આ બ્લૉગ શોધો

21 ઑગસ્ટ, 2018

રમઝાનની શ્રેષ્ઠતા


ઇસ્લામી વર્ષનો નવમો મહિનો એટલે પવિત્ર રમઝાનનો મહિનો. દર વર્ષે આ પવિત્ર મહિનો મુસલમાનો માટે કૃપા બનીને આવે છે. આ એ જ મહિનો છે જેમાં કુરઆનને ઉતારવામાં આવ્યું. આ મહિનાની શ્રેષ્ઠતા (ફઝીલત) ઘણી છે. આ મહિનામાં રહેમતોની વર્ષા થાય છે. જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે. અને જહન્નમના બંધ કરી દેવામાં આવે છે. શેતાનોને લોખંડની સાંકળોમાં બાંધી દેવામાં આવે છે.
 આ શ્રેષ્ઠતા એટલા માટે છે કે આ મહિનામાં મુસલમાનોને રોઝા રાખવા ફરજિયાત છે. કુરઆનમાં કહેવામાં આવ્યું છે કે જેમ પહેલાની ઉમ્મતો ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા હતા એમ ઉમ્મતે મોહમ્મદી માટે પણ ફર્ઝ કરવામાં આવ્યા છે કે જેથી તમે પરહેઝગાર બની જાઓ. હદીષમાં છે અલ્લાહ તઆલા કહે છે રોઝો ખાસ મારા માટે છે અને હું જ એનો બદલો આપીશ. બુખારી શરીફની હદીષમાં છે કે જેણે ઇમાન અને એહતેસાબ સાથે રોઝો રાખ્યો એના ભૂતકાળના બધા જ ગુનાહ માફ કરી દેવામાં આવે છે.
 એહતેસાળનો અર્થ છે કે અલ્લાહ તઆલાથી પુણ્યની પ્રાપ્તિ માટે શુદ્ધ નિયતથી રોઝો રાખે અને ધૈર્યપૂર્વક પોતાના મનનું પૃથક્કરણ કરતો રહે.
 રોઝો ઇસ્લામના પાંચ અરકાનોમાંથી ઇમાનની સાક્ષી અને નમાઝ પછી ત્રીજો ક્રમે ફરજિયાત કરવામાં આવ્યું છે. રોઝાને અરબીમાં સોમ’ કહે છે. જેનો અર્થ થાય છે ઇચ્છાઓથી રોકાઇ જવું કે પરહેઝ કરવું. આના ઉપરથી રમઝાનને માહે સિયામ’ પણ કહેવામાં આવે છે. સવારના પ્રારંભથી લઇ સૂર્યાસ્ત સુધી ખાવા પીવા અને સંભોગ કરવાથી બચવાને રોઝો કહે છે.
હદીષમાં ફરમાવવામાં આવ્યું છે કે દરેક નેકીનો બદલો ૧૦ થી ૭૦૦ ગણા સુધી આપવામાં આવે છે પરંતુ રોઝાનો બદલો અલ્લાહ તઆલા કહે છે હું પોતે એનો બદલો આપીશ. કેમકે રોઝા મારા માટે છે બીજી કથન અનુસાર હું (અલ્લાહ તઆલા) પોતે જ એનો બદલો છું. રોઝાદારને બે ખુશીઓ મળે છે એક ઇફતારના સમયે અને બીજી અલ્લાહ તઆલાથી મુલાકાત ના સમયે. (બુખારીમુસ્લિમ)
 હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું રમઝાન બાબતે મારી ઉમ્મતને પાંચ વસ્તુઓ વિશેષ રીતે આપવામાં આવી છે જે આગળની ઉમ્મતોને આપવામાં આવી ન હતી.

(૧) રોઝાદારની મોઢાની દુર્ગંધ અલ્લાહ તઆલા સામે મુશ્કથી વધારે પ્રિય છે.
 (૨) રોઝાદારો માટે દરિયાની માછલીઓ રોઝા ઇફતાર સુધી માફીની દુઆઓ કરતી રહે છે.
 (૩) દરરોજ જન્નતને આમના માટે સજાવવામાં આવે છે.
 (૪) આ પવિત્ર માસમાં શૈતાનોને કેદ કરી દેવામાં આવે છે.
 (૫) રમઝાનની છેલ્લી રાત્રે રોઝાદારોની મગ્ફિરત (માીફી) બક્ષી દેવામાં આવે છે.
 જ્યારે સહાબાએ પૂછ્યું કે માફીની આ રાત્રે શબેકદ્ર (મોટીરાત્રિ) તો નથી પયગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે જવાબ આપ્યો નહી. પ્રણાલિકા આ છે કે મજૂરને મજૂરી કામ પૂર્ણ થતાં જ એની મજૂરી ચૂકવી દેવામાં આવે છે.(મસનદ એહમદબજારબયહકી), (ઇબ્ને હબ્બાન)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું રમઝાનની દરેક દિવસ રાત્રિમાં અલ્લાહને ત્યાં જહન્નમના કેદીઓને છોડી મૂકવામાં આવે છે અને દરેક મુસલમાનની એક દુઆ જરૂર કબૂલ થાય છે. (બઝારઅત્તરગીબ વ અત્તરબીબ)
હદીષમાં છે ત્રણ માણસોની દુઆ રદ કરવામાં નથી આવતી. એક રોઝાદારની દુઆ ઇફતારના સમયે. બીજું ન્યાયી બાદશાહ અને ત્રીજી નિર્દોષ પીડિતની. (મસનદ અહમદતિરમીઝીસહીહ ઇબ્ને હબ્બાન)
 આ જ પવિત્ર માસમાં કુરઆન ઉતારવાનો પ્રારંભ થયો હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને સહાબાએ કિરામ રમઝાનમાં વધુ માં વધુ તિલાવત કરતા હતા. હઝરત જબ્રઇલ અલયહીસ્સલામ રમઝાન શરીફમાં નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને કુરઆનને વારંવાર યાદ કરાવતા હતા. તરાવીહમાં કુરઆન પૂર્ણ કરવામાં આવે છે. આનાથી કુરઆનની શ્રેષ્ઠતા અને મહત્વતા ની જાણ થાય છે. આ માસમાં એક અક્ષરનો બદલો દસ ગણો આપવામાં આવે છે. અર્થાત જો કોઇ એક વખત પણ કુરઆન વાંચીને પૂર્ણ કરો તો એનું પુણ્ય બીજા દિવસોમાં દસ કુરઆના પઢવા જેટલો મળશે.
 તરાવીહ વિશે હદીષમાં છે કે જે વ્યક્તિ રમઝાનની રાત્રિઓમાં ઇમાન સાથે પુણ્યની નિયતથી ઇબાદત માટે (નમાઝમાં) ઊભો થાય એના પાછલા બધાં જ ગુનાહ માફ કરી દેવામાં આવે છે. (બુખારી શરીફ)

રમઝાનમાં સહેરી કરવી આવશ્યક છે. હદીષમાં છે કે ખુદ અલ્લાહ તઆલા અને એના ફરિશ્તા સહેરી ખાનારા ઉપર કૃપા વરસાવે છે. (તબરાનીસહીહ ઇબ્ને હબ્બા)
 રમઝાનમાં કોઇ રોઝેદારને ઇફતાર કરાવવો એ પણ બહુ પુણ્યનું કામ છે. રોઝા કરાવનારને પણ રોઝેદાર જેટલું જ પુણ્ય આપવામાં આવે છે.
રમઝાનના છેલ્લી દસ એકી રાત્રિઓમાંથી કોઇ એક શબેકદ્ર હોય છે. આમાં ઇબાદત કરવાવાળાને એક હજાર મહિનાની ઇબાદતનું પુણ્ય આપવામાં આવે છે. અર્થાત ૮૩ વર્ષની ઇબાદતનું પુણ્ય માત્ર એક રાતમાં ઇબાદત કરવાથી આપવામાં આવે છે. ૨૧૨૩૨૫૨૭ કે ૨૯ મી રાત્રિમાં શબેકદ્રને શોધવી જોઇએ.
છેલ્લા દસ દિવસમાં એતેકાફ કરવો સુન્નતે મોઅક્કેદા અલલ કિફાયા છે. અર્થાત્‌ મોહલ્લામાંથી કોઇ એક માણસ પણ મસ્જિદમાં સુન્નત એતેકાફ કરી લેશે તો આખા મોહલ્લા કે શેરીના લોકોએ એતેકાફ કરી લીધું. એમ માની એને પુણ્ય આપવામાં આવે છે. એતેકાફનો અર્થ છે ધરણાં કરવા અથવા પલાઠી મારીને બેસી જવું. આનો મુખ્ય હેતુ શબેકદ્ર ને શોધવી અને ઇબાદત કરવી એ છે.
 આમ રમઝાનની શ્રેષ્ઠતા ઘણી બધી છે. દરેક સ્ત્રી પુરૂષ ઉપર રમઝાનના રોઝા ફરજ કરવામાં આવ્યા છે. માત્ર બિમાર કે ખૂબ વૃદ્ધ અથવા મુસાફરને જ છૂટ આપવામાં આવી છે. એમને પણ આ કમી થયેલા રોઝા પછીથી રાખવાના હોય છે. રોઝા રોઝાદાર માટે ઢાલ સમાન છે. જહન્નમની યાતનાઓ સામે રોઝો ઢાલ બની જશે.
 આવા પવિત્ર અને રહેમતોથી ભરપૂર રમઝાન માસમાં વધારે માં વધારે ઇબાદત અને સહકાર્યો કરવા જોઇએ.
(PUBLISHED IN TODAYSFACTSAMACHAR IN MAY 2018)


એક બાળકની વિચિત્ર પ્રાર્થના


         એક પ્રાથમિક શાળાની શિક્ષિકાએ બાળકોને નિબંધ લખવા આપ્યું. વિષય હતો "તેઓ( બાળકો) ભગવાનથી શું ઈચ્છે છે ?"
બધા બાળકોએ નિબંધ લખ્યો. એ તપાસવા માટે શિક્ષિકા નોટબુક્સ ઘરે લાવી. એક નિબંધ વાંચી નજ એની આંખો ભીની થઇ ગઈ પરંતુ એનું હૃદય પણ ભીંજાઈ ગયું.
એનો પતિ એની પાસેજ બેઠો હતો. એને રડતી જોઈ પૂછ્યું શું થયું કેમ રડે છે?
શિક્ષિકાએ નિબંધ વાંચવા માટે એના પતિને આપ્યું. પતિએ વાંચવનું શરુ કર્યું.
" હે ભગવાન, આજે હું તમારાથી એક ખાસ બાબત માંગુ છું, તે એ કે તમે મને ટીવી બનાવી દો. હું દીવાલમાં લાગેલા એલઈડી ટીવીની જગ્યા લેવા ઇચ્છુ છું. હું ટીવીનું સ્થાન લઇ વિશિષ્ટ બની જઈશ. મારા ઘરમાં જેમ ટીવી જીવે છે એમ હું જીવવા માંગુ છું. મારા માતા પિતા, ભાઈ બહેન બધા મારી આસપાસ બેસી રહેશે. જયારે હું ટીવીની જેમ બોલીશ તો બધા મારી વાતો ધ્યાનથી સાંભળશે. બધા ઘરવાળાના ધ્યાન નું કેન્દ્રબિંદુ હું બની જઈશ. અને બધા મને જોશે. કોઈ મારાથી સવાલ જવાબ નહિ કરે,નજ કોઈ મને મારશે, ધમકાવશે કે બોલશે. મારુ એટલું ધ્યાન રાખવામાં આવશે જેટલી સલામતી અને નાજુકાઈ થી ટીવી વપરાય છે. ટીવી ખરાબ ન થઇ જાય એની કાળજી લેવામાં આવે છે. એટલી જ કાળજી મારી પણ લેવામાં આવશે. હું બગડું નહિ કે ખરાબ થાઉં નહિ એનું ધ્યાન રાખવામાં આવશે.
હું મારા પપ્પાનું ધ્યાન એવી રીતે આકર્ષિત કરીશ જયારે એ ઓફિસેથી આવીને ટીવી સામે બેસી જાય છે, ભલેને ગમે તેટલા થાકેલા કેમ ન હોય! હું ટીવી બની જઈશ તો એ મને મારશે કે ધમકાવશે પણ નહિ. શાળામા આટલું ઓછું રિઝલ્ટ કેમ આવ્યું? આટલી બધી ફી ભરું છું ને તું ભણતો નથી? એવા સવાલો પણ મને નહિ કરે. હું તો દિલથી ભણું છું પણ વધારે માર્કસ ન આવે તો હું શું કરું? મને જેટલું આવડે છે એટલું લખીને આવું છું. ભગવાન તમે મને વધારે હોશિયાર કેમ ના બનાવ્યો?મમ્મી પપ્પા હંમેશા પેલા બોચીયા બકુલેશ સાથે મારી સરખામણી કરે છે.એ સારા માર્ક્સ લાવે છે ,હું નથી લાવી શકતો ત્યારે તો મમ્મી પપ્પા મને કહે છે જો શીખ એનાથી. પણ જયારે હું સ્પોર્ટ્સ ડે માં ટ્રોફી લઈને આવું છું અને પેલો તો માયકાંગલો સરખું દોડી પણ નથી શકતો, ત્યારે મમ્મી પપ્પા એને કેમ કહેવા નથી જતા કે મારાથી શીખે?
ભગવાન તમે મને અન્યાય કર્યો છે. મને એવરેજ સ્ટુડન્ટ બનાવીને. ૯૦- ૯૫% મારે કેવી રીતે લાવવા? મારે રમવાનું પણ નહિ? બસ આખો દિવસ ભણ ભણ જ કરવાનું? સ્કૂલે જવાનું, ત્યાંથી આવીને ટ્યુશન અને પછી હોમવર્ક.મારે બીજું કશું કરવાનું જ નહિ? ભગવાન તમે મને ટીવી બનાવી દો, બસ. આ બધી ઝંઝટમાંથી હું મુક્ત થઈ જાઉં.
પપ્પા તો પપ્પા ,મમ્મી પણ ક્યારેક ક્યારેક મને બોલે છે. આમ કર, આમ ન કર. આવું નહિ કરવાનું ,તેવું નહિ કરવાનું. પોતે તો સાંજે પેલી બાલાજીની સિરિયલો જોવા બેસી જાય છે.ક્યારેક હું કાર્ટૂન ચેનલ લગાવું તો કહે લેસન કર્યું? પેલી પોએમ યાદ કરી? પેલા ગણિતના દાખલા ગણ્યા? અને જો હું ભૂલેથી ફોન લઈને ગેમ રમુ તો ભાઈઓ અને બહેન મારી સાથે લડે છે. મને મારે પણ છે. કહે છે તું તો અત્યારે નાનો છે અત્યાર થી ગેમ્સ રમે છે? જો કે એ પોતે તો ફોન યુઝ કરે છે. અને કેવું લુચ્ચું લુચ્ચું જુવે છે ,તમને ખબર છે ભગવાન? પેલી ન્યૂડ ન્યૂડ હીરોઇનોના પિક્ચર જુવે છે અને હું ભૂલેથી જોઈ લઉં તો ફોન છુપાવીને કહે છે આ તારા કામનું નથી. તું તારે લેસન કર.જો ક્યારેક સ્કૂલે થી જલ્દી આવી જાઉં કે કોઈ ટીવી જોતું ન હોય ત્યારે ચાલુ કરું તો કોઈ ને કોઈ કહેશે અત્યારે મેચ આવશે કે મારી ફલાણી સીરીઅલ આવશે કે મારા ઈમ્પોર્ટન્ટ ન્યુઝ આવશે. તો પછી મારે ટીવી ક્યારે જોવાનું?
ભગવાન તમે મને ટીવી જ બનાવી દો બસ. તમે મને ટીવી બનાવશો ને તો મારા ભાઈ બહેન જે અત્યારે મારી સાથે લડે ઝગડે છે ,એ પછી મારી સામે જ બેસી રહેશે ને મનેજ જોતા રહેશે. મનેજ સાંભળશે.અત્યારે મારે લીધે બધા ગુસ્સો કરે છે પછી તો ઘરમાં કોઈ ગુસ્સો કરશે જ નહિ. કોઈ લડશે ઝગડશે પણ નહિ.
ટીચર અમને શીખવતા હતા કે ભગવાન તમે તો સર્વ શક્તિમાન છો. તમે જે ઇચ્છો એ કરી શકો, તમે જે ઈચ્છો એ બનાવી શકો છો. હું તમારાથી વધારે નથી માગતો. બસ મને ટીવી બનાવી ટીવીની જગ્યાએ મૂકી દો. "
શિક્ષિકાના પતિએ નિબંધ વાંચી અફસોસ અને નિસાસા સાથે કહ્યુ: "બહુ નિરાશ લાગે છે આ બાળક. એના પેરેન્ટ્સ અને ભાઈ બહેને બિચારા સાથે બહુ ખરાબ કર્યું લાગે છે. "
શિક્ષિકાએ નજરો ઊંચી કરી પતિ તરફ જોઈને કહ્યું; " આ નિબંધ આપણા જ બાળકે લખ્યું છે! "

અબ્રે કોહસાર (પર્વતમાળાનું વાદળ)

ડો. ઇકબાલની આ કવિતા કુદરતી દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. અહીં એમણે જે સુંદર પ્રાકૃતિક દૃશ્યનું વર્ણન કર્યું છે એ દાદને કાબેલ છે. આખી કવિતા ઊંચા ઊંચા પહાડો અને ડુંગરો ઉપર છવાયેલા વાદળોના સંવાદ ઉપર આધારિત છે. વાદળો વરસે છે તો ખેતરો લીલાછમ થઈ જાય છે. ખેડૂતો ખેતીમાં આનાથી ઘણો લાભ મેળવે છે. બગીચાઓમાં ફલો અને ફૂલોની ખેતી પણ વાદળો વિના શક્ય નથી.

(૧)
હૈ બુલંદી સે ફલક બોસ નશેમન મેરા
અબ્રે કોહસાર હું ગુલપાશ હૈ દામન મેરા
કભી સેહરા, કભી ગુલઝાર હૈ મસ્કન મેરા
શહેર વ વીરાના મેરા, બહર મેરા, બન મેરા
કિસી વાદીમેં જા મન્ઝૂરહો સોના મુઝકો
સબ્ઝહએ કુહ હૈ મખમલકા બિછોના મુઝકો
પ્રથમ બંદઃ-
શબ્દાર્થ: નશેમન-માળો, અબ્ર-વાદળ, કોહસાર-પર્વતમાળા, ગુલપાશ-ફૂલ વરસાવનાર, ફલકબોસ- આકાશને અડનાર, ઊંચું,
ભાવાર્થ: કવિતાની બધી જ પંક્તિઓમાં પ્રથમ પુરૃષ એકવચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં પર્વતમાળાના વાદળ સંવાદ કરીને કહે છે કે મારૃ રહેવાનું સ્થળ ઊંચા ઊંચા પર્વતો ઉપર છે. પરંતુ ધરતી ઉપર ફૂલ વિખેરૃં છું. અર્થાત્ જ્યાં સુધી વરસું નહીં ત્યાં સુધી ફૂલો ઉગે નહીં. ક્યારેક રણમાં વરસું છું તો ક્યારેક ઉદ્યાનોમાં, આમ, શહેરો ઉપરાંત વેરાન પ્રદેશોમાં અને જંગલોમાં પણ હું વરસી પડું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે ધરતી ઉપરના સ્થળોને સંતૃપ્ત કરે છે.
વાદળ કહે છે ક્યારેક પહાડો ઉપર અને ખીણોમાં વરસું છું તો ત્યાં ઉગેલી મખમલ જેવી હરિયાળી જાણે મારી આરામગાહ બની જાય છે.
(૨)
મુઝકો કુદરતને સિખાયા હૈ દૂર્રેઅફશાં હોના
નાકએ શાહિદે રહમત કા હુદી ખ્વાં હોના
ગમઝદએ દિલે અફશુરદા દહેકાં હોના
રોનકે બઝમે જવાનાં ગુલિસ્તાં હોના
બનકે ગેસુ રૂખે હસ્તી પે બિખર જાતા હું
શાના મોજા સરસર સે સંવર જાતા હું


બીજો બંદઃ-
શબ્દાર્થ: દુર્રે અફશાં – મોતી વિખેરનાર, નાકા-ઊંટણી, હુદીખ્વાંં-ઊંટ ચરાવનારનં ગીત
ભાવાર્થ: આ બંદમાં પણ પર્વતમાળાના વાદળ કહે છે કે કુદરતે મને વરસાદના ટીપાના સ્વરૃપમાં ધરતી ઉપર મોતી વિખેરવાનું શીખવાડયું છે. આ ટીપાઓ જાણે કિંમતી મોતીઓ છે. હું જ્યારે વરસું છું એ દરમ્યાન ઉત્પન્ન થતો અવાજ ઊંટ ચરાવનારાઓના ગીતોથી પણ મધુર હોય છે. આખું વાતાવરણ જાણે સંગીતમય બની જાય છે. અને જ્યારે શુષ્ક અને વેરાન ખેતરો ઉપર વરસું છું તો ન જ મૃતઃપાય ધરતી પરંતુ એના માલિકો એવા ખેડૂતોના ઉદાસ હૃદયમાં પણ આનંદ અને ખુશી છવાઈ જાય છે. જ્યારે બગીચાઓ ઉપર વરસું છું ત્યાં ફળો અને ફૂલો ઉપર તાજગી અને સૌંદર્ય છલકાઈ ઉઠે છે.
મારૃં અસ્તિત્વ તો જીવન અને સૃષ્ટિ માટે હૃદયને ખુશ કરવા માટે છે. જ્યારે હવાઓ ચાલે છે ત્યારે હું એકજૂટ થઈ ધરતી ઉપર વરસું અને એને નવપલ્લવિત કરૃ છું. એમાં હવાની મદદ હોય છે. કહેવાનું તાત્પર્ય આ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે માત્ર કૃષિ ઉત્પાદનોમાં વધારો થાય છે, ફલો અને ફૂલોને પણ જીવન મળે છે અને આખી ધરતી લીલા રંગની ચુંદડી ઓઢી પોતાનું સૌંદર્ય વિખેરે છે.
(૩)
દૂર સે દીદએ ઉમ્મીદ કો તરસાતા હું
કિસી બસ્તી સે જા ખામોશ ગુઝર જાતા હું
સૈર કરતા હુઆ જિસ દમ લબે જુ આતા હું
બાલિયાં નહર કો ગરદાબકી પહેનાતા હું
સબ્ઝએ મઝરઆ નવખૈઝ કી ઉમ્મીદ હું મૈં
ઝાદએ બહર હું, પરવરદએ ખુરશીદ હું મૈં
ત્રીજો બંદઃ-
શબ્દાર્થ: મઝરઅ નવખેઝ-નવું ઉગેલું પાક, ઝાદએ બહર- જે સમુદ્રથી જન્મ્યું હોય
ભાવાર્થ:આ બંદમાં પર્વતમાળાનું વાદળ સંવાદ કરે છે કે આગળ કહ્યું એનાથી થોડું અળગું જો હું કોઈ વસ્તી ઉપરથી વરસ્યા વિના પસાર થઈ જાઉં તો જે ખેડૂતો અને માળીઓ મારા વરસવાની પ્રતિજ્ઞાા કરતા હોય તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ ઇશ્વરથી વરસાદ માટે પ્રાર્થના કરવા લાગે છે. અને જ્યારે કોઈ નદી ઉપર જોરથી વરસું છું ત્યાં પાણીમાં ભંવર સર્જાય છે.
વાસ્તવિકતા તો આ છે કે મારા અસ્તિત્વથી જ તાજા ઉગેલા પાક અને ઉદ્યાનોની હરિયાળી છે. હું એમના માટે આશા અને બળ છું. હું સમુદ્રમાં ઉત્પન્ન થયો છું અને સૂર્યએ મારો ઉછેર કર્યો છે. પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક નિયમો મુજબ સૂર્યની ગરમીના કારણએ સમુદ્રનું પાણી વરાળ બની ઉપર ઊડી જાય છે અને પછી અમુક જથ્થામાં ભેગું થતું રહે છે. જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે વાદળનું નિર્માણ થાય છે અને એ પાછુ પાણી સ્વરૃપે ધરતી ઉપરવરસે છે. આ પંક્તિમાં ઇકબાલે આ જ વૈજ્ઞાાનિક નિયમ તરફ ઇશારો કર્યો છે.
(૪)
ચશ્મએ કુહ કો દી શોરીશે કુલ્ઝુમ મૈને
ઔર પરીન્દો કો કિઆ મહુએ તરન્નુમ મૈંને
સર પે સબ્ઝા કે ખડો હો કે કહા કુમ મૈં ને
ગુન્ચએ ગુલકો દીયા ઝૌકે તબસ્સુમ મૈ ને
ફૈઝસે મેરે નમૂને હૈ શબીસ્તાનો કે
ઝોંપડે દામને કોહસાર મેં દેહકાનો કે
ચોથો બંદઃ-
શબ્દાર્થ: ચશ્મએ કૂહ – ઝરણુ, કુમ-ઉઠ, ઊભો થા, શબિસ્તાનોં- અમીરોના ઊંઘવાનું સ્થળ
ભાવાર્થ: આ છેલ્લા બંદમાં પર્વતમાળાનું વાદળ કહે છે કે પર્વતોમાંથી નીકળતા ઝરણાને મે જ જોશ અને મસ્તી આપી છે. મારા કારણે જ ગરમીથી ત્રસ્ત પક્ષીઓ સુખના શ્વાસ લઈ ગીતો ગાય છે. મારા કારણે જ પાયમાલ અને મુરઝાયેલ છોડવાસો ફરીથી નવપલ્લવિત થાય છે. એ હું જ છું કે જ્યારે ઉદ્યાનોમાં વરસું છું તો કળીઓ ખુશ્બુદાર ફૂલોમાં પરિવર્તિત થઈ જાય છે. અર્થાત્ મારા વિના આ બધું શક્ય નથી.
મારી કૃપાઓ અને ઉપકારથી જ પર્વતમાળાઓમાં વસ્તા ખેડૂતોની ઝુંપડપટ્ટીમાં પણ હર્ષોલ્લાસ વ્યાપી જાય છે, એટલા માટે કે મારા કારણે જ એમના ખેતરોમાં પાક લહેરાય છે અને એમને પ્રસન્નચિત રાખે છે. હું ખેડૂતો માટે હર્ષનું કારણ બનું છું.
 ('યુવાસાથી' સામાયિક ,ઓગષ્ટ ૨૦૧૮ માં પ્રકાશિત મારો લેખ)