આ બ્લૉગ શોધો

8 માર્ચ, 2021

વિરોધ કરવાના લોકતાંત્રિક અધિકારો પર તરાપ


 ટીકા ટીપ્પણી વિના સ્વસ્થ લોકશાહીની કલ્પના કરી શકાય નહિ, એટલે જ આલોચનાને લોકશાહીનો આત્મા કહેવામાં આવ્યો છે. આલોચના ન જ માત્ર સરકારને નિરંકુશ થતા અટકાવે છે, પરંતુ એને જવાબદાર, સંવેદનશીલ અને પારદર્શક પણ બનાવે છે. એટલા માટે આલોચનાનું રચનાત્મક હોવું અને સરકારનું  જનતા પ્રત્યે જવાબદાર હોવું ખૂબ જ આવશ્યક છે. દુર્ભાગ્યવશ ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં પાછલા કેટલાક વરસોમાં ટીકા અને વિરોધના અધિકારોને સીમિત જ નહિ સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બાબત દેશના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવી વર્ગ બહુ સારી રીતે સમજી રહ્યું છે કે મહત્વના મુદ્દાઓ પર સરકારની ટીકા કરનારા ટીકાકારો, લેખકો, પત્રકારો, સમાજ સેવકો, શિક્ષકો, લોકાધિકાર માનવ અધિકાર કાર્યકર્તાઓ, એક્ટીવિસ્ટો અને સંસ્થાઓને દમનનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશની આંતરિક દશા કેટલી ચિંતાજનક છે-એને બ્રિટનમાં રહેતા સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પણ સારી રીતે અનુભવી રહ્યા છે. એક ઇન્ટરવ્યુંમાં એમણે આ સત્ય સ્વીકાર્યું કે લોકોનો અવાજ દબાવવા માટે ભારતમાં મરજી મુજબની રીતો અપનાવવામાં આવી રહી છે.હાવર્ડ યુનીવર્સીટીમાં પ્રોફેસર સેને કહ્યું કે જે વ્યક્તિ સરકારની કડક ટીકા કરે છે અથવા સરકારને જે પસંદ નથી આવી રહ્યું,એને આતંકવાદી ઘોષિત કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે.ભારતમાં અસહમતિ અને ચર્ચાની શક્યતા ઓછી થતી જઈ રહી છે.લોકો પર દેશદ્રોહનો મનમાન્યા આરોપો લગાવી કેસ ચલાવ્યા વિના જ જેલમાં નાખવામાં આવી રહ્યાં છે.

વિચારણીય બાબત આ છે કે પાછલા કેટલાક વરસોમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ સીએએ, એનઆરસી, એનપીઆર, કૃષિ સુધારા જેવા વિવાદિત કાયદાઓ અને નોટબંધી, જીએસટી તથા કોરોનાના કારણે લોકડાઉન જેવા નિર્ણયો વિરુધ જનાંદોલન,વિરોધ,ટીકા અને મતભેદોનું વર્તુળ વધ્યું છે. બીજી બાજુ જનતાનો અવાજ સાંભળવાની જગ્યાએ,આ આંદોલનોને દબાવવા ,કચડી નાખવા,બદનામ કરવા અને એમની વિરુધ અરાજક તત્વોને ખુલ્લી છૂટ આપવા માટે ઘણા સ્તરો પર સરકારની કડક આલોચના પણ થઇ છે.વિરોધના સૂરને દાબી દેવા માટે સરકાર તરફથી કરવામાં આવતા અયોગ્ય બળપ્રયોગને માનવ અધિકારોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યા છે.દેશની અંદર અને બહાર વૈશ્વિક સ્તરે અને બુદ્ધિજીવીઓ,માનવ અધિકારવાદી સંગઠનો તરફથી વર્તમાન દશા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આની ગુંજ સંસદમાં પણ ત્યારે સંભળાઈ જયારે અમરોહાના બસપા સાંસદ કુંવર દાનીશઅલીએ આ મામલાને ઉઠાવતા કહ્યું હતું કે સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુધ શાંતિપૂર્ણ આંદોલન કરનારા જેએનયુ  અને જામીયાના આંદોલનકારીઓ વિરુધ યુએપીએ જેવા ગંભીર કાયદાનો ઉપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે.સંસદનું કાર્ય કાનૂન બનાવવું છે, જો સામાન્ય જનતા એનાથી સંતુષ્ટ નથી તો આંદોલન કરવું એનો અધિકાર છે.એમણે કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં થનારા પ્રદર્શનનો સંદર્ભ આપતા કહ્યું કે કિસાનો માર્ગો પર છે અને તેઓ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.આંદોલનકારી કિસાનોને પણ દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે.

એમણે આરોપ લગાવ્યો કે આંદોલનકારી વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. પ્રો.અપૂર્વાનંદ જેવી વ્યક્તિને પણ દિલ્હી પોલીસનું સ્પેશ્યલ સેલ પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરે છે.પોલીસ જાણીજોઈને ચાર્જશીટ ફાઈલ કરવામાં વિલંબ કરે છે,જેથી આંદોલનકારીઓને વધુમાં વધુ દિવસો સુધી વિના ટ્રાયલે જેલમાં ગોંધી રાખી શકાય ,કેમકે પોલીસને ખબર છે કે પોતાની પાસે એમની વિરુધ કોઈ પુરાવા નથી.ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા સીએએ કાનૂન વિરુધ સંવિધાનિક અધિકાર હેઠળ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગેન્ગસ્ટર એક્ટ,ગુંડા એક્ટ, રાસુકા અને તડીપાર જેવા કડક કાયદાઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકારે આલોચકો અને વિરોધીઓની સંપત્તિ જપ્ત કરી,એમના પોસ્ટર લગાવડાવ્યા.લોકઅધિકારો માટે કામ કરતી સંસ્થા ‘રિહાઈ મંચ’, એના અધ્યક્ષ એડવોકેટ શોએબ દારાપુરી સહીત ઘણા બુદ્ધિજીવીઓનો અવાજ કચડી નાખવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવી.કેટલાક લોકોને નજરકેદ કરવામાં આવ્યા તો કેટલાકને જેલમાં મોકલવામાં આવ્યા.

જેએનયુ હોસ્ટેલમાં પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવવાની સજા આપવામાં આવી.કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસીને વિદ્યાર્થીઓને માર્યા અને તોડફોડ ની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ .એવી જ રીતે દિલ્હીમાં સીએએ વિરોધી આંદોલનોને નિશાન બનાવી હિંસા આચરવામાં આવી.સીએએ વિરોધી આંદોલન દરમ્યાન શાહીનબાગને બદનામ કરવા માટે સત્તાધારી પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ ‘ગોલી મારો’ના નારા લગાવ્યા, અને પછી કપિલ ગુર્જર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો.કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા હિંસા ભડકાવનારા નેતાઓ અને  હિંસા આચરનારા ઉપદ્રવીઓના કાર્યોની વિડીઓ ઉપલબ્ધ છે.જામિયા મિલિયા ઇસ્લામિયા યુનીવર્સીટીના કેમ્પસ અને પુસ્તકાલયમાં તંત્રની અનુમતિ વિના પ્રવેશી પોલીસે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને માર્યા,કેટલાકના હાથપગ ભાંગી ગયા.આના પણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.

આખું વર્ષ વીતી ગયું,ઘણા પીડિતોને ઝૂઠા આરોપો હેઠળ જેલમાં નાખવામાં આવ્યા,પરંતુ કોઈ પણ દોષી વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.આ વાત સર્વવિદિત છે કે આ બધા મામલાઓ ,હિંસા અને ગોલી મારોના નારા વિરોધના અધિકારો અને વિરોધના સૂર દબાવી દેવા માટે કરવામાં આવ્યા હતા.આ બધા વિરોધ કરવાવાળાઓને દેશદ્રોહી ,પાકિસ્તાની,નક્સલી,અને ચીનપ્રેમીઓ કહેવામાં આવ્યા.જોકે લોકશાહી સરકાર અને લોક્પ્રતિનીધીઓનો વ્યવહાર જનતાથી સંવાદ સાધી એમની સમસ્યાઓને સાંભળવી અને નિરાકરણ કરવાનું હોવું જોઈએ, ના કે જીદ કરવી અને અનાવશ્યક બળ પ્રયોગ કરવું-જેવું પાછલી સરકારો કરતી આવી છે.

આ ઉપરાંત આંદોલનકારીઓ,સમાજસેવકો, છાત્ર નેતાઓ અને બુદ્ધિજીવીઓ ને જેલમાં નાખી એમના પર ટોર્ચર કરવામાં આવે છે. ઉમર ખાલીદે એક કોર્ટની હાજરી દરમ્યાન જણાવ્યું કે કેટલાક દિવસથી એના દાંતમાં દર્દ છે,પરંતુ એનો ઈલાજ કરવામાં નથી આવી રહ્યો.સાથે જ એણે એમ પણ કહ્યું કે ચાર્જશીટની કોપી મીડિયામાં લીક કરવામાં આવી રહી છે,પણ એને એની નકલ આપવામાં નથી આવી રહી, તેથી પોતાના પર લાગેલા પોલીસના આક્ષેપોને એ જાણી શક્યો નથી.દિલ્હી પોલીસે ડીસેમ્બરના અંતમાં ઉમર ખાલીદ વિરુધ ૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં એના પર દેશ વિરોધી ભાષણ આપવા,રમખાણો ભડકાવવા અને એનું ષડ્યંત્ર રચવા જેવા કેટલાય ગંભીર આરોપોમાં કલમો લગાવવામાં આવી હતી.પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે ૮ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે શાહીન બાગમાં ઉમર ખાલીદ,ખાલીદ સૈફી અને તાહિર હુસેને મળીને દિલ્હી રમખાણોની યોજના બનાવવા માટે મીટીંગ કરી હતી.આ દરમ્યાન ઉમર ખાલીદે મધ્ય પ્રદેશ,રાજસ્થાન,બિહાર,મહારાષ્ટ્રમાં ભાગ લીધો હતો અને ભડકાઉ ભાષણો આપ્યા અને લોકોને ઉશ્કેર્યા હતા.

સફૂરા ઝરગરને દિલ્હી રમખાણોમાં આરોપી બનાવી ૭૪ દિવસો સુધી તિહાર જેલમાં રાખવામાં આવી.એ પણ ત્યારે જયારે એ ગર્ભવતી હતી.દેશ વિદેશમાંથી એના માટે સરકાર પર ઘણો દબાવ આવ્યો.અહી સુધી કે સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આને માનવ અધિકારનો ઉલ્લંઘન બતાવતા કહ્યું કે એક ગર્ભવતી સ્ત્રીને તમે જેલમાં કેવી રીતે ગોંધી રાખી શકો? ત્યારબાદ એને જામીન પર છોડવામાં આવી.છુટ્યા પછી એનું કહેવું હતું કે પોલીસે એને પાયાની સુવિધાઓ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.એનો જરૂરી સામાન પણ જેલમાં લઇ જવા દેવાની પરવાનગી ન હતી.ચાલીસ દિવસો સુધી એને ઘરે ફોન કરવા દેવામાં નહોતું આવ્યું.ન જ એને કોઈનાથી મળવા દેવામાં આવતી હતી.તેથી કેટલાક સામાન માટે એને બીજા કેદીઓ પર નિર્ભર રહેવું પડતું.આ દરમ્યાન એના સાથી કેદીઓએ એને ચપ્પલ,આંતર વસ્ત્રો અને કામળો આપ્યો.કોર્ટમાં યાચિકા નાખવામાં આવી ત્યારે એને પાંચ જોડી કપડા લેવાની મંજુરી આપવામાં આવી!

વિરોધનો અવાજ કચડી નાખવા માટે કલબુર્ગી,પનસરે અને ગૌરી લંકેશ ની હત્યા કરી દેવામાં આવી.૨૦૧૮માં ભીમા કોરેગાંવમાં હિંસક ઝડપો થઇ હતી –એને આધાર બનાવી ૧૬ સમાજ સેવકો,કવિઓ અને વકીલોની ધરપકડ કરવામાં આવી.એમના ઉપર પણ દેશદ્રોહ સંબંધી આરોપો લગાવવામાં આવ્યા.આનંદ તેલતુંમ્બ્ડે,માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા,કવિ વરવર રાવ,સ્ટેન સ્વામી.સુધા ભારદ્વાજ,અરુણ ફરેરા ,વર્નોન ગોન્જાલ્વીસ જેવી દેશની મોટી હસ્તીઓને જેલમાં નાખવામાં આવી.

એમના સંબંધીઓનું પણ કહેવું છે કે એમની સાથે જેલમાં અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં બેંગ્લોરની એક ૨૨ વર્ષીય પર્યાવરણ એક્ટીવીસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે ધરપકડ કરી.એનાં પર આરોપ છે કે કિસાન આન્દોલનમાં એક ટૂલ કીટમાં ઓનલાઈન ફેરફાર કર્યો હતો.એ જ ટૂલ કીટની કોપીને વિશ્વની પ્રસિદ્ધ પર્યાવરણ એક્ટીવીસ્ટ ગ્રેટા થન્બર્ગે શેર કરી હતી.દિશા રવિ પર દેશદ્રોહનો આરોપ લગાવવમાં આવ્યો છે.આ લખાય છે ત્યારે દિશાને એક લાખના જામીન  પર મુક્તિ મળી ગઈ છે,પરંતુ એના વકીલનું કહેવું છે કે એક લાખ રૂપિયાનું બોન્ડ આપી શકે એમ નથી.

આ બધી ઘટનાઓ આ દર્શાવવા માટે પુરતી છે કે દેશની લોકશાહી બીમાર છે અને સંવિધાનિક સંસ્થાઓ પંગુ બની ચુકી છે.લોકશાહી અધિકારોને માચડે ચઢાવી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.વિરોધના સૂર દબાવવા માટે સામ,દામ,દંડ,ભેદની બધી યુક્તિઓ કામે લગાડવામાં આવી રહી છે.બુદ્ધિજીવીઓ અને કાર્યકર્તાઓ જેલમાં છે અને વાસ્તવમાં રમખાણો ભડકાવનારા ગુંડાઓ આઝાદીથી મહાલે છે.શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સામાજિક કાર્યકર્તાઓને દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવી યોગ્ય નથી.લોકશાહીમાં બધી જ જાતના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )

ફિંગર પ્રિન્ટ ક્ષેત્રે બે ભારતીયોનું યોગદાન

 ફિંગર પ્રિન્ટ અર્થાત આંગળીઓની છાપની મદદથી આરોપીઓને ગુનેગાર સાબિત કરી શકાય છે. આજે ફોરેન્સિક સાયન્સમાં આરોપીઓને ગુનેગાર સાબિત કરવા માટે ફેસ રેકોગ્નીશન , આંખના પટલ અને ડીએનએ પ્રોફાઈલિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પરંતુ ફિંગર પ્રિન્ટ આજે પણ એટલી જ ઉપયોગી પદ્ધતિ છે. એનું કારણ પણ છે. દરેક માણસની આંગળીઓની છાપ ‘અજાેડ’ હોય છે. એટલે કે કોઈ પણ બે માણસોની આંગળીઓની છાપ એક સરખી હોતી નથી. જાેડીયા બાળકોની પણ નહિ. બીજું એ કે જન્મથી લઈ મૃત્યુ સુધી આંગળીઓની છાપ બદલાતી નથી એટલે કે કાયમી હોય છે. કાપો પડવાથી, ઘસાવવાથી કે આગમાં બળી જવાથી પણ તે નાશ પામતી નથી કે બદલાતી નથી. હોલીવૂડ તથા બોલીવુડ ફિલ્મોમાં બતાવે છે એ મુજબ કોઈ બીજાની આંગળીના છાપની રબર પ્રિન્ટ પહેરી ગુનો આચરવામાં આવે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આ કાર્ય મુશ્કેલ છે અને આ રીતે જાેવામાં આવે તો પણ ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર અને આંગળીઓની છાપોના નિષ્ણાંતો એને પકડી પાડે છે.  આથી કેટલાક ચાલાક ગુનેગારો હાથ મોજાં પહેરીને ગુનો આચરે છે જેથી આંગળીઓની છાપ ઘટના સ્થળે મળે નહિ.

આંગળીઓની છાપ વિશે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિના લોકો પણ માહિતગાર હતાં,એના ઘણાં પુરાવા મળે છે. પ્રાચીન બેબીલોન, પર્શિયા (ઈરાન), રોમ અને ચીનની સંસ્કૃતિમાં ફિંગર પ્રિન્ટનો ઉપયોગ થતો હતો. પ્રાચીન ચીનમાં તો સરકારી અધિકારીઓ મહત્વનાં કાગળોને પણ પોતાની આંગળીની છાપથી પ્રમાણિત કરતા હતા. જેમ અત્યારે અધિકારીઓ મત્તું મારે છે કે સહી કરે છે એમ.

આપણા ભારત દેશમાં પ્રાચીન કાળમાં આંગળીની છાપના આધારે આખું ‘નાડી જ્યોતિષ’ વિકસ્યું હતું. કેરળ અને તમિલનાડુમાંથી શરૂ થયેલી આ વિદ્યા દેશના ઘણા ભાગોમાં ફેલાઈ અને આજે પણ ઘણાં જ્યોતિષીઓ પુરુષોનાં જમણાં હાથના અંગૂઠા અને સ્ત્રીઓના ડાબા હાથના અંગૂઠાની છાપના આધારે ભવિષ્ય ભાખે છે.

પ્રાચીન ચીનમાં માત્ર હાથની જ નહિ પરંતુ પગની છાપને પણ ફોરેન્સિક સાયન્સમાં પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતી હતી. ઈ. સ. ૬૫૦ પછી અને ૮૫૧ પહેલા અરબ વેપારી અબુ ઝૈદ હસને નોંધ્યું હતું કે ફિંગર પ્રિન્ટ માણસની આગવી ઓળખ છે. પ્રસિદ્ધ ઈરાની તબીબ રશીદુદ્દીન હમદાની (ઈ. સ. ૧૨૪૭-૧૩૧૮)એ માણસને એની આંગળીઓની છાપની મદદથી ઓળખવાની પદ્ધતિનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ‘કોઈપણ બે માણસની આંગળીઓની છાપ સરખી હોતી નથી’.ફિંગર પ્રિન્ટમાં ચાસ કે કાપા વિશે ઈ. સ. ૧૬૮૪માં ડો. નેહેમિયા ગ્રુએ ઊંડાણ પૂર્વક વિવરણ કર્યું હતું.

આટલા બેકગ્રાઉન્ડ પછી હવે પાછા ભારતમાં ફરીએ. ૧૯ મી સદીના છેલ્લા દાયકાના પ્રારંભે એડવર્ડ હેનરીની બંગાળ પોલીસના આઇજી તરીકે નિયુક્તિ થઈ. ગુનેગારોને ફિંગર પ્રિન્ટના આધારે પકડી શકાય એમાં મદદ કરવા માટે ઇંગ્લેન્ડમાં ચાર્લ્સ ડાર્વિનના નજીકના સંબંધી ફ્રાન્સિસ ગેલ્ટન સાથે હેનરીએ પત્ર વ્યવહાર કર્યો હતો. ફ્રાન્સિસ ગેલ્ટને ફિંગર પ્રિન્ટ વિશે થોડું સંશોધન કર્યું હતું અને પોતાની રીતે એનું વર્ગીકરણ કર્યું હતું. આની પહેલા ફ્રેન્ચ પોલીસ ઓફિસર આલ્ફોન્સે બર્ટિલોને શોધેલી એન્થ્રોપોમેટ્રી (શરીરના વિવિધ અંગોના માપ) ના આધારે ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ આ પદ્ધતિ બહુ વિશ્વાસપાત્ર નહોતી. કેમ કે માનવ અંગોના માપ સરખા હોઈ શકે. એના દ્વારા અસલી ગુનેગારોને દોષી કેવી રીતે ઠરાવી શકાય? એ દરમ્યાન જ બંગાળ પ્રાંતના આઈસીએસ અધિકારી વિલિયમ હર્ષલે ફિંગર પ્રિન્ટનું મહત્વ સમજી લીધું હતું. અને જુદા જુદા કરારોમાં આંગળીઓની છાપને માણસની પ્રમાણિતતા માટે ઉપયોગ કરતાં હતાં. ફ્રાન્સિસ ગેલ્ટન સાથે હેનરીનો પત્ર વ્યવહાર બહુ લાંબો ન ચાલ્યો. એટલે એમને કોઈ સ્થાનિક વ્યક્તિની જરૂર હતી જે ફિંગર પ્રિન્ટના પ્રોજેક્ટને આગળ વધારી શકે. એમણે એ સમયની કલકત્તાની પ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજના આચાર્યને પત્ર લખી એક સારા આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીને આ પ્રોજેક્ટમાં સહાય માટે મોકલવાની વિનંતી કરી. આચાર્ય એ ગણિત અને વિજ્ઞાનમાં હોશિયાર વિદ્યાર્થી અઝીઝુલ હક(૧૮૨૭-૧૯૩૫)ની ભલામણ કરી. આ રીતે એડવર્ડ હેનરીના ફિંગર પ્રિન્ટ પ્રોજેક્ટમાં હકની એન્ટ્રી બંગાળ પોલીસમાં સબ ઇન્સ્પેકટર તરીકે થઈ.

અઝીઝુલ હકને ફ્રાન્સિસ ગેલ્ટનની ફિંગર પ્રિન્ટ વર્ગીકરણની પ્રક્રિયા કડાકૂટ વાળી લાગતી હતી. એટલે આ પદ્ધતિને વધુ સરળ બનાવવા માટે એક ગાણિતિક સૂત્ર પણ શોધી કાઢ્યું. ૩૨ ઊભા અને ૩૨ આડા ખાનાઓ મળી કુલ ૧૦૨૪ ખાનાઓમાં ગુનેગારોની ફિંગર પ્રિન્ટને સરળતાથી વર્ગીકૃત કરી શકાય એવી પદ્ધતિ હકે શોધી કાઢી. ગુનેગારોની ફિંગર પ્રિન્ટ શોધવા માટે અથવા ઉમેરવા માટે ગેલ્ટનની પદ્ધતિ પ્રમાણે એક કલાક લાગતો હતો, જ્યારે હકની પદ્ધતિ મુજબ આ જ કાર્ય માત્ર પાંચ મિનિટમાં થઈ જતું હતું. ૧૮૯૭ સુધીમાં હકે ૭૦૦૦થી વધુ ફિંગર પ્રિન્ટને વર્ગીકૃત કરી નાખી હતી. હકની આ કામગીરીથી પ્રભાવિત થઈને હેનરીએ સરકારને એક સમિતિ ગઠિત કરવાનું કહ્યું. જેથી આ પદ્ધતિનો સત્તાવાર રીતે ઉપયોગ કરી શકાય. કેમકે કલકત્તામાં એક નોકરે એના માલિકની હત્યા કરી નાંખી હતી. ઘટના સ્થળે એની આંગળીની છાપ મળી હતી. સ્પષ્ટ હતું કે એ વ્યક્તિએ જ ખૂન કર્યું હતું. પરંતુ એ વખતે ફિંગર પ્રિન્ટને પુરાવા તરીકે માન્યતા મળી ન હતી. સમિતિએ ફિંગર પ્રિન્ટને સત્તાવાર માન્યતા મળે એવી ભલામણ કરી હતી. એ ભલામણો સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. આ રીતે વિશ્વનું સૌપ્રથમ ફિંગર પ્રિન્ટ બ્યુરો બંગાળમાં ભારતમાં સ્થપાયું અને આજે વિશ્વના મોટા ભાગનાં દેશો બે ભારતીયોએ શોધેલા વર્ગીકરણનો જ ઉપયોગ કરે છે.

આ કાર્યમાં હેમચંદ્ર બોજે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. બોઝે પણ ગણિત મુખ્ય વિષય સાથે વિજ્ઞાનમાં સનદ મેળવી હતી.૧૮૮૯માં તેઓ બંગાળ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જાેડાયા હતા. અહી એમણે અઝીઝુલ હક સાથે ફિંગર પ્રિન્ટ માટે ટેલીગ્રાફીક કોડ પદ્ધતિની શોધ કરી હતી.

એડવર્ડ હેનરીએ સરકાર સમક્ષ એવી રીતે રજૂઆત કરી કે જાણે આ આખી વર્ગીકરણની પ્રકિયા એમણે એકલાએ જ શોધી હોય.અંગ્રેજ સરકાર દ્વારા બે ભારતીયોએ શોધેલી વર્ગીકરણની આ પદ્ધતિનો શ્રેય એકમાત્ર અંગ્રેજ અધિકારી એડવર્ડ હેનરીને આપી ‘હેનરી ક્લાસિફિકેશન સીસ્ટમ’ નામ આપવામાં આવ્યું. આટલું જ નહિ એડવર્ડ હેનરીને ઇંગ્લેન્ડની સરકારે ‘સર’નો ખિતાબ પણ આપ્યો હતો.

પોતે શોધેલી વર્ગીકરણ પદ્ધતિનો શ્રેય ન મળતાં કેટલાક વર્ષો પછી અઝીઝુલ હકે ભારત સરકારને પોતાના યોગદાનની વાતો જણાવી આ શ્રેય માટે લડત ચલાવી હતી. પ્રસિદ્ધ અખબાર ‘ધી સ્ટેટસમેન’એ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૫ના દિવસે એક લેખમાં ‘મોહમેડન’ સબ ઇન્સ્પેકટર અઝીઝૂલ હકના ફિંગર પ્રિન્ટ વર્ગીકરણ ક્ષેત્રે આપેલા યોગદાન વિશે લખવામાં આવ્યું હતું. બીજા અંગ્રેજ અધિકારીઓએ (દા.ત. બિહાર અને ઓરિસ્સામાં મુખ્ય સચિવ, જે. ડી. સિફ્ટન)એ પણ અઝિઝૂલ હકના યોગદાનને બિરદાવ્યું હતું.

આ બધી બાબતોના પરિણામે ઇંગ્લેન્ડમાં રહેલા એડવર્ડ હેનરી એ ૧૯૨૬માં આખરે સ્વીકાર્યું કે અઝીઝૂલ હકનું ફિંગર પ્રિન્ટ વર્ગીકરણમાં ‘કોઈપણ ભારતીય કરતાં સૌથી મોટું યોગદાન હતું’. ૧૯૩૦માં એમણે રાય બહાદુર (હેમચંદ્ર બોઝ) ના યોગદાનને પણ સ્વીકાર્યું.

અંગ્રેજ સરકારે બંને ભારતીયોના યોગદાનની કદર રૂપે ૧૯૧૩માં અઝિઝૂલ હકને ‘ખાન બહાદુર’ અને હેમચંદ્ર બોઝને ૧૯૨૪માં એના જ સમકક્ષ ‘રાય બહાદુર’નો ખિતાબ આપ્યો હતો. બંનેને માનદ વેતન પાંચ હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતાં.

આ પુરસ્કારની રકમ બહુ મોટી નથી અને એનું મહત્વ પણ નથી. મહત્વનું આ છે કે અઝીઝૂલ હકની લડતથી એમને પોતાને અને બોઝને પણ આ પદ્ધતિ માટેનું શ્રેય આપવામાં આવ્યું. શોઢી અને કોરે  પોતે શોધી કાઢેલા પુરાવાઓના આધારે એમના પુસ્તક ‘ઇન્ડિયન સિવિલાઈઝેશન એન્ડ ધ સાયન્સ ઓફ ફિંગર પ્રિન્ટ’માં સૂચન કર્યું છે કે હેનરીની ફિંગર પ્રિન્ટ વર્ગીકરણની આ પદ્ધતિને ‘હેનરી – હક – બોઝ’ નામ આપવું જાેઈએ. ભારત સરકારે પણ આ માટે પ્રયત્નોે કરવા જાેઈએ જેથી બે ભારતીયોને એમની શોધનો સાચો શ્રેય મળે.

(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )