આ બ્લૉગ શોધો

લેબલ ErSaeedshaikh સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ErSaeedshaikh સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

1 જૂન, 2026

મહાન અરબી ઇતિહાસકાર અને વંશાવળીશાસ્ત્રી : હિશામ ઇબ્ન અલ-કલ્બી

પરિચય


ઇસ્લામી સભ્યતાના સુવર્ણ યુગમાં અનેક એવા વિદ્વાન થયા જેમણે પોતાની અથક સાધના અને અસાધારણ પ્રતિભાથી જ્ઞાનના ભંડારને સમૃદ્ધ કર્યો. આ જ મહાન વિભૂતિઓમાં હિશામ ઇબ્ન અલ-કલ્બીનું નામ અત્યંત આદર સાથે લેવામાં આવે છે. તેઓ પોતાના યુગના સર્વશ્રેષ્ઠ ઇતિહાસકાર, વંશાવળીશાસ્ત્રી (નસબશનાસ), પુરાતત્ત્વવિદ અને ઇસ્લામ-પૂર્વ અરબી સંસ્કૃતિના અનન્ય સંરક્ષક હતા. તેમનું યોગદાન માત્ર અરબી અને ઇસ્લામી સભ્યતા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ સભ્યતા માટે અમૂલ્ય છે.
તેમણે એ સમયની એવી પરંપરાઓ, કથાઓ અને ઐતિહાસિક માહિતી સંકલિત કરી જે મોટાભાગે મૌખિક સ્વરૂપમાં જ જીવંત હતી. જો તેમનું કાર્ય ન હોત, તો પ્રાચીન અરબ ઇતિહાસનો મોટો ભાગ કદાચ સદાકાળ માટે લુપ્ત થઈ ગયો હોત.

જન્મ અને પ્રારંભિક જીવન

હિશામ ઇબ્ન અલ-કલ્બીનો જન્મ લગભગ 120 હિજરી (737-38 ઈસવી)માં ઇરાકના પ્રસિદ્ધ શહેર કૂફામાં થયો હતો. તેમનું પૂરું નામ અબૂ અલ-મુન્ઝિર હિશામ ઇબ્ન મુહમ્મદ ઇબ્ન અલ-સાઇબ અલ-કલ્બી હતું. તેઓ યમની મૂળની પ્રતિષ્ઠિત બનૂ કલ્બ જનજાતિથી સંબંધ ધરાવતા હતા. તેમના પિતા મુહમ્મદ ઇબ્ન અલ-સાઇબ અલ-કલ્બી (મૃત્યુ: 146 હિજરી)પોતે એક વિદ્વાન ઇતિહાસકાર અને કુરઆનના મુફસ્સીર (વ્યાખ્યા કરનાર) અને વંશાવલીના નિષ્ણાંત હતા. હિશામે પ્રારંભિક શિક્ષણ પોતાના પિતા પાસેથી મેળવ્યું અને મૌખિક અહેવાલો તેમજ વંશાવળીના કાયદાઓ શીખ્યા.
Encyclopaedia of Islam (Brill) અનુસાર, હિશામે પિતાની અમૂલ્ય પાંડુલિપિઓ/હસ્તપ્રતો તથા મૌખિક પરંપરાઓને સુવ્યવસ્થિત રૂપમાં સંકલિત કરી. કૂફા તે સમયમાં જ્ઞાન અને સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. અહીં હિશામે ઇસ્લામ-પૂર્વ અરબી જનજાતિઓ, તેમની વંશાવલીઓ, મૂર્તિપૂજાની પરંપરાઓ અને પ્રાચીન અરબી ઇતિહાસનો ગહન અભ્યાસ કર્યો.

વ્યક્તિત્વ અને વિદ્વત્તા

હિશામ ઇબ્ન અલ-કલ્બીની વિદ્વત્તા બહુઆયામી હતી. ઇબ્ન અલ-નદીમે પોતાની પ્રસિદ્ધ ગ્રંથ-સૂચિ "કિતાબ અલ-ફિહરિસ્ત" (377 હિજરી)માં હિશામની 150થી વધુ રચનાઓનું વર્ણન કર્યું છે. યાકૂત અલ-હમવીએ પોતાની કૃત્તિ "મુજમ અલ-ઉદબા"માં લખ્યું છે કે હિશામ પાસે સ્મરણશક્તિ એટલી અદ્ભુત હતી કે તેઓ હજારો વંશાવલીઓ અને ઐતિહાસિક કથાઓ કંઠસ્થ રાખતા હતા. તેઓ અરબી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, વંશાવળી, ખગોળશાસ્ત્ર,ધાર્મિક માન્યતાઓ અને પુરાતત્ત્વ — આ બધી વિદ્યાઓમાં નિષ્ણાત હતા.

મુખ્ય રચનાઓ અને તેમનું મહત્ત્વ

૧.કિતાબ અલ-અસ્નામ — મૂર્તિઓનું પુસ્તક
આ હિશામની સૌથી પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ રચના છે. તેમાં તેમણે ઇસ્લામના ઉદય પહેલાં અરબી પ્રાયદ્વીપમાં પ્રચલિત મૂર્તિપૂજા, દેવી-દેવતાઓ અને ધાર્મિક રીતરિવાજોનું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે. દરેક જનજાતિના પ્રિય દેવતા, તેમની પૂજાપદ્ધતિ, કાબા સાથે તેમનો સંબંધ — આ બધું આ ગ્રંથમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. લાત (Al-Lat), ઉઝ્ઝા (Al-Uzza), અને મનાત (Manat) જેવી મૂર્તિઓની ઉત્પત્તિ અને કબીલાઓ સાથે તેમના સંબંધોને હિશામે જે રીતે આલેખ્યા છે, તે ધર્મોના તુલનાત્મક અભ્યાસ માટે આજે પણ પાયાનો દસ્તાવેજ ગણાય છે.આધુનિક પુરાતત્ત્વવિદો અને ધર્મશાસ્ત્રીઓ આજે પણ આ ગ્રંથનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે છે.
૨.જમ્હરત અલ-નસબ — વંશાવલીઓનું મહાગ્રંથ
વંશાવળીશાસ્ત્ર (Genealogy) પર તેમનો સૌથી વિશાળ અને મહત્ત્વાકાંક્ષી ગ્રંથ. તેમાં તેમણે અરબી જનજાતિઓની સંપૂર્ણ વંશાવલીઓનું સુવ્યવસ્થિત સંકલન કર્યું. Brill Encyclopaedia of Islam અનુસાર, આ ગ્રંથ પછીના તમામ નસબ-વિશેષજ્ઞો માટે આધારભૂત સ્ત્રોત બન્યો. તેના દ્વારા આપણે આજે અરબી જનજાતિઓની ઉત્પત્તિ, સ્થળાંતર અને પરસ્પર સંબંધોને સમજી શકીએ છીએ.
૩.નસબ અલ-ખૈલ — ઘોડાઓની વંશાવળી
આ ગ્રંથ એક અનોખા વિષય પર આધારિત છે. તેમાં હિશામે અરબી પ્રસિદ્ધ ઘોડાની જાતિઓ, તેમના માલિકો અને તેમની વંશપરંપરાઓનું વર્ણન કર્યું છે. અરબી સંસ્કૃતિમાં અશ્વપાલનનું જે વિશેષ સ્થાન હતું, તેનું આ ગ્રંથ અમૂલ્ય પુરાવો છે અને અરબી પશુપાલન ઇતિહાસના અભ્યાસની દૃષ્ટિએ આજે પણ મહત્ત્વપૂર્ણ છે.
૪.કિતાબ અલ-મલૂકીન — રાજાઓનો ઇતિહાસ
આ ગ્રંથમાં તેમણે પ્રાચીન અરબી, યમન (સબા અને હિમ્યર), લખમી રાજાઓ અને અન્ય પૂર્વ-ઇસ્લામી શાસકોનો વિસ્તૃત ઇતિહાસ લખ્યો. ઉપરાંત, તેમની રચના "મુખ્તલિફ અલ-કબાઇલ વ મુઅતલિફુહા"માં તેમણે એવી અરબી જનજાતિઓનું વર્ણન આપ્યું છે જેમનાં નામ એકસરખાં લાગે છે પરંતુ હકીકતમાં ભિન્ન છે — ભાષા, ઇતિહાસ અને જનજાતીય ઓળખની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ રચના.

વિશ્વ સંસ્કૃતિમાં યોગદાન

હિશામ ઇબ્ન અલ-કલ્બીનું યોગદાન માત્ર અરબી અથવા ઇસ્લામી દુનિયા સુધી સીમિત નથી — તેમનું કાર્ય વિશ્વ સભ્યતાની સામૂહિક ધરોહર છે. તેમના યોગદાનના પાંચ મુખ્ય આયામ આ પ્રમાણે છે:
૧. મૌખિકમાંથી લિખિત જ્ઞાન: તેમણે તે મૌખિક જ્ઞાનપરંપરાને લિખિત સ્વરૂપ આપ્યું જે પેઢીઓથી ચાલી આવી હતી અને લુપ્ત થવાની કગાર પર હતી. તેમના વિના ઇસ્લામ પહેલાંની અરબી સભ્યતાનું એટલું વિસ્તૃત અને પ્રામાણિક ચિત્ર શક્ય નહોતું.
૨. તુલનાત્મક ધર્મશાસ્ત્રનો આધાર: તેમની "કિતાબ અલ-અસ્નામ" ધર્મના તુલનાત્મક અભ્યાસનો એક આધારસ્તંભ બની ગઈ. આધુનિક પુરાતત્ત્વવિદો અને ધર્મશાસ્ત્રીઓ આજે પણ આ ગ્રંથનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે છે.
૩. પછીના ઇતિહાસકારોને આધાર: અલ-તબરીની વિશાળ "તારીખ અલ-રુસુલ વલ-મુલૂક"માં હિશામનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ-મસઉદી, અબૂ અલ-ફરજ અલ-ઇસ્ફહાની જેવા મહાન વિદ્વાનોએ તેમના કાર્યને પોતાના સંશોધનનો આધાર બનાવ્યો.
૪. સામાજિક ન્યાયનું સાધન: અરબી સમાજમાં વંશાવળીનું જે કેન્દ્રિય મહત્ત્વ હતું, તેને ધ્યાનમાં લઈને તેમના ગ્રંથો સામાજિક ન્યાય અને ઓળખ-પ્રમાણના આધાર બન્યા. વંશાવળી દ્વારા સંપત્તિ, લગ્ન અને નાગરિક ઓળખ સંબંધિત વિવાદોનો નિકાલ કરવામાં આવતો હતો.
૫. ઐતિહાસિક આલોચના-પદ્ધતિ: તેમની સંશોધન-પ્રક્રિયા — જેમાં મૌખિક સાક્ષીઓ , શિલાલેખો અને જનજાતીય સ્મૃતિઓનું તુલનાત્મક વિશ્લેષણ કરીને નિષ્કર્ષ કાઢવામાં આવતો હતો — આધુનિક ઇતિહાસ-લેખનના નજીક હતી.

બીજા વિદ્વાનોની દૃષ્ટિમાં

ઇબ્ન અલ-નદીમે "અલ-ફિહરિસ્ત"માં હિશામને તેમના કાળના સર્વોચ્ચ વંશાવળીશાસ્ત્રી અને ઇતિહાસકાર ગણાવ્યા. યાકૂત અલ-હમવીએ તેમના જ્ઞાનની ઊંડાઈ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. Brill Encyclopaedia of Islam માં W. Atallah દ્વારા લખાયેલ લેખમાં કહ્યું છે કે હિશામ અરબી ઇતિહાસ-લેખનની પરંપરામાં એક કેન્દ્રિય વ્યક્તિત્વ હતા, અને તેમના વિના ઇસ્લામ-પૂર્વ અરબી સભ્યતાનું પુનર્નિર્માણ અશક્ય હતું. આધુનિક પ્રાચ્યવિદો (Orientalists) જેમ કે ગોલ્ડઝીહર અને વેલહાઉઝને પણ તેમના કાર્યની અસાધારણ ઐતિહાસિક ઉપયોગિતાને સ્વીકારી છે.

નિધન

હિશામ ઇબ્ન અલ-કલ્બીનું નિધન લગભગ 204-206 હિજરી (819-821 ઈસવી) વચ્ચે અબ્બાસી ખિલાફત દરમિયાન થયું હતું. તેમનું આખું જીવન જ્ઞાનની સેવામાં સમર્પિત રહ્યું. કૂફામાં જન્મ લઈને તેમણે જે જ્ઞાનયાત્રા શરૂ કરી, તે તેમના મૃત્યુના હજારો વર્ષો પછી પણ જીવંત છે.

નિષ્કર્ષ

હિશામ ઇબ્ન અલ-કલ્બી માત્ર એક ઇતિહાસકાર નહોતા — તેઓ એક સંસ્કૃતિના સંરક્ષક હતા. તેમણે તે અરબી વિશ્વનું ચિત્ર સુરક્ષિત રાખ્યું જે ઇસ્લામના પ્રકાશમાં રૂપાંતરિત થઈ રહ્યું હતું. તેમની રચનાઓ આજે પણ અરબી ભાષા, ધર્મ, નૃતત્ત્વશાસ્ત્ર અને ઇતિહાસના સંશોધકો માટે પ્રથમ આશ્રય છે. વિશ્વ સંસ્કૃતિના ઇતિહાસમાં એવા વિદ્વાનો વિરલ હોય છે જે પોતાના જીવનકાળમાં એક લુપ્તપ્રાય વિશ્વને શબ્દોમાં જીવિત રાખી શકે. હિશામ ઇબ્ન અલ-કલ્બી એ જ અમર વિભૂતિઓમાંના એક હતા જેમના પર માનવજાત ગર્વ કરે છે.

#GujaratToday #gujaratiencyclopedia #encyclopediaofislam #ersaeedshaikh #greatmuslim #IslamicScholar #islamichistorian #islam #hishamalkalbi

ગુજરાત ટુડે પ્રકાશન તારીખ 31-05-2026 , Sunday

5 મે, 2026

ડહાપણ, સંયમ અને માનવ આત્માના કવિ : અબુલ અતાહિયા


લેખક : મુહમ્મદ સઈદ શેખ

અબુલ-અતાહિયા (Abū al-ʿAtāhiyah) અબ્બાસી કાળના અરબી સાહિત્યના ઇતિહાસમાં એક એવું નામ છે જેણે કવિતાને દરબારના વૈભવથી હટાવીને માનવ આત્માના ઊંડાણ અને જીવનની ક્ષણભંગુરતા સાથે જોડી દીધી.
શાસ્ત્રીય અરબી સાહિત્યના મહાન વ્યક્તિઓમાં અબૂલ-અતાહિયાહ એક અત્યંત અનોખા અને ઊંડા વિચારવાળા કવિ તરીકે ઓળખાય છે. તેઓ એવા કવિ હતા જેમણે પોતાના જીવનની શરૂઆત પ્રેમ કવિતા અને ખલીફાઓની પ્રશંસા કરતા કાવ્યો લખવાથી કરી, પરંતુ પછી પોતાને સંપૂર્ણ રીતે બદલ્યા અને ત્યાગ તથા આધ્યાત્મિકતા પર આધારિત કવિતાના અદ્વિતીય માસ્ટર બની ગયા.
તેમની કવિતામાં દુનિયાની ચમક-ધમકથી દૂર રહેવાની વાત, મૃત્યુ, જવાબદારી અને દુન્યવી સુખોની અસ્થિરતા જેવા વિષયો જોવા મળે છે. તેમનું નામ જ જ્ઞાન, સાદગી અને ઊંડા આધ્યાત્મિક વિચારનું પ્રતિક બની ગયું.
પરિચય: અબ્બાસી યુગનો અવાજ
અબુલ-અતાહિયા ડહાપણ, સંયમ અને માનવ આત્માના કવિ તરીકે ઓળખાય છે. તેમનો સમયગાળો ૧૩૦ હિજરી (૭૪૮ ઈ.સ.) થી ૨૧૧ હિજરી (૮૨૬ ઈ.સ.) સુધીનો હતો. તેઓ ક્લાસિકલ અરબી સાહિત્યની સૌથી મૌલિક અને ઊંડી પ્રતિભાઓમાંના એક ગણાય છે.
તેમની સાહિત્યિક સફર અત્યંત રસપ્રદ રહી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પ્રેમ કવિતાઓ (ગઝલ) અને ખલીફાઓની પ્રશંસા (મદહ) લખવાથી કરી હતી. જોકે, પાછળથી તેમના જીવનમાં એવો વળાંક આવ્યો કે તેઓ 'ઝુહદ' /દુન્યવી મોહમાયાથી અલિપ્તતાના નિર્વિવાદ માસ્ટર બની ગયા. તેમનું નામ ડહાપણ અને સાદગીનું પ્રતીક બની ગયું. મધ્યકાલીન ઇતિહાસકાર ઇબ્ન ખલ્લિકાને તેમની નોંધ લેતા લખ્યું છે કે તેમની કવિતા "દરેક સામાન્ય માણસની જીભ પર હતી".
પ્રારંભિક જીવન અને સંઘર્ષ
અબુલ-અતાહિયાનું પૂરું નામ અબુ ઇસહાક ઇસ્માઇલ ઇબ્ન અલ-કાસીમ ઇબ્ન સુવૈદ હતું. તેમનો જન્મ કુફા નજીકના 'ઐન અલ-તમર' નામના નાનકડા ગામમાં થયો હતો. તેમનો પરિવાર કોઈ ખાનદાની કે ઉમરાવ વર્ગનો નહોતો, પરંતુ સાધારણ સ્થિતિનો હતો. તેમના પિતા બનુ અનાઝા જાતિના મુક્ત થયેલા ગુલામ (મૌલા) હતા, જે તે સમયના સામાજિક સ્તરમાં નીચલું સ્થાન ગણાતું.
જીવનની શરૂઆત અને માટીના વાસણો
યુવાનીમાં તેમણે કુફાની ગલીઓમાં માટીના વાસણો વેચવાનું કામ કર્યું હતું. આ વ્યવસાયે તેમને સામાન્ય લોકોના જીવનનું અને તેમની મુશ્કેલીઓનું નજીકથી નિરીક્ષણ કરવાની તક આપી. કુફા એ સમયે ઇસ્લામિક શિક્ષણ અને રાજકારણનું મોટું કેન્દ્ર હતું, જેના કારણે તેમને વિદ્વાનો અને કવિઓના સંપર્કમાં આવવાની તક મળી. ટૂંક સમયમાં જ તેમની કાવ્ય શક્તિ ખીલી ઉઠી અને તેઓ કવિતાની સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગ્યા.
તેમનું વિચિત્ર હુલામણું નામ
"અબુલ-અતાહિયા" નામનો અર્થ "તરંગીપણાના પિતા" અથવા "બેદરકારીના પિતા" થાય છે. આ નામ તેમને તેમની અસાધારણ અને બિનપરંપરાગત વ્યક્તિત્વને કારણે મળ્યું હતું. જોકે, સમય જતાં આ નામ તેમની ઓળખ બની ગયું અને આજે પણ દુનિયા તેમને આ જ નામથી જાણે છે.
પ્રથમ તબક્કો: પ્રેમ, દરબાર અને 'ઉત્બા'
જ્યારે અબુલ-અતાહિયા પહેલી વાર બગદાદ આવ્યા, ત્યારે તેમણે પરંપરાગત ઢબની કવિતાઓ લખી – ખલીફાઓ અને અમીરોની પ્રશસ્તિ (મદહ) અને સાચી લાગણીવાળાં પ્રેમ-કાવ્યો (ગઝલ). તેઓ જલદીથી ખલીફા અલ-મહદીના દરબારમાં પહોંચી ગયા અને તેમની ખૂબ કદર થવા લાગી.
ખલીફાના મહેલમાં જ તેઓ ઉત્બા નામની એક દાસી સાથે ઘેરા પ્રેમમાં પડ્યા. આ પ્રેમ સાચો અને તીવ્ર હતો અને તે તેમની ઘણી શરૂઆતી કવિતાઓની પ્રેરણા બન્યો. ઇબ્ને ખલ્લિકાન લખે છે કે ઉત્બાને ઉદ્દેશીને લખાયેલાં તેમનાં પ્રેમ-કાવ્યો બહુ ફેલાયાં અને તે યુગની શ્રેષ્ઠ રોમેન્ટિક કવિતાઓમાં ગણાય છે. તેમણે વારંવાર ઉત્બા સાથે લગ્ન કરવાની યાચના કરી, પણ નિષ્ફળ રહ્યા; તે મહેલની દાસી હતી અને તેમને સોંપી શકાય તેમ ન હતી.
આ અપૂર્ણ ઝંખના એક એવું બળ બની ગઈ જેણે છેવટે તેમની નજર અંદરની તરફ અને ઉપર અલ્લાહ તરફ ફેરવી – આ દુનિયાની માશૂકથી આત્માની ઉન્નતિ તરફ. પ્રેમ છોડી સંયમની કવિતા તરફની આ સફર અરબી સાહિત્યની સૌથી આકર્ષક જીવનકથાઓમાંની એક છે.
મહાન પરિવર્તન: 'ઝુહદિય્યાત' (Asceticism)
અબુલ-અતાહિયાનું ઝુહ્દ/દુનિયાથી વિરક્તિના કવિ તરીકેનું રૂપાંતર અબ્બાસી સાહિત્યની એક યાદગાર ઘટના છે. ખલીફા હારૂન અર-રશીદના શાસન દરમિયાન તેમણે જાહેર કર્યું કે તેઓ હવે કોઈ પ્રશસ્તિ કે પ્રેમ-કાવ્ય નહીં લખે; તેઓ ફક્ત એવી કવિતા લખશે જે મૃત્યુ, જીવનની ક્ષણ ભંગૂરતા, કબરની નિશ્ચિતતા અને અલ્લાહની દયા વિશે વાત કરે.
જેલવાસ અને દ્રઢતા
આ નિર્ણયને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ખલીફા હારૂન અર-રશીદ ઇચ્છતા હતા કે કવિ તેમની પ્રશંસામાં કવિતા લખે, પરંતુ અબુલ-અતાહિયાએ ના પાડતા તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જેલવાસ દરમિયાન પણ તેમણે પોતાની જીદ ન છોડી અને ત્યાં પણ ઝુહદની કવિતાઓ લખવાનું ચાલુ રાખ્યું. અંતે તેમની દ્રઢતા જોઈને તેમને મુક્ત કરવામાં આવ્યા.
અબુલ-અતાહિયાની કાવ્ય શૈલી અને વિષયો
તેમની કવિતાઓ અન્ય કવિઓ કરતાં સાવ અલગ હતી. તે સમયે અબુ નુવાસ જેવા કવિઓ અત્યંત જટિલ અને આલંકારિક ભાષાનો પ્રયોગ કરતા હતા, જ્યારે અબુલ-અતાહિયાએ સાવ સરળ-સાદગીભરી અરબી ભાષા પસંદ કરી. જે બાળક પણ સમજી શકે. એ સાદગીમાં જ વીજળી જેવાં ઊંડા સત્યો હતાં. ‘એન્સાયક્લોપીડિયા ઓફ ઇસ્લામ’ નોંધે છે કે કેટલાક સાહિત્ય-શુદ્ધતાવાદીઓએ તેમની શૈલીને વધુ પડતી સાદી ગણાવીને ટીકા કરી, પણ એ જ સાદગી તેમની સૌથી મોટી કલાત્મક અને આધ્યાત્મિક સિદ્ધિ હતી.
તેમની કવિતા: વિષયવસ્તુ અને પસંદગીનાં પદ્ય
તેમની પરિપક્વ કવિતાના મુખ્ય વિષયો મૃત્યુ, દુનિયાના સુખોની ક્ષણભંગુરતા, મૃત્યુ સામે સૌ સમાન, ઈશ્વરીય જવાબદારી અને અંતની સતત જાગૃતિમાંથી મળતું ડહાપણ છે. તેમણે ખલીફાઓ અને ભિખારીઓ બંનેને કહ્યું: કબર કોઈ ભેદભાવ નથી રાખતી.
તેમની એક પ્રખ્યાત પંક્તિ છે:
“હું તે વ્યક્તિ પર આશ્ચર્ય પામું છું જે ઉત્સાહથી દુનિયા શોધે છે,
જ્યારે કે મૃત્યુ દરવાજે ઊભું ઊભું બોલાવે છે.”
અન્ય એક પદમાં તેઓ કહે છે:"લોકો પોતાની બેદરકારીમાં મશગૂલ છે, જ્યારે મૃત્યુની ઘંટી સતત ચાલતી રહે છે."
દુનિયાની મહત્વાકાંક્ષાના છેતરાપા સામે ચેતવતી બીજી કૃતિમાં તેઓ જણાવે છે કે જમીન એક દિવસ ખલીફાના મહેલ અને ગરીબની ઝૂંપડી બંનેને ગળી જશે. પદ-પ્રતિષ્ઠા કે દોલત આત્મા નીકળ્યા પછી કોઈ કામ નહીં આવે.
ખલીફા હારૂન અર-રશીદને સંબોધેલું તેમનું કાવ્ય યાદગાર છે. તેમાં તેમણે યુગના સૌથી શક્તિશાળી શાસકને ચેતવ્યું કે જેમ નીચામાં નીચો માણસ મરે છે, તેમ તમારી પાસે પણ મૃત્યુ આવશે. આ ઉદ્ધતાઈની હદ હતી, પણ હારૂન એ સાંભળી રડ્યા હોવાનું કહેવાય છે.
મૃત્યુની સમાનતા પરનાં તેમનાં વચનો અરબી નૈતિક સાહિત્યમાં સીમાચિહ્ન બની ગયાં. કાયદાશાસ્ત્રીઓ, ઉપદેશકો અને સૂફી સંતોએ પછીની સદીઓમાં તેમને ખૂબ ટાંક્યા. અલ-ઝહબી લખે છે કે તેમના યુગના વિદ્વાનો તેમની ઝુહદિય્યાતને આ પ્રકારની શ્રેષ્ઠ રચના માનતા.
તેમની કૃતિઓ અને સાહિત્યિક વારસો
અબુ અલ-અતાહિયા અત્યંત સર્જનશીલ હતા. શાસ્ત્રીય સ્ત્રોતો જણાવે છે કે તેમના સંગ્રહ/દીવાનમાં હજારો પંક્તિઓ હતી. ઇબ્ને ખલ્લિકાન કહે છે કે તેઓ ખૂબ સહજતા અને ઝડપથી કવિતા રચતા; એક જ બેઠકમાં અનેક પંક્તિઓ લખી શકતા. તેમનો દીવાન અમુક અંશે સચવાયો છે અને આધુનિક યુગમાં સંપાદિત થઈને પ્રકાશિત થયો છે.
અઝ-ધહબી તેમને "કવિઓના વડા" અને "અજોડ સજ્જન" તરીકે ઓળખાવે છે.
બ્રિલ એનસાયક્લોપીડિયા ઓફ ઈસ્લામ તેમને અરબી પરંપરામાં તપસ્વી કવિતામાં મોખરે ગણાવે છે.
અલ-ઇસ્ફહાની: તેમના પુસ્તક 'કિતાબ અલ-અઘની' માં અબુલ-અતાહિયાના જીવનના અનેક કિસ્સાઓ અને કવિતાઓ સાચવી રાખી છે.
વિશ્વ સંસ્કૃતિ અને સાહિત્યમાં યોગદાન
અબુલ-અતાહિયાએ માત્ર કવિતા જ નથી લખી, પરંતુ તેમણે કવિતાનું 'લોકશાહીકરણ' કર્યું. જ્યારે ઉચ્ચ કક્ષાની કવિતા માત્ર ભણેલા-ગણેલા ઉમરાવો સુધી મર્યાદિત હતી, ત્યારે તેમની સરળ ભાષાને કારણે સામાન્ય ખેડૂત પણ નૈતિક મૂલ્યોને સમજી શકતો હતો. તેમનો પ્રભાવ અરબી ભાષા પુરતો જ નહતો ,સાર્વત્રિક હતો. મૃત્યુ સામે સૌ સમાન, દુન્યવી મહત્વાકાંક્ષાનું નિરર્થકપણું અને આંતરિક સુધારણાની હાકલ – આ તેમના વિષયો ઉભરતી સૂફી પરંપરામાં ઘેરા ઊતર્યા. પછીની સદીઓના ઇસ્લામી આધ્યાત્મિક વિદ્વાનોએ તવક્કુલ (અલ્લાહ પર ભરોસો), ઝુહ્દ (અનાસક્તિ) અને તૌબા (પસ્તાવો) સમજાવતી વખતે તેમનાં કાવ્યોનો આધાર લીધો. તેમની કવિતા કુરાન અને સુન્નહના નૈતિક ઉપદેશ અને સામાન્ય મુસલમાનના રોજિંદા નૈતિક જીવન વચ્ચે સેતુ બની.
સુફીવાદ પર પ્રભાવ: તેમના ત્યાગ અને 'તવક્કુલ' (ઈશ્વર પર ભરોસો) ના વિચારોએ પાછળથી આવતા મહાન સુફી સંતો અને કવિઓ જેવા કે રૂમી અને સનાઈ માટે પાયો નાખ્યો.
ભાષાનું રક્ષણ: અબ્બાસી કાળમાં અરબી ભાષાને જીવંત અને બોલાતી ભાષા તરીકે ટકાવી રાખવામાં તેમની સાદી શૈલીએ મોટો ભાગ ભજવ્યો.
સાર્વત્રિક સંદેશ: તેમના વિચારો માત્ર મુસ્લિમો માટે જ નહીં, પણ સમગ્ર માનવતા માટે છે કારણ કે મૃત્યુ અને નૈતિકતા એ વૈશ્વિક વિષયો છે.
વિવાદો અને ધાર્મિક મૂલ્યાંકન
દરેક મહાન વિચારકની જેમ, અબુલ-અતાહિયાને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેમના પર 'ઝંદક' (ધાર્મિક વિચલન) નો આરોપ લગાવ્યો હતો કારણ કે તેઓ મૃત્યુ અને ભાગ્ય પર ખૂબ ભાર આપતા હતા. જોકે, ઇબ્ન ખલ્લિકાન અને અઝ-ધહબી જેવા વિદ્વાનોએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને એક સાચા મુસ્લિમ સાબિત કર્યા.
તેમના સમકાલીન વિવેચક અલ-અસ્માઈએ પણ તેમની સાદગી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં અબુલ-અતાહિયાએ કહ્યું હતું કે "શબ્દોની સુંદરતા કરતાં સત્ય વધુ મહત્વનું છે".
અંતિમ વર્ષો અને વારસો
અબુલ-અતાહિયાએ પાંચ ખલીફાઓના શાસન જોયા હતા. તેમણે જે જીવન કવિતામાં વર્ણવ્યું હતું, તે જ રીતે તેઓ જીવ્યા. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ જાહેર જીવનથી દૂર થઈ ગયા હતા અને ઈબાદતમાં સમય વિતાવતા હતા.
તેઓ હિસ.૨૧૧/ઈ.સ. ૮૨૬માં લગભગ એંસી વર્ષની ઉંમરે બગદાદમાં મૃત્યુ પામ્યા.તેમને ઇમામ મૂસા અલ-કાઝિમ રહ.ની દરગાહ પાસે દફનાવવામાં આવ્યા.
નિષ્કર્ષ
અબુલ-અતાહિયા ઇસ્લામિક સંસ્કૃતિનો એક એવો અવાજ છે જે ક્યારેય જૂનો થતો નથી. એક ગરીબ માટીના વાસણો વેચનારથી લઈને સામ્રાજ્યના અંતરાત્માના અવાજ સુધીની તેમની સફર પ્રેરણાદાયક છે. તેમણે સાબિત કર્યું કે મહાન કવિતા માટે કોઈ મોટા દરબાર કે પ્રશંસાની જરૂર નથી, પણ સત્ય અને હિંમતની જરૂર છે.
તેમની 'ઝુહદિય્યાત' આજે પણ ઇસ્લામિક સાહિત્યમાં જીવંત છે અને તે વાચકોને યાદ અપાવતી રહે છે કે આ દુનિયા માત્ર થોડા દિવસનો મેળો છે, અને સાચું ભાથું તો આત્માની શુદ્ધિ જ છે. પોતાના જીવનમાં અને સાહિત્યમાં, અબુલ-અતાહિયાએ બતાવી દીધું કે કવિતાનો સૌથી ઊંચો હેતુ – કોઈ પણ ભાષામાં, કોઈ પણ યુગમાં – સત્તાધીશોની ચાપલૂસી કરવાનો કે વિદ્વાનોને પ્રભાવિત કરવાનો નથી, પણ ઊંઘતા હૃદયને તે સત્યો માટે જગાડવાનો છે જે તે પહેલેથી જાણે છે અને ઘણી વાર અવગણે છે.

ગુજરાત ટુડે પ્રકાશન તારીખ ૦૩-૦૫-૨૦૨૬. રવિવાર

26 નવેમ્બર, 2025

અરબી ભાષા અને છંદશાસ્ત્રના મહાન વિદ્વાન :ખલીલ બિન એહમદ અલ ફરહાદી

અરબી ભાષા અને છંદશાસ્ત્રના મહાન વિદ્વાન :ખલીલ બિન એહમદ અલ ફરહાદી


લેખક : મોહમ્મદ સઈદ શેખ

અબુ અબ્દુર રહમાન અલ ખલીલ બિન એહમદ બિન અમ્ર બિન તમીમ અલ ફરહાદી અરબી ભાષાના એક મહાન અને પ્રસિદ્ધ ભાષા શાસ્ત્રી,વ્યાકરણ શાસ્ત્રી અને છંદ શાસ્ત્રી /પિંગળ શાસ્ત્રી હતા.તેઓ અરબી ભાષાના શબ્દકોષના રચયિતા હતા.તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન હતા.અરબી શબ્દકોષ અને સંગીતની શાખાઓ સ્થાપિત કરવાનો શ્રેય એમને જાય છે.એમણે છંદ કે પિંગળ શાસ્ત્રને વૈજ્ઞાનિક ઢબે વિકસિત કર્યું.

તેમનો જન્મ ૧૦૦ (૭૧૮) માં ઓમાન અથવા તો બસરા (ઈરાક)માં માં થયો હતો.તેઓ બસરામાં મોટા થયા હતા. તેમને યઝદી, અહમદી અને બસરી નામોથી પણ ઓળખવામાં આવે છે.
એવું કહેવાય છે કે ખલીલના પિતા નું નામ રસુલલ્લાહ હ. મુહમ્મદ ﷺ ના અવસાન પછી આપના નામ ‘એહમદ’ પરથી સૌપ્રથમ રાખવામાં આવ્યું હતું.ખલીલે ઇસા ઇબ્ને ઉમર અલ-સકાફી અને અબુ અમ્ર ઇબ્ને અલા જેવા શિક્ષકો પાસેથી ભાષા અને વ્યાકરણ નું જ્ઞાન પ્રાપ્ત કર્યું .એમણે હદીસનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું યુવાનીમાં તેઓ ખારીજીઓની ઇબાદી કે સુફરિયા શાખાથી જોડાયેલા હતા, પરંતુ તેમના શિક્ષક, પ્રખ્યાત ફકીહ અને હદીસ વિદ્વાન ઐયુબ અલ-સહતિયાનીના પ્રભાવ હેઠળ, તેમણે આનો ત્યાગ કર્યો અને સુન્ની સિદ્ધાંત અપનાવ્યો. તેઓ ખૂબ જ ધાર્મિક હતા.દર વર્ષે તેઓ હજ પઢવા જતા. તેઓ બસરામાં તેમના પિતા પાસેથી વારસામાં મળેલા બગીચા અને બાજપાલન તરીકેના વ્યવસાયમાંથી મળેલી આવક પર જીવન નિર્વાહ કરતા હતા.ખલીલ ઇબ્ને અહમદ માટે જ્ઞાન સિવાય બીજું કશું જ મહત્વનું નહતું તેઓ પોતાની આસપાસના લોકોને જ્ઞાન આપવા તેમને શિક્ષણ આપતા જાતે લખવાનું શીખવાડતા.એમના ઘણા વિધાર્થીઓ પ્રસિદ્ધ થયા એમાંથી એક સિબાવેહી હતા જેમને અલ-કિતાબમાં તેમની નોંધોનું સંકલન કર્યું જેનાથ તેઓ પ્રખ્યાત થયા. તેમના ઘણા વિદ્યાર્થીઓ જેમણે તેમની પાસેથી વ્યાકરણ, શબ્દકોષ, હદીસ અને કવિતાનું વર્ણન કર્યું હતું, તેમાં લેયસ ઇબ્ને મુઝફ્ફરને હદીસમાં, અલી ઇબ્ને નસ્ર અલ-જહદામીને કવિતા અને શબ્દકોષમાં, નાદર ઇબ્ને શુમૈલને હદીસ અને શબ્દકોષમાં અને અહફાસ અલ-અવસત અને અસમૈને વ્યાકરણમાં નોંધપાત્ર વ્યક્તિઓ તરીકે ટાંકી શકાય. હમઝા અલ-ઇસ્ફહાનીના મતે, ઇસ્લામિક વિશ્વમાં કોઈ પણ વિદ્વાન એવો નથી જેણે ખલીલ દ્વારા તેમના કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો લાભ ન લીધો હોય. બધા જ શિષ્યોનો દાવો હતો કે ખલીલ કરતા વધુ બુદ્ધિશાળી અથવા અરબી ભાષા અને સાહિત્યનો વધુ જાણકાર કોઈ બીજું નહોતું.

ખલીલ ઇબ્ને અહમદ અરબી વ્યાકરણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું.એમણે અરબી શબ્દકોશ સંપાદિત કર્યું ખલીલની ગણના એક મહાન ભાષાશાસ્ત્રી તરીકે થાય છે.એમણે નિયમબદ્ધ કરેલ નિયમો આજે પણ અમુલ્ય રહ્યા છે.એમણે અરબી કવિતાનો ગહન અભ્યાસ કર્યો અને જોયું કે કોઈ કોઈ જગ્યાએ લય બરાબર બેસતો નહતો.એમણે એ કવિતાઓને લયબદ્ધ કરી અને આ રીતે અરબી ભાષામાં એમણે લયબદ્ધ બંધારણો કે જેને આપણે છંદ કે પિંગળ કહીએ છીએ –એમણે ખૂબ જ વ્યવસ્થિત કર્યા એમણે પાંચ દાયરા અને ૧૫ બહેરો ની શોધ કરી જે આજે પણ અરબી,ફારસી અને ઉર્દુ શાયરીમાં ઉપયોગ કરવામાં આવે છે.આમ તેઓ અરબી છંદ શાસ્ત્રના સ્થાપક ગણાય છે. ખલીલના નજીકના મિત્ર, પ્રખ્યાત વિદ્વાન ઇબ્ને અલ-મુકફફાએ કહ્યું હતું કે ખલીલની બુદ્ધિ એમના જ્ઞાન કરતાં વધી ગઈ હતી.સુફિયાન બિન ઉયેયનાએ કહ્યું હતું , "જે કોઈ સોના અને કસ્તુરીમાંથી બનાવેલા (જ્ઞાનીને) જોવા માંગે છે તેણે ખલીલ ઇબ્ને અહમદને જોવું જોઈએ,".તે એક અનુકરણીય વ્યક્તિ પણ હતા જે તેમના સારા નૈતિકતા, શ્રેષ્ઠ ગુણો, તપસ્વીતા, ધર્મનિષ્ઠા અને સંતોષ માટે પ્રખ્યાત હતા. આ કારણોસર, તેમને ખલીફા અને અમીર જેવા પદવી ધરાવતા લોકોનો સાથ ગમ્યો નહીં. ખલીલના આ ગુણોની અભિવ્યક્તિ તેમના લેખનમાં પણ જોવા મળે છે. તેમણે શિક્ષણ દ્વારા આ જ્ઞાન દરેકને પહોંચાડવાનું પસંદ કર્યું. તેમણે એવા વિષય પર વિચારો, પદ્ધતિઓ, પ્રણાલીઓ, પરિભાષા વગેરે વિકસાવી જે અગાઉ અજાણ હતા અથવા ત્યાં સુધી વિજ્ઞાન તરીકે માન્યતા પ્રાપ્ત ન હતી. તેમની પ્રતિભાની ઉલ્લેખનીય બાબત આ છે કે તેમણે આ બાબતોમાં શોધાયેલી નવીનતાઓ ધરાવતા પુસ્તકોનું સંકલન અને લેખન કર્યું.
ખલીલ ઇબ્ને અહમદના વિદ્વતાપૂર્ણ કાર્યો નીચે મુજબ છે.

૧.શબ્દકોશ કિતાબ અલ-અઈન. અરબી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ગણાય છે.મૂળાક્ષરોના ક્રમને અનુસરવાને બદલે,ખલીલે વ્યંજનો મોંમાં ક્યાંથી ઉચ્ચારવામાં આવે છે તે મુજબ અક્ષરોને ક્રમાંકિત કર્યા, પાછળથી આગળ સુધી, "અઈન" અક્ષરથી શરૂ કરીને, જે ગળામાં રચાયેલા ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક અપવાદો સાથે અરબી ભાષાની રચના સાથે સંબંધિત આ સિદ્ધાંત હજુ પણ શબ્દકોષશાસ્ત્રમાં પ્રચલિત છે.

૨.કિતાબુલ-અરુઝ :ખલીલ ઇબ્ને અહેમદે સૌપ્રથમ વ્યવસ્થિત રીતે શે’ર /પંક્તિ કે શ્લોકના નિયમો અને કવિતાના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા હતા, જે દૂરના ભૂતકાળમાં પ્રાચીન અરબી કવિતામાં વિકસિત થયા હતા અને પરંપરાગત પણ બન્યા હતા, અને જે પ્રાચીન કવિઓએ ફક્ત કાન અને જીભની તાલીમ દ્વારા શીખ્યા હતા, અને જેમણે તેમને "અરુઝ" /છંદશાસ્ત્ર નામની વિજ્ઞાનની શાખા તરીકે રજૂ કર્યા હતા.તેઓ ‘ઇલ્મુલ અરુઝ’/છંદશાસ્ત્ર ના સ્થાપક ગણાય છે.એમણે અરબી શ્લોકની આંતરિક લયબદ્ધ રચનાનું વિશ્લેષણ કર્યું, સદીઓથી કાવ્યાત્મક રચના દ્વારા કવિઓએ શીખેલા વિવિધ છંદો વચ્ચેના વિવિધ સંબંધોને ઓળખ્યા અને વર્ગીકૃત કર્યા, તેમને સરળ અને વિશિષ્ટ મોડમાં ઉપયોગ અને વિકાસ કર્યો, અને ફક્ત સાંભળવાથી જ ઓળખી શકાય એવા સમયે જ્યારે ઉચ્ચારણ અને ઉચ્ચારણની વિભાવનાઓ હજુ સુધી સમજી શકાઈ ન હતી, ત્યારે તેમણે એક છંદાત્મક પ્રણાલી ઘડવાનો પ્રયાસ કર્યો જે કવિતાના લેખિત સ્વરૂપમાં સ્વર અને બાકીના અક્ષરોની ગોઠવણીના આધારે સાચી અને ખોટી કવિતા વચ્ચે તફાવત કરતી હતી.

૩. સંગીત વિષયક ‘ કિતાબુલ-ઈકા' અને કિતાબુન-નગમ ફી'લ-મુસીકી: ખલીલ બિન એહમદે લેખન અને જોડણીમાં સુધારો કરી કુરાનના ખોટા વાંચનને રોકવા માટેના પ્રયત્નો રૂપે જબર,ઝેર ,પેશ લગાવ્યા હતા. અરુઝ/છંદ સાથે તેમનું સૌથી નજીકનું કાર્ય કદાચ સંગીતના ક્ષેત્રમાં હતું.આ વાત સ્વીકારવામાં આવે છે કે આ કૃતિ કે જે આજે ઉપસ્થિત નથી -તે સંગીત પરનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન છે.

૪.વ્યાકરણ વિષયક “કિતાબ અલ-જુમલ ફી'ન-નહવ”: અરબી વ્યાકરણના ઘડતર અને વિકાસમાં ખલીલ ઇબ્ન અહમદ એક અતિપ્રભાશાળી વિદ્વાન તરીકે ઓળખાય છે. ભલે તેમના નામે માત્ર કિતાબ અલ-જુમલ નો ઉલ્લેખ મળે—તેનું લેખકત્વ પણ પૂર્ણ વિશ્વસનીય નથી—તેમ છતાં તેમના વિચારો અને પદ્ધતિઓએ વ્યાકરણવિદ્યાની દિશા બદલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
અરબી વ્યાકરણ પર પ્રથમ રચના કરવાનો શ્રેય શક્યતઃ અબ્દુલ્લા ઇબ્ન અબુ ઇશાક (મૃત્યુ: 117/735)ને જાય છે. તેમના અનુગામી આસા ઇબ્ન ‘ઉમર અલ-સકાફી (મૃત્યુ: 149/766)એ કિતાબ અલ-જામી‘ અને કિતાબ અલ-ઇકમાલ જેવી બે પ્રારંભિક અને માર્ગદર્શક કૃતિઓ લખી. આ તમામ પ્રાથમિક પ્રયત્નો બાદ વ્યાકરણવિદ્યાને વ્યવસ્થિત, પરિભાષિત અને શાસ્ત્રરૂપ આપવા માટે જે આંતરદષ્ટિ જરૂરી હતી, તે ખલીલ ઇબ્ન અહમદે આપી. તેમણે વિષયની સીમાઓ નિર્ધારિત કરી, પરિભાષાઓ ઘડી અને પદ્ધતિઓ રચી, જેણે આગળની સદી સુધી આ ક્ષેત્રના અભ્યાસને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.
ખલીલ ઇબ્ન અહમદની પ્રભાવશાળી છાપ તેમના શિષ્ય સિબાવાયીની કાયમી કૃત્તિ અલ-કિતાબમાં સ્પષ્ટ દેખાય છે. અરબી વ્યાકરણના ઇતિહાસમાં આ ગ્રંથને સર્વોચ્ચ અને સર્વપ્રાચીન સ્થાન પ્રાપ્ત થયેલું છે. અલ-કિતાબ માત્ર એક પુસ્તક નહીં, પરંતુ શતાબ્દીઓના સંશોધન, ચર્ચા અને પરંપરાગત જ્ઞાનનો સંગઠિત, દાર્શનિક અને પદ્ધતિબદ્ધ સાર છે. સિબાવાયીએ આ મહાકૃતિનો આધાર પોતાના ગુરુ ખલીલ ઇબ્ન અહમદના પાઠોએ આપેલા વિચાર, પ્રશ્નોત્તર અને માર્ગદર્શન પર મૂક્યો હતો, જે પછીની તમામ ભાષ્યપરંપરાનો આધારસ્તંભ બન્યો.

૫.મઆની અલ-હુરુફ અથવા રિસાલા ફી માઅની અલ-હુરુફ તરીકે ઓળખાતી આ કૃતિમાં લેખકે અરબી મૂળાક્ષરના અક્ષરો—જે “અલિફ”થી શરૂ થઈ “યા” સુધી વિસ્તરે છે—તેમના માટે અરબોએ સ્થાપિત કરેલા અર્થોનું સંકલિત વર્ણન કર્યું છે. દરેક અક્ષરને સંકળાયેલા અર્થને સમજાવવા માટે તે સંબંધિત શ્લોકો અને ઉદાહરણોને સાક્ષ્યરૂપે પણ રજૂ કરે છે.

૬. નકત અલ-મસાહિફ (કિતાબ અન-નકત વશ-શકલ):ખલીલ ઇબ્ન અહમદ રચિત કિતાબ અન-નકત વશ-શકલ કુરાનના સ્વરચિહ્નો અને જોડણીચિહ્નોની પ્રથમ પદ્ધતિબદ્ધ વ્યવસ્થા માનવામાં આવે છે. પ્રારંભિક પઠનમાં ભૂલો વધતા અબુ અલ-અસ્વદથી શરૂ થયેલા પ્રયત્નોને ખલીલએ વૈજ્ઞાનિક દિશા આપી. તેમણે પ્રચલિત ફત્હા, કસરહ , ઝમ્મા તથા હમઝા, તશદીદ, રૌમ, ઇશ્મામ જેવા મુખ્ય ચિહ્નો લિપિમાં પ્રસ્થાપિત કર્યા. તેમના આ યોગદાનથી કુરાનિક લખાણની વાંચનશુદ્ધિ તો વધ્યા જ, સાથે અરબી સુલેખનકલાનું આધુનિક સ્વરૂપ પણ નિર્મિત થયું.

ખલીલ ઇબ્ન અહમદે વિવિધ પ્રસંગોએ રચેલી કેટલીક દોહા-કવિતાઓ વ્યાકરણ, શબ્દકોશ અને સાહિત્ય સંબંધિત પુસ્તકોમાં વિખરાયેલા સ્વરૂપે મળી આવે છે. આ તમામ દોહાઓને તેમના મૂળ સ્ત્રોતો સાથે સંકલિત કરીને હાતિમ સાલિહ અદ્દામિને પોતાની કૃતિ સુઆરા મુકિલ્લૂન માં એકત્રિત કર્યા છે.
એમનું એક રસપ્રદ વિધાન છે "જે દિવસે હું મારા કરતા જ્ઞાનમાં ઊંચા વ્યક્તિને મળું, તે દિવસ હું તેને શીખીને સંપન્ન બને છું. જે દિવસે હું મારા કરતા ઓછું જાણનારા સાથે મળું, તે દિવસ તેને શીખવતાં હું લાભ પામું છું. અને જ્યારે કોઈ મને સમકક્ષ મળે, તે દિવસ ચર્ચા-વિચાર દ્વારા બંનેનો વિકાસ થાય છે. પરંતુ જો આ ત્રણમાંથી કોઈ પણ ન મળે—તો તે દિવસ મારા માટે ખરેખર નિષ્ફળ અને દુર્ભાગ્યનો દિવસ ગણાય."

આ મહાન વિદ્વાનનું મૃત્યુ ૧૭૪/૭૯૦માં બસરામાં થયું. કેટલાક સ્રોતો મુજબ એમનું અવસાન ૧૬૦/૭૭૭ અથવા ૧૭૦/૭૮૬ માં થયું.

ગુજરાત ટુડે પ્રકાશન તારીખ ૨૩-૧૧-૨૦૨૫,રવિવાર