આ બ્લૉગ શોધો

28 જાન્યુઆરી, 2021

જયારે જેનેટ કૂકે પુલિત્ઝર પુરસ્કાર પાછુ આપ્યું..............

 

૧૯૮૦ માં 'વોશીન્ગ્ટન પોસ્ટ' જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા અખબારમાં એક ૨૫ વર્ષીય અશ્વેત પત્રકાર યુવતીએ પ્રવેશ કર્યો ત્યારે સ્ટાફમાંથી ઘણાની નજર એની ઉપર પડી હતી.કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું.વોશીન્ગ્ટન પોસ્ટમાં કામ કરવું એટલે ખૂબ પ્રતીષ્ઠાજનક ગણાતું.ટોલેડો બ્લેડમાં પત્રકાર તરીકે કામ કરતી જેનેટ કૂકનું સીવી પોસ્ટના પ્રસિદ્ધ એક્ઝીક્યુટીવ એડીટર બેન બ્રેડલી ની નજરમાંથી પસાર થયું તો એમણે તરત પોસ્ટમાં નોકરી માટે બોલાવી લીધી હતી.

અંદાજે નવ મહિના પછી ,૨૮ સપ્ટેમ્બર ,૧૯૮૦ ના દિવસે જેનેટ કૂકે લખેલ સ્ટોરી “જીમ્મીસ વર્લ્ડ” પોસ્ટના પ્રથમ પાને પ્રસિદ્ધ થઇ.હેરોઈનનો બંધાણી ,૮ વર્ષીય બાળક-જીમ્મીની સ્ટોરીએ હલચલ મચાવી દીધી હતી.એક બાળકને એની માતાનો પ્રેમી ડ્રગ્સ આપતો હતો.આખા અમેરિકામાં આ વાત વાઈરલ થઇ ગઈ હતી.વોશીન્ગ્ટન ના મેયર ,હેલ્થ ઓફિસરો અને પોલીસ આ બાળકને શોધી એના માતાપિતા વિરુધ કેસ ચલાવી જેલમાં ધકેલી દેવા માંગતા હતા.પરંતુ વોશીન્ગ્ટન પોસ્ટ પ્રાઈવસી ના અધિકારની રુએ બાળકનું સરનામું આપવા માગતું નહતું.અર્થાત પોતાના પત્રકારે કરેલી સ્ટોરી માટે પોસ્ટ કૂકની પડખે ઉભું રહ્યું.આ માટે પોસ્ટ ની આલોચના પણ કરવામાં આવી.પત્રકારોને એની જોરદાર શૈલી અને લખાણ તથા સામાજિક અસરને  કારણે  બ્લોક બસ્ટર સ્ટોરી લાગી રહી હતી,તો લોકો ને બાળક ઉપર દયા આવી રહી હતી,બાળકને એમની જરૂરિયાત લાગી રહી હતી, તો કેટલાક સામાજિક કાર્યકર્તાઓને અશ્વેત લોકોના જીવનની કઠોર વાસ્તવિકતા લાગી રહી હતી.

૧૩ એપ્રિલ ૧૯૮૧ ના દિવસે કૂક ને પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો.પત્રકારત્વમાં કોઈ આફ્રિકન-અમેરિકન (અશ્વેત) વ્યક્તિએ આ પુરસ્કાર જીત્યું હોય એ ઇતિહાસની પહેલી ઘટના હતી.

પોતાના ભૂતપૂર્વ પત્રકારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો એ ગૌરવની વાત હતી એટલે “ ધી ટોલેડો બ્લેડ”  કૂક વિષે સ્ટોરી છાપવા માંગતું હતું. પોતાના કર્મચારીઓના બાયોડેટા મુજબ એ કૂક વિષે લખવા માંગતા હતા.પરંતુ જયારે એસોસિએટેડ પ્રેસ ના વાયર પર પુલિત્ઝર પુરસ્કાર વિજેતાઓનો જીવનચરિત્રો તપાસતા કૂકના બાયો ડેટા માં  વિસંગતતાઓ જણાઈ.કૂકે વાયરને આપેલ માહિતી મુજબ તેણીએ ખૂબ સારા ગ્રેડથી વસાર કોલેજમાંથી સ્નાતક કર્યું હતું અને ટોલેડો યુનિ.માંથી માસ્ટર ડીગ્રી મેળવી હતી.જયારે બ્લેડના રેકોર્ડ મુજબ તેણીએ વસ્સાર કોલેજમાં એક વર્ષ ગાળી ટોલેડો યુનિ.માંથી માત્ર બેચલર ઓફ આર્ટસ માં સ્નાતક કર્યું હતું.બ્લેડના સંપાદકે વાયરને આ વાત જણાવી દીધી.

બપોર સુધીમાં વસ્સાર કોલેજ અને ટોલેડો યુનિ.માં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી.લગભગ ૧૦ કલાક સુધી પોસ્ટના સંપાદકો કૂકની પૂછપરછ કરતા રહ્યા અને બીજી બાજુ એના બે ઉપસંપાદકો જીમ્મીનું ઘર શોધતા રહ્યા.  

આખરે ,રાત્રે પોણા બે વાગે કૂક ભાંગી પડી અને સ્વીકાર્યું કે “ જીમ્મી નામનો કોઈ છોકરો નથી,નથી એનું કોઈ કુટુંબ...મેજ આખી કાલ્પનિક વાર્તા ઘડી નાખી હતી.હું પુરસ્કાર પાછો આપવા માગું છું.”

અપમાનિત અને લજ્જિત પોસ્ટના સંપાદકોએ પુલિત્ઝર પુરસ્કાર પાછું આપ્યું,જે વિલેજ વોઈસ ની ટેરેસા કાર્પેન્ટર ને આપવામાં આવ્યું.

માત્ર બે દિવસ પછી કૂકે વોશીન્ગ્ટન પોસ્ટમાંથી રાજીનામું આપ્યું.આ રીતે એક હોનહાર પત્રકારની કારકિર્દીનો અંત આવી ગયો.

 આ ઘટના પછી અમેરિકન પત્રકારવ્ત્વમાં ઘણું બધું બદલાઈ ગયું.પોસ્ટે પોતાના નિયમો વધુ કડક બનાવ્યા.કોઈ સંદર્ભ કે સ્રોત વિના સ્ટોરી છાપવામાં વધારે ધ્યાન આપવું એવો વણલખ્યો નિયમ કરી દીધો.માત્ર અમેરિકા જ નહિ યુરોપના ઘણા બધા અખબારો એ પણ પોતાની પોલીસીમાં ફેરફાર કર્યો.

જેનેટ કૂક અખબારી દુનિયા છોડી ફ્રાન્સના કોઈ નાનકડા શહેરમાં વસવા ચાલી ગયી હતી.૧૯૯૬મા અચાનક જાહેરમાં આવી.પોસ્ટમાં પોતાના જુનિયર અને પછી પ્રેમી પત્રકાર માઈક સેજર સમક્ષ પ્રગટ થઇ દુનિયા સમક્ષ પોતાની વાતો રજૂ કરી.એમાં એની ગ્લાનિ જ ઝલકતી રહી.

જેનેટ કૂક કઈ પહેલી પત્રકાર નહોતી જેણે ખોટું કર્યું હતું.બીજા ઘણા બધા અમેરિકન અને યુરોપીય પત્રકારોએ આવું ખોટું કર્યું હતું,પરંતુ એમના નામ છાપરે ચઢ્યા નહિ,કદાચ એટલા માટે કે તેઓ ગોરી ત્વચા વાળા હતા.

આ ઘટના જૂની હોવા છતાય આજના સમયમાં ઉપયુક્ત છે.આજથી ૩૮ વર્ષ પહેલા વોશીન્ગ્ટન પોસ્ટ જેવા અખબારો સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખતા નહોતા.જેનેટ કૂકે પોતાની ભૂલ સ્વીકારી પુરસ્કાર પાછો આપ્યો.પરંતુ આજે આજે આપણા દેશમાં જોઈએ છીએ કે  કેટલાક પત્રકારો પોતાનું અંત:કરણ વેચી “પત્તર-કારિતા“ કરી રહ્યા છે. કોઈ એક રાજકીય પક્ષના હિતમાં સમાચારોને તોડી મરોડી ને રજૂ કરવામાં આવે છે.ગરીબી,બેકારી,બેરોજગારી,સમાજમાં વધતું વૈમનસ્ય,જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ એના બદલે ક્ષુલ્લક બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે.એક ફિલ્મી હીરોએ આત્મ હત્યા કરી,એની પ્રેમિકાને એના મોત માટે જવાબદાર છે એવું ચિત્ર મીડીયાએ લોકમાનસમાં ઠસાવી દીધું.એમાંથી વાત ડ્રગ્સ પર પહોંચી ગઈ.અને કયા ફિલ્મી સિતારાઓ ડ્રગ્સના બંધાણી છે એની ચર્ચાઓ થવા લાગી.એમાં અસલ મુદ્દો તો ભુલાવી દેવામાં આવ્યો.સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાનો હોબાળો એટલા માટે કરવામાં આવ્યો કે એ મૂળ બિહારનો હતો,અને બિહારમાં ચૂંટણીઓ આવી રહી હતી.હવે જોકે બિહારના પરિણામો પણ આવી ગયા છે અને ભાજપ ની આગેવાનીમાં એનડીએ એ બહુમતિ મેળવી છે એટલે એની સરકાર બનવાની.સુશાંતે ‘કેદારનાથ’ ફિલ્મ માં મુસ્લિમનું પાત્ર ભજવ્યું ત્યારે આજ ભાજપના સમર્થકોએ એનો વિરોધ કર્યો હતો અને જયારે ચૂંટણી આવી ત્યારે એજ વિરોધીઓ સુશાંતના સમર્થનમાં આવી ગયા હતા.જયારે કોઈ મુદ્દો ન હોય ત્યારે કેવા મુદ્દા ઊભા કરવા એ કોઈએ ભાજપ પાસેથી શીખવું જોઈએ!અને આ મુદ્દાઓને ચગાવતા રહેવું એ આપણા મીડિયા પાસેથી કોઈ શીખે! કોઈ એક પક્ષની તરફેણ કરનાર આપણા ભારતીય મીડિયાને કેટલાક લોકો ‘ગોદી મીડિયા’ તરીકે યોગ્ય રીતે જ ઓળખે છે.આ ગોદી મીડિયા સમાજને માહિતી,મનોરંજન અને શિક્ષણ પૂરું પાડવાની પોતાની ફરજથી વિમુખ થઇ રહ્યો છે.પ્રશ્ન ઉદ્ભવે છે કે શું મીડીયાએ તટસ્થ રહેવું જોઈએ? કે કોઈ એક નો પક્ષ લેવો જોઈએ.ઘણા લોકો કહેશે કે મીડીયાએ તટસ્થ રહેવું જોઈએ ,કોઈનો પક્ષ નાં લેવું.જે આજે શાસનમાં છે કાલે ના પણ હોય અને જે આજે વિરોધપક્ષમાં છે એ શાસનમાં પણ હોઈ શકે છે.રાહત ઇન્દોરીએ કહ્યું હતું એમ ‘ આજ જો સાહિબે મસનદ હૈ કલ નહિ હોંગે- કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ.’

પરંતુ કેટલાક લોકો એવું પણ કહેશે કે મીડીયાએ તો એક જ પક્ષ લેવું જોઈએ- પીડિતોનું.કેમકે પીડિતોનું દર્દ મીડિયા નહિ જણાવે તો કોણ જણાવશે?

એક ત્રીજો વર્ગ પણ છે –અને એ મોટો વર્ગ છે – જે કહે છે કે અમે તો એનો જ પક્ષ લઈશું જે અમારી ખાતરદારી કરે-અર્થાત અમને માલમલીદો આપે.અમે અહી સેવા કરવા નથી બેઠા-કમાવવા બેઠા છીએ.અમે લાગણીશીલ થઇ જઈએ તો ધંધો કેવી રીતે ચાલે?એમની વાત પણ સાચી છે.હરીફાઈનો યુગ છે.ધંધાનો યુગ છે.નફો નુકસાન જોવામાં આવે છે-લાગણીઓ નહિ.

આ નિરાશાજનક માહોલમાં રણમાં વીરડી સમાન દિલાસાની એક બાબત પણ છે.એ છે ઈમાનદારીથી પોતાનું પત્રકારત્વ ધર્મ નિભાવી રહેલા કેટલાક પત્રકારો અને મીડિયા હાઉસ.ભલે આંગળીના વેઢે ગણાય એટલા જ છે આ સાચા પત્રકારો.આવા પત્રકારોથી જ પત્રકારત્વ હજી જીવી રહ્યું છે, એ જ આપણા માટે આશ્વાસન ની વાત છે ! એક દીપક બળે એટલે અંધકાર પણ ધ્રુજી ઉઠે છે અને પલાયન કરી જાય છે.

સત્યને પ્રકાશવા માટે એક સાચો પત્રકાર પણ પૂરતો છે.

૧૬મી નવેમ્બર નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવાય છે.બધાજ સાચા અને સારા પત્રકારોને દિલથી સલામ.

 ('નિરીક્ષક' ,ડીસેમ્બર ૨૦૨૦ ના અંકમાં છપાયેલ મારો લેખ )

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો