હઝરત હસ્સાન રદી.બિન સાબિત બિન અલ મુન્ઝીર બિન હરામ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત સહાબી અને કવિ હતા,એમણે નબી ﷺ ની સ્તુતિ કાવ્યો કહ્યા અને કાફીરો વિરુદ્ધ શાયરી કરી, ઇસ્લામી વિચાર ધારાને પોતાની કવિતામાં રજૂ કરી તેથી તેઓ ‘શાયરે રસુલલ્લાહ ’ તરીકે પણ ઓળખાય છે.એમની કુનિયત અબુ અબ્દુર્રહ્માન કે અબુ વલીદ હતી.
હ હસ્સાન બિન સાબિત રદી નો જન્મ મદીનામાં આશરે ઇસ ૫૬૨-૫૬૩માં થયો હોવાનું મનાય છે.આમ તેઓ રસુલલ્લાહ ﷺ થી સાતેક વર્ષ મોટા હતા.તેઓ બનું નજ્જારના ખઝરજ કબીલાથી સંબંધ ધરાવતા હતા.એમના પિતા એમના કબીલાના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક હતા.એમની માતાનું નામ ફરીઅહ બિંતે ખાલિદ બિન ખુનેસ અને અલ ઝહબીના મતાનુસાર ફરીઅહ બિંતે ખુનેસ હતું.તેઓ પણ ખઝરજ કબીલાથી જ સંબંધ ધરાવતા હતા.હ હસ્સાન રદી ૧૨૦ વર્ષ માંથી ૬૦ વર્ષ અજ્ઞાનતામાં અને ૬૦ વર્ષ ઇસ્લામી જીવન જીવ્યા. એમણે ક્યારે ઇસ્લામ સ્વીકાર્યું એમાં ઈતિહાસકારોમાં મતભેદ છે પરંતુ આ નિશ્ચિત છે કે એમના ભાઈ હ ઓસ રદી પ્રારંભિક ઇસ્લામ સ્વીકારનારાઓમાંથી એક હતા અને રસુલાલ્લાહ ﷺ એ એમને હિજરત પછી હ ઉસ્માન બિન અફ્ફાન રદી સાથે ભાઈબંધી કરાવી હતી.ઇસ્લામ સ્વીકાર્યું એ પહેલા પણ હ હસ્સાન રદી કવિતાઓ લખતા હતા અને જયારે કબીલાઓ વચ્ચે યુદ્ધ થતું ત્યારે તેઓ પોતાના કબીલા ખઝરજ તરફથી શૌર્ય ગીતો લલકારતા અને શત્રુઓનો ઉપહાસ કરતા.તેઓ ગસ્સાની રાજાઓના દરબારમાં પણ ઉપસ્થિત થઇ શૌર્ય ગીતો અને એમના સ્તુતિ કાવ્યો ગાતા હતા.એમની કવિતામાં વાક્પટુતા અને પ્રવાહિતા હતી.
ઇસ્લામ સ્વીકાર્યા પછી એમણે પોતાની વૃદ્ધાવસ્થા ને લીધે કોઈ યુધ્ધમાં ભાગ લીધો નહતો પરંતુ તેઓ પોતાની કવિતા અને વાક્પટુતાથી શત્રુઓનો ઉપહાસ કરી હતોત્સાહિત કરી દેતા હતા.આ બાબતે ઘણી સહીહ હદીસો ઉપસ્થિત છે.તેઓ તલવારને બદલે જીભથી જેહાદ કરતા હતા.તેઓ રસુલલ્લાહ ﷺ ની પ્રશંસામાં સ્તુતિ કાવ્યો (નાં’ત શરીફ) કહેતા.મસ્જીદે નબવીમાં તેઓ મીમ્બર પર બેસતા અને નબી ﷺ એમની સામે નીચે સહાબા કીરામ સાથે બેસી એમની ના’તશરીફ સાંભળતાં.એક દિવસ આ રીતે જ હ હસ્સાન રદી સ્તુતિ કાવ્ય પઢી રહ્યા હતા ત્યારે નબી ﷺ એ એમની કવિતાથી પ્રભાવિત થઈને દુઆ ફરમાવી : અય અલ્લાહ! તું જીબરીલ અમીનથી આની (હસ્સાન) ની મદદ કર!
હિસ ૫ માં મુરીસીના ગઝ્વાથી પાછા વળતી વખતે હ આયશા રદી પોતાના ખોવાયેલા હારને શોધવામાં રહ્યા અને કાફલો રવાના થઇ ગયો.એક સહાબી રદી કે જેમનું કામ આ હતું કે કાફલો રવાના થઇ જાય તો સૌથી છેલ્લે આવતા હતા કે કોઈ વસ્તુ રહી જાય તો લઇ લે.હ આયશા રદી ને એમણે જોયા તો પોતાના ઊંટ પર બેસાડી પોતે ઊંટ ની ડોર પકડી ચાલતા આવ્યા.આ બાજુ અબ્દુલ્લાહ બિન ઉબાઈ અને બીજા મુનાફીકો તથા કેટલાક લોકો કે જેમાં હ હસ્સાન રદી,મસ્તહ બિન અસાસા રદી.અને હમનહ બિંતે જહશ રદી.પણ હતા - અબ્દુલ્લાહ બિન ઉબઇની વાતોમાં આવી હ આયશા રદી પર તહોમત લગાવી બેઠા.જયારે કુરઆનમાં અલ્લાહ તા’લાએ હ આયશા રદી.ની નિર્દોષતા જાહેર કરતી આયતો અવતરિત કરી તો રસુલલ્લાહ ﷺ એ તહોમત લગાવનારાઓ પર હદ જારી કરી અને એમના પર કોડા વરસાવવામાં આવ્યા.જોકે હ હસ્સાન રદી હ આયશા રદી પર તહોમત લગાવનારાઓમાંથી એક હતા તેમ છતાં પણ જો કોઈ એમની સામે હ હસ્સાન રદી વિષે ખોટું કહેતું તો તેઓ એમ કરવાથી મના કરી દેતા અને કહેતા કે તેઓ (હ હસ્સાને) રસુલલ્લાહ ﷺ તરફથી કુફ્ફારને જવાબ આપતા અને આપનો બચાવ કરતા હતા તેથી એમને ખરું ખોટું ન કહો.હ હસ્સાન રદી એ પોતાના એક કાવ્યમાં હ આયશા રદી ની માફી માગી હતી.
હિસ ૯ માં બનું તમીમનું એક પ્રતિનિધિમંડળ આવ્યું જેમાં ઝબરકાન બિન બદરે પોતાના સમૂદાયની શ્રેષ્ઠતા બાબતે કેટલીક કાવ્ય પંક્તિઓ લલકારી,હુઝુર ﷺ એ હ હસ્સાન રદી ને આદેશ આપ્યો કે તમે આનો જવાબ આપો ,એમણે એજ રદીફ –કાફિયામાં એને જબરજસ્ત જવાબ આપ્યો.હિસ ૧૧મા હુઝુર ﷺ નું જાહેરી દુનિયાથી અવસાન થયું.બધા જ સહાબા અને એહલે બય્ત માટે આ ગમનાક ઘટના હતી, એ વખતે હ હસ્સાન રદી એ આપની શાનમાં દર્દભર્યા મરશીયા કહ્યાં જે ઇબ્ન સા’દ એ તબકાતમાં રજૂ કર્યા છે.તેઓ મસ્જિદે નબવીમાં કવિતાઓ કહેતા.એક વખત હ ઉમર રદી એ એમને શાયરી કરતા રોકી દીધા કે મસ્જીદમાં યોગ્ય નથી એના જવાબમાં હ હસ્સાન રદી એ કહ્યું હતું કે તમે જાણો છો કે તમારાથી શ્રેષ્ઠ વ્યક્તિ (રસુલલ્લાહ ﷺ) ની સામે હું કાવ્યો કહેતો હતો.હ ઉમર રદી એ કોઈ વિરોધ ના કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા.
નબી કરીમ ﷺ પછી હ અબુ બક્ર સિદ્દીક રદી અને હ ઉમર રદી પણ હ હસ્સાન ને ઇજ્જતથી જોતા અને એમની સાથે પ્રતિષ્ઠાભર્યો વ્યવહાર કરતા.એમને માલે ગનીમતમાંથી ભાગ પણ આપતા.હ ઉમર બિન ખત્તાબ રદી એ તો એમને કાઝી એ શરઅ (શરીઅત મુજબ ન્યાય આપનાર ન્યાયધીશ) બનાવ્યા હતા.હ ઉમર રદી ના ખિલાફત કાળમાં જ હ હસ્સાન રદી ની દ્રષ્ટિ ચાલી ગઈ હતી.
હ હસ્સાન રદી ના જીવન ચારિત્ર્યમાં શાયરી /કવિતા એક અભિન્ન અંગ છે.શેર અને શાયરી આરબોના લોહીમાં વહે છે એવું કહેવાતું હતું.આરબોનું વાક્ચાતુર્ય એમની જીભ અને ભાષામાં ટપકતું હતું.હ હસ્સાન રદી પોતે તો સારા કવિ હતા આ ઉપરાંત એમના દાદા,પિતા,પોતે,એમના પુત્ર અબ્દુર રહમાન પણ સારા કવિઓ હતા.આ શાયરોમાં કેટલાંક ‘અસહાબે મુઝેહ્બાત’ ના નામે પ્રસિદ્ધ છે , મુઝેહ્બાત ઝહબમાંથી નીકળ્યું છે જેનો અર્થ થાય છે ‘સોનેરી’.કેમ કે કેટલાક શાયરોના શ્રેષ્ઠ શેર સોના ના ઢોળ થી લખવામાં આવતા હતા તેથી એમણે મુઝેહ્બા કહેવાતા. હ હસ્સાન રદી નું શેર પણ સોને મઢેલું હતું.
એ વખતે ગ્રામીણ અને શહેરી શાયરો જેવા બે વિભાગ હતા.મોટા ભાગના કવિઓ ગ્રામ્ય વિસ્તારોથી સંબંધ ધરાવતા હતા .હ હસ્સાન રદી શહેરી કવિઓમાં અગ્ર સ્થાન ધરાવતા હતા.
હ હસ્સાન રદી.ની પત્ની નું નામ સીરીન હતું, જે હુઝુર ﷺ ની પુનીત પત્ની હ મારિયા કીબ્તીયા રદી.ના બહેન હતા.હ સીરીનથી એમને એક પુત્ર અબ્દુર રહમાન રદી. થયો હતો.
હ હસ્સાન રદી એ કેટલીક હદીસો પણ રિવાયત કરી છે.
હ હસ્સાન રદી ની ઇસ્લામી શાયરીનો વિષય ધર્મનો બચાવ કે કુફ્ફારનો ઉપહાસ છે.એમણે કાફીરોના ઉપહાસ કાવ્યો ઘણા લખ્યા છે એમ છતાં પણ એમની કવિતામાં અભદ્રતા કે અશ્લીલતા જરાય નથી ,એમના ઉપહાસ માં પણ જબરજસ્ત તાર્કિક દલીલો રહેતી.
એમનું કાવ્ય સંગ્રહ ‘દિવાન એ હસ્સાન બિન સાબિત રદી’ સૌ પ્રથમ મુહમ્મદ ઇબ્ન હબીબે (મૃત્યુ.૨૪૫/૮૬૦) માં સંપાદન કર્યું હતું.આ દિવાન ભારત અને ટ્યુનીશીયા માં ૧૮૬૪માં પ્રકાશિત થઇ ચુક્યું છે .અંગ્રેજી ભાષામાં પણ એના અનુવાદ થઇ ચુક્યા છે.અરબીમાં અબ્દુર રહમાન અલ બરકુકીએ એનું વિવેચન લખ્યું છે જે ઘણો પ્રસિદ્ધ છે.
(ગુજરાત ટુડે પ્રકાશન તારીખ ૧૧-૦૫-૨૦૨૫,રવિવાર)