આ બ્લૉગ શોધો

30 ઑક્ટોબર, 2017

સંબંધોની સાચવણી

                           પ્રસિદ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સે કહ્યું હતું કે તમારા જીવનની ગુણવત્તા એ ખરેખર તમારા સંબંધોની ગુણવત્તા કેવી છે એના ઉપર આધાર રાખે છે. સમાજમાં આપણે એકલા નથી. કોઈને કોઈની સાથે આપણે જોડાયેલા છીએ. આપણા કુટુંબીઓ, સ્વજનો અને બીજા લોકો સાથે આપણા સંબંધ હોવાના. સંબંધીઓ સાથે જન્મજાત સંબંધ હોય છે તો બીજા લોકો સાથે સંબંધો કેળવવા પડે છે. આપણે એકલા રહી શકતા નથી. રહેવું  પણ ના જોઇએ. બીજા લોકો સાથે જેટલા સારા સંબંધ કેળવી શકીએ એટલું જીવન અર્થપૂર્ણ બને છે. આપણા સુખી  હોવાનો આધાર બીજા લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એના ઉપર છે. તમને તમારા ભાઈબહેનો સાથે ન બનતુ હોય, પાડોશી સાથે ન બનતું હોય, સંબંધીઓ સાથે તમારે ઝઘડા થતા હોય તો એનો અર્થ એ છે કે મુશ્કેલી તમારા સ્વભાવમાં કે તમારા વર્તનમાં છે. ખામી તમારી વિચારસરણીમાં છે. બીજાને દોષ દેવાને બદલે તમારી જાતને સુધારો. બીજા લોકો તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તમને માન આપતા નથી કે તમને પ્રેમ કરતાં નથી ત્યારે એ વિચારજો કે તમે બીજા લોકો સાથે સારો વ્યવહાર કરો છો? તમે બીજાને માન સન્માન આપો છો? તમે બીજા લોકોને પ્રેમ આપો છો? જે દિવસે આ જવાબ મળી જશે સમજો તમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. આપણે જેમ સ્વાર્થી અને અહંકારી છીએ એમ બીજા લોકો પણ છે.
આપણે આપણી શરતો મુજબ જીવન જીવવા માગીએ એ બરાબર છે પરંતુ એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે બીજા લોકો કંઈ આપણી શરતો કે ઇચ્છા મુજબ જીવવા બંધાયેલા નથી. આપણે જો એમની ઇચ્છા મુજબ ન ચાલીએ તો એમને આપણી ઇચ્છા પ્રમાણે ચાલવાની ફરજ કેવી રીતે પાડી શકીએ? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે. બીજા આપણને પસંદ કરશે કે નહીં એની ચિંતા કરવાને બદલે આપણો વ્યવહાર એવો હોવો જોઇએ કે સામેવાળાના હૃદયમાં આપણા માટે લાગણી જન્મે. સારા સંબંધો કેળવવા માટે પ્રેમની તાકત પ્રગટાવવી પડશે. બળજબરીથી કોઈને તમારા બનાવી નહીં શકે. હા, જો તમે થોડા પણ નમવા માટે તૈયાર હો તો સામેની વ્યક્તિ જરૃર નમશે. અહંકારને ઓગાળવાની જરૃર હોય છે. બીજા લોકો જેવો વ્યવહાર આપણી સાથે કરે એવો જ વ્યવહાર આપણે એમની સાથે કરીએ એ સંકુચિત માનસ છે. બીજા લોકો આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ આપણે એમની સાથે સદ્વર્તાવ કરીએ એમાં મોટાઈ છે. આપણા આવા વર્તનથી કદાચ એમને શરમ ઉપજે અને એ પણ આપણી સાથે સારો વ્યવહાર કરવા લાગે એવું પણ બને. કૂતરો આપણને બટકું ભરે તો કંઈ એને બટકું ભરવા ન જવાય. લા રોશકોફો નામના ફિલસૂફે કટાક્ષમાં કહ્યું હતું “મને મારી જાતમાં ખૂબ રસ છે. બીજા લોકો મુર્ખ છે તે મારામાં એટલો જ રસ દાખવતા નથી.” આ જગત ગીવ એન્ડ ટેકના નિયમ મુજબ ચાલે છે. જેટલું આપણે બીજાને આપીશું એનાથી વધારે આપણને આવી મળશે. એરિક ક્રોમ નામના મનોવિજ્ઞાનીએ નિરિક્ષણ કર્યું છે કે માણસ બીજાને કશું આપીને જેટલો આનંદ અનુભવે છે એટલો બીજા કશા થી બનતો નથી.એટલે આનંદી  બની રહેવું હોય તો બીજા લોકોને સતત કંઇક ને કંઇક આપતા રહો. જરૃરી નથી કે ભૌતિક વસ્તુઓ જ તમે આપો. એક મોહક સ્મિત કે દિલાસાના કે પ્રેરણાના બે શબ્દો પણ કોઈને આનંદ આપી શકે છે. શા માટે આપણે આપો અને લો ના આ નિયમ અનુસરવું જોઈએ? કારણકે આખી સૃષ્ટિમાં ‘સિમ્બીઓસીસ’ અર્થાત્ સહજીવન કે પરસ્પરી જીવનનો સિદ્ધાંત ચાલે છે. તમે ઘણી વનસ્પતિઓ કે પ્રાણીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યુ હશે કે તેઓ એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે. આપણે પણ આજ સૃષ્ટિમાં જીવીએ છીએ. કુદરતના નિયમો વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. આખું વિશ્વ બુનિયાદીરૃપે ‘હાર્મની’ કે સંપ-સુમેળના આધારે રચાયેલું છે. દરેક વસ્તુ બીજાના સહકારના આધારે થાય છે.
આજે ઘણા લોકો કહે છે કે લોકો બહુ સ્વાર્થી થઈ ગયા છે. અહીં બધા સ્વાર્થના સગાં છે. નિસ્વાર્થ સંબંધો હવે રહ્યા નથી. આવું આપણે કહીએ ત્યારે વિચારવું જોઈએ કે ‘બધા’ ‘સ્વાર્થી’ લોકોમાં આપણો પણ સમાવેશ નથી થતો? આપણે એક સરસ ઉપાય શોધી કાઢ્યો છે. કંઇપણ ખોટું થાય તો એ બીજાનો જ વાંક હોય છે, બીજા લોકોને તરત જ જવાબદાર ઠેરવી દેવાના જેથી આપણા ઉપર આક્ષેપ ન થાય. આ રીત એક કવિએ કહ્યું છે એમ
ખુદને ખરાબ કહેવાની હિમ્મત નથી રહી
તેથી લોકો કહે છે જમાનો ખરાબ છે
આપણે પોતાને ખરાબ માનતા જ નથી એટલે જમાનાને ખરાબ કહીને છુટા થઈ જઈએ છીએ. એક ઝેન કથા વાંચી હતી. બીજા ગામથી એક ભાઈ આવીને લોકોને પૂછે છે કે આ ગામના લોકો કેવા છે? એક હોશિયાર  માણસ સામો પ્રશ્ન કરે છે કે જે ગામમાંથી તમે આવ્યા ત્યાં કેવા લોકો હતા? એ મુસાફર કહે છે બહુ ખરાબ હતા, સ્વાર્થી હતા બહુ નાલાયક માણસો હતા. પેલા ચતુરે જવાબ આપ્યો ભાઈ, અહીં પણ આવા જ લોકો છે. પેલો ચાલ્યો જાય છેે. એક બીજો પ્રવાસી આવે છે અને એમને પૂછે છે આ ગામના લોકો કેવા? ચતુર એ જ પ્રશ્ન સામો પૂછે છે કે ત્યાં કેવા હતા? પ્રવાસી કહે છે કે ત્યાં તો બહુ સારા લોકો હતા, ખૂબ પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો હતા. ચતૂરે જવાબ આપ્યો ભાઈ આ ગામમાં તમને એમનાથી વધારે સારા, પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો મળશે. તમે ગામ છોડીને જવાનું નામ જ નહીં લો. પેલો પ્રવાસી ગામમાં વસી ગયો. આ વિરોધાભાસી વાતો સાંભળી ચતુર સજ્જનના સાથીઓ મુંઝવણમાં મુકાઈ ગયા કે બંનેને વિરોધાભાસી જવાબ કેમ.
એક જણે પૂછી લીધું કે તમે પહેલાને કહ્યું ગામના લોકો ખરાબ છે અને બીજાને કહ્યું બહુ સારા છે. આ અવળી વાતનું કોઈ કારણ ખરૃં? ચતુરે જવાબ આપ્યો કે પહેલા પ્રવાસીને સામા ગામમાં કંટાળો આવ્યો લોકો બુરા લાગ્યા તો અહીં પણ એને કંટાળો આવવાનો. અહીંના લોકો પણ એને બૂરા જ લાગવાના. બીજા પ્રવાસીને પેલા ગામના લોકો પ્રેમાળ લાગ્યા તો અહીંના લોકો પણ એને એવા જ લાગવાના.
આ જગત પડધા અને પ્રતિબિંબોની હારમાળા છે. પહેલાના મનમાં જો કંટાળો અને ધિક્કાર ભરેલો હશે તો એને બધે જ કંટાળો આવવાનો અને ધિક્કાર જ મળવાનો. જેના અંતરમાં પ્રેમ ભરેલો છે એને સર્વત્ર પ્રેમના દર્શન થવાના. આ સાવ સાદા નિયમના આધારે દુનિયા ચાલે છે. એમ છતાંય આજે સંબંધીઓથી સંબંધ વિચ્છેદ કરવાના ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ. નાની નાની બાબતોમાં લોકો રીસાઈ જાય છે, ફલાણા પ્રસંગમાં અમને બોલાવ્યા નહીં અને જો બોલાવ્યા હોય તો અમને મહત્વ  આપ્યું નહીં. આખી બાબતોને લઈ લોકો સંબંધો તોડી નાખે છે. એ લોકો ભૂલી જાય છે કે આ દુનિયા ગોળ છે , ક્યાંકને ક્યાંક એમની સામે ભેટો થવાનો જ છે. અને ભેટો થાય ત્યારે જે નાનમ અને ક્ષોભ મનમાં ઉદ્ભવે છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં.
આપણા સમાજ જીવન કે ધંધાની સફળતા આપણા સંબંધીઓ, મિત્રો અને બીજા લોકો સાથેના સારા વ્યવહાર ઉપર નિર્ભર છે. જો બધા સાથે સારા સંબંધ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે કે ધંધામાં બહુ મોટું નુકસાન થઈ ગયું હોય ત્યારે આ સ્વજનો અને મિત્રો જ કામમાં આવે છે.  સંબંધીઓનું કેટલું મહત્ત્વ હોય છે એનો અંદાજ આ હદીસ ઉપરથી આવશે. હદીસમાં કહેવામાં આવ્યું છે કે “જેણે સંબંધીઓ સાથે સંબંધ વિચ્છેદ કર્યો એ સ્વર્ગમાં નહીં જાય.” કેટલી મોટી વાત છે.! (સુનન અબુ દાઉદ, ૧૬૯૬)
જે લોકો સંબંધીઓ તો ઠીક, પોતાના સગા ભાઈ-બહેન અને માતાપિતા સાથે દુર્વ્યવહાર કરે છે એમના વિશે શું કહેવું?
જ્હોન સી. મેક્સવેલ નામના મોટીવેશનલ લેખકે સરસ પુસ્તક લખ્યું છે “વીનીંગ વિથ પીપલ” એમાં એમણે ૨૫ પ્રકારના જુદા જુદા સંબંધો વિશે ચર્ચા કરે છે. સંબંધો બનાવી રાખવા એ મેનેજમેન્ટનો સૌથી મોટો નિયમ છે. આ પુસ્તક વાંચવા  જેવું છે. એમાંથી અમુક બાબતો અહીં ટુકમાં જણાવા માંગુ છું.
સારા સંબંધો સફળતા કે અચીવમેન્ટ માટે પાયારૃપ છે. લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એનાથી આપણી સફળતા કે નિષ્ફળતાનો સંબંધ છે. જો તમે ભરોસાપાત્ર હશો તો બીજા પણ એવા જ દેખાશે. તમે જોવા હો છો એવા બીજા લોકો તમને દેખાય છે. તેથી તમે તમારી જાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમે તમારી જાતને સુધારશો અને જે બનવા માગો છો એનો પ્રયત્ન કરો છો તો તમે એવા બનો છો. બીજા લોકો સામે ફરિયાદ કરવાની જરૃર રહેશે નહીં. સફળતા માટે હકારાત્મક ઇમેજ ઊભી કરો. નકારાત્મક ઇમેજ ઊભી કરનારા સફળ થતા નથી. તમારી પાસે જે કંઇ ખુટે છે કે તમારામાં જે ત્રુટીઓ છે કે જે કંઇ સમસ્યાઓ છે એના પ્રતિ પ્રમાણિક બનો. યાદ રાખો , એકલા એકલા સફળતા મળતી નથી. બીજાનો સાથ સહકાર લો. જે લોકો પોતાની જાતમાં શ્રદ્ધા રાખે છે તેઓ સફળ થાય છે. જે લોકો બીજાની વાતોથી દુખી જલ્દીથી થઈ જાય છે તેઓ બીજાને પણ એટલા જ દુખી કરે છે. લોકો આપણા શબ્દો કરતા અભિગમ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે અભિગમ હંમેશા સકારાત્મક રાખવો. બીજા પાસેથી મેળવવું સરળ છે, બીજાને આપવું બહુ મુશ્કેલ છે. પરંતુ સાચો આનંદ આપવામાં જ છે. બીજાને ઉપર ઉઠાવવામાં છે. બીજાને કંઇક લાભ થાય એવા કાર્યો કરવામાં વધુ આનંદ આવે છે. બીજા સાથે સંબંધો બાંધવામાં પ્રેમનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. પોતાના વિશે વિચારવાને બદલે બીજા વિશે વિચારવામાં આવે છે ત્યારે સંબંધો વધુ ગાઢ બને છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત છે ઃ લોકો. દરેક માણસ કે જેને આપણે મળીએ છીએ કંઇક ને કંઇક ખુબી કે સારી લાક્ષણિકતા ધરાવતો હોય છે. એટલે એનાથી કંઇકને કંઇક શીખવા મળે તો શીખી લેવું જોઈએ. રાલ્ફ વાલ્ડો ઇમર્સને કહ્યું હતું કે “હું એવા કોઈ માણસને નથી મળ્યો જે કોઈને કોઈ બાબતમાં મારાથી ચડીયાતો ન હોય.” તમારે  વિકાસ  કરવો હોય તો તમારા કન્ફર્ટઝોનમાંથી બહાર નીકળો. કશુંક કરો-કશુંક શીખો અને શીખવાની પ્રક્રિયા શરૃ થાય છે સાંભળવાથી. એટલે બીજા લોકોની વાતો ધ્યાનથી સાંભળો. સંબંધો વિશ્વાસના પાયા ઉપર રચાય છે અને વિશ્વાસ કેળવાય છે નિષ્ઠાથી. બીજા પાસેથી વિશ્વાસ અને પ્રમાણિકતાની અપેક્ષા હોય તો સૌથી પહેલા આપણે પ્રમાણિક અને વિશ્વાસુ બનવું જોઈએ. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે સંપત્તિ, આપણો હોદ્દો અને ભૌતિક વસ્તુ એક તરફ અને બીજી તરફ સંબંધમાંથી પસંદગી કરવાની આવે તો સંબંધ બચાવવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં જેટલું રોકાણ કરશો એટલું જ એનું રિટર્ન સારૃ મળશે. હાર્વડ હોગસને કહ્યું હતું, “તમે જે કોઈ ધંધામાં હોવ, યાદ રાખજો, કે તમે સંબંધોના ધંધામાં છો. તેથી તમારી નામના કે પ્રતિષ્ઠા સૌથી મોટી મૂડી છે.”
(યુવાસાથી મેગેઝીન ,ઓગસ્ટ ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

જીનીયસ બનવા શું જરૃરી : પરિશ્રમ કે પ્રતિભા?

જીનીયસ અર્થાત્ મેઘાવી પુરૃષો કુદરતી રીતે જ  જીનીયસ હોય છે, શું જન્મથી જ તેઓ પ્રતિભા ધરાવે છે કે પછી સખત પરિશ્રમ એમને જીનીયસ બનાવે છે? આ પ્રશ્ન લગભગ દરેક યુગમાં ચર્ચાતો રહ્યો છે અને ચર્ચાતો રહેશે. મોટાભાગના કિસ્સાઓમાં બને છે એમ અહીં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ માને છે કે જીનીયસ લોકો જન્મજાત જીનીયસ હોય છે, પરિશ્રમથી એમને કોઈ લેવા દેવા નથી. જ્યારે બીજો વર્ગ માને છે કે પ્રતિભા જેવી વસ્તુ હોતી નથી. સખત પરિશ્રમ દ્વારા જ પોતાનામાં રહેલી શક્તિઓને બહાર કાઢી શકાય છે. સખત પરિશ્રમથી જ બુદ્ધિશાળી બની શકાય છે, કેમ કે આપણું મગજ adaptable હોય છે.
આ તો સર્વવિદિત છે કે માણસો માનસિક શક્તિમાં જુદા જુદા હોય છે. પરંતુ ટ્રેનિંગથી મહારત પ્રાપ્ત કરી શકાય છે. ટ્રેનિંગથી બુદ્ધિ વધારી પણ શકાય છે એના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પુરાવાઓ પણ છે. આયર્લેન્ડ વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના અધ્યાપક આર્યન રોસ ‘સાયકોલોજી ટુડે’માં લખે છે કે “વાસ્તવિકતા તો આ છે કે બુદ્ધિ વધારી શકાય છે.” જે લોકો એમ માને છે કે આપણાં બુદ્ધિઆંક (IQ) જીવનભર એટલો જ રહે છે તેઓ વાસ્તવમાં બુદ્ધિઆંકની પરીક્ષાના પરિણામ વિશે એવું કહેતા હોય છે. પરંતુ આપણી બુદ્ધિ સતત વધતી હોય છે. પરંતુ એના માટે મગજને સતત સક્રીય રાખવું પડે છે. સતત માનસિક કસરતો કરતી રહેવી પડે છે. જેમને આપણે ખૂબ સફળ અને મેઘાવી પુરૃષો તરીકે ઓળખીએ છીએ એવા લોકો – માર્ગેટથી બિલ ગેટ્સ સુધી – એક ખાસ લાક્ષણિકતા ધરાવતા હોય છે. તેઓ પોતાની સ્કીલ્સ અર્થાત્ કૌશલ્યને વિકસાવવા માટે ખંતપૂર્વક લાગેલા રહે છે અને પોતાની જાત સાથે કમિટેડ વચનબદ્ધ હોય છે. તેઓ સખત મહેનતુ હોય છે. બની શકે કે કેટલાક લોકોમાં કુદરતી પ્રતિભા બીજા કરતા વધારે હશે પરંતુ આ બધા જ જીનીયસ લોકોમાં ‘ઇશ્વરીય ભેટ’ પ્રતિભા કરતા સખત પરિશ્રમથી મેળવેલ માસ્ટરી વધારે જોવા મળે છે.
જેટલા પણ સફળ ખેલાડીઓ થયા તેઓ સખત પરિશ્રમ થકી જ અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા. ટાઈગર વુડ્સે ૨૧ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી પરંતુ એ માટે એણે ૧૮ વર્ષ સખત પરિશ્રમ કર્યો હતો. સેરેના વિલીયમ્સ, વિનસ વિલીયમ્સ, સ્ટેફી ગ્રાફ, યુસુૈન બોલ્ડ, માઈકલ ફેલ્પસ, સુમાકર, સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી… લિસ્ટ ઘણું લાંબુ છે. આ બધા જ લોકો સખત અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા છે. એ માટે મહત્ત્વની વસ્તુ છે ધ્યેયલક્ષી પ્રેકટીસ. ધ્યેયલક્ષી પ્રેકટીસ જ મગજ ઉપર ચમત્કાર કરી શકે છે. ફ્લોરીડાના મનોવિજ્ઞાનના અધ્યાપક એન્ડર્સ એરીક્સને પણ કહ્યું છે કે “આ સમજાવવું ખૂબ જ જટીલ છે કે જીનીયસ અથવા નિષ્ણાંતો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેઓ શા માટે અલ્પસંખ્યામાં હોય છે. જો ધ્યેયલક્ષી અને સુધારાવાદી પ્રયત્નો કરવામાં ન આવે તો કાબેલિયત ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે.”
એ.આર.રેહમાન વિશે આપણે જાણીએ છીએ કે ઈશાની/ રાત્રિની નમાઝ પછી પોતાનું સંગીત બનાવવા માટે અડધી અડધી રાત સુધી સખત મહેનત કરે છે. રહેમાનથી પણ ચઢિયાતા એવા સિમ્ફનીઓના રચયેતા માોર્ગેટ પણ સખત પરિશ્રમ કરતા હતા. એક મિત્રને એમણે પત્રમાં લખ્યું હતું કે લોકો એમ વિચારે છે કે મારી કલા મને બહુ સરળતાથી પ્રાપ્ત થઈ છે. હું ખાતરી આપું છું દોસ્ત કે, મારા જેટલો સમય વિચારવા અને સંગીત બનાવવા માટે બીજા કોઈએ આપ્યો નહીં હોય. કોઈ એવો પ્રસિદ્ધ સંગીતકાર નથી જેના વિશે મેં ઉદ્યમપૂર્વક અભ્યાસ કર્યો ન હોય.
માઈકલ ફેલ્પ્સ સ્વીમીંગમાં ૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યા એ વિના મહેનતે નથી મેળવ્યા. દરરોજ ૮ થી ૧૦ કલાક એ સ્વીમીંગપુલમાં પ્રેકટીસ કરતો હતો. સચિન તેંડુલકરને મહાન બનાવ્યો એની સતત અને સખત પ્રેકટીસે. વિરાટ કોહલી બીજો સચિન બને તો નવાઈ નહીં. એ પણ પોતાની સાતત્યપૂર્ણ દેખાવ માટે સખત નેટપ્રેકટીસ કરે છે. એટલું જ નહીં વેકેશનમાં પણ એ તો જીમમાં જઈ વર્કઆઉટ કરે છે જેથી ફિટનેસ જાળવી શકાય. મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડીસન સતત નિષ્ફળતાઓ છતાં પણ જ્યાં સુધી સંપૂર્ણ પણે શોધ ન થઈ જાય ત્યાં સુધી જંપતો નહોતો એ માટે એ ખાવાપીવાની કે ઊંઘવાની પણ પરવા કરતો ન હતો. લેબોરેટરીમાં જ એ ઝોંકા ખાઈ લેતો અને પોતાના કામમાં વળગેલો રહેતો.  ૧૦૯૩ પેટન્ટસ કઈ અમથી નથી મળતી. સખત પરિશ્રમની સાથે બીજી એક બાબત પણ આવા મેઘાવી લોકોને સતત પ્રેરણા આપતી રહે છે – જિજ્ઞાસા. તમે પણ જો તમારી જિજ્ઞાસાને પૂર્ણ કરવા લાગ્યા રહો તો કોઈ અર્થપૂર્ણ કાર્ય કરવા તમને પ્રેરિત કરશે. જિજ્ઞાસા જ હોય છે જે તમને નવા વિશ્વમાં લઈ જાય છે. જિજ્ઞાસાને સંતોષો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સાથે સાથે તમે અહોભાવથી બીજા વિશ્વમાં પહોંચી જાવ છો. એ માટે ધીરજ જોઈએ આપણી મુશ્કેલી એ છે કે બહુ જલ્દીથી આપણે કોઈ એક કાર્યમાં કંટાળી જઈએ છીએ અને એને છોડી દઈએ છીએ. આ જ એક બાબત છે જે આપણને જીનીયસોથી અલગ પાડે છે. તમારામાં અને આઈન્સટાઈન કે પિકાસો કે એવા બીજા જીનીયસો વચ્ચે મુખ્ય તફાવત આ જ હોય છે કે તેઓએ પોતાના કામમાં-પ્રવૃત્તિમાં માસ્ટરી કેળવી હોય છે. તેમણે વધારે સમય કેનવાસ ઉપર કે ગિટાર ઉપર કે કોમ્પ્યુટર ઉપર ગાળ્યો હોય છે એમની આત્મા અને મન  પોતાના મનગમતા કાર્યમાં લાગેલા હોય છે. તેઓ પોતાની સઘળી શક્તિઓ એમાં લગાવી દે છે. સ્પેસએક્સના સ્થાપક એલન મુસ્ક વિશે એના સાથીદાર જીમ કન્ટ્રેલ કહે છે કે માત્ર બુદ્ધિ થકી જ તમે સફળ થતા નથી. ૨૦૦૧માં સ્પેશએક્સ સ્થાપના કરવામાં આવી ત્યારે એનલ મુસ્કને સ્પેસ વિશે કે લોંચ વ્હીકલ કે રોકેટ સાયન્સ વિશે કોઈ ખાસ જ્ઞાન ન હતું પરંતુ પોતાની સખત મહેનત અને જે કાર્ય હાથમાં લીધું એને છેલ્લે સુધી જકડી રાખવાની વચ્ચેથી ન છોડવાની ટેવને લીધે એ સફળ  થયો જીમ કન્ટ્રેલ કહે છે કે સફળતા માત્ર ત્રણ સાદી બાબતો ઉપર નિર્ભર કરે છે. એક તો તમે જે કામમાં જોશ ચડતું હોય તમે જે માટે પેશનર હોવ એ કામ કરો. જોશ કે જુસ્સા વિના તમારૃં કામ એ તમારો પ્રેમ બની શકતો નથી. બીજું, તમે જેમાં સારા હોવ અને જે કામની પ્રતિભા ધરાવતા હોવ એ કામ કરો. ત્રીજું જેના થકી કોઈ મૂલ્યનું સર્જન થતુ હોય અને જેને માર્કેટમાં અત્યારે કે ભવિષ્યમાં વેચી શકાય એવું કંઈક નિર્માણ કરો. પોતાના સ્વાર્થ કરતા બીજાના ભલા માટે વિચારીને કરશો તો સફળતાની સાથે તમે આર્થિક ઉપાર્જન પણ કરી શકશો.
એટલે સફળ થવા માટે બહુ બુદ્ધિશાળી હોવું કે ખૂબ ઊંચુ આઈક્યુ – બુદ્ધિઆંક ધરાવવો જરૃરી નથી. જેનો બુદ્ધિઆંક ૧૬૦ હતો એવો જીનીયસ આઈન્સ્ટાઈન પણ પોતાની જાતને શું જીનીયસ કે ગિફટેડ માનતો હતો? ના. એણે એક વખત લખ્યું હતું કે “એવું નથી કે હું ખૂબ સ્માર્ટ – હોશિયાર છું. પરંતુ હું મુશ્કેલી સામે વધારે સમય સુધી ટકી રહું છું. (એને હલ કરવા માટે સખત પરિશ્રમ કરતો રહું છું.) મોટાભાગના લોકો કહે છે કે આ બુદ્ધિ જ છે જે મહાન વૈજ્ઞાનિક બનાવે છે. તેઓ ખોટા છે. ચારિત્ર્યથી મહાન બનાય છે.” 

(યુવાસાથી મેગેઝીન ,ઓક્ટોબર ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

28 ઑક્ટોબર, 2017

પ્રમાણિકતાનું માદળિયું

હરિશંકર પરસાઈ ની કટાક્ષ કથા નો અનુવાદ :

એક પ્રદેશમાં બુમાબુમ  થઇ ગઈ કે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે.
રાજાએ દરબારીઓ ને કહ્યું -"પ્રજા બહુ બુમાબુમ કરી રહી છે કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.અમને તો આજદિન સુધી ક્યાંય દેખાયું નથી.તમને ક્યાંક દેખાયું હોય તો બતાવ."
દરબારીઓએ કહ્યું :"મહારાજ,જયારે તમને નથી દેખાતું તો અમને કેવી રીતે દેખાય?"
રાજા એ કહ્યું ;"ના,એવું નથી.ક્યારેક ક્યારેક જે મને નથી દેખાતું ,તે તમને દેખાતું હશે.જેમકે મને ખરાબ સપના નથી દેખાતા પણ તમને દેખાતા હશે."
દરબારીઓએ કહ્યું ;"હા,દેખાય છે.પણ એ તો સપનાની વાત છે."
રાજાએ કહ્યું :"તમે લોકો સમગ્ર પ્રદેશ માં જઈને શોધો ,ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી ને.ક્યાંક મળી જાય તો એનો નમુનો લેતા આવજો.હું  પણ જોઉ કેવુ હોય છે."
એક દરબારીએ કહ્યું :"મહારાજ,એ અમને નહિ દેખાય.સાંભળ્યું છે એ બહુ સુક્ષ્મ હોય છે.અમારી આંખો આપની વિરાટતા જોવા એવી ટેવાઈ ગઈ છે કે કોઈ તુચ્છ વસ્તુ અમને દેખાતી જ નથી.અમને ભ્રષ્ટાચાર દેખાઈ પણ જશે તો એમાં આપની જ છબિ દેખાશે,કેમકે અમારી આંખોમાં તો તમારી જ છબિ અંકાઈ ગઈ છે.હા,આપણા પ્રદેશમાં એક જાતિ વસે છે એમને "વિશેષજ્ઞ" તરીકે ઓળખવામાં આવે છે.આ જાતિ પાસે એવું આંજણ હોય છે જેને આંખમાં આંજવાથી સુક્ષ્મ વસ્તુ પણ દેખાઈ આવે છે.મારી આપ મહારાજ ને નમ્ર વિનંતી છે કે આ વિશેષજ્ઞો ને ભ્રષ્ટાચાર શોધવાનું કામ સોંપવામાં આવે."
રાજા એ વિશેષજ્ઞ જાતિ ના પાંચ માણસો ને બોલાવ્યા અને કહ્યું :"સાંભળ્યું છે કે અમારા પ્રદેશમાં ભ્રષ્ટાચાર છે.પરંતુ એ ક્યાં છે એ ખબર પડતી નથી.તમે લોકો આને શોધી કાઢો.જો મળી જાય તો પકડી ને મારી પાસે લાવો.જો બહુ વધારે હોય તો નમુના તરીકે થોડો લેતા આવજો."
વિશેષજ્ઞો એ એજ દિવસ થી જાંચ શરુ કરી દીધી.
બે મહિના પછી તેઓ દરબાર માં હાજર થયા.
રાજા એ પૂછ્યું :"વિશેષજ્ઞો ,તમારી તપાસ પૂરી થઈ ગઈ?"
"જી,મહારાજ ".
"શું તમને ભ્રષ્ટાચાર મળ્યો?"
"જી હા ,ઘણો મળ્યો".
રાજાએ હાથ આગળ વધાર્યો " લાઓ ,મને બતાવો.જોઉં તો ખરો કેવો હોય છે ."
વિશેષજ્ઞો એ કહ્યું "મહારાજ,એ હાથ થી પકડાતું નથી.એ સ્થૂળ નથી,સુક્ષ્મ છે ,અગોચર છે. અને એ સર્વત્ર છે.એને જોઈ શકાતું નથી,અનુભવી શકાય છે."
રાજા વિચાર માં પડી ગયો.બોલ્યો :"વિશેષજ્ઞો,તમે કહો છો એ સુક્ષ્મ છે ,અગોચર છે અને સર્વવ્યાપી છે.આ ગુણ તો ઈશ્વરના છે.તો શું ભ્રષ્ટાચાર ઈશ્વર છે?"
વિશેષજ્ઞો એ કહ્યું :" હા મહારાજ ,હવે ભ્રષ્ટાચાર ઈશ્વર થઇ ગયો છે"
એક દરબારી એ પૂછ્યું :"પણ એ છે ક્યાં ?એને કેવી રીતે  અનુભવી શકાય છે ?"
વિશેષજ્ઞો એ જવાબ આપ્યો : "એ સર્વત્ર છે.એ આ મહેલ માં છે.એ મહારાજ ના સિંહાસન માં છે."
"સિંહાસન માં ક્યાં છે ?" કહી ને મહારાજ એક દમ ઉછળી પડ્યા અને દુર ઉભા થઇ ગયા.
વિશેષજ્ઞો એ કહ્યું :"હા સાહેબ,એ સિંહાસન માં છે.પાછલા મહીને આ સિંહાસન પર રંગરોગાન  કરવા માટે જે બિલ નું પેમેન્ટ કરવામાં આવ્યું છે એ નકલી છે.એ અસલ રકમ કરતા બમણી રકમ નો છે. અડધી રકમ વચેટિયા ખાઈ ગયા.આપના સમગ્ર શાસનમાં ભ્રષ્ટાચાર છે અને એ મુખ્યત્વે લાંચ ના રૂપ માં છે."
વિશેષજ્ઞો ની વાત સાંભળી ને રાજા ચિંતિત થયા અને દરબારીઓ ના કાન ઊભા થઇ ગયા.
રાજા એ કહ્યું :"આતો ખરેખર ચિંતા નો વિષય છે.અમે ભ્રષ્ટાચાર નાબુદ કરવા માંગીએ છીએ.વિશેષજ્ઞો,તમે બતાવી શકો છે એને કેવી રીતે નાબૂદ કરી શકાય ?"
વિશેષજ્ઞો એ કહ્યું :"હા મહારાજ,અમે એની યોજના પણ તૈયાર કરી રાખી છે.ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મહારાજે શાસન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કરવું પડશે.ભ્રષ્ટાચાર ની તકો નાબૂદ કરવી પડશે .જેમકે કોન્ટ્રાક્ટ છે તો કોન્ટ્રાકટર છે.અને કોન્ટ્રાકટર છે તો અધિકારીઓ ને લાંચ પણ આપશે.કોન્ટ્રાક્ટ જ મટી જાય તો એની લાંચ પણ મટી જાય.આવી રિતે ઘણીબધી વસ્તુઓ છે.કયા કારણો થી માણસ લાંચ લે છે એ પણ એક વિચારવાનો મુદ્દો છે."
રાજાએ કહ્યું :"સારું,તમે લોકો તમારી પૂરી યોજના મૂકી જાઓ ,અમે ચર્ચા વિચારણા કરીશું."
વિશેષજ્ઞો ના ગયા પછી રાજા અને દરબારીઓ એ ભ્રષ્ટાચાર નાબુદી ની આખી યોજના વાંચી અને એના ઉપર ખુબ વિચાર કર્યો.
વિચાર કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને રાજાનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું.એક દિવસ એક દરબારી એ આવી ને કહ્યું :" મહારાજ,ચિંતા ને લીધે આપનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે.એ વિશેષજ્ઞો એ તમને ઝંઝટ માં નાખી દીધા છે."
રાજા એ કહ્યું :"હા ,મને રાત્રે ઊંઘ નથી આવતી."
બીજો દરબારી બોલ્યો :"આવા રીપોર્ટ ને તો બાળી ને રાખ કરી દેવું જોઈએ જેનાથી મહારાજ ની ઊંઘ હરામ થતી  હોય."
રાજાએ કહ્યું :"પણ કરવું શું?તમે લોકોએ પણ ભ્રષ્ટાચાર નાબુદી ની યોજના નો અભ્યાસ કર્યો છે.તમારો શું મત છે ?આ યોજના અમલ માં લાવવી જોઈએ?"
દરબારીઓ એ કહ્યું :" મહારાજ ,આ યોજના તો જાણે  એક મુસીબત છે.આ મુજબ તો કેટલી તબ્દીલિ કરવી પડશે.કેટલી હેરાનગતિ થશે.આખી વ્યવસ્થા જ ઉલટ પુલટ થઇ જશે.જે ચાલી રહ્યું છે એને બદલવાથી નવી નવી કઠણાઈઓ ઉત્પન્ન થશે.આપણે તો કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી આ ફેરફાર કર્યા વિનાજ ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય."
રાજાએ કહ્યું :"હું પણ એજ ઇચ્છુ છું.પણ આ થશે કેવી રીતે?અમારા પરદાદા ને જાદુ આવડતું હતું.અમને તો એ પણ નથી આવડતું.તમે લોકોજ કોઈ ઉપાય શોધી કાઢો."
એક દિવસ દરબારીઓ એ એક સાધુ ને દરબારમાં હાજર કર્યો અને કહ્યું:"મહારાજ,એક ગુફામાં તપસ્યા કરતા આ મહાન સાધક ને અમે શોધી લાવ્યા છીએ.એમેણે સદાચાર નું માદળ્યું(તાવીજ) બનાવ્યું છે.જે મંત્રો થી સિદ્ધ છે.એના બાંધવાથી માણસ એકદમ સદાચારી બની જાય છે."
સાધુએ પોતાની કોથળી માં થી એક તાવીજ કાઢી રાજા  ને આપ્યું.રાજાએ એને જોયું અને બોલ્યા :"હે સાધુ ,આ તાવીજ વિષે મને વિસ્તારપૂર્વક બતાવો.આનાથી માણસ સદાચારી કેવી રીતે બની જાય છે?"
સાધુ એ સમજાવતા કહ્યું:"મહારાજ,ભ્રષ્ટાચાર અને સદાચાર મનુષ્યની આત્મા માં હોય છે.બહાર થી નથી આવતા.વિધાતા જ્યાર્રે માણસ ને ઘડે છે ત્યારે કોઈ આત્મા માં પ્રમાણિકતા અને કોઈમાં અપ્રમાણિકતા ને નાખી દે છે.આમાંથી પ્રમાણિકતા અથવા અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે જેને આપણે "આત્મા નો અવાજ" કહીએ છીએ.આ આત્મા ના અવાજ અનુસાર માણસ કામ કરે છે.પ્રશ્ન આ છે કે જેમની આત્મા માં થી બેઈમાની કે અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે એને દબાવી ને ઈમાનદારી ના સ્વર કેવી રીતે કાઢી શકાય?હું ઘણા વર્ષો થી આ ચિંતન અને સંશોધન માં લાગ્યો છે.એના પરિણામ રૂપે મેં આ સદાચાર નો તાવીજ બનાવ્યો છે.જે માણસના હાથ ઉપર બાંધેલો હશે એ સદાચારી થઇ જશે.મેં કુતરા ઉપર પણ પ્રયોગ કર્યા છે.આ માદળિયું ગળામાં બાંધવાથી કૂતરો પણ રોટી ચોરતો નથી.વાત આમ છે કે આ માદળિયાં માંથી સદાચાર ના સ્વર નીકળે છે.જયારે કોઈ આત્મા બેઈમાની ના સ્વર કાઢવા લાગે છે ત્યારે આ તાવીજ ની શક્તિ આત્માનું ગળું દબાવી દે છે અને માણસને ઈમાનદારી ના સ્વર સંભળાવા લાગે છે.એ માણસ આ સ્વરો ને આત્માનો અવાજ સમજી સદાચાર કરવા પ્રેરિત થાય છે.આ તાવીજ ની સૌથી મોટી વિશેષતા છે ,મહારાજ."
દરબારમાં હલચલ થઇ ગઈ.દરબારી ઉઠી ને તાવીજ જોવા લાગ્યા.
રાજાએ ખુશ થઇ ને કહ્યું:" મને ખબર ન હતી કે મારા રાજ્યમાં આવા ચમત્કારી સાધુ પણ વસે છે.મહાત્માજી,અમે તમારા ખુબ ખુબ આભારી છીએ.તમે અમારી સમસ્યા ઉકેલી દીધી.અમે સર્વત્ર વ્યાપેલા ભ્રષ્ટાચાર થી ત્રસ્ત હતા.અમને લાખો નહિ કરોડો માદળિયાં જોઈએ.અમે માદળિયાં ના ઉત્પાદન માટે એક સરકારી કારખાનું ખોલી નાખીશું.તમે એના જનરલ મેનેજર બની જાવ,અને તમારી દેખરેખ માં ઉત્તમ માદળિયાં નું ઉત્પાદન કરો."
એક મંત્રીએ કહ્યું ;"મહારાજ, આપણે શા માટે આ ઝંઝટમાં પડવું?મારું તો માનવું છે કે સાધુ મહારાજને જ કોન્ટ્રાકટ આપી દઈએ .તેઓ પોતાની મંડળીમાં તાવીજ બનાવી રાજ્યને સપ્લાય કરી દેશે."
રાજાને આ સુઝાવ પસંદ પડ્યો.સાધુ ને તાવીજ બનાવવાનો ઠેકો આપી દેવામાં આવ્યો.એજ વખતે કારખાનું ખોલવા માટે સાધુ ને પાંચ કરોડ રૂપિયા એડવાન્સ  આપી દેવામાં આવ્યા.
રાજ્યના અખબારો માં ખબરો છપાઈ."સદાચાર ના માદળિયાં ની શોધ "," માદળિયાં બનાવવાનું કારખાનું ખુલ્યું."
લાખો તાવીજ બની ગયા.સરકાર ના આદેશથી દરેક સરકારી કર્મચારી ની ભુજા ઉપર એક એક માદળિયું બાંધી દેવામાં આવ્યું.
ભ્રષ્ટાચાર ની સમસ્યાનો આ સરળ ઉપાય મળી આવવાથી રાજા અને દરબારીઓ ખુશ ખુશ હતા.
એક દિવસ રાજાની ઉત્સુકતા વધી ગઈ.વિચાર્યું :જોઉં તો ખરો આ માદળિયું કામ કેવી રીતે કરે છે.
તેવેશ બદલી એક કાર્યાલયમાં ગયો.એ દિવસે ૨ તારીખ હતી.એક દિવસ પહેલાજ પગાર થયો હતો.
તે એક કર્મચારી પાસે ગયો અને કોઈ કામ બતાવી એને સો રૂપિયા ની નોટ આપવા લાગ્યો.
કર્મચારી એ એને ખખડાવ્યો : "નીકળો અહી થી .લાંચ લેવી પાપ છે."
રાજા બહુ પ્રસન્ન થયો.માદળિયાં એ કર્મચારીને પ્રમાણિક બનાવી દીધો હતો.
કેટલાક દિવસ પછી રાજા ફરી થી વેશ બદલી એ જ કર્મચારી પાસે ગયો.એ દિવસે એકત્રીસ મી તારીખ હતી.મહિના નો છેલ્લો દિવસ.
રાજાએ એને સો ની નોટ આપી તો એણે ગજવામાં નાખી દીધી.
રાજા એ એનો હાથ પકડી લીધો.બોલ્યો :"હું તમારો રાજા છું.શું તું આજે સદાચાર નું માદળિયું બાંધી નથી આવ્યો?"
"બાંધ્યું છે મહારાજ,આ જુઓ."
એણે બાંય ચઢાવી માદળિયું બતાવ્યું.
રાજા અસમંજસ માં પડી ગયો.આવું કેવી રીતે થયું?
રાજાએ માદળિયાં ઉપર કાન ધરી ને સાંભળ્યું.માદળિયાં માંથી અવાજ આવી રહ્યો હતો " અરે,આજે એકત્રીસ છે.આજે તો લઇ લે !"