આ બ્લૉગ શોધો

23 એપ્રિલ, 2024

અબુ બક્ર મુહમ્મદ અબ્દુલ અઝીઝ (4-10-1911 : 23-11-1973)

 

અબુ બક્ર મુહમ્મદ અબ્દુલ અઝીઝ શ્રીલંકાના પ્રથમ મુસ્લિમ સનદી અધિકારી,શિક્ષણવિદ અને સમાજ સેવક હતા.

અઝીઝનો જન્મ જાફનાના વન્નારપોનાઈમાં ૪થી ઓક્ટોબર ૧૯૧૧ ના દિવસે થયો હતો. અઝીઝના પિતા એસ.એમ.અબુબક્ર વકીલ અને જાફના અર્બન કાઉન્સિલના સભ્ય તથા  ઓલ સીલોન મુસ્લિમ લીગના પ્રમુખ હતા. એમણે અલ્લાપીચાઈ કુરાન મદરસામાંથી અરબીમાં કુરાન અને હદીસનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પ્રાથમિક શિક્ષણ વૈદ્યેશ્વર વિદ્યાલયમ અને જાફના હિંદુ કોલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું.૧૯૩૩મા સીલોન વિશ્વિદ્યાલયમાંથી ઇતિહાસમાં બી.એ.કર્યું.વધુ અભ્યાસાર્થે ૧૯૩૪માં તેઓ કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં ગયા.એ પહેલા સીલોન સિવિલ સર્વિસ (CCS)ની પરીક્ષા આપી હતી.એમાં પાસ થવાની ખબર આવતા તેઓ ફેબ્રુઆરી ૧૯૩૫માં માત્ર એક જ સત્ર પછી સીલોન પાછા ફર્યા.તેમને એ વખતે સીલોન તરીકે ઓળખાતા હાલના શ્રીલંકાના પ્રથમ મુસ્લિમ સનદી અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું અને મધ્ય શ્રીલંકાના મતાલે જીલ્લામાં કારકિર્દીનો પ્રારંભ થયો.૧૯૩૭માં કોલંબોના પ્રતિષ્ઠિત જે.પી કુટુંબની ઉમ્મે કુલસુમ સાથે એમના લગ્ન થયા હતા.

સનદી અધિકારી તરીકે એમણે આસીસ્ટન્ટ ગવર્ન્મેન્ટ ઓફિસમાં ,હેલ્થ ખાતામાં હેલ્થ મીનીસ્ટરના સચિવ તરીકે અને કસ્ટમ વિભાગમાં એડીશનલ લેન્ડીંગ સર્વેયર તરીકે સેવાઓ આપી હતી.૧૯૪૨માં કલમુનાઇમાં ઈમરજન્સી કચેરીમાં આસીસ્ટનટ ગવર્નમેન્ટ એજન્ટ તરીકે નિમાયા જેનું મુખ્ય કાર્ય બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સીલોનમાં ઉભી થયેલી અન્નની અછતને ખાળવાનું હતું.અઝીઝે પૂર્વીય સીલોનમાં જમીન વિહોણા મુસ્લિમ ખેડૂતોની મદદ કરી ગણોત બનાવ્યા અને આ પ્રાંત કૃષિ ક્ષેત્રે ખૂબ સમૃદ્ધ બન્યો.અહી મુસ્લિમોની દારિદ્રતા અને પછાતપણાએ અઝીઝને વિચલિત કરી મુક્યા અને અહી જ એમને અનુભૂતિ થઈ કે આનો ઇલાજ શિક્ષણમાં છે.અને આ જ બાબત એમને શિક્ષણના ક્ષેત્રમાં લઈ આવી.એમણે ૧૯૪૨માં કવિ અબ્દુલ કાદર લેબે અને વિદ્વાન સ્વામી વિપુલાનંદ જેવા મિત્રો સાથે મળી કલ્મુનાઈ મુસ્લિમ એજ્યુકેશન સોસાઈટી (KMES)ની સ્થાપના કરી.આ સોસાઈટી દ્વારા સંચાલિત અંગ્રેજી ભાષાની શાળામાં અરબી અને તમિલ ભાષાઓ પણ શીખવાડવામાં આવતી હતી અને અહીંથી જીલ્લાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવતી હતી.૧૯૪૪માં અઝીઝે સીલોન મુસ્લિમ સ્કોલરશીપ ફંડ (CMSF) ની સ્થાપના માટેના પ્રયત્નો શરુ કરી દીધા હતા જેનો હેતુ મુસ્લિમ વિદ્યાર્થીઓ શિક્ષણ અને વ્યવસાયમાં પ્રગતિ કરે એ હતું.૧૯૪૫માં KMESને CMSFમાં ભેળવી દેવામાં આવ્યું અને અઝીઝને મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ ચૂંટવામાં આવ્યા અને તેઓ આ હોદ્દા પર ૧૯૫૫ સુધી રહ્યા.૧૯૪૮માં એમણે સનદી સેવાઓ છોડી ઝહીરા કોલેજના આચાર્ય બનવાનું પસંદ કર્યું જેથી શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી શકે.એમણે મુસ્લિમો ચાર ભાષા શીખે એના પર ભાર આપ્યો : તેઓ માનતા હતા કે અરબી ભાષા વિના શ્રીલંકાના મુસ્લિમો સાંસ્કૃતિક રીતે અલગ પડી જશે અને પોતાનો સમૃદ્ધ વારસો ખોઈ નાખશે,માતૃભાષા તમિલમાં માસ્ટરી હોવી જરૂરી છે,એવી જ રીતે બહુમતિ લોકોની ભાષા સિંહાલા પણ જરૂરી હતી અને વૈશ્વિક ભાષા અંગ્રેજી વિના ચાલવાનું ન હતું.એમણે આ ચાર ભાષાઓ મુસ્લિમ શાળાઓમાં શીખવાડાય એવો આગ્રહ રાખ્યો હતો.૧૯૬૧માં સરકારે ઝહીરા કોલેજને હસ્તગત કરી લીધી ત્યાં સુધી તેઓ આના આચાર્યપદે રહ્યા હતા.આ દરમિયાન આ શાળાની ખ્યાતી ચારેકોર ફેલાઈ હતી.તેઓ માનતા હતા કે મહિલાઓને પણ શિક્ષણમાં સમાન અધિકાર મળવો જોઈએ.જયારે મુસ્લિમ છોકરીઓને ઉચ્ચ શિક્ષણમાં મોકલવામાં નહોતી આવતી ત્યારે એમને વાલીઓને સમજાવી છોકરીઓને ઉચ્ચ શિક્ષણ લેતી કરી હતી.તેઓ દહેજ પ્રથાના વિરોધી હતા અને માનતા હતા કે છોકરીઓ જો શિક્ષિત હશે તો છોકરાઓની પણ દહેજ માગવાની હિંમત નહિ થાય.એમના આ પ્રયત્નો ઘણા અંશે સફળ થયા હતા.

અઝીઝ એક પ્રખર વાચક હતા.તેઓ એક સારા વક્તા હતા.અંગ્રેજી અને તમિલ બંને ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા.એમને શ્રીલંકાના મુસ્લિમોની સ્થિતિ વિષે ,શિક્ષણના ઈતિહાસ વિષે અને મુસ્લિમોના શૈક્ષણિક તથા સાંસ્કૃતિક સમસ્યાઓ વિષે ઘણું લખ્યું હતું.તમિલ ભાષામાં એમણે લખેલ પુસ્તક ‘શ્રીલંકામાં ઇસ્લામ’ને ૧૯૬૩માં સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો.આ ઉપરાંત એમણે તમિલ ભાષામાં જ Spell of Egypt,East African Scene અને Tamil Travelogue નામક પ્રવાસ વિષયક પુસ્તકો લખ્યા હતા.

અઝીઝે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું.તેઓ યુનાઈટેડ નેશનલ પાર્ટી (UNP) ના સભ્ય હતા અને ૧૯૫૨માં કાર્યકારી સમિતિમાં પણ ચૂંટાયા હતા.૧૯૫૨માં વડાપ્રધાન દુદ્લે સેનાનાયકની ભલામણથી અઝીઝને સીલોનના (ઉપલા ગૃહના) સેનેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.Sinhala Only Act (માત્ર સિન્હાલા કાયદા)ના વિરોધમાં અઝીઝે UNPમાંથી રાજીનામું આપી દીધું હતું.૧૯૬૩માં જાહેર સેવા આયોગમાં નિયુક્તિ મળતા એમણે સેનેટમાંથી પણ રાજીનામું આપ્યું હતું.

૨૪ નવેમ્બર ૧૯૭૩ ના દિવસે કોલંબોમાં અઝીઝનું અવસાન થયું.૧૯૮૦માં જાફના વિશ્વ વિદ્યાલયે એમને મરણોપરાંત ડોકટરેટ ઓફ લેટર્સની પદવી આપી સન્માન આપ્યું હતું.૧૯૮૬માં સરકારે એમને રાષ્ટ્રીય નાયક (National Hero) (મરણોપરાંત) ગણી એમને સન્માનિત કરતા એમના માનમાં ૭૫ પૈસાની ટપાલ ટીકીટ બહાર પાડી હતી.ભારતની એક સંસ્થા ઇન્સ્ટીટયુટ ઓફ ઓબ્જેક્ટીવ સ્ટડીએ ૨૦મી સદીના ૧૦૦ મહાન મુસ્લિમોની યાદીમાં એમનો સમાવેશ કર્યો હતો.       

12 સપ્ટેમ્બર, 2022

વ્યભિચાર સૌથી મોટા પાપો માંથી એક છે (લેખાંક-૨)

 ગતાંકથી ચાલુ......

 (૯) હઝરત ઇબ્ને અબ્બાસ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે જે કોમમાં ખિયાનત (કોઈની થાપણ ઓળવી લેવાની ક્રિયા , બેઈમાની ,વિશ્વાસઘાત) વધી જાય છે એ કોમના મનમાં રોફ (ભય) બેસાડી દેવામાં આવે છે ,જે કોમમાં વ્યભિચાર વિપુલ પ્રમાણમાં થાય છે એમાં મૃત્યુદર વધારી દેવામાં આવે છે,જે કોમ માપતોલમાં ઓછું કરે છે એની રોજી રોટી છીનવી લેવામાં આવે છે ,જે કોમ અન્યાયી (નાહક) ફેસલા કરે છે એનામાં મારધાડ વધી જાય છે અને જે કોમ વાયદા પાળતી નથી અલ્લાહ એના પર શત્રુનો દબદબો વધારી દે છે.(સુનન કુબરા બયહકી,ભાગ-૩,પેજ-૩૪૬,મુઅત્તા-૧૦૨૦)

(૧૦) હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે એક વ્યક્તિએ રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમને પૂછ્યું ,યા રસુલલ્લાહ! અલ્લાહ સમક્ષ કયું પાપ સૌથી મોટું છે? આપે જવાબ આપ્યો કે તમે અલ્લાહને (ઇબાદતમાં) ભાગીદાર બનાવો કે જયારે એણે તમને પેદા કર્યા છે.એણે ફરીથી પૂછ્યું ,પછી કયું પાપ સૌથી મોટું છે? ફરમાવ્યું તમે ખાવાના ભયથી તમારી સંતાનને કતલ કરો.એણે પૂછ્યું ,પછી કયું? આપે ફરમાવ્યું ,તમે તમારા પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરો એ.(બુખારી-૬૮૬૧,મુસ્લિમ-૮૬,તિર્મીઝી-૩૧૮૨)

(૧૧) હઝરત ઇબ્ને અબ્બાસ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું ,તમે વ્યભિચારથી બચતા રહો, કેમકે એમાં ચાર બુરાઈઓ છે : (૧) એનાથી ચહેરાની સુંદરતા ચાલી જાય છે (૨) રોજીરોટી છીનવાઈ જાય છે (૩) રહમાન (અલ્લાહ) નારાજ થઈ જાય છે અને (૪) દોઝખ (નર્ક)માં રહેવાનો સમય લંબાઈ જાય છે.(અલ મોઅજ્મુલ અવસત -૭૦૯૨,મજમઉઝઝવાઇદ ભાગ-૬,પેજ-૨૫૪)

(૧૨)હઝરત અબ્દુલ્લાહ બિન યઝીદ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: હે અરબસ્તાનની હલાક (બરબાદ) થનારી સ્ત્રીઓ! મને તમારા માટે વ્યભિચાર અને છુપી વાસનાનો સૌથી વધુ ભય લાગે છે.(હુલ્યતુલ અવલીયા,ભાગ-૭,પેજ-૧૨૨)

(૧૩) હઝરત જાબિર રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: જવાબદાર અને વફાદાર લોકો પર અત્યાચાર કરવામાં આવશે તો શત્રુઓનું શાસન સ્થાપિત થશે,વિપુલ પ્રમાણમાં વ્યભિચાર કરવામાં આવશે તો લોકો મોટી સંખ્યામાં જેલોમાં કેદ થશે.જયારે કૌમે લૂતનું કાર્ય (પુરુષો દ્વારા પુરુષો સાથે ગુદા મૈથુન) કરવામાં આવશે તો અલ્લાહ પોતાના સર્જનો પરથી હાથ ઉઠાવી લેશે (એમના પર ધ્યાન નહિ આપે),પછી એ પરવા નહિ કરે કે તેઓ કઈ ખાઈમાં પડીને બરબાદ થાય છે.(મોઅજમુલ કબીર-૧૭૫૨,મજમઉઝ્ઝવાઈદ ભાગ-૬,પેજ-૨૫૫)

(૧૪) હઝરત નાફેઅ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: ઘમંડી ફકીર,વૃદ્ધ વ્યભિચારી અને પોતાના કર્મોથી અલ્લાહ પર ઉપકાર જાહેર કરનારો જન્નતમાં દાખલ નહિ થાય.(અત્તરગીબ વ તરહીબ-૩૫૩૬, મજમઉઝ્ઝવાઈદ ભાગ-૬,પેજ-૨૫૫)

(૧૫) હઝરત ઇબ્ને ઉમર રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: વ્યભિચારથી નિર્ધનતામાં વધારો થાય છે.(શોઅબુલ ઈમાન-૫૪૧૮)

(૧૬) એક હજાર વર્ષના અંતરથી જન્નતની સુગંધ આવે છે અને માતા-પિતાનો નાફરમાન ,સંબંધ વિચ્છેદ કરનાર,વૃદ્ધ વ્યભિચારી અને ઘમંડથી પાટલુન ઘૂંટીથી નીચે પહેરનાર આ સુગંધને સુંઘી નહિ શકે.( અત્તરગીબ વ તરહીબ ભાગ-૩,હદીસ-૩૦૧૯)

(૧૭) જે વસ્તીમાં વ્યભિચાર અને વ્યાજ સામાન્ય થઈ જાય એમણે પોતાના પર અલ્લાહનો પ્રકોપ વૈધ કરાવી લીધો.(અલ મુસ્તદરક,ભાગ-૨,પેજ-૩૭ ;અત્તરગીબ વ તરહીબ-૩૫૪૩)

(૧૮) હઝરત ઉબાદા બિન સામત રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે  રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું:મારાથી આદેશ લો, મારાથી આદેશ લો,અલ્લાહે વ્યભિચારીઓની સજા દર્શાવી દીધી છે.જો કુંવારી કુંવારા સાથે વ્યભિચાર કરે તો એમને (બંનેને) સો કોરડા ફટકારો અને એક વર્ષ માટે શહેરથી તડીપાર કરી દો અને જો પરિણીત પરિણીતા સાથે વ્યભિચાર કરે તો એમને રજમ (સંગસાર) કરો અર્થાત પત્થર મારીને મારી નાખો.(મુસ્લિમ-૧૬૯૦,અબૂ દાઉદ-૪૪૧૫,૪૪૧૬;તિર્મીઝી-૧૪૩૪;અલ નિસાઈ-૧૧૦૯૩;,ઇબ્ને માજા-૨૫૫૦) આમ તો હજી આ વિષયમાં બીજી ઘણી બધી હદીસો છે પરંતુ અહી આટલી પુરતી છે.

વ્યભિચાર કરનારની સજા અલ્લાહ તઆલાએ પોતે કુરાનમાં ફરમાવી દીધી છે ‘ વ્યભિચાર કરનાર સ્ત્રી અને વ્યભિચાર કરનાર પુરુષને દરેકને સો કોરડા ફટકારો.’(સૂરહ ; નૂર-૨)

કુરાનમાં જે આદેશ છે એ કુંવારા પુરુષ અને કુંવારી છોકરી માટે છે.ઉપર હદીસમાં આવી ગયું છે એમ પરિણીત પુરુષ જો પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરે તો બંનેને પત્થર મારીને મારી નાખવાનો હુકમ છે. આજે કેટલાક લોકો ઇસ્લામની આ પરંપરાનો ઉપહાસ કરે છે અને માનવ અધિકારના નામે સજાને નાબૂદ કરવાની વાતો કરે છે પરંતુ અલ્લાહ તઆલા એ આ જ નિયમ તૌરેત(જૂનો કરાર) અને ઇન્જીલ (બાઈબલ)માં સદીઓ પહેલાંથી આપેલો જ છે.

જૂના કરારમાં છે –‘પણ જો એ આક્ષેપ સાચો માલૂમ પડે અને છોકરી અક્ષત છે એ વાતનો કોઈ પુરાવો ન મળે,તો તેને તેના બાપના ઘરના બારણા આગળ લઈ જવી અને ત્યાં ગામના લોકોએ તેને ઇંટોળી કરીને મારી નાખવી ,કારણ તેણે પોતાના બાપના ઘરમાં જ વ્યભિચાર કરીને ઈઝરાઈલમાં નાલેશીભર્યું કૃત્ય કર્યું છે,તમારે તમારી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.’

‘જો કોઈ માણસ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરતો પકડાય તો તે બંનેને-તે સ્ત્રીને અને તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષને દેહાંતદંડ દેવો.તમારે ઈઝરાઈલમાંથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.’

‘કોઈ કન્યાના વિવાહ થયેલા હોય અને કોઈ બીજો માણસ તેને ગામમાં મળે અને તેની સાથે સંભોગ કરે,તો તમારે તે બંનેને ગામના ચોરા આગળ લાવી ઇંટોળી કરી મારી નાખવા.છોકરીને એટલા માટે મારી નાખવી કે ગામમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ ન પાડી, અને પેલા માણસને એટલા માટે મારી નાખવો કે તેણે પોતાના જાત ભાઈ સાથે જેના વિવાહ થયા છે એવી સ્ત્રીની આબરૂ લીધી છે.તમારે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.’

(અનુસંહિતા,પ્રકરણ-રર, ઋચા:૨૦ થી ૨૪)

આ ચમત્કાર છે તૌરેત (જૂના કરાર)માં આજ દિન સુધી આ આયતો મોજૂદ છે.જો કે દરેક યુગમાં તૌરેતમાં ફેરફાર કરવામાં આવતો રહ્યો છે.પરંતુ અલ્લાહની કુદરત જુઓ કે આવી જ આયત ઇન્જીલ (બાઈબલ)માં આજે પણ મોજૂદ છે.

‘સવારના પહોરમાં હઝરત ઈસા (અલૈહીસ સલામ) ફરી મંદિરમાં આવ્યા,અને બધા લોકો તેમની પાસે ભેગા થવા લાગ્યા.એટલે તેમણે બેસીને તેમને ઉપદેશ આપવા માંડ્યો.એવામાં શાસ્ત્રીઓ અને વેપારીઓ વ્યભિચાર કરતાં પકડાયેલી એક બાઈને તેમની પાસે લઈ આવ્યા અને તેને વચમાં ઊભી રાખીને તેઓએ તેમને કહ્યું, ‘ગુરુજી! આ બાઈ પ્રત્યક્ષ વ્યભિચાર કરતા પકડાઈ છે.હવે શાસ્ત્રમાં આપણને એવી બાઈને પથ્થર મારીને મારી નાખવાનું ફરમાવેલું છે.તો આપ શું કહો છો?’ આમ કહેવામાં તેમનો હેતુ ,એમની પરીક્ષા કરી જોઈ એમના ઉપર આરોપ મૂકવાને કંઈ બહાનું મેળવવાનો હતો.પણ આપ તો નીચા વળીને આંગળી વતી ભોંય ઉપર લખવા લાગ્યા.છતાં પેલા લોકોએ પ્રશ્ન પૂછવાનું  ચાલુ રાખ્યું એટલે આપે ટટાર થઈને તેમને કહ્યું,’તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથરો મારે.’(યોહાન,પ્રકરણ-૮,ઋચા: ૧ થી ૭)

તૌરેત અને ઇન્જીલની આયતોથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે પરિણીત વ્યભિચારીને પથ્થરો મારીને મારી નાખવાનો આદેશ પાછલા અવકાશી ગ્રંથોમાં પણ મોજૂદ હતો,હજી પણ છે અને કુરાન મજીદમાં પણ આવી જ આયતો છે.તૌરેત અને ઇન્જીલમાં ઘણા ફેરફારો છતાં પણ આજે આ આયતો જેમની તેમ છે અને કુરાનમાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ (કુરાન) પાછલી કિતાબોની તસ્દીક (સત્યતા) કરવા અવતરિત કરવામાં આવ્યું છે.આમ, કુરાનની શ્રેષ્ઠતા પણ સાબિત થાય છે.

(નોંધ: ગુજરાતી સંપૂર્ણ બાઈબલમાં હઝરત ઈસા સાથે ‘અલૈહીસ સલામ’ શબ્દો નથી,માનવાચક શબ્દો અમે ઉમેર્યા છે.)

(સંદર્ભ : અલ્લામા ગુલામ રસૂલ સઈદી (૨૦૦૭),તિબ્યાનુલ કુરાન,પ્રકાશક:મક્તબા રઝ્વીયા,દિલ્હી , ભાગ-૨,૩,૮ અને ૯; ‘સંપૂર્ણ બાઈબલ’(૧૯૮૧) ગુજ.અનુવાદ :નગીનદાસ પારેખ,ઈસુદાસ ક્વેલી,)     

 

1 સપ્ટેમ્બર, 2022

વ્યભિચાર સૌથી મોટા પાપો માંથી એક છે (લેખાંક-૧)

પહેલા એક લેખમાં ઇસ્લામમાં લગ્નનો આદેશ અને એનું શું મહત્વ છે એનું વર્ણન કર્યું હતું.અહીં વ્યભિચાર ઇસ્લામના મોટા પાપો માંથી એક છે-એનું વર્ણન છે. આજે વિશ્વમાં આધુનિકતા, સ્વાતંત્રતા અને ખાસ કરીને સ્ત્રી સ્વાતંત્ર્યના નામે સ્વછંદતાની ચળવળો ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમી વિશ્વમાં તો માનવ અધિકારોના રૂપાળા ઓઠા હેઠળ સ્ત્રી પુરુષોને દરેક પ્રકારની છૂટ આપવામાં આવી રહી છે.મુક્ત સહચર્યથી મુક્ત સેક્સ સુધી જ ન અટકતા હવે તેઓ સજાતી સંબંધોને પણ કાયદેસર કરી રહ્યા છે.ઘણા દેશોએ તો કરી દીધા છે.આ  ગાડરિયો પ્રવાહ એલજીબીટીના અધિકારો અને સ્ત્રી સ્વાતંત્ર્યના નામે આપણા ઉખંડમાં અને ઇસ્લામી રાષ્ટ્રોમાં પણ પ્રવેશી ગયો છે.થોડા સમય પહેલા પાકિસ્તાની મહિલાઓએ 'માય બોડી- માય ચોઇસ' અર્થાત 'મારું શરીર- મારી મરજી' નામનું આંદોલન કર્યું હતું, જે ફેમિલીસ્ટ આંદોલનનો એક ભાગ હતો.આવા આંદોલનનો હેતુ સ્ત્રીઓના કપડાની પસંદગી, પ્રેમ, સેક્સ ,લગ્ન અને ગર્ભપાતના અધિકારો મેળવવાનો હોય છે.જોકે અલગ અલગ દેશોમાં આને અલગ સંદર્ભમાં જોવામાં આવે છે .અમે દ્રઢપણે માનીએ છીએ કે સ્ત્રીઓને પણ પુરુષોના જેટલો જ અધિકાર હોવો જોઈએ, પરંતુ જોવામાં આવી રહ્યું છે કે યુરોપ અને અમેરિકા જેવા દેશો કે જેઓ પોતાને સૌથી આગળ પડતા અને વિકસિત ગણાવે છે- તેઓ પણ સ્ત્રીઓને અધિકાર આપવાની બાબતમાં પછાત છે. ઇસ્લામે 1400 વર્ષ પહેલાં જ સ્ત્રીઓને એમના અધિકારો આપ્યા છે.
 
આજની યુવા પેઢીએ વ્યભિચાર જેવા મોટા પાપથી બચવું જોઈએ :
 
આજે વ્યભિચાર બધા દેશો અને સમાજોમાં (મુસ્લિમ સમાજ સહિત) સામાન્ય થઈ ગયું છે ત્યારે ઇસ્લામ આ બાબતે શું કહે છે એ જોઈએ.
ઇસ્લામમાં બે પ્રકારના ગુનાની વિભાવના છે : ગુનાહે સગીરા (નાના ગુના) અને ગુનાહે કબીરા (મોટા ગુના). અલ્લામા નવવીએ મોટા ગુનાહોમાં કતલ, વ્યભિચાર, ગુદામૈથુન ( અને સજાતીય સંબંધો), દારૂ પીવો, ચોરી કરવી, કોઈના પર ખોટો આરોપ મૂકવો કે આક્ષેપ કરવો ,જૂઠી સાક્ષી આપવી,કોઈનો માલ હડપ કરી લેવો ,વ્યાજ ખાવું ,અનાથનો માલ ખાવો, માતા પિતાની ના ફરમાની કરવી ,જુઠા સોગંદ ખાવા, સંબંધીઓથી સંબંધ વિચ્છેદ કરવો, માપતોલમાં ઓછું કરવું, લાંચ લેવી વગેરેનો સમાવેશ કર્યો છે (હજી આ લિસ્ટ લાંબુ છે).
 
વ્યભિચાર અને સજાતી સંબંધો મોટા ગુનાહોમાંથી છે:
 
વ્યભિચાર માટે અરબીમાં 'ઝિના' શબ્દ છે .વ્યભિચારી પુરુષને 'ઝાની' અને સ્ત્રીને 'ઝાનીયા' કહેવામાં આવે છે. અરબીમાં ઝિના નો શાબ્દિક અર્થ થાય છે પહાડ પર ચડવું ,પડછાયો નાનો થવો ,આને મૂત્ર રોકી લેવું વિ.
અલ્લામા રાગિબ ઇસફહાનીએ ઝિનાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે કોઈ પુરુષ શરઈ લગ્ન સિવાય (કોઈ બીજી) સ્ત્રી સાથે સંભોગ કરે એને ઝિના કહેવામાં આવે છે.(એવી જ રીતે કોઈ સ્ત્રી શરઈ લગ્ન સિવાય કોઈ બીજા પુરુષ સાથે સંભોગ કરે તો એને ઝીના કહેવામાં આવે છે.)માટે કોઈપણ લગ્ન બહારના શારીરિક સંબંધો તો ઝીનાની વ્યાખ્યામાં આવે જ છે અને એના માટેની સજા પણ શરીઅતે નક્કી કરેલ છે. રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યુ ' જે વ્યક્તિ મહેરમથી સંભોગ કરે એને કતલ કરી દો' (સુનન ઇબ્ને માજા).હમ્બ્લી સંપ્રદાયમાં તો પત્ની સાથે ગુદા મૈથુને પણ ઝિના ગણવામાં આવ્યો છે.
 
 વ્યભિચાર બાબતે કુરાનમાં જે ઉલ્લેખ છે આ મુજબ છે.

'અને વ્યભિચાર ની પાસે પણ ન જાઓ, નિશંકપણે એ નિર્લજ્જતાનું કામ અને ખરાબ માર્ગ છે.( સુરહ: બની ઇસરાઈલ-૩૨).
'વ્યભિચાર કરનાર સ્ત્રી અને વ્યભિચાર કરનાર પુરુષ દરેકને તમે 100 કોરડા ફટકારો અને એમને શરિયત મુજબ આદેશ (સજા) આપવામાં તમને કોઈ દયા ન આવે ,જો તમે અલ્લાહ અને કયામતના દિવસ પર શ્રદ્ધા રાખો છો ,અને એમની સજા વખતે મુસલમાનોનો એક જૂથ હાજર હોવો જોઈએ.( સૂરહ નૂર :૨)
'અને જે લોકો અલ્લાહની સાથે બીજા કોઈ માબૂદની ઇબાદત નથી કરતા અને જે વ્યક્તિને કતલ કરવાનું અલ્લાહે હરામ ઠરાવી દીધું છે એને નાહક કતલ નથી કરતા અને વ્યભિચાર નથી કરતા, અને જે વ્યક્તિ આ કાર્યો કરશે એ સખત પ્રકોપનો સામનો કરશે. કયામતના દિવસે એમના પ્રકોપને બમણો કરી દેવામાં આવશે અને તેઓ હંમેશા સખત યાતનાઓ વેઠશે.' (સૂરહ ફુરકાન :68-69)

'અય નબી ,જ્યારે તમારી પાસે મોમીન સ્ત્રીઓ આ બાબતે બયઅત (પ્રતિજ્ઞા) કરવા માટે આવે કે તેઓ અલ્લાહની સાથે કોઈને ભાગીદાર નહીં બનાવે, ન ચોરી કરશે, ન વ્યભિચાર કરશે, ન પોતાની સંતાનને કતલ કરશે, ન એવો કોઈ આક્ષેપ કરશે જે પોતાની રીતે ઘડી લીધું હોય, ન તો કોઈ કાર્યમાં તમારા આદેશોનું ઉલ્લંઘન કરશે, તો તમે એમની બયઅત (પ્રતિજ્ઞા) લઈ લો અને એમના માટે ઇસ્તિગફાર કરો. નિ:શંકપણે અલ્લાહ ઘણો માફ કરનાર અને ઘણો દયાળુ છે. (સુરહ  અલ મુમતહના :૧૪)

વ્યભિચાર અને એની સજા વિષયક અહાદિસ :

(૧) હઝરત અનસ રદિઅલ્લાહુ  અનહુ રીવાયત કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું :કયામત (પ્રલય)ની નિશાનીઓમાંથી આ છે કે જ્ઞાન ઉઠાવી લેવામાં આવશે,અજ્ઞાનતા પ્રચલિત રહેશે ,દારૂ પીવામાં આવશે અને વ્યભિચાર સામાન્ય થઈ જશે .(બુખારી:80, મુસ્લિમ:2671, તિરમિઝી:2205)

(૨) અલ્લાહ કયામતના દિવસે ત્રણ વ્યક્તિઓ સાથે વાત નહીં કરે, ન જ એમને પવિત્ર કરશે, ન એમની તરફ કૃપાદ્રષ્ટિ કરશે; અને એમના માટે પીડાદાયક યાતના હશે: વૃદ્ધ વ્યભિચારી, જુઠો બાદશાહ (શાસક) અને ઘમંડી ફકીર.( મુસ્લિમ: 107 ,નિસાઈ :7138)

(૩) આવી જ એક બીજી હદીસમાં વૃદ્ધ વ્યભિચારી,  ઘમંડી ફકીર અને માલદાર અત્યાચારી નો ઉલ્લેખ છે.( તિર્મીઝી: 2568, નિસાઈ:1614)

(૪) હુઝૂર સલ્લલાહુ અલૈહી વસલ્લમના સમયમાં સૂર્યગ્રહણ થયું અને એ વખતે આપે ફરમાવ્યું કે સૂર્ય અને ચંદ્ર અલ્લાહની નિશાનીઓમાંથી બે નિશાનીઓ છે.એમને કોઈના મૃત્યુના કારણે ગ્રહણ નથી લાગતું ,ન તો કોઈના જીવનના કારણે. તેથી તમે આ ગ્રહણ જુઓ તો અલ્લાહથી દુઆ કરો, અલ્લાહુ અકબર કહો ,નમાઝ પઢો અને સદકો (દાન) આપો.અય ઉમ્મતે મોહમ્મદ સલ્લલાહુ અલૈહી વસલ્લમ! કોઈ વ્યક્તિ માટે અલ્લાહને આનાથી વધુ લજ્જા નથી આવતી કે એનો બંદો તથા એની બંદી વ્યભિચાર કરે.અય ઉમ્મતે  મોહમ્મદ  સલ્લલાહુ અલૈહી વસલ્લમ! જો તમે એ બાબતો જાણી લો જે હું જાણું છું તો તમે ઓછું હસશો અને વધારે રડશો.(બુખારી:1044, મુસ્લિમ :901, અબૂ દાઊદ 177, નિસાઈ :1470,1471)

(૫) હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ અનહોથી રીવાયત છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: જેણે વ્યભિચાર કર્યો કે દારૂ પીધો, અલ્લાહ એનાથી ઈમાન ને એવી રીતે કાઢી નાખે છે જેવી રીતે માણસ પોતાના માથાથી કમીસ ઉતારે છે .(અલમુસ્તદરક ભાગ-૧, પેજ-22 ; શોઅબુલ ઈમાન:5366)

(૬)હઝરત ઉમમુલ મોમીનીન મૈમૂના બિન્તે હારિસ રદિયલ્લાહુ અનહા બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: મારી ઉમ્મત ત્યાં સુધી સારી સ્થિતિમાં રહેશે જ્યાં સુધી એમની સંતાન વ્યભિચારના કારણે ન થાય ,અને જ્યારે એમની સંતાન વ્યભિચારના કારણે થશે તો અલ્લાહ એમનામાં સામાન્ય યાતના-પ્રકોપ ઉતારી દેશે.(મસનદ અહેમદ ,ભાગ-૬, પેજ ૩૩૩; મસનદ અબૂ યઅલા :7091)

(૭) ઇમામ તબરાનીએ હઝરત શરીક રદિયલ્લાહુ અનહુ (એક સહાબી) થી રીવાયત કરી છે કે નબી  સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ વ્યભિચાર કરે છે એનામાંથી ઈમાન નીકળી જાય છે. જો એ તૌબા (પ્રાયશ્ચિત) કરી લે તો અલ્લાહ એની તૌબા કબુલ કરી લે છે.(મોઅજમુલ કબીર :7224, શોઅબુલ ઈમાન 5366)

(૮) હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું જે વખતે વ્યભિચારી વ્યભિચાર કરે છે ત્યારે એ મોમીન નથી હોતો, જે વખતે દારૂડિયો દારૂ પીવે છે ત્યારે એ મોમીન નથી હોતો, જે વખતે ચોર ચોરી કરે છે ત્યારે એ મોમીન નથી હોતો ,અને જ્યારે કોઈ લુટેરો કોઈ ભલા માણસને લૂંટે છે અને લોકો એને નજરો ઉઠાવીને જુએ છે ત્યારે એ મોમીન નથી હોતો.( બુખારી :5578, મુસ્લિમ 57; તિરમિઝી :4870).
(ક્રમશ)