોમ્પ્યુટર્સ અને મશીન માણસની જેમ બૌદ્ધિક રીતે વર્તે એવી ટેકનોલોજી વિકસાવવાનો હતો. સામાન્ય  ગણિતિક ગણતરીઓ કરી શકે એવા કમ્પ્યુટરથી શરૃ થયેલી આ યાત્રા ગેમ્સઓટોમેટિક વાહનોડ્રોન્સ,ડ્રાઈવર વિનાની સેલ્ફ ડ્રાઈવિગ કારતબીબી નિદાનસર્ચ એન્જીન્સ (દા.ત. ગુગલ)ઓનલાઈન આસિસ્ટન્સફોટોમાં ઇમેજની ઓળખસ્પામ ફીલ્ટરીંગ અને  ઓનલાઈન જાહેરાતોને ટાર્ગેટ કરવા સુધી પહોંચી ગઈ છે. તબીબી ક્ષેત્રે કેન્સરને ઓળખી એની ટ્રીટમેન્ટ કરવા સુધી એઆઈનો વિકાસ થયો છે. ૧૯૯૭માં ચેસના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક એવા ગેર કાસ્પારોવને ડીપબ્લ્યુ નામના કોમ્પ્યુટરે ચેસમાં હરાવી દીધો હતો. ૧૧મી નવેમ્બરે ચીનમાં ઓનલાઈન વેચાણનો વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર અલીબાબાના માલિક જેક માએ એઆઈને ત્રીજી ક્રાંતિ તરીકે ઓળખાવી છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં એઆઈનું પ્રમાણ વધી  રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૃર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાનતાઈવાનચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.
એઆઈ સંચાલિત યંત્રો/રોબોની ઘણીબધી ઉપયોગીતા છતાં કેટલાક વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ એનો વિરોધ કરી રહ્યા છે. અલીબાબાના માલિક જેક-માએ કહ્યું હતું કે આવનારા ૩૦ વર્ષોમાં યંત્રોની બુદ્ધિમત્તા માનવોની બુદ્ધિમત્તાને પછાડી દેશે જેનાથી વિશ્વભરમાં માણસો માટે નોકરીઓની અછત ઉભી થશે. એમણે કહ્યું હતું કેઓટોમેશન કે સ્વચાલનના પ્રભાવના કારણે શકય છે કે લોકોને દિવસભરમાં ચાર કલાક કે સપ્તાહમાં ચાર  દિવસ  જ કામ કરવું પડે. જેકમા તો અહીં સુધી માને છે કે એઆઈ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ પણ બની શકે છે. કેમ કે જ્યારે પણ તકનીકી ક્રાંતિ થઈ છે ત્યારે વિશ્વયુદ્ધ થયા છે. એમના અનુસાર એઆઈ ત્રીજી ક્રાંતિ છે.
મહાન ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના પ્રખર વિરોધી છે. એ માટે એમની પાસે પૂરતા કારણો છે. એમને ડર છે કે 'એઆઈના પૂર્ણ વિકાસથી માનવજાતના અંતનો આરંભ થઈ શકે છે. એકવાર માણસે એઆઈનો વિકાસ કર્યો તો (એઆઈ) પોતાની મેળે રિ-ડિઝાઈન કરી લેશે અને ઝડપથી આગળને આગળ વધતી જશે. માણસો જૈવિક ઉત્ક્રાંતિમાં ધીમા હોવાથી આ (એઆઈ)ની ઉત્ક્રાંતિની સ્પર્ધા કરી નહીં શકે અને માનવજાતનું સ્થાન બૌદ્ધિકતા ધરાવતા યંત્રો લઈ લેશે.આ જ વાતને આગળ વધારતા હોકિંગે એક બીજી  જગ્યાએ કહ્યું હતું કે 'ફેકટરીઓમાં ઓટોમેશનને લીધે લોકો બેરોજગાર થઈ રહ્યા છે. એઆઈના કારણે બેરોજગારી ઘણી વધી શકે છેજેનો સૌથી મોટો પ્રભાવ મધ્યમવર્ગ ઉપર પડશે.'એમણે આ બાબતને 'વિનાશકબતાવી છે. એમના મતાનુસાર માત્ર ભાવનાત્મકરચનાત્મક અને સુપરવિઝનવાળી નોકરીઓ જ માણસોના ભાગે આવશે. બાકી બધા કામ એઆઈ દ્વારા કરવામાં આવશે. પોર્ટુગલની એક વેબ કોન્ફરન્સમાં હાલમાં જ સ્ટીફન હોકીંગે માનવજીવનમાં ટેકનોલોજીની વધતી દખલગીરી સામે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને લઈને વધારે ઉત્સુક છીએ, પરંતુ આગામી પેઢી તેને માનવીય સભ્યતાના ઇતિહાસની સૌથી ખરાબ ઘટના તરીકે યાદ કરશે. તેનાથી બચવાની એક જ રીત છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે સાથે તેને માનવતા માટે ઊભા થનારા સંભવિત ખતરા વિશે પણ જાણીએ.એઆઈમાં આખી પૃથ્વીને નષ્ટ કરવાની શક્તિ છે તો સાથે જ મોટા રોગોની સારવાર કરવાની ક્ષમતા છે. એઆઈ ભવિષ્યમાં માનવીને જ રિ-પ્લેસ કરી શકે છે અર્થાત્ માનવજાતને નષ્ટ કરી પોતે એનું સ્થાન લઈ લેશે.
કંઈક આવી જ વિચારસરણી ટેસ્લા અને સ્પેસએકસ કંપનીના માલિક એલન મસ્ક ધરાવે છે. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે રોબો માનવો પાસેથી કામ ઝૂંટવી લેશે અને સરકારો ઘેરબેઠા રોજગારી ભથ્થા આપશે. એક કાર્યક્રમમાં મસ્કે કહ્યું હતું કે તે એઆઈથી ઉદભવનારા ખતરાથી દુનિયાને જ્ઞાત કરતા રહેશે. જો લોકો નહીં સમજે તો સ્થિતિ ત્યાં સુધી બગડી જશે કે રોબો ગલીઓ અને માર્ગો ઉપર ખૂનામરકી શરૃ કરી દેશે. આ વિધાનના વિરુદ્ધમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગે તરત બયાન આપ્યું હતું કે એલન મસ્ક દુનિયાને ખોટા ડરાવી રહ્યા છે એલન મસ્કને તો એમણે ઘોર નિરાશાવાદી ગણાવી દીધા.
જો કે હોકીંગએલન મસ્ક અને બીજા લોકોનો એઆઈ વિરુદ્ધનો ભય અસ્થાને નથી. એની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે સાઉદી અરેબિયાએ સોફિયા નામક રોબોને સાઉદીની નાગરિકતા આપી. એ કાર્યક્રમમાં સોફિયાને બનાવનાર હેન્સન રોબોટીકસના ડેવિડ હેન્સને એને પૂછયું કે તારો ધ્યેય શું છે તો સોફિયાએ જવાબ આપ્યો કે 'માનવજાતનો વિનાશ કરવો મારૃં ધ્યેય છે.'
નીક બોસ્ટ્રોમે એમના પુસ્તક 'સુપર ઇન્ટેલીજન્સમાં એઆઈને માનવજાત માટે ખતરારૃપ બતાવી છે. દલીલ કરતા તેઓ કહે છે કે પૂરતી બુદ્ધિમત્તા (એઆઈ) ધરાવતા રોબો કોઈ લક્ષ્ય પ્રાપ્તિ ખાતર કાર્ય પસંદગી માટે 'કન્વર્જન્ટવર્તન કરે છે અને મૂળ સ્ત્રોતોને કાબૂમાં કરી પોતાની સિસ્ટમને બંધ કરવાથી સુરક્ષિત કરી લે એ ખતરનાક બાબત છે. એ પછી માણસનો એમના ઉપર કોઈ કાબૂ રહેતો નથી. કંઈક આવી જ ઘટના બની ત્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગને એક પ્રયોગ અધવચ્ચે જ અટકાવી દેવાની ફરજ પડી હતી. વાત એમ હતી કે ફેસબુકના શોધકર્તાઓ એ જોવા ઇચ્છતા હતા કે રોબો એકબીજા સાથે કેટલી સરસ રીતે સંવાદ કરી શકે છે. પરંતુ પ્રયોગ શરૃ થયાના થોડા સમય પછી આ રોબોએ સામાન્ય અંગ્રેજી ભાષા છોડી પોતાની કોઈ અલગ જ ભાષા વિકસાવી લીધી અને એમાં જ વાત કરવા લાગ્યા. આ ભાષા માત્ર તેઓ જ સમજી શકતા હતામાણસો નહી. તેથી સંશોધકોએ તરત જ આ પ્રયોગ અટકાવી દીધો.
કેટલાક લોકો ઓટોમેશનનો વિરોધ કરે છે એમાં મુખ્ય ડર માણસોની બેરોજગારીનો છે. વિશેષજ્ઞોના મતાનુસાર એવો અંદાજ છે કે ર૦ર૧ સુધી વિશ્વમાં દર ૧૦ માણસોમાંથી ૪ માણસોની નોકરી ચાલી જશે. એન્જિનિયરીંગઇન્ફ્રાસ્ટ્રકચરવાહન ઉધ્યોગ અને બેન્કિંગ ક્ષેત્રોમાં સ્વચાલનનું ચલણ વધી રહ્યું છે. જેમ જેમ સ્વચાલન વધશે તેમ તેમ શ્રમ આધારિત ક્ષેત્રો પ્રભાવિત થશે. પીપલ સ્ટ્રોંગના કાર્યકારી અધીકારી અને સ્થાપક પંકજ બંસલનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે ૪૦ ટકા અને ભારતમાં અંદાજે ર૩ ટકા બેરોજગારી વધી જશે. સ્વચાલનને લીધે જ્યાં ૧પ૦૦ લોકો કામ કરતા હતાત્યાં આજે પ૦૦ લોકોથી જ એટલું કામ થઈ જાય છે. આ સમસ્યાનું સમાધાન સૂચવતા તેઓ કહે છે કે સરકારે બે પ્રમુખ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે. પ્રથમ વચલા બજારને મજબૂત કરવું તથા કાર્યબળ (મેન પાવર)ના કૌશલ્યને નિખારવા ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી સ્વચાલનને કારણે સર્જિત થતા નવા રોજગારને પ્રાપ્ત કરી શકાય.
માર્ટીન ફોર્ડે 'લાઈટસ ઈન ધ ટનલઓટોમેશનએકસલરેટીંગ ટેકનોલોજી એન્ડ ધ ઇકોનોમી ઓફ ધ ફયુચર'માં દલીલ કરી છે કે એઆઈની એપ્લીકેશનમાં સ્પેશ્યાલાઈઝેશનરોબો અને સ્વચાલનના બીજા રૃપ,અંતે તો મહત્ત્વની બેરોજગારીમાં પરિણમશે. કેમ કે યંત્રો મજૂરોની કાર્યક્ષમતા કરતા વધારે ક્ષમતાથી કાર્ય કરશે.
આ શંકાની પૂર્તી કરતા હોય એમ નાસકોમના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આગલા ત્રણ વર્ષોમાં ર૦થી રપ ટકા નોકરીઓમાં ઘટાડો થવાની શંકા છે. વર્લ્ડ બેંકનું અનુમાન છે કે ભારતમાં સ્વચાલનને કારણે ૭૯ ટકા નોકરીઓ ઉપર જોખમ તોળાઈ શકે છે. ચીનમાં ૭૭ ટકા નોકરી જોખમમાં આવી શકે છે. ભારત જેવા વિકસતા દેશ માટે આ બાબત ખતરનાક સાબિત થઈ શકે છે. આપણો દેશ વિકાસના ડગ ભરવા સાથે નવી નોકરીઓના સર્જનમાં સંઘર્ષ કરી રહયો છે. સંયુકત રાષ્ટ્રના અહેવાલ મુજબ ભારતની વસ્તીમાં ૧૯૯૧થી ર૦૦૩ દરમિયાન ૩૦ કરોડનો વધારો થયો હતો. પરંતુ નોકરીઓ માત્ર ૧૪ કરોડ જ વધી હતી ! અમેરિકાની એમએફએસ રિસર્ચના અંદાજ મુજબ ભારતમાં આઈટી ઉદ્યોગમાં ૬.૪૦ લાખ નોકરીઓ ખતમ થઈ જશે.
ભારતમાં આઈટી ઉપરાંત કારફાર્માઅન્ન અને પીણા, ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા ઉદ્યોગમાં નોકરીઓ ઉપર ભય તોળાઈ રહ્યો છે. ર૦૧૬ના વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ વિશ્વભરમાં મજૂર બળને ખોખલા કરવાની અર્થાત્ એમની સંખ્યા ઓછી કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. ટેકનોલોજી અને સ્વચાલનના કારણે મધ્યમ કૌશલ્યવાળી નોકરીઓ દા.ત. કારકૂનો અને મશીનચાલકોના કાર્યો ઘટયા છે. પરંતુ હાઈ સ્કીલ (ઉચ્ચ કૌશલ્ય) અને નિમ્ન કૌશલ્યવાળા કાર્યોમાં વધારો થયો છે. ભારત જેવા દેશો માટે આ મોટી સમસ્યા છે. આ ટ્રેન્ડ માત્ર ટેકનોલોજીના કારણે જ નહીં પરંતુ વૈશ્વિકરણ અને શહેરીજકરણને લીધે પણ થયું છે. 

નિષ્કર્ષ એજ છે કે જે ઉદ્યોગો માં ખુબ જ જરૂરી હોય ત્યાજ સ્વચાલન અપનાવવું જોઈએ.ટેકનોલોજી સારી બાબત છે પરંતુ એનો વિવેકપૂર્વક નો ઉપયોગ આવશ્યક છે.નહીતર આ જ ટેકનોલોજી માનવજાત સામે મોટો ખતરો બની શકે છે.


18 નવેમ્બર, 2017

સર સૈયદ એહમદખાન : શૈક્ષણિક સમાજસુધારક




પ્રસિદ્ધ શાયર ડો.મુહમ્મદ ઇકબાલે જેના વિશે કહ્યું હતું કે, 'આ માણસની ખરી મહાનતા એ વાતમાં છે કે તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ છે જેણે ઇસ્લામને નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો અને એ માટે કાર્ય કર્યું.એ માણસ એટલે સર સૈયદ એહમદખાન. ૧૭મી ઓકટોબરે એમની ર૦૦મી જન્મજયંતિ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને ભારતની ઘણી મુસ્લિમ સંસ્થાઓમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. સર સૈયદ એહમદખાન ૧૭મી ઓકટોબર ૧૮૧૭માં દિલ્હીમાં મુઘલોના વંશજોમાં જન્મ્યા. દાદા સૈયદ હાદી જવ્વાદ બિન ઇમામુદ્દીન આલમગીર દ્વિતીયના દરબારમાં જનરલના ઉચ્ચ હોદ્દા ઉપર હતા. નાના ખ્વાજા ફરીદઉદ્દીન અકબર દ્વિતીયના દરબારમાં મંત્રી હતા અને પિતાએ સમ્રાટ અકબર દ્વિતીયના અંગત સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. માતા અઝીઝુન્નીસાએ કડક શિસ્ત હેઠળ સૈયદ એહમદખાનનો ઉછેર કર્યો હતો. બાળપણથી જ એમને આધુનિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. કુઆર્નશરીફની તાલીમ મહિલા શિક્ષિકા પાસેથી મેળવીજે એ સમયમાં અસામાન્ય બાબત હતી. લોર્ડ વેલેસ્લીના ચાર્જમાં ફારસીઅરબીઉર્દૂ અને રૃઢિગત ધાર્મિક અભ્યાસ કર્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકૂન તરીકે આગ્રાની કોર્ટમાં નોકરી મળી. ૧૮૪૦માં મુનશી તરીકે બઢતી મળીઅને ૧૮પ૮માં ઉચ્ચ હોદ્દા ઉપર કોર્ટમાં નિયુક્તિ થઈ. ઘરમાં મળેલા આધુનિક શિક્ષણે એમને સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધાઅજ્ઞાનતા અને કુરિવાજોના વિરોધી બનાવ્યા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે પશ્ચિમી અને વૈજ્ઞાનિક શિક્ષણ જ મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે પહોંચાડી શકે છે અને આ વાત તો એમના મનમાં વધારે દૃઢ થઈ ગઈ જ્યારે તેઓ ૧૮૬૯માં પોતાના પુત્ર સાથે ઈંગ્લેન્ડ ગયાત્યાં એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી જોઈ એટલા પ્રભાવિત થયા કે ભારતમાં પણ એક 'મુસ્લિમ કેમ્બ્રિજયુનિવર્સિટી હોવી જોઈએ એવો વિચાર આકાર લેવા લાગ્યો અને એમાંથી જ એમણે ૧૮૭૦માં 'કમિટી ફોર ધી બેટર ડીફયુઝન એન્ડ એડવાન્સમેન્ટ ઓફ લર્નિંગ અમોંગ મોહમેડન્સ'ની સ્થાપના કરી. આ જ કમિટીએ ૧૮૭૩માં અલીગઢમાં કોલેજની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો અને દાન ઉઘરાવી ર૪ મે ૧૮૭પના દિવસે મોહમેડન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ (MAO)ની સ્થાપના કરી. પ્રારંભે આનું જોડાણ કલકત્તા યુનિવર્સિટી સાથે હતું. પરંતુ ૧૮પપમાં અલ્હાબાદ યુનિ. સાથે જોડાણ કરવામાં આવ્યું. ૧૯ર૦માં આ કોલેજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે રૃપાંતરણ પામી ૯૭ વર્ષોમાં આ યુનિવર્સિટીએ ઘણા પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ આપ્યા. જેમાં સ્વતંત્રતાસેનાની મુહમ્મદઅલી જોહરઅબ્દુર્રબ નસ્તરમૌલાના શૌકતઅલીમૌલવી અબ્દુલ હક, (પાકિસ્તાનમાં બાબ-એ-ઉર્દૂ તરીકે જાણીતા છે) પાકિસ્તાનના પ્રથમ બે વડાપ્રધાન લિયાકતઅલીખાન અને ખ્વાજા નાઝિમુદ્દીન,ભારતના રાષ્ટ્રપતિ ડો.ઝાકિરહુસેનઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને શકીલ બદાયુનીથી જાવેદ અખ્તર જેવા અસંખ્ય નામોનો સમાવેશ થાય છે.
સર સૈયદ એહમદખાન ભારતના એક શિક્ષણ સુધારક તરીકે વધારે જાણીતા છે. શિક્ષણ ક્ષેત્રે એમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. ૧૮પ૯માં મુરાદાબાદમાં ગુલશન સ્કૂલ૧૮૬૩માં ગાઝીપુરમાં વિકટોરિયા સ્કૂલની સ્થાપના કરી. ૧૮૬૪માં ભારતમાં મુસ્લિમોની પ્રથમ વિજ્ઞાન સંસ્થા સાયન્ટીફીક સોસાયટી ફોર મુસ્લિમ્સની સ્થાપના કરી. ૧૮૭૮માં મોહમેડન એસોસિએશનની સ્થાપના કરી જેનો મુખ્ય હેતુ મુસ્લિમો વચ્ચે રાજકીય સહકાર સ્થપાય એ હતો. ૧૮૮૩માં મુસ્લિમ યુવાનો ભારતીય પ્રશાસનિક સેવાઓમાં પ્રવેશી શકે એ માટે મોહમેડન સિવિલ સર્વિસ ફંડ એસોસિએશનની સ્થાપના કરી. એમણે ૧૮૮૬માં ઓલ ઇન્ડિયા મોહમેડન એજ્યુકેશનલ કોન્ફરન્સનું આયોજન એ હેતુથી કર્યું હતું કે મુસ્લિમો આધુનિક શિક્ષણ અને રાજકીય એકતાનું મહત્ત્વ સમજે. આ બધા કાર્યોને લીધે તેઓ ૧૯મી સદીના મુસ્લિમોના સૌથી મહત્ત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા.
૧૮પ૭ના વિપ્લવમાં સર સૈયદે કોઈ ભાગ લીધો ન હતો. એ માટે જમાલુદ્દીન અફઘાની જેવા મુસ્લિમ આગેવાનોએ એમની ટીકા પણ કરી હતી પરંતુ ૧૮પ૯માં એમણે બગાવત-એ-હિંદ નામની પુસ્તિકા લખી  વિપ્લવના કારણોની ચર્ચા કરી હતી. એમાં એમણે બ્રિટિશ  ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આક્રમક વિસ્તરણની યોજનાને જવાબદાર ઠરાવી હતી. તેઓ કોંગ્રેસના પ્રખર ટીકાકાર હતા. કેટલાક લોકોનંુ માનવું છે કે અંગ્રેજોની વફાદારીને કારણે જ એમને 'ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડિયા'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અર્થાત્ તેઓ રાયબહાદૂર સર સૈયદ એહમદખાન તરીકે ઓળખાયા.
તેઓ શિક્ષણવિદ હોવા ઉપરાંત સારા કવિ અને લેખક પણ હતા. એમણે અસારઉસ સનાદીદએહકામએ નામ-એ અહેલે કિતાબઆખિરી મઝામીનઅસબાબે બગાવતે હિંદહકીકતુસ્સહરસીરતે ફરીદીયહતબીનુલ કલામતેહઝીબુલ અખ્લાકતઝકીરા અહલે દિલ્હીઊદ એ હિંદી અને તફસીરુલ કુઆર્ન લખી. ઉર્દૂ ભાષાથી ખૂબ લગાવ હતો. હિન્દીને પણ માન આપતા હતા પરંતુ ૧૮૬૭માં હિન્દી-ઉર્દૂ ભાષાનો વિવાદ વકર્યો. એમણે ઉર્દૂનો પક્ષ લીધો. ઉર્દૂના પ્રચાર-પ્રસાર માટે માત્ર ઉર્દૂમાં જ લખતા હતા. એમના લીધે જ હૈદરાબાદની રાજભાષા અને ઓસમાનિયા યુનિવર્સિટીની માધ્યમિક ભાષા તરીકે ઉર્દૂને અપનાવવામાં આવી હતી.
એમણે શિક્ષણ અને સમાજોપયોગી કાર્યો કર્યા ત્યાં સુધી લોકોને એમનાથી કોઈ વિરોધ ન હતો પરંતુ તેમણે કુઆર્નની તફસીર (વિવેચન/ભાષ્ય) લખી એમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા તો લોકોએ એમને 'નેચરી'નું બિરુદ આપ્યું અને કેટલાક વિદ્વાનોએ એમની ઉપર કુફ્ર (નાસ્તિકતા)ના ફતવા પણ લગાવ્યા. એમણે બાઇબલનું વિવેચન પણ લખ્યું હતું. જે કોઈપણ મુસ્લિમ દ્વારા પ્રથમ પ્રયત્ન હતો. આ કારણોેને લીધે કેટલાક લોકો એમ માનતા હતા કે તેઓ ખ્રિસ્તી બની ગયા છે. જો કે એ માટેની કોઈ સાબિતી નથી.
શિક્ષણ વિશેના એમના 'વિઝનઅને 'વિચારોઆજે પણ ખૂબ જ પ્રસ્તુત છે.
મુસ્લિમોની સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવામાં છે.
* 'મને ગમે તે નામથી બોલાવો. હું તમારાથી મોક્ષ (નજાત) નથી માગતોપરંતુ તમારા બાળકો ઉપર કૃપા કરો. એમના માટે કંઈક કરો (એમને શાળાઓમાં મોકલો)નહીં તો તમારે પસ્તાવું પડશે.'
* 'જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પ્રગતિ નહીં કરીએ ત્યાં સુધી પછાત અને ધુત્કારેલા રહીશું.'
* 'અંધશ્રદ્ધાઓ અને કુ-રિવાજોને તિલાંજલિ આપો. આ કુરિવાજો માનવ પ્રગતિમાં બાધારૃપ છે.'
* 'અંધશ્રદ્ધા ઈમાનનો ભાગ ન હોઈ શકે.'
* 'રાષ્ટ્રની પ્રગતિની પ્રથમ શરત સમાજના વિવિધ સમુદાયો વચ્ચે ભાતૃભાવ એકતા હોવી એ છે.'
હા 'MAO’અલીગઢ મુસ્લિમ યુનિ.નો મુખ્ય હેતુ મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવાનો છે કે જેઓ પછાતપણાથી પીડાઈ રહ્યા છેપરંતુ આ સંસ્થા મુસ્લિમોની સાથે હિંદુઓની પણ છે. બંનેને શિક્ષણની આવશ્યકતા છે.
* 'હિન્દુઓ અને મુસ્લિમો હિન્દુસ્તાન નામની દુલ્હનની બે આંખો સમાન છે. કોઈ એકની નબળાઈ સૌંદર્યને બગાડી શકે છે.'
* 'આપણે (હિંદુઓ અને મુસ્લિમોએ) એક નવી ભાષા ઉર્દૂને જન્મ આપ્યો છે.
* 'આગળ જુઓઆઘુનિક જ્ઞાન મેળવો અને પુરાણી નિરર્થક વિદ્યાઓમાં સમય ન બગાડો.
* 'બીજાને ઇસ્લામનો ચહેરો ન બતાવોપરંતુ તમારો ચહેરો બીજાને દખાડો કે જે સાચા ઇસ્લામને માને છેજેનું ચારિત્ર્ય ઉમદા છે અને જે જ્ઞાનસહિષ્ણુતા અને સંયમને પ્રદર્શિત કરે છે.'
યાદ રાખો હિંદુ અને મુસ્લિમ માત્ર ધાર્મિક રીતે અલગતા દર્શાવે છે પરંતુ આ દેશમાં વસતા બધા જ લોકો એક રાષ્ટ્રીયતા ધરાવે છે.
આવા દૂરંદેશી અને સમાજસુધારક સર સૈયદ એહમદખાન ભારતના શૈક્ષણિક અને સામાજિક ઇતિહાસમાં હંમેશા આદરભર્યું સ્થાન ધરાવશે. ભલે તેમણે ર૭ માર્ચ ૧૮૯૮ના દિવસે આ દુનિયાથી વિદાય લીધી પરંતુ ભારતીયોના દિલોદિમાગમાં તેઓ હંમેશાં જીવશે.

30 ઑક્ટોબર, 2017

સંબંધોની સાચવણી

                           પ્રસિદ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સે કહ્યું હતું કે તમારા જીવનની ગુણવત્તા એ ખરેખર તમારા સંબંધોની ગુણવત્તા કેવી છે એના ઉપર આધાર રાખે છે. સમાજમાં આપણે એકલા નથી. કોઈને કોઈની સાથે આપણે જોડાયેલા છીએ. આપણા કુટુંબીઓ, સ્વજનો અને બીજા લોકો સાથે આપણા સંબંધ હોવાના. સંબંધીઓ સાથે જન્મજાત સંબંધ હોય છે તો બીજા લોકો સાથે સંબંધો કેળવવા પડે છે. આપણે એકલા રહી શકતા નથી. રહેવું  પણ ના જોઇએ. બીજા લોકો સાથે જેટલા સારા સંબંધ કેળવી શકીએ એટલું જીવન અર્થપૂર્ણ બને છે. આપણા સુખી  હોવાનો આધાર બીજા લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એના ઉપર છે. તમને તમારા ભાઈબહેનો સાથે ન બનતુ હોય, પાડોશી સાથે ન બનતું હોય, સંબંધીઓ સાથે તમારે ઝઘડા થતા હોય તો એનો અર્થ એ છે કે મુશ્કેલી તમારા સ્વભાવમાં કે તમારા વર્તનમાં છે. ખામી તમારી વિચારસરણીમાં છે. બીજાને દોષ દેવાને બદલે તમારી જાતને સુધારો. બીજા લોકો તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તમને માન આપતા નથી કે તમને પ્રેમ કરતાં નથી ત્યારે એ વિચારજો કે તમે બીજા લોકો સાથે સારો વ્યવહાર કરો છો? તમે બીજાને માન સન્માન આપો છો? તમે બીજા લોકોને પ્રેમ આપો છો? જે દિવસે આ જવાબ મળી જશે સમજો તમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. આપણે જેમ સ્વાર્થી અને અહંકારી છીએ એમ બીજા લોકો પણ છે.
આપણે આપણી શરતો મુજબ જીવન જીવવા માગીએ એ બરાબર છે પરંતુ એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે બીજા લોકો કંઈ આપણી શરતો કે ઇચ્છા મુજબ જીવવા બંધાયેલા નથી. આપણે જો એમની ઇચ્છા મુજબ ન ચાલીએ તો એમને આપણી ઇચ્છા પ્રમાણે ચાલવાની ફરજ કેવી રીતે પાડી શકીએ? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે. બીજા આપણને પસંદ કરશે કે નહીં એની ચિંતા કરવાને બદલે આપણો વ્યવહાર એવો હોવો જોઇએ કે સામેવાળાના હૃદયમાં આપણા માટે લાગણી જન્મે. સારા સંબંધો કેળવવા માટે પ્રેમની તાકત પ્રગટાવવી પડશે. બળજબરીથી કોઈને તમારા બનાવી નહીં શકે. હા, જો તમે થોડા પણ નમવા માટે તૈયાર હો તો સામેની વ્યક્તિ જરૃર નમશે. અહંકારને ઓગાળવાની જરૃર હોય છે. બીજા લોકો જેવો વ્યવહાર આપણી સાથે કરે એવો જ વ્યવહાર આપણે એમની સાથે કરીએ એ સંકુચિત માનસ છે. બીજા લોકો આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ આપણે એમની સાથે સદ્વર્તાવ કરીએ એમાં મોટાઈ છે. આપણા આવા વર્તનથી કદાચ એમને શરમ ઉપજે અને એ પણ આપણી સાથે સારો વ્યવહાર કરવા લાગે એવું પણ બને. કૂતરો આપણને બટકું ભરે તો કંઈ એને બટકું ભરવા ન જવાય. લા રોશકોફો નામના ફિલસૂફે કટાક્ષમાં કહ્યું હતું “મને મારી જાતમાં ખૂબ રસ છે. બીજા લોકો મુર્ખ છે તે મારામાં એટલો જ રસ દાખવતા નથી.” આ જગત ગીવ એન્ડ ટેકના નિયમ મુજબ ચાલે છે. જેટલું આપણે બીજાને આપીશું એનાથી વધારે આપણને આવી મળશે. એરિક ક્રોમ નામના મનોવિજ્ઞાનીએ નિરિક્ષણ કર્યું છે કે માણસ બીજાને કશું આપીને જેટલો આનંદ અનુભવે છે એટલો બીજા કશા થી બનતો નથી.એટલે આનંદી  બની રહેવું હોય તો બીજા લોકોને સતત કંઇક ને કંઇક આપતા રહો. જરૃરી નથી કે ભૌતિક વસ્તુઓ જ તમે આપો. એક મોહક સ્મિત કે દિલાસાના કે પ્રેરણાના બે શબ્દો પણ કોઈને આનંદ આપી શકે છે. શા માટે આપણે આપો અને લો ના આ નિયમ અનુસરવું જોઈએ? કારણકે આખી સૃષ્ટિમાં ‘સિમ્બીઓસીસ’ અર્થાત્ સહજીવન કે પરસ્પરી જીવનનો સિદ્ધાંત ચાલે છે. તમે ઘણી વનસ્પતિઓ કે પ્રાણીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યુ હશે કે તેઓ એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે. આપણે પણ આજ સૃષ્ટિમાં જીવીએ છીએ. કુદરતના નિયમો વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. આખું વિશ્વ બુનિયાદીરૃપે ‘હાર્મની’ કે સંપ-સુમેળના આધારે રચાયેલું છે. દરેક વસ્તુ બીજાના સહકારના આધારે થાય છે.
આજે ઘણા લોકો કહે છે કે લોકો બહુ સ્વાર્થી થઈ ગયા છે. અહીં બધા સ્વાર્થના સગાં છે. નિસ્વાર્થ સંબંધો હવે રહ્યા નથી. આવું આપણે કહીએ ત્યારે વિચારવું જોઈએ કે ‘બધા’ ‘સ્વાર્થી’ લોકોમાં આપણો પણ સમાવેશ નથી થતો? આપણે એક સરસ ઉપાય શોધી કાઢ્યો છે. કંઇપણ ખોટું થાય તો એ બીજાનો જ વાંક હોય છે, બીજા લોકોને તરત જ જવાબદાર ઠેરવી દેવાના જેથી આપણા ઉપર આક્ષેપ ન થાય. આ રીત એક કવિએ કહ્યું છે એમ
ખુદને ખરાબ કહેવાની હિમ્મત નથી રહી
તેથી લોકો કહે છે જમાનો ખરાબ છે
આપણે પોતાને ખરાબ માનતા જ નથી એટલે જમાનાને ખરાબ કહીને છુટા થઈ જઈએ છીએ. એક ઝેન કથા વાંચી હતી. બીજા ગામથી એક ભાઈ આવીને લોકોને પૂછે છે કે આ ગામના લોકો કેવા છે? એક હોશિયાર  માણસ સામો પ્રશ્ન કરે છે કે જે ગામમાંથી તમે આવ્યા ત્યાં કેવા લોકો હતા? એ મુસાફર કહે છે બહુ ખરાબ હતા, સ્વાર્થી હતા બહુ નાલાયક માણસો હતા. પેલા ચતુરે જવાબ આપ્યો ભાઈ, અહીં પણ આવા જ લોકો છે. પેલો ચાલ્યો જાય છેે. એક બીજો પ્રવાસી આવે છે અને એમને પૂછે છે આ ગામના લોકો કેવા? ચતુર એ જ પ્રશ્ન સામો પૂછે છે કે ત્યાં કેવા હતા? પ્રવાસી કહે છે કે ત્યાં તો બહુ સારા લોકો હતા, ખૂબ પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો હતા. ચતૂરે જવાબ આપ્યો ભાઈ આ ગામમાં તમને એમનાથી વધારે સારા, પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો મળશે. તમે ગામ છોડીને જવાનું નામ જ નહીં લો. પેલો પ્રવાસી ગામમાં વસી ગયો. આ વિરોધાભાસી વાતો સાંભળી ચતુર સજ્જનના સાથીઓ મુંઝવણમાં મુકાઈ ગયા કે બંનેને વિરોધાભાસી જવાબ કેમ.
એક જણે પૂછી લીધું કે તમે પહેલાને કહ્યું ગામના લોકો ખરાબ છે અને બીજાને કહ્યું બહુ સારા છે. આ અવળી વાતનું કોઈ કારણ ખરૃં? ચતુરે જવાબ આપ્યો કે પહેલા પ્રવાસીને સામા ગામમાં કંટાળો આવ્યો લોકો બુરા લાગ્યા તો અહીં પણ એને કંટાળો આવવાનો. અહીંના લોકો પણ એને બૂરા જ લાગવાના. બીજા પ્રવાસીને પેલા ગામના લોકો પ્રેમાળ લાગ્યા તો અહીંના લોકો પણ એને એવા જ લાગવાના.
આ જગત પડધા અને પ્રતિબિંબોની હારમાળા છે. પહેલાના મનમાં જો કંટાળો અને ધિક્કાર ભરેલો હશે તો એને બધે જ કંટાળો આવવાનો અને ધિક્કાર જ મળવાનો. જેના અંતરમાં પ્રેમ ભરેલો છે એને સર્વત્ર પ્રેમના દર્શન થવાના. આ સાવ સાદા નિયમના આધારે દુનિયા ચાલે છે. એમ છતાંય આજે સંબંધીઓથી સંબંધ વિચ્છેદ કરવાના ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ. નાની નાની બાબતોમાં લોકો રીસાઈ જાય છે, ફલાણા પ્રસંગમાં અમને બોલાવ્યા નહીં અને જો બોલાવ્યા હોય તો અમને મહત્વ  આપ્યું નહીં. આખી બાબતોને લઈ લોકો સંબંધો તોડી નાખે છે. એ લોકો ભૂલી જાય છે કે આ દુનિયા ગોળ છે , ક્યાંકને ક્યાંક એમની સામે ભેટો થવાનો જ છે. અને ભેટો થાય ત્યારે જે નાનમ અને ક્ષોભ મનમાં ઉદ્ભવે છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં.
આપણા સમાજ જીવન કે ધંધાની સફળતા આપણા સંબંધીઓ, મિત્રો અને બીજા લોકો સાથેના સારા વ્યવહાર ઉપર નિર્ભર છે. જો બધા સાથે સારા સંબંધ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે કે ધંધામાં બહુ મોટું નુકસાન થઈ ગયું હોય ત્યારે આ સ્વજનો અને મિત્રો જ કામમાં આવે છે.  સંબંધીઓનું કેટલું મહત્ત્વ હોય છે એનો અંદાજ આ હદીસ ઉપરથી આવશે. હદીસમાં કહેવામાં આવ્યું છે કે “જેણે સંબંધીઓ સાથે સંબંધ વિચ્છેદ કર્યો એ સ્વર્ગમાં નહીં જાય.” કેટલી મોટી વાત છે.! (સુનન અબુ દાઉદ, ૧૬૯૬)
જે લોકો સંબંધીઓ તો ઠીક, પોતાના સગા ભાઈ-બહેન અને માતાપિતા સાથે દુર્વ્યવહાર કરે છે એમના વિશે શું કહેવું?
જ્હોન સી. મેક્સવેલ નામના મોટીવેશનલ લેખકે સરસ પુસ્તક લખ્યું છે “વીનીંગ વિથ પીપલ” એમાં એમણે ૨૫ પ્રકારના જુદા જુદા સંબંધો વિશે ચર્ચા કરે છે. સંબંધો બનાવી રાખવા એ મેનેજમેન્ટનો સૌથી મોટો નિયમ છે. આ પુસ્તક વાંચવા  જેવું છે. એમાંથી અમુક બાબતો અહીં ટુકમાં જણાવા માંગુ છું.
સારા સંબંધો સફળતા કે અચીવમેન્ટ માટે પાયારૃપ છે. લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એનાથી આપણી સફળતા કે નિષ્ફળતાનો સંબંધ છે. જો તમે ભરોસાપાત્ર હશો તો બીજા પણ એવા જ દેખાશે. તમે જોવા હો છો એવા બીજા લોકો તમને દેખાય છે. તેથી તમે તમારી જાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમે તમારી જાતને સુધારશો અને જે બનવા માગો છો એનો પ્રયત્ન કરો છો તો તમે એવા બનો છો. બીજા લોકો સામે ફરિયાદ કરવાની જરૃર રહેશે નહીં. સફળતા માટે હકારાત્મક ઇમેજ ઊભી કરો. નકારાત્મક ઇમેજ ઊભી કરનારા સફળ થતા નથી. તમારી પાસે જે કંઇ ખુટે છે કે તમારામાં જે ત્રુટીઓ છે કે જે કંઇ સમસ્યાઓ છે એના પ્રતિ પ્રમાણિક બનો. યાદ રાખો , એકલા એકલા સફળતા મળતી નથી. બીજાનો સાથ સહકાર લો. જે લોકો પોતાની જાતમાં શ્રદ્ધા રાખે છે તેઓ સફળ થાય છે. જે લોકો બીજાની વાતોથી દુખી જલ્દીથી થઈ જાય છે તેઓ બીજાને પણ એટલા જ દુખી કરે છે. લોકો આપણા શબ્દો કરતા અભિગમ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે અભિગમ હંમેશા સકારાત્મક રાખવો. બીજા પાસેથી મેળવવું સરળ છે, બીજાને આપવું બહુ મુશ્કેલ છે. પરંતુ સાચો આનંદ આપવામાં જ છે. બીજાને ઉપર ઉઠાવવામાં છે. બીજાને કંઇક લાભ થાય એવા કાર્યો કરવામાં વધુ આનંદ આવે છે. બીજા સાથે સંબંધો બાંધવામાં પ્રેમનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. પોતાના વિશે વિચારવાને બદલે બીજા વિશે વિચારવામાં આવે છે ત્યારે સંબંધો વધુ ગાઢ બને છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત છે ઃ લોકો. દરેક માણસ કે જેને આપણે મળીએ છીએ કંઇક ને કંઇક ખુબી કે સારી લાક્ષણિકતા ધરાવતો હોય છે. એટલે એનાથી કંઇકને કંઇક શીખવા મળે તો શીખી લેવું જોઈએ. રાલ્ફ વાલ્ડો ઇમર્સને કહ્યું હતું કે “હું એવા કોઈ માણસને નથી મળ્યો જે કોઈને કોઈ બાબતમાં મારાથી ચડીયાતો ન હોય.” તમારે  વિકાસ  કરવો હોય તો તમારા કન્ફર્ટઝોનમાંથી બહાર નીકળો. કશુંક કરો-કશુંક શીખો અને શીખવાની પ્રક્રિયા શરૃ થાય છે સાંભળવાથી. એટલે બીજા લોકોની વાતો ધ્યાનથી સાંભળો. સંબંધો વિશ્વાસના પાયા ઉપર રચાય છે અને વિશ્વાસ કેળવાય છે નિષ્ઠાથી. બીજા પાસેથી વિશ્વાસ અને પ્રમાણિકતાની અપેક્ષા હોય તો સૌથી પહેલા આપણે પ્રમાણિક અને વિશ્વાસુ બનવું જોઈએ. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે સંપત્તિ, આપણો હોદ્દો અને ભૌતિક વસ્તુ એક તરફ અને બીજી તરફ સંબંધમાંથી પસંદગી કરવાની આવે તો સંબંધ બચાવવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં જેટલું રોકાણ કરશો એટલું જ એનું રિટર્ન સારૃ મળશે. હાર્વડ હોગસને કહ્યું હતું, “તમે જે કોઈ ધંધામાં હોવ, યાદ રાખજો, કે તમે સંબંધોના ધંધામાં છો. તેથી તમારી નામના કે પ્રતિષ્ઠા સૌથી મોટી મૂડી છે.”
(યુવાસાથી મેગેઝીન ,ઓગસ્ટ ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

જીનીયસ બનવા શું જરૃરી : પરિશ્રમ કે પ્રતિભા?

જીનીયસ અર્થાત્ મેઘાવી પુરૃષો કુદરતી રીતે જ  જીનીયસ હોય છે, શું જન્મથી જ તેઓ પ્રતિભા ધરાવે છે કે પછી સખત પરિશ્રમ એમને જીનીયસ બનાવે છે? આ પ્રશ્ન લગભગ દરેક યુગમાં ચર્ચાતો રહ્યો છે અને ચર્ચાતો રહેશે. મોટાભાગના કિસ્સાઓમાં બને છે એમ અહીં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ માને છે કે જીનીયસ લોકો જન્મજાત જીનીયસ હોય છે, પરિશ્રમથી એમને કોઈ લેવા દેવા નથી. જ્યારે બીજો વર્ગ માને છે કે પ્રતિભા જેવી વસ્તુ હોતી નથી. સખત પરિશ્રમ દ્વારા જ પોતાનામાં રહેલી શક્તિઓને બહાર કાઢી શકાય છે. સખત પરિશ્રમથી જ બુદ્ધિશાળી બની શકાય છે, કેમ કે આપણું મગજ adaptable હોય છે.
આ તો સર્વવિદિત છે કે માણસો માનસિક શક્તિમાં જુદા જુદા હોય છે. પરંતુ ટ્રેનિંગથી મહારત પ્રાપ્ત કરી શકાય છે. ટ્રેનિંગથી બુદ્ધિ વધારી પણ શકાય છે એના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પુરાવાઓ પણ છે. આયર્લેન્ડ વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના અધ્યાપક આર્યન રોસ ‘સાયકોલોજી ટુડે’માં લખે છે કે “વાસ્તવિકતા તો આ છે કે બુદ્ધિ વધારી શકાય છે.” જે લોકો એમ માને છે કે આપણાં બુદ્ધિઆંક (IQ) જીવનભર એટલો જ રહે છે તેઓ વાસ્તવમાં બુદ્ધિઆંકની પરીક્ષાના પરિણામ વિશે એવું કહેતા હોય છે. પરંતુ આપણી બુદ્ધિ સતત વધતી હોય છે. પરંતુ એના માટે મગજને સતત સક્રીય રાખવું પડે છે. સતત માનસિક કસરતો કરતી રહેવી પડે છે. જેમને આપણે ખૂબ સફળ અને મેઘાવી પુરૃષો તરીકે ઓળખીએ છીએ એવા લોકો – માર્ગેટથી બિલ ગેટ્સ સુધી – એક ખાસ લાક્ષણિકતા ધરાવતા હોય છે. તેઓ પોતાની સ્કીલ્સ અર્થાત્ કૌશલ્યને વિકસાવવા માટે ખંતપૂર્વક લાગેલા રહે છે અને પોતાની જાત સાથે કમિટેડ વચનબદ્ધ હોય છે. તેઓ સખત મહેનતુ હોય છે. બની શકે કે કેટલાક લોકોમાં કુદરતી પ્રતિભા બીજા કરતા વધારે હશે પરંતુ આ બધા જ જીનીયસ લોકોમાં ‘ઇશ્વરીય ભેટ’ પ્રતિભા કરતા સખત પરિશ્રમથી મેળવેલ માસ્ટરી વધારે જોવા મળે છે.
જેટલા પણ સફળ ખેલાડીઓ થયા તેઓ સખત પરિશ્રમ થકી જ અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા. ટાઈગર વુડ્સે ૨૧ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી પરંતુ એ માટે એણે ૧૮ વર્ષ સખત પરિશ્રમ કર્યો હતો. સેરેના વિલીયમ્સ, વિનસ વિલીયમ્સ, સ્ટેફી ગ્રાફ, યુસુૈન બોલ્ડ, માઈકલ ફેલ્પસ, સુમાકર, સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી… લિસ્ટ ઘણું લાંબુ છે. આ બધા જ લોકો સખત અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા છે. એ માટે મહત્ત્વની વસ્તુ છે ધ્યેયલક્ષી પ્રેકટીસ. ધ્યેયલક્ષી પ્રેકટીસ જ મગજ ઉપર ચમત્કાર કરી શકે છે. ફ્લોરીડાના મનોવિજ્ઞાનના અધ્યાપક એન્ડર્સ એરીક્સને પણ કહ્યું છે કે “આ સમજાવવું ખૂબ જ જટીલ છે કે જીનીયસ અથવા નિષ્ણાંતો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેઓ શા માટે અલ્પસંખ્યામાં હોય છે. જો ધ્યેયલક્ષી અને સુધારાવાદી પ્રયત્નો કરવામાં ન આવે તો કાબેલિયત ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે.”
એ.આર.રેહમાન વિશે આપણે જાણીએ છીએ કે ઈશાની/ રાત્રિની નમાઝ પછી પોતાનું સંગીત બનાવવા માટે અડધી અડધી રાત સુધી સખત મહેનત કરે છે. રહેમાનથી પણ ચઢિયાતા એવા સિમ્ફનીઓના રચયેતા માોર્ગેટ પણ સખત પરિશ્રમ કરતા હતા. એક મિત્રને એમણે પત્રમાં લખ્યું હતું કે લોકો એમ વિચારે છે કે મારી કલા મને બહુ સરળતાથી પ્રાપ્ત થઈ છે. હું ખાતરી આપું છું દોસ્ત કે, મારા જેટલો સમય વિચારવા અને સંગીત બનાવવા માટે બીજા કોઈએ આપ્યો નહીં હોય. કોઈ એવો પ્રસિદ્ધ સંગીતકાર નથી જેના વિશે મેં ઉદ્યમપૂર્વક અભ્યાસ કર્યો ન હોય.
માઈકલ ફેલ્પ્સ સ્વીમીંગમાં ૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યા એ વિના મહેનતે નથી મેળવ્યા. દરરોજ ૮ થી ૧૦ કલાક એ સ્વીમીંગપુલમાં પ્રેકટીસ કરતો હતો. સચિન તેંડુલકરને મહાન બનાવ્યો એની સતત અને સખત પ્રેકટીસે. વિરાટ કોહલી બીજો સચિન બને તો નવાઈ નહીં. એ પણ પોતાની સાતત્યપૂર્ણ દેખાવ માટે સખત નેટપ્રેકટીસ કરે છે. એટલું જ નહીં વેકેશનમાં પણ એ તો જીમમાં જઈ વર્કઆઉટ કરે છે જેથી ફિટનેસ જાળવી શકાય. મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડીસન સતત નિષ્ફળતાઓ છતાં પણ જ્યાં સુધી સંપૂર્ણ પણે શોધ ન થઈ જાય ત્યાં સુધી જંપતો નહોતો એ માટે એ ખાવાપીવાની કે ઊંઘવાની પણ પરવા કરતો ન હતો. લેબોરેટરીમાં જ એ ઝોંકા ખાઈ લેતો અને પોતાના કામમાં વળગેલો રહેતો.  ૧૦૯૩ પેટન્ટસ કઈ અમથી નથી મળતી. સખત પરિશ્રમની સાથે બીજી એક બાબત પણ આવા મેઘાવી લોકોને સતત પ્રેરણા આપતી રહે છે – જિજ્ઞાસા. તમે પણ જો તમારી જિજ્ઞાસાને પૂર્ણ કરવા લાગ્યા રહો તો કોઈ અર્થપૂર્ણ કાર્ય કરવા તમને પ્રેરિત કરશે. જિજ્ઞાસા જ હોય છે જે તમને નવા વિશ્વમાં લઈ જાય છે. જિજ્ઞાસાને સંતોષો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સાથે સાથે તમે અહોભાવથી બીજા વિશ્વમાં પહોંચી જાવ છો. એ માટે ધીરજ જોઈએ આપણી મુશ્કેલી એ છે કે બહુ જલ્દીથી આપણે કોઈ એક કાર્યમાં કંટાળી જઈએ છીએ અને એને છોડી દઈએ છીએ. આ જ એક બાબત છે જે આપણને જીનીયસોથી અલગ પાડે છે. તમારામાં અને આઈન્સટાઈન કે પિકાસો કે એવા બીજા જીનીયસો વચ્ચે મુખ્ય તફાવત આ જ હોય છે કે તેઓએ પોતાના કામમાં-પ્રવૃત્તિમાં માસ્ટરી કેળવી હોય છે. તેમણે વધારે સમય કેનવાસ ઉપર કે ગિટાર ઉપર કે કોમ્પ્યુટર ઉપર ગાળ્યો હોય છે એમની આત્મા અને મન  પોતાના મનગમતા કાર્યમાં લાગેલા હોય છે. તેઓ પોતાની સઘળી શક્તિઓ એમાં લગાવી દે છે. સ્પેસએક્સના સ્થાપક એલન મુસ્ક વિશે એના સાથીદાર જીમ કન્ટ્રેલ કહે છે કે માત્ર બુદ્ધિ થકી જ તમે સફળ થતા નથી. ૨૦૦૧માં સ્પેશએક્સ સ્થાપના કરવામાં આવી ત્યારે એનલ મુસ્કને સ્પેસ વિશે કે લોંચ વ્હીકલ કે રોકેટ સાયન્સ વિશે કોઈ ખાસ જ્ઞાન ન હતું પરંતુ પોતાની સખત મહેનત અને જે કાર્ય હાથમાં લીધું એને છેલ્લે સુધી જકડી રાખવાની વચ્ચેથી ન છોડવાની ટેવને લીધે એ સફળ  થયો જીમ કન્ટ્રેલ કહે છે કે સફળતા માત્ર ત્રણ સાદી બાબતો ઉપર નિર્ભર કરે છે. એક તો તમે જે કામમાં જોશ ચડતું હોય તમે જે માટે પેશનર હોવ એ કામ કરો. જોશ કે જુસ્સા વિના તમારૃં કામ એ તમારો પ્રેમ બની શકતો નથી. બીજું, તમે જેમાં સારા હોવ અને જે કામની પ્રતિભા ધરાવતા હોવ એ કામ કરો. ત્રીજું જેના થકી કોઈ મૂલ્યનું સર્જન થતુ હોય અને જેને માર્કેટમાં અત્યારે કે ભવિષ્યમાં વેચી શકાય એવું કંઈક નિર્માણ કરો. પોતાના સ્વાર્થ કરતા બીજાના ભલા માટે વિચારીને કરશો તો સફળતાની સાથે તમે આર્થિક ઉપાર્જન પણ કરી શકશો.
એટલે સફળ થવા માટે બહુ બુદ્ધિશાળી હોવું કે ખૂબ ઊંચુ આઈક્યુ – બુદ્ધિઆંક ધરાવવો જરૃરી નથી. જેનો બુદ્ધિઆંક ૧૬૦ હતો એવો જીનીયસ આઈન્સ્ટાઈન પણ પોતાની જાતને શું જીનીયસ કે ગિફટેડ માનતો હતો? ના. એણે એક વખત લખ્યું હતું કે “એવું નથી કે હું ખૂબ સ્માર્ટ – હોશિયાર છું. પરંતુ હું મુશ્કેલી સામે વધારે સમય સુધી ટકી રહું છું. (એને હલ કરવા માટે સખત પરિશ્રમ કરતો રહું છું.) મોટાભાગના લોકો કહે છે કે આ બુદ્ધિ જ છે જે મહાન વૈજ્ઞાનિક બનાવે છે. તેઓ ખોટા છે. ચારિત્ર્યથી મહાન બનાય છે.” 

(યુવાસાથી મેગેઝીન ,ઓક્ટોબર ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

28 ઑક્ટોબર, 2017

પ્રમાણિકતાનું માદળિયું

હરિશંકર પરસાઈ ની કટાક્ષ કથા નો અનુવાદ :

એક પ્રદેશમાં બુમાબુમ  થઇ ગઈ કે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે.
રાજાએ દરબારીઓ ને કહ્યું -"પ્રજા બહુ બુમાબુમ કરી રહી છે કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.અમને તો આજદિન સુધી ક્યાંય દેખાયું નથી.તમને ક્યાંક દેખાયું હોય તો બતાવ."
દરબારીઓએ કહ્યું :"મહારાજ,જયારે તમને નથી દેખાતું તો અમને કેવી રીતે દેખાય?"
રાજા એ કહ્યું ;"ના,એવું નથી.ક્યારેક ક્યારેક જે મને નથી દેખાતું ,તે તમને દેખાતું હશે.જેમકે મને ખરાબ સપના નથી દેખાતા પણ તમને દેખાતા હશે."
દરબારીઓએ કહ્યું ;"હા,દેખાય છે.પણ એ તો સપનાની વાત છે."
રાજાએ કહ્યું :"તમે લોકો સમગ્ર પ્રદેશ માં જઈને શોધો ,ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી ને.ક્યાંક મળી જાય તો એનો નમુનો લેતા આવજો.હું  પણ જોઉ કેવુ હોય છે."
એક દરબારીએ કહ્યું :"મહારાજ,એ અમને નહિ દેખાય.સાંભળ્યું છે એ બહુ સુક્ષ્મ હોય છે.અમારી આંખો આપની વિરાટતા જોવા એવી ટેવાઈ ગઈ છે કે કોઈ તુચ્છ વસ્તુ અમને દેખાતી જ નથી.અમને ભ્રષ્ટાચાર દેખાઈ પણ જશે તો એમાં આપની જ છબિ દેખાશે,કેમકે અમારી આંખોમાં તો તમારી જ છબિ અંકાઈ ગઈ છે.હા,આપણા પ્રદેશમાં એક જાતિ વસે છે એમને "વિશેષજ્ઞ" તરીકે ઓળખવામાં આવે છે.આ જાતિ પાસે એવું આંજણ હોય છે જેને આંખમાં આંજવાથી સુક્ષ્મ વસ્તુ પણ દેખાઈ આવે છે.મારી આપ મહારાજ ને નમ્ર વિનંતી છે કે આ વિશેષજ્ઞો ને ભ્રષ્ટાચાર શોધવાનું કામ સોંપવામાં આવે."
રાજા એ વિશેષજ્ઞ જાતિ ના પાંચ માણસો ને બોલાવ્યા અને કહ્યું :"સાંભળ્યું છે કે અમારા પ્રદેશમાં ભ્રષ્ટાચાર છે.પરંતુ એ ક્યાં છે એ ખબર પડતી નથી.તમે લોકો આને શોધી કાઢો.જો મળી જાય તો પકડી ને મારી પાસે લાવો.જો બહુ વધારે હોય તો નમુના તરીકે થોડો લેતા આવજો."
વિશેષજ્ઞો એ એજ દિવસ થી જાંચ શરુ કરી દીધી.
બે મહિના પછી તેઓ દરબાર માં હાજર થયા.
રાજા એ પૂછ્યું :"વિશેષજ્ઞો ,તમારી તપાસ પૂરી થઈ ગઈ?"
"જી,મહારાજ ".
"શું તમને ભ્રષ્ટાચાર મળ્યો?"
"જી હા ,ઘણો મળ્યો".
રાજાએ હાથ આગળ વધાર્યો " લાઓ ,મને બતાવો.જોઉં તો ખરો કેવો હોય છે ."
વિશેષજ્ઞો એ કહ્યું "મહારાજ,એ હાથ થી પકડાતું નથી.એ સ્થૂળ નથી,સુક્ષ્મ છે ,અગોચર છે. અને એ સર્વત્ર છે.એને જોઈ શકાતું નથી,અનુભવી શકાય છે."
રાજા વિચાર માં પડી ગયો.બોલ્યો :"વિશેષજ્ઞો,તમે કહો છો એ સુક્ષ્મ છે ,અગોચર છે અને સર્વવ્યાપી છે.આ ગુણ તો ઈશ્વરના છે.તો શું ભ્રષ્ટાચાર ઈશ્વર છે?"
વિશેષજ્ઞો એ કહ્યું :" હા મહારાજ ,હવે ભ્રષ્ટાચાર ઈશ્વર થઇ ગયો છે"
એક દરબારી એ પૂછ્યું :"પણ એ છે ક્યાં ?એને કેવી રીતે  અનુભવી શકાય છે ?"
વિશેષજ્ઞો એ જવાબ આપ્યો : "એ સર્વત્ર છે.એ આ મહેલ માં છે.એ મહારાજ ના સિંહાસન માં છે."
"સિંહાસન માં ક્યાં છે ?" કહી ને મહારાજ એક દમ ઉછળી પડ્યા અને દુર ઉભા થઇ ગયા.
વિશેષજ્ઞો એ કહ્યું :"હા સાહેબ,એ સિંહાસન માં છે.પાછલા મહીને આ સિંહાસન પર રંગરોગાન  કરવા માટે જે બિલ નું પેમેન્ટ કરવામાં આવ્યું છે એ નકલી છે.એ અસલ રકમ કરતા બમણી રકમ નો છે. અડધી રકમ વચેટિયા ખાઈ ગયા.આપના સમગ્ર શાસનમાં ભ્રષ્ટાચાર છે અને એ મુખ્યત્વે લાંચ ના રૂપ માં છે."
વિશેષજ્ઞો ની વાત સાંભળી ને રાજા ચિંતિત થયા અને દરબારીઓ ના કાન ઊભા થઇ ગયા.
રાજા એ કહ્યું :"આતો ખરેખર ચિંતા નો વિષય છે.અમે ભ્રષ્ટાચાર નાબુદ કરવા માંગીએ છીએ.વિશેષજ્ઞો,તમે બતાવી શકો છે એને કેવી રીતે નાબૂદ કરી શકાય ?"
વિશેષજ્ઞો એ કહ્યું :"હા મહારાજ,અમે એની યોજના પણ તૈયાર કરી રાખી છે.ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મહારાજે શાસન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કરવું પડશે.ભ્રષ્ટાચાર ની તકો નાબૂદ કરવી પડશે .જેમકે કોન્ટ્રાક્ટ છે તો કોન્ટ્રાકટર છે.અને કોન્ટ્રાકટર છે તો અધિકારીઓ ને લાંચ પણ આપશે.કોન્ટ્રાક્ટ જ મટી જાય તો એની લાંચ પણ મટી જાય.આવી રિતે ઘણીબધી વસ્તુઓ છે.કયા કારણો થી માણસ લાંચ લે છે એ પણ એક વિચારવાનો મુદ્દો છે."
રાજાએ કહ્યું :"સારું,તમે લોકો તમારી પૂરી યોજના મૂકી જાઓ ,અમે ચર્ચા વિચારણા કરીશું."
વિશેષજ્ઞો ના ગયા પછી રાજા અને દરબારીઓ એ ભ્રષ્ટાચાર નાબુદી ની આખી યોજના વાંચી અને એના ઉપર ખુબ વિચાર કર્યો.
વિચાર કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને રાજાનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું.એક દિવસ એક દરબારી એ આવી ને કહ્યું :" મહારાજ,ચિંતા ને લીધે આપનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે.એ વિશેષજ્ઞો એ તમને ઝંઝટ માં નાખી દીધા છે."
રાજા એ કહ્યું :"હા ,મને રાત્રે ઊંઘ નથી આવતી."
બીજો દરબારી બોલ્યો :"આવા રીપોર્ટ ને તો બાળી ને રાખ કરી દેવું જોઈએ જેનાથી મહારાજ ની ઊંઘ હરામ થતી  હોય."
રાજાએ કહ્યું :"પણ કરવું શું?તમે લોકોએ પણ ભ્રષ્ટાચાર નાબુદી ની યોજના નો અભ્યાસ કર્યો છે.તમારો શું મત છે ?આ યોજના અમલ માં લાવવી જોઈએ?"
દરબારીઓ એ કહ્યું :" મહારાજ ,આ યોજના તો જાણે  એક મુસીબત છે.આ મુજબ તો કેટલી તબ્દીલિ કરવી પડશે.કેટલી હેરાનગતિ થશે.આખી વ્યવસ્થા જ ઉલટ પુલટ થઇ જશે.જે ચાલી રહ્યું છે એને બદલવાથી નવી નવી કઠણાઈઓ ઉત્પન્ન થશે.આપણે તો કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી આ ફેરફાર કર્યા વિનાજ ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય."
રાજાએ કહ્યું :"હું પણ એજ ઇચ્છુ છું.પણ આ થશે કેવી રીતે?અમારા પરદાદા ને જાદુ આવડતું હતું.અમને તો એ પણ નથી આવડતું.તમે લોકોજ કોઈ ઉપાય શોધી કાઢો."
એક દિવસ દરબારીઓ એ એક સાધુ ને દરબારમાં હાજર કર્યો અને કહ્યું:"મહારાજ,એક ગુફામાં તપસ્યા કરતા આ મહાન સાધક ને અમે શોધી લાવ્યા છીએ.એમેણે સદાચાર નું માદળ્યું(તાવીજ) બનાવ્યું છે.જે મંત્રો થી સિદ્ધ છે.એના બાંધવાથી માણસ એકદમ સદાચારી બની જાય છે."
સાધુએ પોતાની કોથળી માં થી એક તાવીજ કાઢી રાજા  ને આપ્યું.રાજાએ એને જોયું અને બોલ્યા :"હે સાધુ ,આ તાવીજ વિષે મને વિસ્તારપૂર્વક બતાવો.આનાથી માણસ સદાચારી કેવી રીતે બની જાય છે?"
સાધુ એ સમજાવતા કહ્યું:"મહારાજ,ભ્રષ્ટાચાર અને સદાચાર મનુષ્યની આત્મા માં હોય છે.બહાર થી નથી આવતા.વિધાતા જ્યાર્રે માણસ ને ઘડે છે ત્યારે કોઈ આત્મા માં પ્રમાણિકતા અને કોઈમાં અપ્રમાણિકતા ને નાખી દે છે.આમાંથી પ્રમાણિકતા અથવા અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે જેને આપણે "આત્મા નો અવાજ" કહીએ છીએ.આ આત્મા ના અવાજ અનુસાર માણસ કામ કરે છે.પ્રશ્ન આ છે કે જેમની આત્મા માં થી બેઈમાની કે અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે એને દબાવી ને ઈમાનદારી ના સ્વર કેવી રીતે કાઢી શકાય?હું ઘણા વર્ષો થી આ ચિંતન અને સંશોધન માં લાગ્યો છે.એના પરિણામ રૂપે મેં આ સદાચાર નો તાવીજ બનાવ્યો છે.જે માણસના હાથ ઉપર બાંધેલો હશે એ સદાચારી થઇ જશે.મેં કુતરા ઉપર પણ પ્રયોગ કર્યા છે.આ માદળિયું ગળામાં બાંધવાથી કૂતરો પણ રોટી ચોરતો નથી.વાત આમ છે કે આ માદળિયાં માંથી સદાચાર ના સ્વર નીકળે છે.જયારે કોઈ આત્મા બેઈમાની ના સ્વર કાઢવા લાગે છે ત્યારે આ તાવીજ ની શક્તિ આત્માનું ગળું દબાવી દે છે અને માણસને ઈમાનદારી ના સ્વર સંભળાવા લાગે છે.એ માણસ આ સ્વરો ને આત્માનો અવાજ સમજી સદાચાર કરવા પ્રેરિત થાય છે.આ તાવીજ ની સૌથી મોટી વિશેષતા છે ,મહારાજ."
દરબારમાં હલચલ થઇ ગઈ.દરબારી ઉઠી ને તાવીજ જોવા લાગ્યા.
રાજાએ ખુશ થઇ ને કહ્યું:" મને ખબર ન હતી કે મારા રાજ્યમાં આવા ચમત્કારી સાધુ પણ વસે છે.મહાત્માજી,અમે તમારા ખુબ ખુબ આભારી છીએ.તમે અમારી સમસ્યા ઉકેલી દીધી.અમે સર્વત્ર વ્યાપેલા ભ્રષ્ટાચાર થી ત્રસ્ત હતા.અમને લાખો નહિ કરોડો માદળિયાં જોઈએ.અમે માદળિયાં ના ઉત્પાદન માટે એક સરકારી કારખાનું ખોલી નાખીશું.તમે એના જનરલ મેનેજર બની જાવ,અને તમારી દેખરેખ માં ઉત્તમ માદળિયાં નું ઉત્પાદન કરો."
એક મંત્રીએ કહ્યું ;"મહારાજ, આપણે શા માટે આ ઝંઝટમાં પડવું?મારું તો માનવું છે કે સાધુ મહારાજને જ કોન્ટ્રાકટ આપી દઈએ .તેઓ પોતાની મંડળીમાં તાવીજ બનાવી રાજ્યને સપ્લાય કરી દેશે."
રાજાને આ સુઝાવ પસંદ પડ્યો.સાધુ ને તાવીજ બનાવવાનો ઠેકો આપી દેવામાં આવ્યો.એજ વખતે કારખાનું ખોલવા માટે સાધુ ને પાંચ કરોડ રૂપિયા એડવાન્સ  આપી દેવામાં આવ્યા.
રાજ્યના અખબારો માં ખબરો છપાઈ."સદાચાર ના માદળિયાં ની શોધ "," માદળિયાં બનાવવાનું કારખાનું ખુલ્યું."
લાખો તાવીજ બની ગયા.સરકાર ના આદેશથી દરેક સરકારી કર્મચારી ની ભુજા ઉપર એક એક માદળિયું બાંધી દેવામાં આવ્યું.
ભ્રષ્ટાચાર ની સમસ્યાનો આ સરળ ઉપાય મળી આવવાથી રાજા અને દરબારીઓ ખુશ ખુશ હતા.
એક દિવસ રાજાની ઉત્સુકતા વધી ગઈ.વિચાર્યું :જોઉં તો ખરો આ માદળિયું કામ કેવી રીતે કરે છે.
તેવેશ બદલી એક કાર્યાલયમાં ગયો.એ દિવસે ૨ તારીખ હતી.એક દિવસ પહેલાજ પગાર થયો હતો.
તે એક કર્મચારી પાસે ગયો અને કોઈ કામ બતાવી એને સો રૂપિયા ની નોટ આપવા લાગ્યો.
કર્મચારી એ એને ખખડાવ્યો : "નીકળો અહી થી .લાંચ લેવી પાપ છે."
રાજા બહુ પ્રસન્ન થયો.માદળિયાં એ કર્મચારીને પ્રમાણિક બનાવી દીધો હતો.
કેટલાક દિવસ પછી રાજા ફરી થી વેશ બદલી એ જ કર્મચારી પાસે ગયો.એ દિવસે એકત્રીસ મી તારીખ હતી.મહિના નો છેલ્લો દિવસ.
રાજાએ એને સો ની નોટ આપી તો એણે ગજવામાં નાખી દીધી.
રાજા એ એનો હાથ પકડી લીધો.બોલ્યો :"હું તમારો રાજા છું.શું તું આજે સદાચાર નું માદળિયું બાંધી નથી આવ્યો?"
"બાંધ્યું છે મહારાજ,આ જુઓ."
એણે બાંય ચઢાવી માદળિયું બતાવ્યું.
રાજા અસમંજસ માં પડી ગયો.આવું કેવી રીતે થયું?
રાજાએ માદળિયાં ઉપર કાન ધરી ને સાંભળ્યું.માદળિયાં માંથી અવાજ આવી રહ્યો હતો " અરે,આજે એકત્રીસ છે.આજે તો લઇ લે !"