આ બ્લૉગ શોધો

14 સપ્ટેમ્બર, 2016

કેટલીક માઈક્રો ફિક્શન

પિતા 

એક પ્રખર ચિંતક,લેખક અને વક્તાએ  મોટા હોલ માં એવું જોરદાર પ્રવચન કર્યું કે પૂરી ચાર મિનીટ અને ૫૬ સેકંડસ સુધી તાળીઓ પડી.કાર્યક્રમ પત્યા  પછી તેઓ હોલ ની બહાર નીકળ્યા. મોબાઈલ ફોન જોયું.ઘણા મિસ્ડ કોલ હતા.ફોન લગાવ્યો.ખીન્નાતાથી ...શું હતું બાપુજી ?તમને કેટલી વાર કહ્યું છે કે મને રોજ રોજ હેરાન ના કરો ...તમને ખબર છે કેટલું ઈમ્પોર્ટન્ટ પ્રવચન ચાલતું હતું ?શું તકલીફ છે તમને વૃદ્ધાશ્રમ માં ?..દવા ...ગયા અઠવાડિયે તો મોકલી હતી ... ખલાસ થઈ ગઈ ?મોકલી આપીશ ...પણ મહેરબાની કરીને વારે ઘડીએ ફોન ના કરો ....શું કહ્યું ...તમને મળવા આવું ..જુઓ બાપા મારે ઘણા બધા કામ હોય છે  લખવાનું ,વાંચવાનું ,સમારંભો ,પ્રવચનો ,ચિંતન ..... હું તમારી જેમ નવરો નથી સમજ્યા ........ચાલો મૂકી દો હવે ...ફોન કટ કરી ને .... ડોસો તો જીવ ખાઈ ગયો છે ....પ્રવચન નો વિષય હતો .."પિતૃ ,પિતૃત્વ  અને પિતૃ પ્રેમ  ".......

જીવદયા 
કોર્ટમાં  છૂટાછેડા નો કેસ આવ્યો.સ્ત્રી એ પતિ ઉપર ત્રાસ ,અત્યાચાર ,મારપીટ અને જુલમ નો આરોપ લગાવી છૂટાછેડા માટે અરજી કરી હતી..જજે પૂછ્યું  : શું કરે છે તમારા પતિ ?....પત્ની નો જવાબ.. જીવદયા રક્ષા સમિતિ ના પ્રમુખ છે .........


અપશુકન 

નોકરી ના પેહલા દિવસે એ બાઈક લઈ નીકળ્યો .સોસાયટી માં જ એની બાઈક આગળ થી કાળી બિલાડી પસાર થઈ ગઈ.એ અટકી ગયો.પહેલાજ દિવસે અપશુકન થઈ ગયું  એ વિચારી રહ્યો..ના જવાય ઓફિસે ...એણે અસમંજસ માં બાઈક પાછી ફેરવી અને એક્સીલરિટર  આપ્યું... અને આ શું ...ટાયરમાં કશુંક ચગદાઈ ગયું હોય એવું લાગ્યું ..એજ કાળી બિલાડી નું બચ્ચું  ચગદાઈ ગયું હતું.....ખરેખર અપશુકન થઈ ગયું...પણ કોનું ? એનું પોતાનું કે બિલાડી નું ?... એ હજી પણ નક્કી નથી કરી શકતો ........

પ્રેમ 
એક છોકરો અને એક છોકરી ... બંને એક બીજાના ગળા ડૂબ પ્રેમ માં હતા..એકબીજા સાથે જીવવા મરવા ના કોલ કરાર આપ્યા હતા ...બે શરીર માં એક આત્મા હતી એમની....આમ છતા ય એમના લગ્ન ના થઈ શક્યા..માતા પિતા એ લગ્ન ની મંજુરી આપી ન હતી .... કારણ કે .... બંનેની જ્ઞાતિઓ અલગ હતી .......


9 ફેબ્રુઆરી, 2016

છૂટાછેડાનું વધતું પ્રમાણ ચિંતાજનક

divorce9-compressor

બધા જ ધર્મોમાં લગ્નના પવિત્ર બંધનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને લગ્ન બહારના જાતીય સંબંધોને અર્થાત્ વ્યભિચારને પાપ ગણવામાં આવ્યું છે. લગ્ન થકી જ એક સ્ત્રી અને એક પુરૃષ કાયદેસર પતિ પત્નિ તરીકેના સંબંધોની શરૃઆત કરે છે જે નૈતિક તો છે જ પરંતુ સ્વસ્થ સમાજ માટે પણ ખૂબ આવકાર્ય છે. જોકે ભારતની સર્વોચ્ચ અદાલતે ‘લિવ ઇન રિલેશનશીપ’ને આ દેશની સંસ્કૃતિ અને રીતિ રિવાજો વિરુદ્ધ કાયદેસરની માન્યતા આપી છે એ આશ્ચર્યજનક જ નહીં આઘાતજનક પણ છે. આની સાથે સાથે ચિંતાજનક સમાચાર આવ્યા છે કે દેશમાં છૂટાછેડા લેવાની બાબતમાં ગુજરાતનો ક્રમ બીજો છે. એના જેવા જ બીજા તાજેતરના સમાચાર ઃ હનીમૂનથી પરત આવ્યા પછી દંપતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રમાણ ગામડાઓ કરતાં શહેરોમાં વધુ છે એ પણ નોંધવું જોઈએ. પશ્ચિમી સંસકૃતિની નકલ કરતી આજની પેઢીએ પાશ્વાત્ય રહેણીકરણી અને ખાણીપીણીની સાથે સાથે શારીરિક સંબંધોની બાબતો પણ કોઈ છોછ વિના સ્વીકારી લીધી છે. પરિણામે લગ્ન પહેલાં જ મોટાભાગના યુવાનો-યુવતિઓ શરીર સુખ માણી લે છે. અને લગ્નના થોડાક જ મહીનામાં છૂટાછેડા લેવા માટે અદાલતોમાં અપીલ કરે છે. સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાાનીઓની સાથે સાથે સામાન્ય લોકો માટે પણ આ એક ચિંતન અને મનનની બાબત છે.
છૂટાછેડા માટે ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ મનોવિજ્ઞાાનીઓ જે પ્રમુખ કારણો ગણાવે છે એમાં સૌ પ્રથમ તો આ છે કે શારીરિક જોડાણ તો સ્વભાવિક છે જ પરંતુ માનસિક જોડાણ અને એકબીજા પ્રત્યેની લાગણી લગ્ન સંબંધ ટકાવી રાખવા માટેનું મહત્ત્વનું પરિબળ છે. આ બંને બાબતો ન હોય તો એક અથવા બંને પાત્રો શરીર સુખને માત્ર યાંત્રિક કે નિરસ કસરત માનવા લાગે ત્યારે એકબીજાથી દૂર જઈ રહ્યા હોવાની અનુભૂતિ તીવ્ર બની જાય છે. કોઈને પ્રશ્ન થાય કે આપણા રૃઢિચુસ્ત સમાજમાં એરેન્જ મેરેજ થાય ત્યારે બે અજાણ્યા પાત્રો એકબીજાને ટુંક સમયમાં જ એકબીજાને સર્વસ્વ અર્પણ કરી દે અને એકબીજાને સમજવા લાગે એ જરા વધારે મુશ્કેલ કાર્ય છે. સત્ય લાગતી આ વાત અર્ધસત્ય છે. કેમકે આજના ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં હવે બે પાત્રો એકબીજાથી અજાણ્યા નથી રહેતા. હવે તો પહેલાના જમાનાથી વિરુદ્ધ લગ્ન પહેલાં ઘણી મુલાકાતો અને વાતો થઈ જાય છે. એટલે એરેન્જ મેરેજમાં પણ બે પાત્રો લગ્ન સુધી એક બીજાથી ઠીકઠીક પરિચિત થઈ જ ગયા હોય છે. અને છતાંય છૂટાછેડા થાય છે? અને છૂટાછેડા માત્ર એરેન્જ મેરેજમાં જ થાય છે? ના. લવ મેરેજ કરનારા પ્રેમી પંખીડાઓમાં પણ હવે તલાકનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. તો શું લગ્ન પહેલાં પ્રેમ આંધળો હોય છે? લગ્ન પછી જ આંખો ખુલે છે? એવું નથી હોતું કે લગ્ન કરે એટલે માણસ બદલાઈ જાય છે એ તો એનો એ જ હોય છે પરંતુ લગ્ન પહેલાના રોમાન્સમાં માણસ તરીકેની બધી ત્રુટીઓ કે કમજોરીઓ પ્રત્યે આંખમિચામણા કરવામાં આવે છે. ત્રુટીઓ ત્રુટીઓ ન રહેતા પ્રેમનો એક અંદાજ નજર આવે છે. એમ પણ ઓછા સમયમાં છુપાતા લપાતા મળવાનું થાય એટલે માત્રને માત્ર પ્રેમની વાતો થાય છે પરંતુ લગ્ન પછી આ ત્રુટીઓ સ્પષ્ટપણે દેખાવા લાગે છે. એટલે બીજી પાત્રને પહેલું પાત્ર સાવ ‘બદલાયેલું’ લાગે છે. લગ્ન પછી સાચું સ્વરૃપ પ્રગટે છે. લગ્ન પહેલાં મોટી મોટી ખામીઓ પણ પ્યારી લાગે છે જ્યારે લગ્ન પછી નાની નાની કમજોરીઓ પણ બહુ ભારી લાગે છે.
છૂટાછેડાનું બીજું મહત્ત્વનું કારણ છે સહનશક્તિનો અભાવ. યુવાપેઢી ઝડપથી ધીરજ અને સહનશક્તિ ગુમાવતી જઈ રહી છે. ચીનમાં એક જ કુટુંબમાં સોથી પણ વધુ માણસો ધરાવતા કુટુંબના વડાને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે આટલું મોટું કુટુંબ છે છતાં કોઈ લડાઈ, ઝઘડો કે મારામારી નથી. આ એકતાનું રહસ્ય શું છે? ત્યારે પેલા વડીલે જવાબ આપ્યો – સહનશક્તિ, સહનશક્તિ, સહનશક્તિ. જોકે હવે ચીનમાં પણ ભારતની જેમ સંયુક્ત કુટુંબપ્રથા ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે અને લોકો લગ્ન પછી પોતપોતાની ‘ન્યુક્લિઅસ’ ફેમિલીને લઈ અલગ રહેવા જઈ રહ્યા છે એના મૂળમાં પણ સહનશક્તિનો અભાવ જ છે. સાથે રહેવું એટલે સહન કરવું. પરંતુ આજની આધુનિક અને ભણેલી ગણેલી યુવતીઓ પોતાની સ્વતંત્રતાને ગુમાવવા ઇચ્છતી નથી એટલે દંપતીઓ અલગ રહેવાનું પસંદ કરે છે. પરંતુ બધા જ કુટુંબમાં આ સગવડ નથી હોતી કે લગ્ન થાય એટલે છોકરાને અલગ ફલેટ કે મકાન અપાવી દેવામાં આવે. જ્યાં માતાપિતા રૃઢિચુસ્ત હોય, મકાન નાનું હોય, પતિ માબાપથી અલગ જઈને રહેવામાં માનતો ન હોય ત્યાં સ્વભાવિક રીતે જ પતિ પત્નિ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘણાબધા કિસ્સામાં છૂટાછેડામાં પરિણમે છે. જે યુવાનો અને ખાસ કરીને યુવતિઓ લગ્ન પહેલા ફિલ્મો અને સીરીયલોની ઝકઝમાળથી અંજાયેલી હોય છે એ લગ્ન પછી જીવનની કડવી વાસ્તવિકતાઓ ‘એડજસ્ટ’ કરતા નથી શીખી શકતા તેઓ મોહભંગ પામે છે અને ‘જેવું વિચાર્યું હતું એવું મળ્યું નહીં’ની ફરિયાદો કરતાં ‘આપણે તો ફસાઈ ગયા’ની લાગણી અનુભવે છે, એમાંથી ઘણા લોકો છૂટાછેેડા ભણી દોરાઈ જાય છે. સદીઓ જૂની કહેવત કે ‘લગ્ન માત્ર બે શરીરોનું જ નહીં બે આત્માઓનું પણ મિલન છે’ જેવી ભારેખમ ફિલસૂફીને બદલે સાવ સરળ શબ્દોમાં લગ્નની વ્યાખ્યા આપી શકીએ કે ‘જ્યાં બે સમજણો ભેગી મળી ઐકય રચે એનું નામ લગ્ન’ આ સરળ વાતને દંપતીઓ સમજી લે તોય ઘણા ઘર, દિલ અને જીવન તૂટતા બચી જાય.
છૂટાછેડા માટેનું ત્રીજું એક મહત્ત્વનું કારણ આ છે કે આજની સ્ત્રીઓ, માનસિક અને આર્થિક રીતે સબળી થઈ રહી છે. છૂટાછેડા લેતા દંપતીઓમાં મોટાભાગના બંને પાત્રો કમાતા હોય છે. આનો અર્થ એ થયો કે સ્ત્રીઓ પુરૃષોનું આધિપત્ય સ્વીકારા તૈયાર નથી. એમને લાગે છે કે તેઓ પુરૃષો ઉપર આધાર રાખ્યા વિના પણ પોતાનો જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે. આ માનસિકતાને લીધેે શિક્ષિત યુવાનો અને યુવતીઓ મોડા લગ્ન કરે છે. ઘણી શિક્ષિત યુવતીઓ તો લગ્નમાં માનતી જ નથી, એકલી જ જીવન પસાર કરી નાખે છે તો ઘણી બધી યુવતીઓ ‘લિવ ઇન રિલેશનશિપ’માં જીવવા લાગે છે તો કેટલીક ‘વન નાઈટ સ્ટેન્ડ’ અર્થાત કોઈ અજાણ્યા પુરૃષ સાથે એક રાત શરીર સુખ માણી લે છે. સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય આ જ છે કે તૂટતી જતી લગ્ન પરંપરાને કેવી રીતે અટકાવી શકાય? સમાજશાસ્ત્રીઓને માથું ખંજવાળતી કરે એવી બીજી બાબત આ છે કે આધુનિક દંપતીઓ લગ્નના એક કે બે વર્ષની અંદર જ છૂટાછેડા માટે અરજી કરે છે. અને અરજી કર્યા પછી એમને ફટાફટ છૂટા થઈ જવું હોય છે. કોર્ટમાં તારીખો પડતી રહે એ એમનાથી સહન થતું નથી. એમને તો ચટ અરજીને પટ છૂટાછેડા લઈ લેવા હોય છે. અને એના માટે એમને કોઈ પસ્તાવો પણ નથી હોતો. કેટલાક તો ભરણપોષણની માથાકૂટમાં પણ પડતા નથી. બસ જલ્દીથી છુટા થઈ જવાય તો બીજા કોઈ પાત્રને શોધી લઈએ એવી ઉત્કંઠા હોય છે.
મુંબઇના એક મેરેજ કાઉન્સેલર (લગ્ન સલાહકાર)ના જણાવ્યા મુજબ પહેલાના સમયમાં દહેજ, મિલકતના ઝગડા અને કુટુંબમાં થતી બોલાચાલીને લીધે છૂટાછેડાના કેસ ફાઈલ કરવામાં આવતા હતા પરંતુ આજના યુવા દંપતીઓ એટલા નિખાલસ થઈને છૂટાછેડાનું કારણ આપે છે કે વિજાતીય પાત્ર મને ગમતું નથી!
છૂટાછેડાનું એક કારણ કદાચ આ પણ હોઈ શકે કે કાયદામાં સ્ત્રીને ઘણા બધા અધિકારો આપી દેવામાં આવ્યા છે. અમે ચોખવટ કરી લઈએ કે અમે સ્ત્રી વિરોધી કે સ્ત્રી સમાનતાના કે ફેમીનીઝમના વિરોધી નથી પરંતુ આ સત્ય બાબત કોઈનું ધ્યાન જતું નથી. યુરોપ અમેરિકામાં છૂટાછેડાનું પ્રમાણ દર હજાર દંપતીઓ દીઠ ૪૦૦ થી ૫૦૦ હોય છે એનું એક કારણ તો એ છે કે સ્ત્રીને કાયદાકીય અધિકારો ઘણા છે. પુરૃષ સ્ત્રીને છુટાછેડા આપે એટલે સાથે એણે એની ૫૦ ટકા મિલકત પણ આપી દેવાની હોય છે! ઘણી બધી સ્ત્રીઓ યુરોપમાં માલદાર પુરૃષો સાથે માત્ર એટલા માટે લગ્ન કરે છે કે થોડા સમય પછી તલાક લઈ લેવાની એટલે ઘેરબેઠા કરોડપતિ! એમાં પતિ બીચારો રોડપતિ બની જાય છે. યુરોપ અમેરિકા જેટલી કાયદાકીય છુટો હજી આપણા દેશે સ્ત્રીઓને આપી નથી પરંતુ જે કેટલાક કાયદા છે એમાં પુરૃષો ઉપર રીતસરનો અન્યાય થાય છે. આવી જ એક કલમ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો ૪૯૮ (એ)ની કલમ લગાવવામાં આવે છે. સ્ત્રીઓએ આ કલમનો ઘણો દુરૃપયોગ કર્યો છે. જોકે હવે કોર્ટો પુરતા પુરાવા ન હોય તો સ્ત્રીઓની તરફેણ કરતી નથી. હવે એમાં પુરૃષોની પણ સુનાવણી થાય છે. આ જ કલમનો દુરૃપયોગ કરીને ઘણી સ્ત્રીઓએ પતિ પાસેથી છુટાછેડા અને ભરણપોષણ મેળવ્યા હતા. ઘણા બધા કિસ્સામાં પુરૃષ બિચારો નિર્દોષ હોય તો પણ વકીલો અને પોલીસની સાંઠગાંઠથી પુરૃષો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો જો કે હવે પરિસ્થિતિ સુધરી છે.
છૂટાછેડા માટે માબાપને પણ જવાબદાર ગણવા જોઈએ? જે સ્ત્રીઓ પોતાની મમ્મીઓને દાદી સાથે લડતી ઝઘડતી જોતી હોય એ સાસરે જઈને પોતાની સાસુ-નણંદ સાથે ન લડે તો જ નવાઈ! અને સાસરામાં લડાઈ ઝઘડો થાય ત્યારે ઘણા માબાપ છોકરીને સમજાવવાને બદલે એનું ઉપરાણું લેતા હોય છે, અને જેવા સાથે તેવાની નીતિ અખત્યાર કરવાની ખોટી સલાહ આપતા હોય છે. આમાંથી સંઘર્ષ વધુ મોટો થાય છે અને પતિ, સાસુ, સસરા અને નણંદ સાથેનો ઝઘડો વધતો જ જાય છે, જે મોટાભાગના કિસ્સામાં છૂટાછેડામાં પરિણમે છે.
આજે આવશ્યકતા તો આ વાતની છે કે માબાપે છોકરીઓને ફેશન અને સ્ટાઈલની સાથે સહનશક્તિ, ધીરજ અને નરમાશના ગુણો પણ શીખવવા જોઈએ. એની સામે છોકરાના માતાપિતા (અને ખાસ કરીને બહેન)ની આ ફરજ છે કે વહુને દીકરી સમાન ગણી એની નાની નાની ભૂલોને ક્ષમા આપી ઘરના વાતાવરણમાં કેવી રીતે ગોઠવાઈ જવું એ શીખવવું જોઈએ. આ ઘણી જ સામાન્ય બાબત જોવામાં આવી છે કે છોકરો નોકરી ધંધાથી થાકેલો હારેલો સાંજે આવે તો એની મમ્મી વહુની કરમકથની કહેવા બેસી જાય છે. આમાં મોટાભાગની વાતોમાં કંઇ દમ નથી હોતો પરંતુ આવી નાની નાની બાબતોમાંથી મોટો સંઘર્ષ જન્મે છે. પછી ઝઘડા અને અંતે છૂટાછેડા થાય છે.
અમેરિકન સાયકોલોજીસ્ટ જ્હોન ગોટમેનનું કહેવું છે કે ચાર બાબતોના લીધે છૂટાછેડાનું પ્રમાણ વધે છે (૧) ટીકાટીપ્પણી – દરેક વાતમાં એકબીજાની ટીકાટીપ્પણી કરી ઉતારી પાડવું (૨) એકબીજાનું સન્માન ન કરવું (૩) ખોટો બચાવ – જેે લોકો જવાબદારી સ્વીકારતા નથી તેઓ સમસ્યાને હલ નથી કરી શકતા અને પોતે ખોટા ખોટા બચાવ કરતા રહે છે. (૪) અક્કડપણું – ભૂલ ન સ્વીકારવી અને વધુ પડતી અક્કડતા દાખવવાથી વાત વધારે બગડે છે. સમાધાન નીકળવાને બદલે સમસ્યા વધે છે.
છૂટાછેડાને લીધે સ્ત્રી-પુરૃષ બંનેના દિલ અને દિમાગ ઉપર અસર પડે છે. તણાવ, બ્લડપ્રેશર, ખેંચ કે નિરાશા વ્યાપી જાય, જેનાથી તંદુરસ્તી ઉપર પણ અસર જોવા મળી શકે છે. બાળકો હોય તો તે કોની પાસે રહેશે એ સમસ્યા પણ ઉદ્ભવે છે. માબાપના ઝઘડાઓથી અને છૂટાછેડાથી એમના કુમળા માનસ ઉપર પણ કુપ્રભાવ પડે છે. તેઓ પણ નિરાશાનો શિકાર બની શકે છે. કેટલાક બાળકો તો ગુંડાગીર્દી કરવા લાગે છે.
દુર્ભાગ્યે આપણે ત્યાં મેરેજ કાઉન્સેલીંગ કે લગ્ન સલાહ કેન્દ્રો બહુ ઓછા છે. આમાં કોઈ મનોવિજ્ઞાાની પતિ-પત્નિ વચ્ચેની સમસ્યાઓને સમજાવીને ઉકેલ લાવે છે. અને મોટાભાગના કિસ્સામાં છુટાછેડા થતા અટકી જાય છે. બીજી સમસ્યા એ છે કે જો આવા સલાહ કેન્દ્રો હોય તો પણ ઘણા લોકો પોતાના અહંકારને લીધે જવાનું ટાળે છે કે શું અમે કંઇ ગાંડા થઈ ગયા છીએ? સરકાર આમ પણ આરોગ્ય વિષયક બાબતોમાં વધારે મૂડીરોકાણ કરતી નથી અને એમાં પણ દુર્ભાગ્યવશ માનસિક બીમારીઓ માટે કે સલાહ માટેના કેન્દ્રો બહુ ઓછા છે. લગ્ન સલાહ કેન્દ્રો મોટા શહેરોમાં તો કદાચ જોવા મળે પરંતુ નગરો અને ગામડાઓમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે.
છૂટાછેડાની સમસ્યા કોઈ એક ધર્મ કે સમૂદાયના લોકો પૂરતી મર્યાદિત નથી રહી. દિનપ્રતિદિન આ સમસ્યા વિકરાળ રૃપ ધારણ કરતી જઈ રહી છે. આનો અંત લાવવાની જવાબદારી માત્ર મનોવિજ્ઞાાનીઓ કે સમાજશાસ્ત્રીઓની જ નથી, આપણા સૌની પણ છે.

14 જાન્યુઆરી, 2016

હું તારો પ્રેમ છું.......

એક પ્રેમ ગીત સ્ફૂરી ગયું........ એ રજુ કરું છું.....ગમે તો દિલ થી દાદ આપજો ને ના ગમે તો કડક ટીકા પણ કરજો .......મને ગમશે ....

હું તારો પ્રેમ છું.........

તારા દિલની દરેક ધડકન માં હું
તારી ચૂડીઓ ની ખનખન માં હું
તારા આભૂષણોમાં ચાંદી ને હેમ છું........... હું તારો પ્રેમ છું......


તારી નીંદોમાં તારા સપનાઓ માં હું
તારા દર્પણમાં તારી અદાઓ માં હું
તું જેવું જુએ મને હું તેમ છું ... હું તારો પ્રેમ છું...........

તારી એકલતામાં હું તારો સાથ છું
તારા વિચારો માં પણ દિન રાત છું
તારી મેમરી માટે હું જ તો રેમ છું........હું તારો પ્રેમ છું......

હું પાનખર છું ને હું જ વસંત છું
તારા બધા દુખો નો હું જ અંત છું
હું ખુશી છું તારી ને હું જ વ્હેમ છું ......હું તારો પ્રેમ છું....

આ જે આપણી વચ્ચે જે કઈ હેત છે
એમાં ઈશ્વર નો જ કોઈ સંકેત છે
વિચાર,હું તારા માટે જ કેમ છું?..... હું તારો પ્રેમ છું...

તું મારો પ્રેમ ને હું તારો પ્રેમ છું....હું તારો પ્રેમ છું.....

-સઈદ શેખ



2 જાન્યુઆરી, 2016

ઇકબાલ ની પ્રસિદ્ધ ગઝલ

ડોક્ટર મોહમ્મદ ઇકબાલ ઉર્દુ ના પ્રસિદ્ધ શાયર થઇ ગયા. કુરાન ની ઇસ્લામી ફિલસુફી ને  એમણે  પોતાના કાવ્યો માં  આબાદ રીતે પ્રદર્શિત કરી છે...એમતો એમની દરેક પંક્તિ માણસ ને વિચાર કરતી કરી મુકે  એવી છે। .....એમની એક પ્રસિદ્ધ ગઝલ ના કેટલાક શેર અહી અનુવાદ સાથે રજુ કરું છું......

                             ગઝલ 

1)    જિન્હેં મેં ઢુંઢતા થા  આસમાનો મેં ઝમીનો મેં
       વહ નિકલે મેરે ઝુલ્મત ખાનાએ દિલ કે મકીનો મેં

શબ્દાર્થ : ઝુલ્મતખાના : અંધેર ઘર
               મકીન : રહેવાસી

ભાવાર્થ :    આ પંક્તિ માં ડૉ.ઇકબાલ કહે છે કે એક ઈશ્વર - અલ્લાહ સુધી પહોંચવા માટે ધરતી અને આકાશોને ખંખોળી નાખ્યા પરંતુ જયારે બારીકાઈથી જોયું તો એ મારા હૃદય માં જ ઉપસ્થિત હતો. અહી એ વાત યાદ રાખવી જોઈએ કે ઈશ્વર તો માણસ ના હૃદય માં રહે છે પરંતુ એની શોધ માટે એનો પરિચય પણ થયેલો હોવો જોઈએ।.અરબી ઉર્દુ માં આને મારેફત કહે છે।

2)     હકીકત અપની આંખો પર નુમાયાં જબ હુઈ અપની
        મકાં નિકલા હમારે ખાન એ દિલ કે મકીનો મેં

શબ્દાર્થ    : નુમાયાં :સ્પષ્ટ થવું
                 મકા    : મકાન,ઘર
                 ખાન એ દિલ  : હૃદય રૂપી ઘર

ભાવાર્થ   : આનો અર્થ પણ લગભગ પ્રથમ પંક્તિ જેવો જ છે। આમાં કહેવામાં આવ્યું છે કે જયારે મને જાણ   થઈ કે મારી વાસ્તવિકતા શું છે તો  આ જ્ઞાન પણ થઇ ગયું કે ઈશ્વર -અલ્લાહ તો સ્વયં મારા હૃદય માં મોજુદ છે ,એને બહાર શોધવાની કોઈ જરૂર નથી.   

3)       કભી અપના ભી નઝારા કિયા હૈ તુને એ મજનું ?
          કે લૈલા કી તરહ તું ખુદ ભી હૈ મહમિલ નશીનોમે

 શબ્દાર્થ  : નઝારા : જોવું , નિહારવું, દર્શન
                મહમિલ નશી : ઊંટના પલાણમાં બેસનાર

ભાવાર્થ    :  કવિ ઇકબાલ અરબસ્તાન ના પ્રસિદ્ધ પ્રેમી મજનું (વાસ્તવિક નામ કૈસ) ને સંબોધીને કહે છે કે આટલું બતાવી દે કે પ્રેમ માં મગન રહેવા સિવાય પણ તે કદી તારી જાત માં ઝાંકીને જોયું છે ?મારા મત મુજબ તો તું પણ ઊંટ ના પલાણ માં - પડદાં ની આડ માં બેઠેલી લૈલા જેવો જ છે। અર્થાત જ્યાં સુધી માણસ પોતાની જાત થી બહાર નીકળી ને પોતાને જોતો નથી ત્યાં સુધી પોતાને ઓળખતો નથી।

4)       મહીને વસ્લ કે ઘડિયો  કી સુરત ઉડે જાતે હૈ
           મગર ઘડિયાં જુદાઈ કી ગુઝરતી હૈ મહીનો મેં
શબ્દાર્થ     : વસ્લ   : મિલન
                   ઘડી : ક્ષણ , સમય
                   ગુઝરવું  : પસાર થવું

ભાવાર્થ     :  કવિ કહે છે કે પ્રિય પાત્ર -પ્રેમી કે પ્રેમિકા -સાથે મિલન નો સમય બહુ જલ્દી વીતી જાય છે મહિનાઓ પણ જાણે ક્ષણો ની જેમ પસાર થઈ જાય છે ,પરંતુ વિયોગ આવી પડે તો નાની ક્ષણો પણ મહિનાઓ જેવી વીતે છે ,સમય જાણે ખૂટતુ જ નથી।

5)       તમન્ના દર્દે દિલ કી હો તો ખિદમત કર ફકીરો કી
          નહીં મિલતા યહ ગૌહર બાદશાહો કે ખઝીનોમેં
શબ્દાર્થ     : તમન્ના  : ઈચ્છા
                   ખિદમત  : સેવા
                   ફકીર : ભિક્ષુક ,સંત
                   ગૌહર  : મોતી ,રત્ન ,મણી
                   ખઝીના : ખજાનો

ભાવાર્થ   : જો તું ઈચ્છતો હોય કે તારા હૃદય માં પ્રેમ ની ભાવના જન્મે તો આમતેમ દરબદર ભટકવા કરતા એ ફકીરો -સંત પુરુષો ની સેવા કર જેઓ દુનિયા ની દરેક ભૌતિક વસ્તુ થી બેપરવા થઈ સામાન્ય માણસો ને કામ આવે છે। આ પણ જાણી લે કે પ્રેમ ની ભાવના રૂપી રત્ન કોઈ રાજા મહારાજા ના ખજાના માં પણ નથી મળતો।

6)       ખમોશ એ દિલ ! ભરી મહફિલ મેં ચિલ્લાના નહિ અચ્છા
          અદબ પહેલા કરીના હૈ મોહબ્બત કે કરીનો મેં

શબ્દાર્થ   : અદબ : રીત ,સંસ્કાર
                 કરીના  : આચરણ
   
ભાવાર્થ  : ઇકબાલ કહે છે એ દિલે નાસબુર ! તને તો તારા વાસ્તવિક મહેબૂબ (ઈશ્વર) થી પ્રેમ નો દાવો છે તો પણ ભરી સભા માં રોક્કળ કરે છે.જે લોકો પ્રેમ ના દાવા કરે છે એમને એટલી તો સુઝ્બુઝ હોય છે કે પ્રણય ના શિષ્ટાચાર માં ખામોશી અને ઇઝ્ઝત પ્રથમ રીતભાત છે.

7)      બુરા સમઝૂં  ઉન્હેં ? મુઝસે તો ઐસા હો નહિ શકતા
          કે મેં ખુદ ભી તો હું 'ઇકબાલ' અપને નુક્તાચીનો મેં

શબ્દાર્થ   : નુક્તાચી : ટીકાકાર

ભાવાર્થ : ગઝલની અંતિમ પંક્તિ (મક્તા) માં ઇકબાલ કહે છે કે જે લોકો મારા ટીકાકારો કે વિવેચકો છે એમને હું કેવી રીતે ખરાબ માનું ? કારણ કે હું પોતેજ મારો સૌથી મોટો ટીકાકાર છું.





      

9 સપ્ટેમ્બર, 2014

સફળતા કોઈનો ઇજારો નથી

success

આ જગતના સામાન્યથી સામાન્ય માનવીથી લઈ મહામાનવ સુધી, મૂર્ખથી લઈ વિદ્વાન સુધી, ગરીબ અને ભિખારીથી લઈ ધનવાનો સુધી, અભણથી લઈ ડૉકટરેટ કરેલા વિદ્વાનો સુધી, રસ્તા ઊપરથી કચરો સાફ કરનાર સ્વીપરથી લઈ આખા દેશની ટીમના સ્કીપર સુધી, મજૂરથી લઈ મેનેજર સુધી, સામાન્ય કાર્યકરથી લઈ મોટા નેતા સુધી ટૂંકમાં ઝીરોથી હીરો સુધી બધાને એની તમન્ના છે, અને પામી લેવા માટેની લાયકાત હોય કે ન હોય, એેને પામવા માટે જરૃરી પરીશ્રમ કરવાની ખેવના હોય કે ન હોય, તો પણ બધાને એ જોઈએ છે.અને એ છે સફળતા.!!
સફળતા વિશે ભૂતકાળમાં પણ ઘણુંબધું લખાયું હતું, હાલમાં ઘણું લખાય છે અને ભવિષ્યમાં પણ લખાવાનું કારણ સ્પષ્ટ છે જ્યાં સુધી માણસ આ ધરતી પર છે બીજા કરતા વધારે આગળ નીકળી જવાની, બીજા કરતા વાધારે શ્રેષ્ઠ બનવાની અને બીજા કરતાં વધુ સારૃ જીવન જીવવાની બેઝીક ઇન્સ્ટીકટ-જન્મજાત સહજવૃત્તિ એનામાં હંમેશા ધરબાયેલી રહેવાની પ્રેમ પામવાની ઉત્કટતા જેટલી જ, કદાચ એનાથી પણ વધારે સફળ થવાની ઝંખના કે ખેવના માણસની પ્રકૃતિમાં વણાયેલી છે. એટલે જ કદાચ માણસ કોઈનો પ્રેમ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય તો જેટલો નિરાશ થાય છે એનાથી વધારે નિરાશ નિષ્ફળતા મળે ત્યારે થઇ જાય છે.
માણવજાતની મોટાભાગની પ્રવૃત્તિઓ, ધમપછાડા, પરિશ્રમ કે મહેનતનું કારણ સફળ થવા માટે હોય છે. તો પણ આશ્ચર્યજનક રીતે ઘણા ઓછા લોકો સફળ થાય છે. એનું એક કારણ તો એ છે કે સફળતા માટે હકારાત્મક અભિગમ અને ખંતનો અભાવ હોય છે.
શેક્સપિયરે સફળતા મેળવવા માટે માત્ર ત્રણ બાબતો આવશ્યક હોવાનું જણાવ્યું હતું કે બીજા કરતાં વધારે જ્ઞાન મેળવો, બીજા કરતાં વધારે કાર્ય કરો અને બીજા લોકો કરતા ઓછી અપેક્ષા રાખો તો તમે સફળ છો. પરંતુ આજે માનવજાતમાં આ ત્રણે લક્ષણો ૧૮૦ અંશના ખૂણે જોવા મળે છે. આજે કોઇને બીજા કરતાં વધારે જાણવું નથી કે જ્ઞાન મેળવવું નથી, બીજા કરતા ઓછું કાર્ય કરવું છે, ઓછી મહેનત કરવી છે અને બીજા કરતાં વધારે ધન,દૌલત, ઇજ્જત અને સફળતા જોઇએ છે! યે મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.
સફળતા મેળવવા માટે સારો સ્વભાવ હોવો પણ જરૃરી છે. એક ચાઇનીઝ કહેવત છે કે જો તમને સ્મિત કરતાં ન આવડતું હોય તો તમે સફળ સેલ્સમેન ન બની શકો. તમારો સ્વભાવ ચીડીયો હોય, ઉગ્ર હોય, જઘડાળુ હોય તો તમારી સાથે કામ કરતાં લોકો જ તમને ગાળો આપશે, તમારાથી દૂર ભાગશે, પછી બીજા લોકોની તો વાત જ શું કરવી ! ફેસબુક ઉપર અમે વાંચ્યું હતું કે કડવી જીભ વાળાનું મઘ પણ વેચાતુ નથી ને મીઠી જીભ વાળાના મરચાં પણ વેચાઇ જાય છે. સાચી વાત.
અભ્યાસ કે અધ્યયન કરવું એ સફળતાને ટકાવી રાખવા માટે આવશ્યક હોય છે. ખાસ કરીને જે લોકો ટેકનિકલ ક્ષેત્રમાં હોય એમને નવી નવી ટેકનોલોજી વિશે જાણતા રહેવું કે એનું અધ્યયન કરતા રહેવું ખૂબ જરૃરી છે. ડૉક્ટરો, એન્જિનીયરો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો જેવા ટેકનીકલ નિષ્ણાંતોને એમના ક્ષેત્ર માં શું નવું આવ્યું એ જાણવું પડે છે , ઉપરાંત વકીલો અને ન્યાયધીશોને પણ નવા નવા ચુકાદાઓ વિશે વાંચવું આવશ્યક હોય છે. જે લોકો સમય અને જમાના સાથે તાલ નથી મેળવી શકતા તેઓ પાછળ રહી જાય છે. નવા નવા વિચારો માટે, નવીનતા માટે લેખકો, કવિઓ કે સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ ખૂબ વાંચવું આવશ્યક હોય છે. જે લોકો સમય અને જમાના સાથે તાલ નથી મેળવી શકતા તેઓ પાછળ રહી જાય છે.
એવી જ રીતે નવી શોધો કરનારા ‘ઇનોવેટર્સ’ને નવા નવા વિચારો, નવી શોધો માટે ખૂબ વાંચવું, નિરિક્ષણ કરવું લોકોની સુવિધા માટે એમના વિચારો, આદતો વગેરે વિશે અધ્યયન કરવું પડે છે.
માત્ર અધ્યયન કરવાથી જ સફળતા મળતી નથી કે ટકતી નથી એના પછીનો મહત્વનો તબક્કો આવે છે પ્રેકટીસ. પ્રેકટીસ મેક્સ મેન પરફેક્ટ એવી અંગ્રેજીમાં કહેવત છે. ખેલાડી ગમે તેટલો મહાન બની જાય એને સતત પ્રેકટીસ કરતા રહેવી પડે છે. વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની કે યુવરાજસિંહ – બધાને પ્રેકટીસ કરતા રહેવી પડે છે. લેખકોને સતત લખવાની પ્રેકટીસ કરવી પડે છે. માઇકલ ફેલ્પસ નામના અમેરિકન તરવૈયાએ બેઇજીંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને કુલ ૨૦ ગોલ્ડ મેડલ અને ૨ સિલ્વર મેડલ મેળવીને જીવનમાં અનોખો વિશ્વવિક્રમ સર્જયો છે. એની સફળતાનું કારણ શું હતું ? સતત પ્રેકટીસ એ સ્વીમીંગ પુલમાં રોજના સતત ૧૦ કલાક પ્રેકટીસ કરતો હતો.
માણસ જે ક્ષેત્રમાં હોય એમાં એણે સતત પ્રેકટીસ કરવી પડે છે. જેઓ સતત પ્રેકટીસ કરતા રહે છે તેઓ જ સફળતા પ્રાપ્ત કરે છે અને એને ટકાવી રાખે છે. પ્રેકટીસ છૂટી તો સફળતા પણ છૂટી સમજો.
જીવનમાં સફળતા મેળવવી હોય તો ખંતને તારો મિત્ર, અનુભવને ડાહ્યો સલાહકાર, સાવધાનીને મોટાભાઇ અને આશાને મેઘાવી વાલી બનાવ – એવી સોનેરી સલાહ એડીસન નામના વિદ્વાને આપી છે.
સફળ માણસોમાં ઘણીબધી બાબતો અસમાન્ય હશે પરંતુ બધામાં એક સામાન્ય બાબત જરૃરી હતી – ખંતપૂર્વક સખત પરિશ્રમ. જે લોકો સફળ થયા તેમણે ભુખ્યા તરસ્યા રહી, આરામ, મનોરંજન છોડી કાર્યમાં વ્યસ્ત રહ્યા. વહેલા ઉઠતા, મોડે સુધી જાગીને કામ કરતા કોઇ કવિએ સરસ મજાની કવિતા લખી છે,
Life is what you make it. It depends upon the foundation that you lay. It is on the sound basis that you can build. On the trend of your mind -
And on the determination to uphold what you think – and know – is right. Remebering Life’s limits, and opportunities which be.
If you start your course with all your force.
Every source of nature
will turn toward and help you
To achive your true success.
જેનો ભાવાર્થ એવો છે કે જીવનને તમે જેવું બનાવો તેવું બને છે. તમે કેવો પાયો નાખ્યો છે એના ઉપર એનો આધાર છે. તમે જ વિચારો અને જાણો છો અને જે સાચું છે એ તમારા મગજના મજબૂત પાયા ઉપર એવું ઘડતર કરી શકો છો. જીવનની મર્યાદાઓ અને તકો ને યાદ રાખો. તમે ધગશપૂર્વક જીવન સફળ આરંભો તો કુદરતી બળો તમને સફળતા અપાવવામાં મદદે લાગી જાય છે.
જેઓ સફળ થવા માગે છે એમણે દિમાગની બારી ખુલ્લી રાખવી જોઇએ. નવા વિચારો માટે. નવી શક્યતાઓ માટે – લવચીક અને સર્વોતા મુખી વર્સેટાઇલ બનવું જોઇએ. માત્ર ગધા વૈતરૃં કરવાથી સફળતા મળતી નથી. ‘સ્માર્ટ વર્ક’ કે હોશિયારી પૂર્વક કાર્ય કરવાથી સફળતા મળે છે. સામાન્ય બુદ્ધિ અને મૌલિક  વિચારોની પણ આવશ્યક્તા હોય છે.
સફળતાની આડે સો વિઘ્નો હોય છે. જેઓ ધીરજપૂર્વક આ વિઘ્નોને દૂર કરી પાર નીકળી જાય છે તેઓ જ મંઝિલે પહોંચે છે. આવું કરનારા વિશ્વના ઘણા મહાપૂરૃષો થઇ ગયા. જેમણે મુશ્કેલીઓ અને સખત હાડમારીઓનો સામનો કર્યો. જો તમારી ઉપર મુશ્કેલીઓ નથી આવી કે તમે હાડમારીવાળું જીવન નથી જીવ્યા તો તમે તમારા ચારિત્ર્યને સુદૃઢ બનાવવાનું ચુકી ગયા છો એ જાણી લેજો. જીવનમાં બધું જ સરળતાથી મળતું હોય. કોઇ મુશ્કેલીઓ ન હોય અને બધે સુખ જ સુખ હોય તો એનો અર્થ એ છે કે તમે ક્યાંય પણ કોઇ બાબત પાછળ લાગેલા નથી. તમે ક્યાંય જઇ નથી રહ્યા, તેથી તમે કંઇ પણ પ્રાપ્ત કરી શકશો નહીં, કેમકે સખત પરિશ્રમ જ સફળતા અપાવે છે. બીજી બાબત એ છે કે તમારો વિરોધ કરનારા જેટલા વધુ હશે તેમ તમારૃં ચારિત્ર્ય વધુ મજબૂત બનશે. સફળતા કોઇ એક બાબત કે ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોઇ શકે નહીં. સાચી સફળતા જીવનના બધા જ ક્ષેત્રોને આવરી લે છે. સફળ માણસ મા બાપ તરીકે, પતિ તરીકે પુત્ર તરીકે, પાડોશી તરીકે, કાર્યકર કે દેશના નાગરિક તરીકે બધી જ રીતે સફળ હોય છે.
સફળતા એ પર્વતની ટોચનું આખરી મુકામ નથી એ તો છે સતત વિકાસ પામવાની પ્રક્રિયા અર્થાત્ સફળતા કોઇ મંઝિલનું નામ નથી સતત પ્રવાસનું કામ છે.

12 એપ્રિલ, 2014

માણસના ચારિત્ર્ય ઘડતરમાં ઇસ્લામની ભૂમિકા

               માણસના ચારિત્ર્ય ઘડતરમાં એના ઘરનું વાતાવરણ, સંસ્કારો, એ ક્યા પુસ્તકો વાંચે છે એ અને કેવા લોકોની સંગતમાં બેસે છે એ મહત્વનું હોય છે. ઇસ્લામ આ બધી બાબતો ઉપરાંત કેટલાક એવા આદેશો આપે છે જો એના ઉપર આચરણ કરવામાં આવે તો એક મુસલમાન જ નહિ પરંતુ બીજા ધર્મની કોઇપણ વ્યક્તિ પણ એક શ્રેષ્ઠ ચારિત્ર્યની માલિક બની શકે છે. ઇસ્લામના આ આદેશોમાં ચારિત્ર્ય ઘડતર ઉપરાંત સફળતા માટેના ગુણો પણ છુપાયેલા છે. એ કઇ બાબતો છે, એની ચર્ચા કરવી આવશ્યક છે.

ઈમાન

‘ઇમાન’ અથવા એક અલ્લાહમાં શ્રદ્ધા અને એને જ માત્ર એક ઇશ્વર માનવું, એના સિવાય કોઇને ઇશ્વર ન માનવું ન જ કોઇ બીજાને એની બંદગીમાં ભાગીદાર બનાવવું, એના માટેની શરત છે ઇસ્લામી કલમો પઢવો અને સાચા હૃદયથી અલ્લાહ, તેના પયગંબરો, તેમના ઉપર અવતરિત થયેલા પુસ્તકો, ફરિશ્તાઓ, કયામતના દિવસ અને તકદીર (ભાગ્ય)માં માનવું. ઇસ્લામનો અર્થ જ એ છે કે અલ્લાહની ઇચ્છાને શરણે થવું. માણસ જ્યારે માત્ર ને માત્ર એક જ અલ્લાહની ઇબાદત કરે છે. એની જ સામે સજદો કરે છે ત્યાર પછી એને બીજા ઝૂઠા ખુદાઓ કે બુતો સામે સજદો કરવાની આવશ્યક્તા નથી રહેતી. માનસિક રીતે પણ આ વાત લાભકારક છે કે માત્ર એક ઇશ્વરથી ડર્યા પછી બીજા કોઇથી ડરવાની જરૃર નથી રહેતી અને મન એની (ઇશ્વરની) યાદથી શાંતિ અનુભવે છે. આ વાત મનમાં દૃઢ થઇ જાય કે બધી જ જરૃરિયાતો અલ્લાહ પુરી કરે છે ત્યારે બધી જ આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ઓછી થઇ જાય છે. મનની શાંતિ એ ચારિત્ર્યનો સૌથી મોટો ગુણ છે. આજે લોકો ભૌતિકતા, સુખ સગવડો અને દુનિયાદારીમાં મનની શાંતિ શોધે છે. જ્યાં એનું અસ્તિત્વ જ નથી ત્યાં લોકો એને શોધી રહ્યા છે. મૃગજળ પાછળ બધાએ દોટ મુકી છે, દરિયાને છોડીને. કુઆર્ન શરીફમાં કહેવામાં આવ્યું છે કે અલ્લાહની યાદમાં મનની શાંતિ છે. જે માણસ આ વાત સમજી લે એનું ચારિત્ર્ય ઉચ્ચ કક્ષાનું હોવાનું, એની વર્તણુંક પણ ગૌરવશાળી હોવાની.

નમાઝ

નમાઝ એવી બંદગી છે જેનાથી શારીરિક અને માનસિક પવિત્રતા પ્રાપ્ત થાય છે. નમાઝ પઢતા પહેલાં વુઝૂ કરીને શરીર પવિત્ર બનાવવું જરૃરી છે. એટલે શરીરની ગંદકી દૂર થાય છે. કહેવાય છે નમાઝ એવી રીતે પઢવી જોઇએ જાણે આપણે અલ્લાહને જોઇ રહ્યા છીએ. આ શક્ય ન હોય તો એવી રીતે પઢવી જોઇએ કે અલ્લાહ આપણને જોઇ રહ્યો છે. માણસના મન મસ્તિષ્ક ઉપર આ વાત છવાઇ જાય કે દરેક જગ્યાએ દરેક સમયે અલ્લાહ મને જોઇ રહ્યો છે, ત્યારે એ ઘણા પાપ કરવાથી બચી જાય છે. આનાથી માણસ ઘણા દુષ્કર્મો, કુટેવો અને અનૈતિક કાર્યો કરવાથી બચી જાય છે. નિષ્કલંક ચારિત્ર્ય બને એનાથી રૃડું બીજું શું હોઇ શકે ? નમાઝ શીખવાડે છે કે એક સર્વશક્તિમાન સમક્ષ માથું ટેકવો તો પછી બીજા કોઇની સામે ઝૂકવાની જરૃર નહીં પડે. જે જેટલું એની સમક્ષ ઝૂકે છે એ અલ્લાહ એને એટલા દરજ્જા ઊંચા કરે છે. ડૉ. મુહમ્મદ ઇકબાલે સરસ કહ્યું હતું,
વો ઇક સજ્દા જિસે તૂં ગિરાં (મુશ્કેલ) સમઝતા હૈ,
હજારો સજદો સે વો દેતા હૈ આદમી કો નિજાત (મુક્તિ)

રોઝો

ઉપવાસના ઘણા બધા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા છે. વિજ્ઞાને પણ આનું મહત્વ સ્વીકાર્યું છે. ઉપવાસ માણસના ચારિત્ર્ય ઘડતરમાં ઘણી રીતે મહત્વની ભૂમિકા અદા કરે છે. ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું, એવું નથી. ઉપવાસનો ખરો અર્થ છે – પોતાની જાતને રોકવી, સંયમી બનવું. બુરાઇ અનિષ્ટો અને પાપોથી પોતાની જાતને રોકવી. રોઝામાં ખોટું બોલવા, જોવા અને સાંભળવા ઉપરાંત કોઇનું ખોટું વિચારવાની પણ મનાઇ છે. રોઝાનો મુખ્ય આશય મનને સંયમી બનાવી આત્માને મજબૂતી બક્ષવાનો છે. જીવનમાં ઘણા પ્રસંગોએ ભૂખ્યા, તરસ્યા રહેવાના પ્રસંગો આવે છે, આવા સમયે માણસ ઘાંઘો ન થઇ જાય એનું રિહર્સલ ઉપવાસમાં છે. ઉપવાસમાં માણસ પોતાની પત્ની સાથે પણ સહશયન કરી શકતો નથી. એટલું સંયમ વરતવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજે જ્યારે માણસ બેફામ બની વાસનાઓના ઘોડાપુરમાં વહી રહ્યો છે. સ્ત્રીઓ સાથે બળાત્કારના પ્રયત્નો કરવાની તકો શોધતો રહે છે, આખા સમાજમાં જાણે એક વિકૃતિ પ્રસરી ગઇ છે ત્યારે ઇસ્લામના આ ઉપવાસથી ચારિત્ર્યની શુદ્ધિ અને સંયમની ક્ષમતા વધારવાની અનોખી તક છે.

ઝકાત

ઝકાત એટલે મુસલમાન માલદાર ઉપર એક વર્ષની કુલ આવકના ૨.૫ ટકાના દરે ગરીબોને આપવાનું દાન. આનો મુખ્ય આશય માલદારો પોતાના દીનબંધુઓને પણ ખુશીઓમાં સામેલ કરે અને સમાજમાં ગરીબી અમીરીનો તફાવત ઓછો થાય એ છે. આ તો સામાજિક લાભ છે પરંતુ વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનમાં એવું જણાયું છે કે જે લોકો બીજાના ભલા માટે કોઇ કાર્યો કરે છે અથવા એમને કંઇ પણ દાન આપે છે. તેઓ સુખનો અનુભવ કરે છે, સંતોષનો ઓડકાર લે છે. ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે જે માણસના સ્વભાવ અને પ્રકૃતિને અનુરૃપ આદેશ આપે છે. દાન કરવાના બે લાભ આપણે જોયાં, ત્રીજો અને સૌથી મહત્વનો લાભ આ છે કે માણસના મનમાંથી માલની મહોબત ઓછી થાય છે. આ દુનિયા, ધન દોલત બધુ નાશવંત છે અને ધનદોલત જેવી ચંચળ વસ્તુ તો બીજી એકેય નથી. એ આજે હોય તો કાલે ન પણ હોય અને આજે ન હોય તો કાલે આવી પણ જાય ! આવી અનિશ્ચિત વસ્તુ પાછળ આજે દુનિયાના મોટા ભાગના લોકો દોડી રહ્યા છે. બધા એને પોતાની તિજોરીમાં કેદ કરવા માગે છે અને એના માટેની અનૈતિક રીતો પણ અપનાવે છે અને ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટાચાર કરી પાપી તો બને જ છે પરંતુ પોતાના અંતઃકરણનો પણ ગુનેગાર બને છે. અનીતિથી કમાવેલી સંપત્તિથી મનમાં ઉચાટ જન્મે છે. એનું અંતઃકરણ સતત એને ડસતું રહે છે. એની સામે ઇસ્લામે કહ્યું કે જે કાંઇ તમારી પાસે છે એ બીજાને આપો. કારણ કે તમારી પાસે જે કાંઇ છે એ તમારૃં નથી, એ ઇશ્વર તરફથી તમને આપવામાં આવ્યું છે તમારી પરીક્ષા કરવા માટે કે તમે એનો કેવો અને ક્યાં ઉપયોગ કરો છો. મહેનત મજૂરી કરી વૈદ્ય રીતે હલાલ કમાણી કરો, નીતિથી કમાવો અને નીતિથી વાપરો. ઉડાઉ ન બનો અને કંજૂશ પણ ન બનો. મધ્યમ માર્ગ અપનાવો ઇસ્લામ મુસલમાનને દાન આપવાનો આદેશ આપી એનું ચારિત્ર્ય એ રીતે મજબૂત કરવા ઇચ્છે છે કે જે નાશવંત અને અનિશ્ચિત છે એને અનૈતિક રીતે કમાવી સંગ્રહ કરશો તોય દુખી થશો અને એને નૈતિક રીતે કમાવી નૈતિક રીતે ખર્ચ કરશો તો સુખી થશો. એનો પુણ્ય તો મળવાનો જ છે પરંતુ આ જગતમાં પણ આપણા દીનબંધુની મદદનો સંતોષ તમને ખુશ કરતો રહેશે.

હજ્જ

દરેક માલદાર મુસલમાન ઉપર જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે. ગરીબો માટે ફરજિયાત નથી. હજ્જ મુસલમાનની ચારિત્ર્યની મજબૂતીમાં ભૂમિકા નિભાવે છે. મુસાફરીની તકલીફો વેઠવી, સફેદ કાપડ કે જેને એહરામ કહેવામાં આવે છે એ પહેરવું કે જેનાથી કફનની અને મૃત્યુંની યાદ આવતી રહે, કોઇ દુષ્કર્મ ન કરવું, કોઇને કોઇપણ જાતની તકલીફ ન પહોંચાડવી, માથાના વાળ મુંડાવી દેવા વિદેશમાંથી આવેલા જુદા જુદા રાષ્ટ્રોના લોકો, નાત-જાત, રંગભેદ … કશાની પણ પરવા કર્યા વિના સમાનતા અને એક્તાનો એમની સાથે વ્યવહાર કરવો, ત્યાગ અને બલિદાનની ભાવના કેળવવી. આ છે એ બાબતો જે મુસલમાનના ચારિત્ર્યને નિર્મળ, પવિત્ર અને મજબૂત બનાવે છે.
ઉપર વર્ણવેલા પાંચ (અરકાન) સ્તંભો એ ઇસ્લામના પાયાની બાબતો છે. આ ઉપરાંત પણ બીજી કેટલીક એવી બાબતો છે જેનાથી ચારિત્ર્ય મજબૂત બને છે.
ઇસ્લામે માણસોને બુરાઇઓ અનિષ્ટોથી બચવાનો આદેશ કર્યો છે અને સદ્કાર્યો કરવાની આજ્ઞા આપી છે. આનાથી માણસમાં બીજા માટે પ્રેમ, ત્યાગ, બલિદાન અને દયા જેવા ગુણો જન્મે છે. ઇસ્લામ મુસલમાનોને ‘ઇખ્લાસ’ એટલે કે શુદ્ધતાની આજ્ઞા આપે છે. શુદ્ધતા માત્ર તનની જ નહિ, મનની પણ. બીજાનું સારૃં કરવું, સારૃં વિચારવું, ખોટું કરવાથી પોતાની જાતને રોકવી. આજે કેટલાક લોકો પોતાની નામના અને વાહવાહ થાય એ માટે સમાજમાં લોકસેવા, દાન વિગેરે કરે છે પરંતુ એમાં ‘ઇખ્લાસ’ નથી હોતો. આવા કાર્યોથી એને કદાચ નામના તો મળતી હશે પણ એને સંતોષ અને પુણ્ય મળતા નથી.
મુસલમાનનું હૃદય એ વાતનો વિશ્વાસ ધરાવે છે કે પ્રસિદ્ધિ અને નામનાની ખેવના વિના જે સદ્કાર્યો કરવામાં આવશે એનું પુણ્ય અલ્લાહ પાસેથી જરૃર મળવાનું જ છે.

સિદ્ક

સિદ્ક એટલે સત્યતા, પ્રમાણિકતા, ઇસ્લામે સૂચવેલા મહાનતમ ગુણોમાંથી આ એક છે. મુસલમાન ‘સાદિક’ (સાચો) અને પ્રમાણિક જ હોવો જોઇએ. પ્રમાણિક્તાથી કમાવવું અને ખાવવું પ્રમાણિક્તાથી બોલવું અને વિચારવું. દરેક કાર્યમાં પ્રમાણિક્તા દાખવવી એવો આદેશ ઇસ્લામ આપે છે. આજે જ્યારે બધા જ લોકો ‘શોર્ટકટ’થી ધન, દોલત બંગલો કાર અને બધા જ ભૌતિક સુખો ખરીદવા માટે અપ્રમાણિક્તાનો આશરો લઇ રહ્યા છે ત્યારે ઇસ્લામ મુસલમાનોને આવા ‘શોર્ટકટ’ અને લપસણ માર્ગથી બચવાનો આદેશ કરે છે. સત્ય અને પ્રમાણિક્તાનો માર્ગ બહુ વિકટ છે પરંતુ એની મંજિલ બહુ સુંદર છે. પયગંબર સાહેબ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ જ્યારે ઇસ્લામના પ્રચાર-પ્રસારની શરૃઆત નહોતી કરી એ પહેલાંથી આરબો એમને ‘સાદિક’ (સત્ય બોલનાર, સાચા) અને ‘અમીન’ (અમાનતદાર, ભરોસાપાત્ર) જેવા ઉપનામથી બોલાવતા હતા. જેના ચારિત્ર્યમાં પ્રમાણિક્તા છલોછલ ભરેલી હોય એને કોઇ પ્રલોભનો પણ ફોસલાવી શકતા નથી કે એમને ડગમગાવી શકતા નથી. કડવી વાસ્તવિક્તા તો આ છે કે આજે પ્રમાણિક લોકો બહુ ઓછા છે. અપ્રમાણિકતાએ બધાને પોતાના ભરડામાં લઇ લીધા છે. પરિણામે આખો સમાજ ભ્રષ્ટાચાર અને પાપોમાં ખદબદે છે. જ્યાં સુધી પ્રમાણિક્તા આવશે નહીં, ત્યાં સુધી ભ્રષ્ટાચાર નાબૂદ થશે નહિ. કોઇ વૈજ્ઞાનિક ‘પ્રમાણીક્તાનો વાઇરસ’ હવામાં છોડશે નહિ કે જેથી બધા માણસો પ્રમાણિક બની જાય ! એના માટે દરેકને પોતપોતાની જવાબદારી સમજી પ્રમાણિક્તાનો વિકટ માર્ગ પકડવો જ રહ્યો !

તવક્કુલ

તવક્કુલ એટલે ભરોસો રાખવો, આધાર રાખવો, મુસલમાનોને માત્ર અલ્લાહ પર ‘તવક્કુલ’ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અલ્લાહ જ એમના માટે પુરતો છે. બધી જ જરૃરીયાતો પૂર્ણ કરનાર માત્ર અલ્લાહ છે, એવો દૃઢ વિશ્વાસ એટલે ‘તવક્કુલ’ અલ્લાહ પર આધાર રાખનાર ક્યારેય નિરાશ થતો નથી. બીજાની સામે હાથ ફેલાવવાનો વારો આવતો નથી. માણસમાં આ વિશ્વાસ દૃઢ થઇ જાય છે કે જે કાંઇ કરશે એ અલ્લાહ જ કરશે, અને જે કંઇ આપશે એ અલ્લાહ જ આપશે. તવક્કુલનો અર્થ એ છે કે જ્યારે પરિસ્થિતિઓ કાબૂ બહાર થઇ જાય ત્યારે પણ વિશ્વાસ ડગમગે નહિ. અને બધું જ સારૃં થશે, પરિસ્થિતિઓ સુધરશે એવો અલ્લાહ ઉપર ભરોસો, તવક્કુલ માત્ર સદ્ગુણ જ નથી પરંતુ સફળતા મેળવવા માટેનું એક માધ્યમ પણ છે.

નમ્રતા

નમ્રતા બહુ મોટો સદ્ગુણ છે. નમ્રતાથી જે જીતી શકાય છે એ અહંકાર અને યુદ્ધોથી પણ જીતી શકાતું નથી. નમ્રતા અને વિવેક ન હોય તો માણસની શક્તિ પણ બીજા માટે વિનાશનું સાધન બની શકે છે. ઇસ્લામે ઘણી જગ્યાએ નમ્રતા દાખવવાનો આદેશ આપ્યો છે. પયગંબર સાહેબ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પોતાના કાર્યો અને આચરણ દ્વારા આના ઘણા ઉદાહરણો આપ્યા છે. કોઇ રાજા જ્યારે બીજા દેશ કે કોમ ઉપર વિજય મેળવે તો અહંકારી થઇ જાય, જીતનો જશ્ન મનાવે, રંગરેલીઓ મનાવે પરંતુ પયગંબર સાહેબે જ્યારે મક્કા ઉપર જીત મેળવી તો આપ ઊંટ ઉપર ઝૂકીને નમ્રતાથી બેઠા હતા તથા બધા દુશ્મનો અને કુરૈશીઓને માફ કરતા જતા હતા. આવી નમ્રતાનો ઇતિહાસમાં બીજે ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. આવી નમ્રતાને લીધે ઘણા કાફિર કુરૈશીઓએ ઇસ્લામ સ્વીકારી લીધું હતું.

ભય અને આશા

ભય અને આશાને ઇસ્લામે સદ્ગુણ બતાવ્યા છે આશા તો સમજાય છે પણ ભય કેવી રીતે સદ્ગુણ કહેવાય ? ઇસ્લામમાં અલ્લાહનો ભય રાખી મૃત્યુ પછીના જીવન માટે તૈયારી કરવી સદ્ગુણ દર્શાવવામાં આવ્યો છે. અલ્લાહની નારાજગીનો ભય રાખવો, પ્રલયના દિવસે હિસાબ કિતાબનો અને સજાનો ભય રાખવો જરૃરી છે. દરેક પાપનો હિસાબ આપવાનો છે અને એ ભય જ મુસલમાનને સદ્કર્મ કરવા પ્રેરે છે.
આશાવાદી બનવું એ દરેક સમાજમાં, ધર્મમાં કહેવામાં આવ્યું હશે પરંતુ ઇસ્લામે કહ્યું નિરાશા એ અલ્લાહનો ઇન્કાર છે. અર્થાત્ આશા રાખવી એ ઇમાનનો સૌથી મોટો સદ્ગુણ છે. નિરાશા ખંખેરી નાંખી, દરેક બાબતને હકારાત્મક રીતે જોવી ‘પોઝીટીવ થિંકીંગ’નો આવો શ્રેષ્ઠ ઉદાહરણ બીજા ક્યા ધર્મમાં જોવા મળે છે ? સત્કર્મો દ્વારા અલ્લાહની કૃપાઓ પ્રાપ્ત થશે જ એ આશાવાદ સાથે કાર્યો કરવા અને સફળતા મેળવવાનું ઇસ્લામ શીખવે છે.
માણસને કોઇનો પણ ભય જ ન હોય તો એ બેફામ બની જાય. માણસ આશાવાદી, શ્રદ્ધાવાન હોય અને એને જવાબદારીનો ભય અને મુક્તિની આશા હોય તો જ ક્રિયાશીલ અને સંતુલિત રહે. આજે બધા જ ‘મોટીવેશનલ ગુરૃઓ’ પોઝીટીવ થિંકીંગ કરવાનો અને આશાવાદી બનવાનો ઉપદેશ આપે છે. પરંતુ ઇસ્લામે આજથી ૧૪૩૫ વર્ષ પહેલાં જ પોઝીટીવ થિંકીંગના પાઠ ભણાવી દીધા હતા. !

ધીરજ અને લગન

જીવન ગુલાબોથી ભરેલ માર્ગ નથી, ત્યાં તો છે મુસીબતોરૃપી કંટકો. ઇસ્લામ માણસને ધીરજ અને લગનથી આ માર્ગ ઉપર ચાલવાનો આહવાન કરે છે. એટલું જ નહીં કુઆર્નમાં અલ્લાહ તઆલા કહે છે, ‘ધૈર્યવાન લોકોની સાથે અલ્લાહ છે.” અર્થાત્ જે કાંઇ મુસીબતો જીવનમાં આવે છે એને ધીરજપૂર્વક હલ કરવામાં આવે તો અલ્લાહના માર્ગમાં સફળતા જરૃર મળે છે. મોટા મોટા ફિલસુફોએ સફળતા મેળવવા માટે ધીરજ અને ખંતપૂર્વક-લગનપૂર્વક કાર્ય કરતા રહેવાની શિખામણો આપી છે. ધીરજમાં જેને અલ્લાહનો સાથ મળે એ ક્યારે પણ નિષ્ફળ કેવી રીતે થઇ શકે ? ઇસ્લામ ધીરજ અને લગનના આ સદ્ગુણથી ચારિત્ર્યને મજબૂત કરે છે.

મૃત્યુની યાદ

મૃત્યુની યાદ સદ્ગુણ ગણાય ? હા, ઇસ્લામી પરિપ્રેક્ષ્યમાં આ એક સદ્ગુણ છે. માણસ મૃત્યુને હંમેશા દૃષ્ટ્રિ સમક્ષ રાખે તો દુનિયા અને ભૌતિક સુખસગવડો એના માટે ગૌણ બની જાય છે. એ પાપ કરવાથી અટકી જાય છે. પુણ્ય કમાવવા માટે વધુ સત્કર્મો કરવા પ્રેરાય છે. અસલ જીવન મૃત્યુ પછીનું જીવન છે. પરલોકનું જીવન જ સાચું અને શાશ્વત જીવન છે. સાચું સુખ પારલૌકિક જીવનમાં છે. જીવન અનિશ્ચિત છે પરંતુ મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી અલ્લાહ સાથે મુલાકાત થવાની છે. એ શ્રદ્ધા મુસલમાનને પવિત્ર અને નિષ્કલંક જીવન જીવવા પ્રેરે છે.

કૃતજ્ઞતા

ઇસ્લામ કહે છે કે જે માણસ બીજા માણસનો આભાર ન માને, કૃતજ્ઞતા ન દાખવે તો એ અલ્લાહનો પણ આભારી નહિ જ હોય અને અલ્લાહ ઉપકાર કરનાર ઉપર અપકાર કરનાર કૃતજ્ઞી લોકોને પસંદ નથી કરતો. આ જીવનમાં આપણને જે કંઇ મળે છે એ કોના તરફથી મળે છે ? જે અપાર સુખસગવડો, કૃપાઓ, નેઅમતો, ખાવાપીવાનું ફળફળાદિ, સવારીઓ મળે છે એ કોણ આપે છે ? કુઆર્નમાં કહેવામાં આવ્યું છે ‘અને તમે અલ્લાહની કઇ કઇ કૃપાઓ (નેઅમતો)નો ઇન્કાર કરશો ?’ વીર્યના એક નાનકડા નિષ્ક્રિય ટીપામાંથી અલ્લાહે જેનું સર્જન કર્યું અને જીવન બક્ષ્યું એ સજીવો જીવનભર અલ્લાહની નેઅમતો (કૃપાઓ)ને માણતા રહે અને છતાંય એનો આભાર વ્યક્ત ન કરે તો એનાથી મોટો અપકારી-કૃતદજ્ઞી કોણ હોઇ શકે ? એટલે જ ઇસ્લામે દરેક વાતમાં અલ્લાહનો આભાર માનવાનો આદેશ આપ્યો છે.

સાદગી

ઇસ્લામે એકદમ સાદગીભર્યું જીવન જીવવાનો આદેશ આપ્યો છે. રહેણી-કરણી, પહેરવેશ, ભાષા બધું જ સાદું હોવું જોઇએ. એકવાર પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ પોતાની પ્યારી દીકરી બીબી ફાતેમા રદિ.ના બારણેથી નારાજ થઇ પાછા ફરી ગયા. બીબી ફાતેમા રદિ. એ આ જોયું તોે આપ એમને મનાવવા અને ઘરમાં ન આવવાનું કારણ જાણવા એમની પાછળ ગયા. આપે કહ્યું કે એટલા માટે હું બારણેથી પાછો ફરી ગયો કે તમે બારીઓ ઉપર રેશમી પડદા લગાવ્યા છે! ઇસ્લામે વધુ પડતા ઝાકઝમાળ ઘરના સુશોભનને પણ અયોગ્ય ઠેરવ્યું છે. સાદગી અપનાવવા પાછળ ઇસ્લામનો હેતુ આ છે કે માણસ વધુ પડતી કમાણી અને આવકની ચિંતા ન કરે અને એ રીતે ઘણા અનૈતિક કાર્યોથી બચી જાય. ઉપરાંત અલ્લાહની ઇબાદતમાં સરળતાથી ધ્યાન લગાવી શકે. ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાથી માણસ ન જ માત્ર સુખી થાય છે ઘણા બધા દુખોથી પણ બચી જાય છે. તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધન અનુસાર સાદગીથી જીવતા માણસો વધુ સુખી હોય છે. આ વાત ઇસ્લામે આજથી ૧૪ સદીઓ પહેલા જ કહી દીધી હતી. ઇસ્લામના મોટા મોટા પયગંબરો, ખલીફાઓ, વલીઓ, વિદ્વાનોએ સાદગીભર્યું જીવન વીતાવી આનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૃં પાડ્યું છે. પયગમ્બર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એકદમ સાદુ જીવન જીવતા. નાનકડી ઓરડીમાં રહેતા, ખજૂરની ચટાઇ ઉપર ઊંઘતા. ઓછામાં ઓછું જમતા અરે જંગ જીત્યા પછી જે ‘માલે ગનીમત’ મળતો એમાંથી પોતે કશું ન લેતા અને પોતાના સાથીદારોમાં વહેંચી દેતા. આવી સાદગી છતાંય માત્ર ત્રેવીસ વર્ષના ગાળામાં આપે જે કાર્ય કર્યું એ દુનિયાના ઇતિહાસમાં એક આશ્ચર્યજનક બીના છે. આટલા ટુંકા ગાળામાં આપે એક અશિક્ષિત, જંગલી, અંધશ્રદ્ધાળુ, કુરિવાજોમાં સબળડી આખી કોમને એક ઇશ્વરની આજ્ઞાધીન,નમ્ર, અને શ્રેષ્ઠ ચારિત્ર્યવાળી બનાવી દીધી. આ આશ્ચર્યજનક ક્રાંતિ ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા નથી મળતી, આ ક્રાંતી પાછળનો મુખ્ય સ્ત્રોત હતો આપનો નિષ્કલંક અને શ્રદ્ધાવાન મજબૂત ચારિત્ર્ય. આજે દુનિયાને ઇસ્લામે બતાવેલા ચારિત્ર્ય નિર્માણની આવશ્યક્તા છે.