આ બ્લૉગ શોધો

13 ડિસેમ્બર, 2021

અલ અબ્બાસ બિન અલ વલીદ

 

અલ-અબ્બાસ ઈબ્ન અલ વલીદ ઈબ્ન અબ્દુલ મલિક,ખલીફા અલ વલીદનો પુત્ર,ઉમૈયા વંશનો રાજકુમાર અને સેનાપતિ હતો.અલ અબ્બાસના જન્મવર્ષ અને બાળપણ વિષે માહિતી મળતી નથી.અબ્બાસની પ્રસિદ્ધિ એણે ઉમવીઓએ બાઝેન્તીનો સામે કરેલા સંઘર્ષમાં આપેલ યોગદાન માટે છે.એના વિષે અરબ અને બાયઝેન્તીની સ્ત્રોતોમાં મતભેદ જોવા મળે છે.ઈ.સ.૭૦૭મા કપ્પાડોસીયામાં આવેલ ત્યાનાના મહત્વનો કિલ્લો ઉમવીઓએ જીતી લીધો હતો,એ વખતે પહેલીવાર અબ્બાસે રણભૂમિમાં પ્રવેશ કર્યો હતો,જેમાં એણે પોતાના કાકા મસલમા ઇબ્ન અબ્દુલ મલિક સાથે સૈન્યની આગેવાની લીધી હતી.શિયાળામાં જયારે મુસ્લિમ સૈન્યની હિમ્મત ભાંગવા માંડી હતી ,એવા સમયે અબ્બાસે સૈન્યને પ્રેરણા આપી હિંમત વધારી હતી. ગ્રીકોને નગરમાં બંધક બનાવી ઘેરો ઘાલવામાં આવ્યો.લાંબા બંધન પછી ગ્રીકોએ હાર કબૂલી લીધી.

અબ્બાસે અને એના કાકાએ એશિયા માઈનોરમાં બાયઝેન્તીનીઓ વિરુદ્ધ ઘણી લડાઈઓ લડી.એમાં ઈ.સ.૭૧૨મા સીલીસીયામાં આવેલ સેબાસ્તે નગર અને પીસીડીયાના એન્તીઓક નગર પર ૭૧૩મા કરેલો કબજો મહત્વનાં છે.એના પછીની લડાઈઓમાં એ કાકા મસલમાને બરાબર મદદ કરતો રહ્યો.

૭૨૦મા ઉમર દ્વિતીયના અવસાન પછી ઈરાકના ગવર્નર યઝીદ બિન અલ મુહલ્લબએ બળવો કર્યો.એને ખાળવા માટે પહેલા અબ્બાસને એકલો અને પછી મસલમાને પણ મોકલવામાં આવ્યો.બંને સાથે મળીને યઝીદ સામે લડ્યા.યઝીદ માર્યો ગયો અને જલ્દી જ શાંતિ સ્થપાઈ.

અલ વલીદ દ્વિતીયના શાસન કાળમાં અલ અબ્બાસે પહેલાં તો પોતાના ભાઈ યઝીદ કે જે વિદ્રોહ કરવા માંગતો હતો –એને વિદ્રોહ ન કરવા માટે સમજાવતો રહ્યો,પરંતુ આખરે એણે નમતું જોખ્યું અને ૭૪૪ના વિદ્રોહમાં ભાગ લીધો.કેટલાક સમય પછી ખલીફા મરવાન દ્વિતીયએ અબ્બાસને કેદ કર્યો અને તે ૭૫૦મા હર્રાનની જેલમાં રોગચાળામાં મૃત્યુ પામ્યો.

લેબેનાનમાં આવેલ બેક્કા ખીણમાં આવેલ અન્જર નગર (જેનું સાચું નામ ઐન અલ જર છે) સ્થાપના વલીદ પ્રથમે કરી હતી એવું માનવામાં આવે છે,પરંતુ બાય્ઝેન્તીની ઇતિહાસકાર થીઓફેનીસ આ નગરની સ્થાપના નો શ્રેય અબ્બાસને આપે છે.

(C) મોહમ્મદ સઈદ શેખ 

અબ્બાદ બિન ઝીયાદ

 

અબ્બાદ બિન ઝિયાદ બિન અબી સુફ્યાન, અબુ હર્બ ,ઉમૈયા સેનાપતિ હતો. મુઆવિયાએ તેની નિમણૂક સિજિસ્તાનના રાજ્યપાલ તરીકે કરી હતી, જ્યાં તે સાત વર્ષ રહ્યો; અને પૂર્વ તરફના  અભિયાન દરમિયાન કંદહાર પર વિજય મેળવ્યો.હિ.સ. 61 /ઈ.સ. 680-81 માં તેને યઝીદ બિન મુઆવિયાએ બરતરફ કરી તેની જગ્યાએ પોતાના  ભાઈ સાલમ બિન ઝિયાદની સિજિસ્તાન અને ખુરાસાન ના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. 64/684 માં બીજા ફિતના ના ભાગરૂપે ઉમૈયા ખિલાફત અને અબ્દુલ્લાહ ઈબ્ન ઝૂબૈર તરફી સૈન્ય વચ્ચે સીરિયામાં દમાસ્કસ પાસે મર્જ રાહિત સ્થળે યુદ્ધ ફાટી નીકળ્યું.આ યુદ્ધમાં અબ્બાદ બિન ઝિયાદ પણ જોડાયો હતો.આ યુદ્ધમાં ઉમૈયા સૈન્યની જીત થઇ હતી.આ યુદ્ધ પછી અબ્બાદે સઉદી અરબમાં આવેલ પ્રાચીન શહેર દુમાત અલ જન્દાલ અથવા અલજૌફમાં નિવૃત્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.પરંતુ એને અલ-મુખ્તાર બિન અબી ઉબેદ ના લેફ્ટનન્ટ સાથે લડવાની ફરજ પડી હતી.એનું મૃત્યુ હિ.સ.૧૦૦/ઈ.સ.૭૧૮ માં થયું હતું.

23 એપ્રિલ, 2021

કિસાનોની સમસ્યાઓ અને જવાહરલાલ નેહરુ

 



આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલા ખેડૂતોમાં અંગ્રેજ સરકારના કૃષિ કાયદાઓ વિરુધ બેચેની હતી.એ વખતે જવાહરલાલ નેહરુ ઇંગ્લેન્ડથી ભણીને નવા નવા રાજકારણમાં પ્રવેશ્યા હતા.કિસાનોની સમસ્યાઓ બાબતે અને એ માટે એમણે કેવી રીતે મદદ કરી હતી એનો ઉલ્લેખ નેહરુએ પોતાની આત્મકથામાં વર્ણન કર્યું છે-એ ટૂંકમાં જોઈએ.

“અલ્હાબાદના… આ સમય દરમિયાન હું કિસાન હિલચાલમાં સંડોવાયો.આ સંબંધ પાછળના વર્ષોમાં વધ્યો અને મારી માનસિક વૃત્તિ ઉપર એની બહુ અસર થઈ…..૧૯૨૦ના જૂન મહિનાના આરંભમાં કિસાનો પરતાપગઢ જિલ્લાનાં ગામડાઓમાંથી અલ્હાબાદ ૫૦ માઈલ ચાલતા આવ્યા,એવા હેતુથી કે ત્યાંના જાણીતા કાર્યકર્તાઓનું ધ્યાન તેમની દયાજનક સ્થિતિ તરફ ખેંચાય…..કેટલાક મિત્રોને લઈને હું તેમને મળવા ગયો.તાલુકદારોના પીસી નાખે એવા કરોની અને અમાનુષ વર્તનની તેમણે અમને વાતો કરી અને જણાવ્યું કે,સ્થિતિ હવે સાવ અસહ્ય થઈ ગઈ છે.તેમણે અમને વીનવીને એમ પણ કહ્યું કે,અમારી સાથે ચાલો અને તપાસ કરો અને તાલુકદારોના રોષથી અમને બચાવો….એક બે દિવસમાં મેં તેમને ત્યાં જવાનું વચન આપ્યું.

કેટલાક સાથીઓને લઈને હું ત્યાં ગયો અને રેલવે કે પાકી સડકથી બહુ દૂરનાં ગામડાઓમાં અમે ત્રણ દિવસ કાઢ્યા.આ મુલાકાતથી મારી આંખ ઊઘડી ગઈ.તમામ ગામડાઓમાં ઉત્સાહનો પાર ન હતો અને તેમનામાં કંઇક વીજળિક ચેતન આવ્યું હતું…..”

પછી આસપાસના ગામડાઓમાંથી જનમેદની એમને મળવા આવે છે –એમનામાં ઉત્સાહ જાગે છે અને નવી આશાનો સંચાર થાય છે –એનું વર્ણન કરે છે.પછી આગળ લખે છે –

“….. તેમણે અમને પ્રેમથી નવરાવ્યા..કળિયુગમાંથી સતયુગ તરફ તેમને લઇ જનારા ભોમિયા હોઈએ તેમ પ્રેમાળ અને આશાભરી આંખે તેઓ અમને જોઈ રહ્યા.તેમનું દુઃખ અને તેમની ઊભરાતી કૃતજ્ઞતા જોઇને મારી શરમ અને દુઃખનો પાર ન રહ્યો-શરમ મારા એશઆરામી અને નચિંત જીવન માટે તેમજ આપણા આ અર્ધનગ્ન લાખો ભાંડુઓના દુઃખનો વિચાર કર્યા વિના ચાલતાં આપણા રાજકાજ માટે;દુઃખ હિંદુસ્તાનની આ અધોગતિ અને ભયાનક દારિદ્ર માટે.મારી આંખ ઊઘડી અને ભારતમાતાનું નવું ચિત્ર મારી આગળ ખૂલવા લાગ્યું – વસ્ત્રહીન,અન્ન્હીન,દલિત અને અત્યંત પીડિત ભારતમાતાનું…

તેમના દુઃખની અસંખ્ય કહાણી –તેમના ઉપર લદાતા જતા કચરી નાંખતા ગણોતના બોજા;અનેક પ્રકારના બેકાયદા કરો;જમીન ઉપરથી અને માટીનાં ઝુંપડામાંથી નીકળવાની નોટિસો અને માર;તેમની ઉપર ગીધની માફક ચોમેરથી તૂટી પડતા જમીનદારના ગુમાસ્તાઓ,વ્યાજખાઉ નાણા ધીરનારાઓ અને પોલીસ;આખો દિવસ મજૂરી કરવાને અંતે તેમણે પેદા કરેલું જાય બીજાના પેટમાં અને તેમના પોતાના કપાળમાં લાત અને ગાળો અને ભૂખમરો-આ બધી કહાણી મેં સાંભળી.ત્યાં હાજર રહેનારાઓમાંના ઘણાઓ તો એવા હતા કે જેમને જમીનદારોએ જમીન ઉપરથી કાઢ્યા હતા,જેમની પાસે ન રહેવાનું ઘર હતું ન સીમમાં ખેતર હતું.જમીન ફળદ્રુપ પણ તેનીઉપર કરનો બોજો ભયાનક,ખેતરો અતિશય નાનાં અને તેમાં પણ અનેક ભાગીદારો.આ જમીનની ભૂખનો લાભ લઈને જમીનદારો અનેક લાગત લગાન (બેકાયદા કરો) નાંખીને તેમને ચૂસતા ,કારણ કાયદા પ્રમાણે અમૂક ગણોતથી વધારે તેઓ લઇ શકતા નહોતા.ખેડ્નારની પાસે બીજો કોઈ ઉપાય નહોતો એટલે શાહુકારની પાસે નાણા વ્યાજે લેતો જાય,અને જમીનદારને ભરતો જાય,અને પછી કરજ ન ભરી શકે અને મહેસૂલ ન દઈ શકે એટલે જમીન ખુએ,ઘર ખુએ,ઢોરઢાંખર ખુએ અને નાગો ભૂખ્યો થઈને બેસે.”

આ અહેવાલ વાંચીને લાગે છે કે ૧૦૦ વર્ષ પહેલાં પણ ખેડૂતોની સ્થિતિ તો આજના જેવી જ હતી.એમને લૂંટનારા લોકોના રૂપ બદલાયા છે પણ સમસ્યાઓ તો એ જ છે.

નેહરુ એ પછી રામચંદ્ર નામના ખેડૂત આગેવાનની વાત કરે છે કે એણે અયોધ્યા અને એની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં કેવી રીતે જાગૃતિ લાવી હતી.

“આ પરિસ્થિતિમાંથી ખેડૂતોની મોટી હિલચાલનો ભારે ભડકો સળગે એમાં શી નવાઈ?નવાઈ તો મને એ હતી કે શહેરમાંથી કશી મદદ વિના કે રાજદ્વારી પુરુષોના કે બીજા કાર્યકર્તાઓના એમાં ભાગ લીધા વિના આખી હિલચાલ આપોઆપ ઊભી થઈ.મહાસભાથી એ સાવ સ્વતંત્ર હતી,અને અસહકારની સાથે એને કશો સંબંધ ન હતો…આ કિસાન હિલચાલ વિષે શહેરોમાં કશી જ ખબર નહોતી એથી વળી મને વધારે આશ્ચર્ય થયું.છાપાઓમાં એને વિષે એક લીટી પણ નહોતી આવતી;તમને ખેડૂતોની અને ગામડાંઓની કશી પરવા નહોતી.આપણે જનસમૂહ થી કેટલા અલગ રહેતા હતા અને આપણા બનાવેલા સંકુચિત જગતમાં જ રહીને કામ કરતા હતા એ સત્ય વિષે મારી આંખ અપૂર્વ રીતે ઉઘડી ગઈ.”

એ વખતે ટીવી નહોતા તેથી ન્યુઝ ચેનલો પણ ન હતી.પ્રિન્ટ મીડિયા હતું. એ વખતે પણ મોટા ભાગના અખબારો ને ખેડૂતોની કોઈ પરવા નહોતી –એ આશ્ચર્ય જનક લાગે છે.આજનું ગોદી મીડિયા એ સમયના પ્રિન્ટ મિડીયાથી ક્યાં અલગ છે?એક બે ચેનલોને બાદ કરતા આજનું માસ મીડિયા કિસાનોની સમસ્યાઓ,એમની લડત ,એમની યાતનાઓ-હદ તો એ છે કે ૫૮ ખેડૂતો માર્યા ગયા એમના માટે પણ કોઈ સહાનૂભૂતિ નથી બતાવી.સરકાર અને મીડિયાની આવી નિષ્ઠૂરતા ભારતના ઇતિહાસમાં કદાચ જ જોવામાં આવી હશે!.

એ પછી નેહરુએ ખેડૂતોની સાથે ખાતાં ,તેમનાં માટીનાં ઝુંપડામાં રહેતા,કલાકોના કલાક સુધી તેમની વાતો કરતા અને અનેક નાની મોટી સભાઓ આગળ ભાષણ આપતા એક ગામથી બીજા ગામ ભટકતા – એ બધી બાબતોનું વર્ણન કર્યું છે.નેહરુ ખેડૂતોની સામે બોલતા ગભરાતા હતા,પરંતુ પોતાની વાત મક્કમતાથી કહેતા –અને એ રીતે એમની વકતૃત્વ કળા ખીલી એવું સ્વીકારે છે.૧૯૨૧મા બારે માસ એમણે ગામડાઓની મુલાકાત ચાલુ રાખી હતી.એ પછી અસહકારનું આંદોલન વેગ પકડતા એમનું કાર્યક્ષેત્ર વધ્યું અને એમની જવાબદારીઓ પણ વધી,પરંતુ તેઓ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા.

કિસાનોની સમસ્યાઓની તલસ્પર્શી જાણકારી નેહરુને હતી એટલે જ  દેશના પ્રથમ વડાપ્રધાન બનતા એમણે કૃષિ અને કિસાનો માટે ઘણા પગલાં લીધા હતાં.

૧૯૪૭મા દેશ આઝાદ થયો ત્યારે ૮૦% થી વધુ વસ્તી ગામડાઓમાં વસ્તી હતી અને મુખ્યત્વે ખેતી પર નભતી હતી.કૃષિ ઉપજ બહુ ઓછી હતી-માત્ર ૫ કરોડ ટન.પાક નો બધો આધાર વરસાદ પર રહેતો.વરસાદ સારું થાય તો અનાજ ઉગે-જો દુકાળ પડે તો કશું ન થાય.દેશના કેટલાક પ્રદેશોમાં મધ્ય યુગની સામંતશાહી પ્રથા હજી ચલણમાં હતી.સાધનો ટાંચા હતા.વીજળી નહોતી.નહેરો નું નેટવર્ક ખૂબ માર્યાદિત હતું.ઉપરથી ૧૯૪૩મા પડેલા દુકાળે ૩૦ લાખ લોકોને ભરખી લીધા હતા.દેશની સ્વતંત્રતા વખતે પડેલા ભાગલાને લીધે નિરાશ્રીતો ની સમસ્યા પણ હતી,અનાજ ઓછું હતું,ફુગાવો વધારે હતો.સ્વાભાવિક રીતે જ પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને નવા જોરથી ઊભી કરવાનો મોટો પડકાર હતો.

રશિયાથી પ્રભાવિત નેહરુએ રશિયાની જેમજ પંચવર્ષીય યોજનાઓ લાગુ પાડી. ૨૩૭૮ કરોડના કુલ બજેટની પ્રથમ પંચવર્ષીય યોજના ૧૯૫૧મા લાગુ થઇ.આ યોજનામાં કૃષિ અને કૃષિકારોને પ્રાથમિકતા આપતા સરકારે કૃષિ,સિંચાઈ,ઉર્જા અને ભૂ-વિહીન ખેડૂતોના સ્થાપન માટે કુલ બજેટના ૪૮.૭૦ % રકમ ફાળવી હતી.પાણી છે તો ખેતી છે-પાણી છે તો જીવન છે એ વાત સારી રીતે સમજતા નેહરુએ પાણીના સંગ્રહ માટે ભાખરા નાગલ ,હીરાકુંડ,અને નાગાર્જુન સાગર જેવા મોટા બંધો બંધાવ્યા.કૃષિ ઉત્પાદન વધારવા રીસર્ચ સેન્ટર જરૂરી હોય છે.નેહરુ સરકારે ૧૯૫૪મા ખડગપુર IITમાં કૃષિ ઈજનેરી વિભાગ અને પંતનગર,લુધિયાના ,જબલપુર,ઉદેપુર અને કોઇમ્બતુર માં કૃષિ ઈજનેરી કોલેજોની સ્થાપના કરી.પરિણામે પ્રથમ પંચવર્ષીય યોજનામાં અન્ન ઉત્પાદનમાં ૧૭% નો અને બીજી પંચવર્ષીય યોજનામાં ૧૬% નો વધારો થયો.૧૯૬૪મા પાકના લઘુત્તમ ટેકાના ભાવની પદ્ધતિ લાગુ કરી.

આ હતું નેહરુનું વિઝન અને ખેડૂતો માટેના કાર્યો.

(Published on Yuvasaathi)