આ બ્લૉગ શોધો

14 ડિસેમ્બર, 2021

અબ્બાસ મિર્ઝા

 

કાઝાર વંશના ફતેહ અલી ખાન અને આશિયાખાનમનો પુત્ર  રાજકુમાર અબ્બાસ મિર્ઝાનો જન્મ હિસ1203 / ઇસ.1789માં  માં ઈરાનના માઝ્ન્દરાન  પ્રાંતમાં નવા મુકામે થયો હતો. 

પિતા ફતેહઅલી ખાન કોયોન્લું અને માતા દેવેલ્લુ  શાહી ખાનદાન થી સંબંધ ધરાવતા હતા.

20 માર્ચ 1798 ના દિવસે ફતેહઅલી ખાને અબ્બાસ મિર્ઝાને ઉત્તરાધિકારી રાજકુમાર 'નાયબ અલ સલ્તનત ' જાહેર કર્યો.એનાથી મોટા બીજા રાજકુમારોની અવગણના કરવામાં આવી હતી કેમ કે તેમની માતાઓનો સંબંધ શાહી ખાનદાનથી ન હતો.બે કુટુંબો ને  રાજકીય રીતે મજબૂત કરવા માટે અબ્બાસને ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યો હતો.

માત્ર  દસ વર્ષના રાજકુમારના સહાયકો તરીકે  સુલેમાનખાન કાઝાર અને મિરઝા  ઈસા ફરાહાનીને મોકલવામાં આવ્યા હતા. એજ વર્ષે એને આઝરબેજાન અને કરબાગનો ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યો હતો.ઉત્તર-પૂર્વમાં ખુરાસાનની જેમ જ આઝરબેજાન પર પણ શત્રુઓનો ભય હતો.એને બીજા પ્રાંતના ગવર્નરોને નિયુક્ત કરવા કે પદ્ચુત કરવાની સત્તા આપવામાં આવી હતી.૧૮૩૧ સુધી મોટા ભાગનો સમય એણે આઝરબેજાનમાં જ પસાર કર્યો હતો.

૧૮૦૪માં ફતેહ અલી શાહે અબ્બાસને 30 હજાર સૈનિકોના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યો.૧૮૦૪-૧૩ દરમિયાન રશિયા સામેના યુદ્ધમાં ઈરાનને દસ હજાર જેટલા સૈનિકો ઉપરાંત ઘણા પ્રાંતો ગુમાવવાનો વારો આવ્યો.ઓક્ટોબર ૧૮૧૩માં ગુલિસ્તાન ની સંધિ થઇ,જેમાં કોકેસસ માં આવેલ આજના જ્યોર્જીયા,દાઘેસ્તાન અને આઝરબેજાન ના પ્રાંતોને આપી દેવા પડ્યા.આ ખુવારીએ અબ્બાસને અનુભૂતિ કરાવી દીધી કે પોતાના સૈનિકોને યુરોપીય પદ્ધતિથી લડવા શીખવાની જરૂરત હતી.તુર્કીના સુલતાન સલીમ ત્રીજાના સુધારાઓથી પ્રભાવિત થઈને અબ્બાસ પણ ઈરાનમાં ‘નિઝામે જદીદ’ (નવી રાજય વ્યવસ્થા) ઉભી કરવા માંગતો હતો.એ માટે એણે કબીલાઓ અને પ્રાંતીય સૈન્ય પર નિર્ભરતા ઓછી કરી.યુરોપીય લડાઈ પ્રશિક્ષણ  માટે એણે એક ટુકડીને ૧૮૧૧માં અને બીજી ૧૮૧૫માં ઇંગ્લેન્ડ મોકલી હતી.૧૮૧૨માં તબરેઝમાં પ્રિન્ટીંગ પ્રેસનો પ્રારંભ થતા યુરોપીય સૈન્ય હેન્ડબૂક છાપવામાં આવી.તબરેઝમાં જ દારૂગોળા અને લશ્કરી સાધનોની ફેક્ટરી ની સ્થાપના થઇ હતી.

અબ્બાસને આ બધી બાબતોનો લાભ ઉસ્માની-ઈરાની યુદ્ધ(૧૮૨૧-૨૩)માં જોવા મળ્યો.આમાં ઈરાનીઓએ વિજય મેળવ્યો.

૧૮૨૬-૨૮ માં ફરીથી રશિયાનો સાથે યુદ્ધ છેડાયું.આ વખતે ઈરાનીઓએ બરાબરની ટક્કર આપી અને યુદ્ધના પ્રથમ વર્ષમાં પહેલા યુદ્ધમાં ગુમાવેલા ઘણાં પ્રાંતો પાછા મેળવ્યા.પરંતુ ફતેહ અલી શાહે નવી કુમકો મોકલવાની મના કરી.અંતે ૧૮૨૮માં જ્યોર્જીયા અને કોકેશીયસ પ્રાંતો ગુમાવવા પડ્યા.આ કારમી હારને લીધે સૈન્ય સુધારાઓમાંથી અબ્બાસનું મન ઉઠી ગયું.એણે નવા સુધારાઓ સ્થગિત કર્યા.

એની તબિયત લથડતી ગઈ.બળવાખોરો સામે સંઘર્ષ કરતાં કરતાં ૨૫ ઓક્ટોબર ૧૮૩૩માં મશહદમાં એનું અવસાન થયું.૧૮૩૪માં ફતેહઅલી શાહ નું પણ અવસાન થતા અબ્બાસનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ મિર્ઝા રાજગાદીએ બેઠો.

અબ્બાસનું મૂલ્યાંકન કરતા જણાય છે કે એ એક પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતો હતો.આર.જી.વોટસને અબ્બાસને “કાઝાર વંશનો સૌથી ઉમદા” માણસ ગણાવ્યો છે.એણે તબરેઝ શહેરને પશ્ચિમી અંદાઝમાં વિકસિત કર્યો હતો.એને યુરોપીય ઇતિહાસનું સારું જ્ઞાન હતું.જોકે એ પોતે અંગ્રેઝી બહુ સારી જાણતો ન હતો ,એમ છતાંય એના નાનકડા પુસ્તકાલયમાં અંગ્રેજીના ઘણા પુસ્તકો હતા.એણે લશ્કરી સુધારાઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ઘણા અંશે એ સફળ પણ રહ્યો હતો.એણે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.દેશના ઘણા યુવાનોને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા.

બધા કાઝાર શાસકોની જેમ અબ્બાસને પણ ઘણા સંતાનો હતા.એણે છવ્વીસ પુત્રો અને ૨૧ પુત્રીઓ છોડી હતી.એના પાંચ પુત્રો ફારસના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા: ફિરોઝ મિર્ઝા,ફરીદુન મિર્ઝા ફરમાનફર્મા બીજો,ફરહાદ મિર્ઝા,બેહરામ મિર્ઝા અને સુલતાન મુરાદ મિર્ઝા.પુત્ર જહાંગીર મિરઝાએ ‘ તારીખે નવ’ ઇતિહાસ ગ્રંથ રચ્યો હતો.ફરહાદ મિરઝા દરબારી કવિ નીમાયો હતો અને અંગ્રેજી-ફારસી શબ્દકોષની રચના પણ કરી હતી.

(C) મોહમ્મદ સઈદ શેખ 

13 ડિસેમ્બર, 2021

અલ અબ્બાસ બિન અલ વલીદ

 

અલ-અબ્બાસ ઈબ્ન અલ વલીદ ઈબ્ન અબ્દુલ મલિક,ખલીફા અલ વલીદનો પુત્ર,ઉમૈયા વંશનો રાજકુમાર અને સેનાપતિ હતો.અલ અબ્બાસના જન્મવર્ષ અને બાળપણ વિષે માહિતી મળતી નથી.અબ્બાસની પ્રસિદ્ધિ એણે ઉમવીઓએ બાઝેન્તીનો સામે કરેલા સંઘર્ષમાં આપેલ યોગદાન માટે છે.એના વિષે અરબ અને બાયઝેન્તીની સ્ત્રોતોમાં મતભેદ જોવા મળે છે.ઈ.સ.૭૦૭મા કપ્પાડોસીયામાં આવેલ ત્યાનાના મહત્વનો કિલ્લો ઉમવીઓએ જીતી લીધો હતો,એ વખતે પહેલીવાર અબ્બાસે રણભૂમિમાં પ્રવેશ કર્યો હતો,જેમાં એણે પોતાના કાકા મસલમા ઇબ્ન અબ્દુલ મલિક સાથે સૈન્યની આગેવાની લીધી હતી.શિયાળામાં જયારે મુસ્લિમ સૈન્યની હિમ્મત ભાંગવા માંડી હતી ,એવા સમયે અબ્બાસે સૈન્યને પ્રેરણા આપી હિંમત વધારી હતી. ગ્રીકોને નગરમાં બંધક બનાવી ઘેરો ઘાલવામાં આવ્યો.લાંબા બંધન પછી ગ્રીકોએ હાર કબૂલી લીધી.

અબ્બાસે અને એના કાકાએ એશિયા માઈનોરમાં બાયઝેન્તીનીઓ વિરુદ્ધ ઘણી લડાઈઓ લડી.એમાં ઈ.સ.૭૧૨મા સીલીસીયામાં આવેલ સેબાસ્તે નગર અને પીસીડીયાના એન્તીઓક નગર પર ૭૧૩મા કરેલો કબજો મહત્વનાં છે.એના પછીની લડાઈઓમાં એ કાકા મસલમાને બરાબર મદદ કરતો રહ્યો.

૭૨૦મા ઉમર દ્વિતીયના અવસાન પછી ઈરાકના ગવર્નર યઝીદ બિન અલ મુહલ્લબએ બળવો કર્યો.એને ખાળવા માટે પહેલા અબ્બાસને એકલો અને પછી મસલમાને પણ મોકલવામાં આવ્યો.બંને સાથે મળીને યઝીદ સામે લડ્યા.યઝીદ માર્યો ગયો અને જલ્દી જ શાંતિ સ્થપાઈ.

અલ વલીદ દ્વિતીયના શાસન કાળમાં અલ અબ્બાસે પહેલાં તો પોતાના ભાઈ યઝીદ કે જે વિદ્રોહ કરવા માંગતો હતો –એને વિદ્રોહ ન કરવા માટે સમજાવતો રહ્યો,પરંતુ આખરે એણે નમતું જોખ્યું અને ૭૪૪ના વિદ્રોહમાં ભાગ લીધો.કેટલાક સમય પછી ખલીફા મરવાન દ્વિતીયએ અબ્બાસને કેદ કર્યો અને તે ૭૫૦મા હર્રાનની જેલમાં રોગચાળામાં મૃત્યુ પામ્યો.

લેબેનાનમાં આવેલ બેક્કા ખીણમાં આવેલ અન્જર નગર (જેનું સાચું નામ ઐન અલ જર છે) સ્થાપના વલીદ પ્રથમે કરી હતી એવું માનવામાં આવે છે,પરંતુ બાય્ઝેન્તીની ઇતિહાસકાર થીઓફેનીસ આ નગરની સ્થાપના નો શ્રેય અબ્બાસને આપે છે.

(C) મોહમ્મદ સઈદ શેખ