આ બ્લૉગ શોધો

લેબલ Encyclopedia of Islam સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Encyclopedia of Islam સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

26 નવેમ્બર, 2025

અરબી ભાષા અને છંદશાસ્ત્રના મહાન વિદ્વાન :ખલીલ બિન એહમદ અલ ફરહાદી

અરબી ભાષા અને છંદશાસ્ત્રના મહાન વિદ્વાન :ખલીલ બિન એહમદ અલ ફરહાદી


લેખક : મોહમ્મદ સઈદ શેખ

અબુ અબ્દુર રહમાન અલ ખલીલ બિન એહમદ બિન અમ્ર બિન તમીમ અલ ફરહાદી અરબી ભાષાના એક મહાન અને પ્રસિદ્ધ ભાષા શાસ્ત્રી,વ્યાકરણ શાસ્ત્રી અને છંદ શાસ્ત્રી /પિંગળ શાસ્ત્રી હતા.તેઓ અરબી ભાષાના શબ્દકોષના રચયિતા હતા.તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન હતા.અરબી શબ્દકોષ અને સંગીતની શાખાઓ સ્થાપિત કરવાનો શ્રેય એમને જાય છે.એમણે છંદ કે પિંગળ શાસ્ત્રને વૈજ્ઞાનિક ઢબે વિકસિત કર્યું.

તેમનો જન્મ ૧૦૦ (૭૧૮) માં ઓમાન અથવા તો બસરા (ઈરાક)માં માં થયો હતો.તેઓ બસરામાં મોટા થયા હતા. તેમને યઝદી, અહમદી અને બસરી નામોથી પણ ઓળખવામાં આવે છે.
એવું કહેવાય છે કે ખલીલના પિતા નું નામ રસુલલ્લાહ હ. મુહમ્મદ ﷺ ના અવસાન પછી આપના નામ ‘એહમદ’ પરથી સૌપ્રથમ રાખવામાં આવ્યું હતું.ખલીલે ઇસા ઇબ્ને ઉમર અલ-સકાફી અને અબુ અમ્ર ઇબ્ને અલા જેવા શિક્ષકો પાસેથી ભાષા અને વ્યાકરણ નું જ્ઞાન પ્રાપ્ત કર્યું .એમણે હદીસનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું યુવાનીમાં તેઓ ખારીજીઓની ઇબાદી કે સુફરિયા શાખાથી જોડાયેલા હતા, પરંતુ તેમના શિક્ષક, પ્રખ્યાત ફકીહ અને હદીસ વિદ્વાન ઐયુબ અલ-સહતિયાનીના પ્રભાવ હેઠળ, તેમણે આનો ત્યાગ કર્યો અને સુન્ની સિદ્ધાંત અપનાવ્યો. તેઓ ખૂબ જ ધાર્મિક હતા.દર વર્ષે તેઓ હજ પઢવા જતા. તેઓ બસરામાં તેમના પિતા પાસેથી વારસામાં મળેલા બગીચા અને બાજપાલન તરીકેના વ્યવસાયમાંથી મળેલી આવક પર જીવન નિર્વાહ કરતા હતા.ખલીલ ઇબ્ને અહમદ માટે જ્ઞાન સિવાય બીજું કશું જ મહત્વનું નહતું તેઓ પોતાની આસપાસના લોકોને જ્ઞાન આપવા તેમને શિક્ષણ આપતા જાતે લખવાનું શીખવાડતા.એમના ઘણા વિધાર્થીઓ પ્રસિદ્ધ થયા એમાંથી એક સિબાવેહી હતા જેમને અલ-કિતાબમાં તેમની નોંધોનું સંકલન કર્યું જેનાથ તેઓ પ્રખ્યાત થયા. તેમના ઘણા વિદ્યાર્થીઓ જેમણે તેમની પાસેથી વ્યાકરણ, શબ્દકોષ, હદીસ અને કવિતાનું વર્ણન કર્યું હતું, તેમાં લેયસ ઇબ્ને મુઝફ્ફરને હદીસમાં, અલી ઇબ્ને નસ્ર અલ-જહદામીને કવિતા અને શબ્દકોષમાં, નાદર ઇબ્ને શુમૈલને હદીસ અને શબ્દકોષમાં અને અહફાસ અલ-અવસત અને અસમૈને વ્યાકરણમાં નોંધપાત્ર વ્યક્તિઓ તરીકે ટાંકી શકાય. હમઝા અલ-ઇસ્ફહાનીના મતે, ઇસ્લામિક વિશ્વમાં કોઈ પણ વિદ્વાન એવો નથી જેણે ખલીલ દ્વારા તેમના કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો લાભ ન લીધો હોય. બધા જ શિષ્યોનો દાવો હતો કે ખલીલ કરતા વધુ બુદ્ધિશાળી અથવા અરબી ભાષા અને સાહિત્યનો વધુ જાણકાર કોઈ બીજું નહોતું.

ખલીલ ઇબ્ને અહમદ અરબી વ્યાકરણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું.એમણે અરબી શબ્દકોશ સંપાદિત કર્યું ખલીલની ગણના એક મહાન ભાષાશાસ્ત્રી તરીકે થાય છે.એમણે નિયમબદ્ધ કરેલ નિયમો આજે પણ અમુલ્ય રહ્યા છે.એમણે અરબી કવિતાનો ગહન અભ્યાસ કર્યો અને જોયું કે કોઈ કોઈ જગ્યાએ લય બરાબર બેસતો નહતો.એમણે એ કવિતાઓને લયબદ્ધ કરી અને આ રીતે અરબી ભાષામાં એમણે લયબદ્ધ બંધારણો કે જેને આપણે છંદ કે પિંગળ કહીએ છીએ –એમણે ખૂબ જ વ્યવસ્થિત કર્યા એમણે પાંચ દાયરા અને ૧૫ બહેરો ની શોધ કરી જે આજે પણ અરબી,ફારસી અને ઉર્દુ શાયરીમાં ઉપયોગ કરવામાં આવે છે.આમ તેઓ અરબી છંદ શાસ્ત્રના સ્થાપક ગણાય છે. ખલીલના નજીકના મિત્ર, પ્રખ્યાત વિદ્વાન ઇબ્ને અલ-મુકફફાએ કહ્યું હતું કે ખલીલની બુદ્ધિ એમના જ્ઞાન કરતાં વધી ગઈ હતી.સુફિયાન બિન ઉયેયનાએ કહ્યું હતું , "જે કોઈ સોના અને કસ્તુરીમાંથી બનાવેલા (જ્ઞાનીને) જોવા માંગે છે તેણે ખલીલ ઇબ્ને અહમદને જોવું જોઈએ,".તે એક અનુકરણીય વ્યક્તિ પણ હતા જે તેમના સારા નૈતિકતા, શ્રેષ્ઠ ગુણો, તપસ્વીતા, ધર્મનિષ્ઠા અને સંતોષ માટે પ્રખ્યાત હતા. આ કારણોસર, તેમને ખલીફા અને અમીર જેવા પદવી ધરાવતા લોકોનો સાથ ગમ્યો નહીં. ખલીલના આ ગુણોની અભિવ્યક્તિ તેમના લેખનમાં પણ જોવા મળે છે. તેમણે શિક્ષણ દ્વારા આ જ્ઞાન દરેકને પહોંચાડવાનું પસંદ કર્યું. તેમણે એવા વિષય પર વિચારો, પદ્ધતિઓ, પ્રણાલીઓ, પરિભાષા વગેરે વિકસાવી જે અગાઉ અજાણ હતા અથવા ત્યાં સુધી વિજ્ઞાન તરીકે માન્યતા પ્રાપ્ત ન હતી. તેમની પ્રતિભાની ઉલ્લેખનીય બાબત આ છે કે તેમણે આ બાબતોમાં શોધાયેલી નવીનતાઓ ધરાવતા પુસ્તકોનું સંકલન અને લેખન કર્યું.
ખલીલ ઇબ્ને અહમદના વિદ્વતાપૂર્ણ કાર્યો નીચે મુજબ છે.

૧.શબ્દકોશ કિતાબ અલ-અઈન. અરબી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ગણાય છે.મૂળાક્ષરોના ક્રમને અનુસરવાને બદલે,ખલીલે વ્યંજનો મોંમાં ક્યાંથી ઉચ્ચારવામાં આવે છે તે મુજબ અક્ષરોને ક્રમાંકિત કર્યા, પાછળથી આગળ સુધી, "અઈન" અક્ષરથી શરૂ કરીને, જે ગળામાં રચાયેલા ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક અપવાદો સાથે અરબી ભાષાની રચના સાથે સંબંધિત આ સિદ્ધાંત હજુ પણ શબ્દકોષશાસ્ત્રમાં પ્રચલિત છે.

૨.કિતાબુલ-અરુઝ :ખલીલ ઇબ્ને અહેમદે સૌપ્રથમ વ્યવસ્થિત રીતે શે’ર /પંક્તિ કે શ્લોકના નિયમો અને કવિતાના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા હતા, જે દૂરના ભૂતકાળમાં પ્રાચીન અરબી કવિતામાં વિકસિત થયા હતા અને પરંપરાગત પણ બન્યા હતા, અને જે પ્રાચીન કવિઓએ ફક્ત કાન અને જીભની તાલીમ દ્વારા શીખ્યા હતા, અને જેમણે તેમને "અરુઝ" /છંદશાસ્ત્ર નામની વિજ્ઞાનની શાખા તરીકે રજૂ કર્યા હતા.તેઓ ‘ઇલ્મુલ અરુઝ’/છંદશાસ્ત્ર ના સ્થાપક ગણાય છે.એમણે અરબી શ્લોકની આંતરિક લયબદ્ધ રચનાનું વિશ્લેષણ કર્યું, સદીઓથી કાવ્યાત્મક રચના દ્વારા કવિઓએ શીખેલા વિવિધ છંદો વચ્ચેના વિવિધ સંબંધોને ઓળખ્યા અને વર્ગીકૃત કર્યા, તેમને સરળ અને વિશિષ્ટ મોડમાં ઉપયોગ અને વિકાસ કર્યો, અને ફક્ત સાંભળવાથી જ ઓળખી શકાય એવા સમયે જ્યારે ઉચ્ચારણ અને ઉચ્ચારણની વિભાવનાઓ હજુ સુધી સમજી શકાઈ ન હતી, ત્યારે તેમણે એક છંદાત્મક પ્રણાલી ઘડવાનો પ્રયાસ કર્યો જે કવિતાના લેખિત સ્વરૂપમાં સ્વર અને બાકીના અક્ષરોની ગોઠવણીના આધારે સાચી અને ખોટી કવિતા વચ્ચે તફાવત કરતી હતી.

૩. સંગીત વિષયક ‘ કિતાબુલ-ઈકા' અને કિતાબુન-નગમ ફી'લ-મુસીકી: ખલીલ બિન એહમદે લેખન અને જોડણીમાં સુધારો કરી કુરાનના ખોટા વાંચનને રોકવા માટેના પ્રયત્નો રૂપે જબર,ઝેર ,પેશ લગાવ્યા હતા. અરુઝ/છંદ સાથે તેમનું સૌથી નજીકનું કાર્ય કદાચ સંગીતના ક્ષેત્રમાં હતું.આ વાત સ્વીકારવામાં આવે છે કે આ કૃતિ કે જે આજે ઉપસ્થિત નથી -તે સંગીત પરનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન છે.

૪.વ્યાકરણ વિષયક “કિતાબ અલ-જુમલ ફી'ન-નહવ”: અરબી વ્યાકરણના ઘડતર અને વિકાસમાં ખલીલ ઇબ્ન અહમદ એક અતિપ્રભાશાળી વિદ્વાન તરીકે ઓળખાય છે. ભલે તેમના નામે માત્ર કિતાબ અલ-જુમલ નો ઉલ્લેખ મળે—તેનું લેખકત્વ પણ પૂર્ણ વિશ્વસનીય નથી—તેમ છતાં તેમના વિચારો અને પદ્ધતિઓએ વ્યાકરણવિદ્યાની દિશા બદલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
અરબી વ્યાકરણ પર પ્રથમ રચના કરવાનો શ્રેય શક્યતઃ અબ્દુલ્લા ઇબ્ન અબુ ઇશાક (મૃત્યુ: 117/735)ને જાય છે. તેમના અનુગામી આસા ઇબ્ન ‘ઉમર અલ-સકાફી (મૃત્યુ: 149/766)એ કિતાબ અલ-જામી‘ અને કિતાબ અલ-ઇકમાલ જેવી બે પ્રારંભિક અને માર્ગદર્શક કૃતિઓ લખી. આ તમામ પ્રાથમિક પ્રયત્નો બાદ વ્યાકરણવિદ્યાને વ્યવસ્થિત, પરિભાષિત અને શાસ્ત્રરૂપ આપવા માટે જે આંતરદષ્ટિ જરૂરી હતી, તે ખલીલ ઇબ્ન અહમદે આપી. તેમણે વિષયની સીમાઓ નિર્ધારિત કરી, પરિભાષાઓ ઘડી અને પદ્ધતિઓ રચી, જેણે આગળની સદી સુધી આ ક્ષેત્રના અભ્યાસને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.
ખલીલ ઇબ્ન અહમદની પ્રભાવશાળી છાપ તેમના શિષ્ય સિબાવાયીની કાયમી કૃત્તિ અલ-કિતાબમાં સ્પષ્ટ દેખાય છે. અરબી વ્યાકરણના ઇતિહાસમાં આ ગ્રંથને સર્વોચ્ચ અને સર્વપ્રાચીન સ્થાન પ્રાપ્ત થયેલું છે. અલ-કિતાબ માત્ર એક પુસ્તક નહીં, પરંતુ શતાબ્દીઓના સંશોધન, ચર્ચા અને પરંપરાગત જ્ઞાનનો સંગઠિત, દાર્શનિક અને પદ્ધતિબદ્ધ સાર છે. સિબાવાયીએ આ મહાકૃતિનો આધાર પોતાના ગુરુ ખલીલ ઇબ્ન અહમદના પાઠોએ આપેલા વિચાર, પ્રશ્નોત્તર અને માર્ગદર્શન પર મૂક્યો હતો, જે પછીની તમામ ભાષ્યપરંપરાનો આધારસ્તંભ બન્યો.

૫.મઆની અલ-હુરુફ અથવા રિસાલા ફી માઅની અલ-હુરુફ તરીકે ઓળખાતી આ કૃતિમાં લેખકે અરબી મૂળાક્ષરના અક્ષરો—જે “અલિફ”થી શરૂ થઈ “યા” સુધી વિસ્તરે છે—તેમના માટે અરબોએ સ્થાપિત કરેલા અર્થોનું સંકલિત વર્ણન કર્યું છે. દરેક અક્ષરને સંકળાયેલા અર્થને સમજાવવા માટે તે સંબંધિત શ્લોકો અને ઉદાહરણોને સાક્ષ્યરૂપે પણ રજૂ કરે છે.

૬. નકત અલ-મસાહિફ (કિતાબ અન-નકત વશ-શકલ):ખલીલ ઇબ્ન અહમદ રચિત કિતાબ અન-નકત વશ-શકલ કુરાનના સ્વરચિહ્નો અને જોડણીચિહ્નોની પ્રથમ પદ્ધતિબદ્ધ વ્યવસ્થા માનવામાં આવે છે. પ્રારંભિક પઠનમાં ભૂલો વધતા અબુ અલ-અસ્વદથી શરૂ થયેલા પ્રયત્નોને ખલીલએ વૈજ્ઞાનિક દિશા આપી. તેમણે પ્રચલિત ફત્હા, કસરહ , ઝમ્મા તથા હમઝા, તશદીદ, રૌમ, ઇશ્મામ જેવા મુખ્ય ચિહ્નો લિપિમાં પ્રસ્થાપિત કર્યા. તેમના આ યોગદાનથી કુરાનિક લખાણની વાંચનશુદ્ધિ તો વધ્યા જ, સાથે અરબી સુલેખનકલાનું આધુનિક સ્વરૂપ પણ નિર્મિત થયું.

ખલીલ ઇબ્ન અહમદે વિવિધ પ્રસંગોએ રચેલી કેટલીક દોહા-કવિતાઓ વ્યાકરણ, શબ્દકોશ અને સાહિત્ય સંબંધિત પુસ્તકોમાં વિખરાયેલા સ્વરૂપે મળી આવે છે. આ તમામ દોહાઓને તેમના મૂળ સ્ત્રોતો સાથે સંકલિત કરીને હાતિમ સાલિહ અદ્દામિને પોતાની કૃતિ સુઆરા મુકિલ્લૂન માં એકત્રિત કર્યા છે.
એમનું એક રસપ્રદ વિધાન છે "જે દિવસે હું મારા કરતા જ્ઞાનમાં ઊંચા વ્યક્તિને મળું, તે દિવસ હું તેને શીખીને સંપન્ન બને છું. જે દિવસે હું મારા કરતા ઓછું જાણનારા સાથે મળું, તે દિવસ તેને શીખવતાં હું લાભ પામું છું. અને જ્યારે કોઈ મને સમકક્ષ મળે, તે દિવસ ચર્ચા-વિચાર દ્વારા બંનેનો વિકાસ થાય છે. પરંતુ જો આ ત્રણમાંથી કોઈ પણ ન મળે—તો તે દિવસ મારા માટે ખરેખર નિષ્ફળ અને દુર્ભાગ્યનો દિવસ ગણાય."

આ મહાન વિદ્વાનનું મૃત્યુ ૧૭૪/૭૯૦માં બસરામાં થયું. કેટલાક સ્રોતો મુજબ એમનું અવસાન ૧૬૦/૭૭૭ અથવા ૧૭૦/૭૮૬ માં થયું.

ગુજરાત ટુડે પ્રકાશન તારીખ ૨૩-૧૧-૨૦૨૫,રવિવાર

14 ડિસેમ્બર, 2021

અબ્બાસ મિર્ઝા

 

કાઝાર વંશના ફતેહ અલી ખાન અને આશિયાખાનમનો પુત્ર  રાજકુમાર અબ્બાસ મિર્ઝાનો જન્મ હિસ1203 / ઇસ.1789માં  માં ઈરાનના માઝ્ન્દરાન  પ્રાંતમાં નવા મુકામે થયો હતો. 

પિતા ફતેહઅલી ખાન કોયોન્લું અને માતા દેવેલ્લુ  શાહી ખાનદાન થી સંબંધ ધરાવતા હતા.

20 માર્ચ 1798 ના દિવસે ફતેહઅલી ખાને અબ્બાસ મિર્ઝાને ઉત્તરાધિકારી રાજકુમાર 'નાયબ અલ સલ્તનત ' જાહેર કર્યો.એનાથી મોટા બીજા રાજકુમારોની અવગણના કરવામાં આવી હતી કેમ કે તેમની માતાઓનો સંબંધ શાહી ખાનદાનથી ન હતો.બે કુટુંબો ને  રાજકીય રીતે મજબૂત કરવા માટે અબ્બાસને ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યો હતો.

માત્ર  દસ વર્ષના રાજકુમારના સહાયકો તરીકે  સુલેમાનખાન કાઝાર અને મિરઝા  ઈસા ફરાહાનીને મોકલવામાં આવ્યા હતા. એજ વર્ષે એને આઝરબેજાન અને કરબાગનો ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યો હતો.ઉત્તર-પૂર્વમાં ખુરાસાનની જેમ જ આઝરબેજાન પર પણ શત્રુઓનો ભય હતો.એને બીજા પ્રાંતના ગવર્નરોને નિયુક્ત કરવા કે પદ્ચુત કરવાની સત્તા આપવામાં આવી હતી.૧૮૩૧ સુધી મોટા ભાગનો સમય એણે આઝરબેજાનમાં જ પસાર કર્યો હતો.

૧૮૦૪માં ફતેહ અલી શાહે અબ્બાસને 30 હજાર સૈનિકોના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યો.૧૮૦૪-૧૩ દરમિયાન રશિયા સામેના યુદ્ધમાં ઈરાનને દસ હજાર જેટલા સૈનિકો ઉપરાંત ઘણા પ્રાંતો ગુમાવવાનો વારો આવ્યો.ઓક્ટોબર ૧૮૧૩માં ગુલિસ્તાન ની સંધિ થઇ,જેમાં કોકેસસ માં આવેલ આજના જ્યોર્જીયા,દાઘેસ્તાન અને આઝરબેજાન ના પ્રાંતોને આપી દેવા પડ્યા.આ ખુવારીએ અબ્બાસને અનુભૂતિ કરાવી દીધી કે પોતાના સૈનિકોને યુરોપીય પદ્ધતિથી લડવા શીખવાની જરૂરત હતી.તુર્કીના સુલતાન સલીમ ત્રીજાના સુધારાઓથી પ્રભાવિત થઈને અબ્બાસ પણ ઈરાનમાં ‘નિઝામે જદીદ’ (નવી રાજય વ્યવસ્થા) ઉભી કરવા માંગતો હતો.એ માટે એણે કબીલાઓ અને પ્રાંતીય સૈન્ય પર નિર્ભરતા ઓછી કરી.યુરોપીય લડાઈ પ્રશિક્ષણ  માટે એણે એક ટુકડીને ૧૮૧૧માં અને બીજી ૧૮૧૫માં ઇંગ્લેન્ડ મોકલી હતી.૧૮૧૨માં તબરેઝમાં પ્રિન્ટીંગ પ્રેસનો પ્રારંભ થતા યુરોપીય સૈન્ય હેન્ડબૂક છાપવામાં આવી.તબરેઝમાં જ દારૂગોળા અને લશ્કરી સાધનોની ફેક્ટરી ની સ્થાપના થઇ હતી.

અબ્બાસને આ બધી બાબતોનો લાભ ઉસ્માની-ઈરાની યુદ્ધ(૧૮૨૧-૨૩)માં જોવા મળ્યો.આમાં ઈરાનીઓએ વિજય મેળવ્યો.

૧૮૨૬-૨૮ માં ફરીથી રશિયાનો સાથે યુદ્ધ છેડાયું.આ વખતે ઈરાનીઓએ બરાબરની ટક્કર આપી અને યુદ્ધના પ્રથમ વર્ષમાં પહેલા યુદ્ધમાં ગુમાવેલા ઘણાં પ્રાંતો પાછા મેળવ્યા.પરંતુ ફતેહ અલી શાહે નવી કુમકો મોકલવાની મના કરી.અંતે ૧૮૨૮માં જ્યોર્જીયા અને કોકેશીયસ પ્રાંતો ગુમાવવા પડ્યા.આ કારમી હારને લીધે સૈન્ય સુધારાઓમાંથી અબ્બાસનું મન ઉઠી ગયું.એણે નવા સુધારાઓ સ્થગિત કર્યા.

એની તબિયત લથડતી ગઈ.બળવાખોરો સામે સંઘર્ષ કરતાં કરતાં ૨૫ ઓક્ટોબર ૧૮૩૩માં મશહદમાં એનું અવસાન થયું.૧૮૩૪માં ફતેહઅલી શાહ નું પણ અવસાન થતા અબ્બાસનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ મિર્ઝા રાજગાદીએ બેઠો.

અબ્બાસનું મૂલ્યાંકન કરતા જણાય છે કે એ એક પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતો હતો.આર.જી.વોટસને અબ્બાસને “કાઝાર વંશનો સૌથી ઉમદા” માણસ ગણાવ્યો છે.એણે તબરેઝ શહેરને પશ્ચિમી અંદાઝમાં વિકસિત કર્યો હતો.એને યુરોપીય ઇતિહાસનું સારું જ્ઞાન હતું.જોકે એ પોતે અંગ્રેઝી બહુ સારી જાણતો ન હતો ,એમ છતાંય એના નાનકડા પુસ્તકાલયમાં અંગ્રેજીના ઘણા પુસ્તકો હતા.એણે લશ્કરી સુધારાઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ઘણા અંશે એ સફળ પણ રહ્યો હતો.એણે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.દેશના ઘણા યુવાનોને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા.

બધા કાઝાર શાસકોની જેમ અબ્બાસને પણ ઘણા સંતાનો હતા.એણે છવ્વીસ પુત્રો અને ૨૧ પુત્રીઓ છોડી હતી.એના પાંચ પુત્રો ફારસના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા: ફિરોઝ મિર્ઝા,ફરીદુન મિર્ઝા ફરમાનફર્મા બીજો,ફરહાદ મિર્ઝા,બેહરામ મિર્ઝા અને સુલતાન મુરાદ મિર્ઝા.પુત્ર જહાંગીર મિરઝાએ ‘ તારીખે નવ’ ઇતિહાસ ગ્રંથ રચ્યો હતો.ફરહાદ મિરઝા દરબારી કવિ નીમાયો હતો અને અંગ્રેજી-ફારસી શબ્દકોષની રચના પણ કરી હતી.

(C) મોહમ્મદ સઈદ શેખ 

13 ડિસેમ્બર, 2021

અલ અબ્બાસ બિન અલ વલીદ

 

અલ-અબ્બાસ ઈબ્ન અલ વલીદ ઈબ્ન અબ્દુલ મલિક,ખલીફા અલ વલીદનો પુત્ર,ઉમૈયા વંશનો રાજકુમાર અને સેનાપતિ હતો.અલ અબ્બાસના જન્મવર્ષ અને બાળપણ વિષે માહિતી મળતી નથી.અબ્બાસની પ્રસિદ્ધિ એણે ઉમવીઓએ બાઝેન્તીનો સામે કરેલા સંઘર્ષમાં આપેલ યોગદાન માટે છે.એના વિષે અરબ અને બાયઝેન્તીની સ્ત્રોતોમાં મતભેદ જોવા મળે છે.ઈ.સ.૭૦૭મા કપ્પાડોસીયામાં આવેલ ત્યાનાના મહત્વનો કિલ્લો ઉમવીઓએ જીતી લીધો હતો,એ વખતે પહેલીવાર અબ્બાસે રણભૂમિમાં પ્રવેશ કર્યો હતો,જેમાં એણે પોતાના કાકા મસલમા ઇબ્ન અબ્દુલ મલિક સાથે સૈન્યની આગેવાની લીધી હતી.શિયાળામાં જયારે મુસ્લિમ સૈન્યની હિમ્મત ભાંગવા માંડી હતી ,એવા સમયે અબ્બાસે સૈન્યને પ્રેરણા આપી હિંમત વધારી હતી. ગ્રીકોને નગરમાં બંધક બનાવી ઘેરો ઘાલવામાં આવ્યો.લાંબા બંધન પછી ગ્રીકોએ હાર કબૂલી લીધી.

અબ્બાસે અને એના કાકાએ એશિયા માઈનોરમાં બાયઝેન્તીનીઓ વિરુદ્ધ ઘણી લડાઈઓ લડી.એમાં ઈ.સ.૭૧૨મા સીલીસીયામાં આવેલ સેબાસ્તે નગર અને પીસીડીયાના એન્તીઓક નગર પર ૭૧૩મા કરેલો કબજો મહત્વનાં છે.એના પછીની લડાઈઓમાં એ કાકા મસલમાને બરાબર મદદ કરતો રહ્યો.

૭૨૦મા ઉમર દ્વિતીયના અવસાન પછી ઈરાકના ગવર્નર યઝીદ બિન અલ મુહલ્લબએ બળવો કર્યો.એને ખાળવા માટે પહેલા અબ્બાસને એકલો અને પછી મસલમાને પણ મોકલવામાં આવ્યો.બંને સાથે મળીને યઝીદ સામે લડ્યા.યઝીદ માર્યો ગયો અને જલ્દી જ શાંતિ સ્થપાઈ.

અલ વલીદ દ્વિતીયના શાસન કાળમાં અલ અબ્બાસે પહેલાં તો પોતાના ભાઈ યઝીદ કે જે વિદ્રોહ કરવા માંગતો હતો –એને વિદ્રોહ ન કરવા માટે સમજાવતો રહ્યો,પરંતુ આખરે એણે નમતું જોખ્યું અને ૭૪૪ના વિદ્રોહમાં ભાગ લીધો.કેટલાક સમય પછી ખલીફા મરવાન દ્વિતીયએ અબ્બાસને કેદ કર્યો અને તે ૭૫૦મા હર્રાનની જેલમાં રોગચાળામાં મૃત્યુ પામ્યો.

લેબેનાનમાં આવેલ બેક્કા ખીણમાં આવેલ અન્જર નગર (જેનું સાચું નામ ઐન અલ જર છે) સ્થાપના વલીદ પ્રથમે કરી હતી એવું માનવામાં આવે છે,પરંતુ બાય્ઝેન્તીની ઇતિહાસકાર થીઓફેનીસ આ નગરની સ્થાપના નો શ્રેય અબ્બાસને આપે છે.

(C) મોહમ્મદ સઈદ શેખ