આ બ્લૉગ શોધો

14 મે, 2025

શાયરે રસુલલ્લાહ : હઝરત હસ્સાન બિન સાબિત (રદીઅલ્લાહુ અનહુ)



હઝરત હસ્સાન રદી.બિન સાબિત બિન અલ મુન્ઝીર બિન હરામ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત સહાબી અને કવિ હતા,એમણે નબી ﷺ ની સ્તુતિ કાવ્યો કહ્યા અને કાફીરો વિરુદ્ધ શાયરી કરી, ઇસ્લામી વિચાર ધારાને પોતાની કવિતામાં રજૂ કરી તેથી તેઓ ‘શાયરે રસુલલ્લાહ ’ તરીકે પણ ઓળખાય છે.એમની કુનિયત અબુ અબ્દુર્રહ્માન કે અબુ વલીદ હતી.

હ હસ્સાન બિન સાબિત રદી નો જન્મ મદીનામાં આશરે ઇસ ૫૬૨-૫૬૩માં થયો હોવાનું મનાય છે.આમ તેઓ રસુલલ્લાહ ﷺ થી સાતેક વર્ષ મોટા હતા.તેઓ બનું નજ્જારના ખઝરજ કબીલાથી સંબંધ ધરાવતા હતા.એમના પિતા એમના કબીલાના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક હતા.એમની માતાનું નામ ફરીઅહ બિંતે ખાલિદ બિન ખુનેસ અને અલ ઝહબીના મતાનુસાર ફરીઅહ બિંતે ખુનેસ હતું.તેઓ પણ ખઝરજ કબીલાથી જ સંબંધ ધરાવતા હતા.હ હસ્સાન રદી ૧૨૦ વર્ષ માંથી ૬૦ વર્ષ અજ્ઞાનતામાં અને ૬૦ વર્ષ ઇસ્લામી જીવન જીવ્યા. એમણે ક્યારે ઇસ્લામ સ્વીકાર્યું એમાં ઈતિહાસકારોમાં મતભેદ છે પરંતુ આ નિશ્ચિત છે કે એમના ભાઈ હ ઓસ રદી પ્રારંભિક ઇસ્લામ સ્વીકારનારાઓમાંથી એક હતા અને રસુલાલ્લાહ ﷺ એ એમને હિજરત પછી હ ઉસ્માન બિન અફ્ફાન રદી સાથે ભાઈબંધી કરાવી હતી.ઇસ્લામ સ્વીકાર્યું એ પહેલા પણ હ હસ્સાન રદી કવિતાઓ લખતા હતા અને જયારે કબીલાઓ વચ્ચે યુદ્ધ થતું ત્યારે તેઓ પોતાના કબીલા ખઝરજ તરફથી શૌર્ય ગીતો લલકારતા અને શત્રુઓનો ઉપહાસ કરતા.તેઓ ગસ્સાની રાજાઓના દરબારમાં પણ ઉપસ્થિત થઇ શૌર્ય ગીતો અને એમના સ્તુતિ કાવ્યો ગાતા હતા.એમની કવિતામાં વાક્પટુતા અને પ્રવાહિતા હતી.

ઇસ્લામ સ્વીકાર્યા પછી એમણે પોતાની વૃદ્ધાવસ્થા ને લીધે કોઈ યુધ્ધમાં ભાગ લીધો નહતો પરંતુ તેઓ પોતાની કવિતા અને વાક્પટુતાથી શત્રુઓનો ઉપહાસ કરી હતોત્સાહિત કરી દેતા હતા.આ બાબતે ઘણી સહીહ હદીસો ઉપસ્થિત છે.તેઓ તલવારને બદલે જીભથી જેહાદ કરતા હતા.તેઓ રસુલલ્લાહ ﷺ ની પ્રશંસામાં સ્તુતિ કાવ્યો (નાં’ત શરીફ) કહેતા.મસ્જીદે નબવીમાં તેઓ મીમ્બર પર બેસતા અને નબી ﷺ એમની સામે નીચે સહાબા કીરામ સાથે બેસી એમની ના’તશરીફ સાંભળતાં.એક દિવસ આ રીતે જ હ હસ્સાન રદી સ્તુતિ કાવ્ય પઢી રહ્યા હતા ત્યારે નબી ﷺ એ એમની કવિતાથી પ્રભાવિત થઈને દુઆ ફરમાવી : અય અલ્લાહ! તું જીબરીલ અમીનથી આની (હસ્સાન) ની મદદ કર!

હિસ ૫ માં મુરીસીના ગઝ્વાથી પાછા વળતી વખતે હ આયશા રદી પોતાના ખોવાયેલા હારને શોધવામાં રહ્યા અને કાફલો રવાના થઇ ગયો.એક સહાબી રદી કે જેમનું કામ આ હતું કે કાફલો રવાના થઇ જાય તો સૌથી છેલ્લે આવતા હતા કે કોઈ વસ્તુ રહી જાય તો લઇ લે.હ આયશા રદી ને એમણે જોયા તો પોતાના ઊંટ પર બેસાડી પોતે ઊંટ ની ડોર પકડી ચાલતા આવ્યા.આ બાજુ અબ્દુલ્લાહ બિન ઉબાઈ અને બીજા મુનાફીકો તથા કેટલાક લોકો કે જેમાં હ હસ્સાન રદી,મસ્તહ બિન અસાસા રદી.અને હમનહ બિંતે જહશ રદી.પણ હતા - અબ્દુલ્લાહ બિન ઉબઇની વાતોમાં આવી હ આયશા રદી પર તહોમત લગાવી બેઠા.જયારે કુરઆનમાં અલ્લાહ તા’લાએ હ આયશા રદી.ની નિર્દોષતા જાહેર કરતી આયતો અવતરિત કરી તો રસુલલ્લાહ ﷺ એ તહોમત લગાવનારાઓ પર હદ જારી કરી અને એમના પર કોડા વરસાવવામાં આવ્યા.જોકે હ હસ્સાન રદી હ આયશા રદી પર તહોમત લગાવનારાઓમાંથી એક હતા તેમ છતાં પણ જો કોઈ એમની સામે હ હસ્સાન રદી વિષે ખોટું કહેતું તો તેઓ એમ કરવાથી મના કરી દેતા અને કહેતા કે તેઓ (હ હસ્સાને) રસુલલ્લાહ ﷺ તરફથી કુફ્ફારને જવાબ આપતા અને આપનો બચાવ કરતા હતા તેથી એમને ખરું ખોટું ન કહો.હ હસ્સાન રદી એ પોતાના એક કાવ્યમાં હ આયશા રદી ની માફી માગી હતી.

હિસ ૯ માં બનું તમીમનું એક પ્રતિનિધિમંડળ આવ્યું જેમાં ઝબરકાન બિન બદરે પોતાના સમૂદાયની શ્રેષ્ઠતા બાબતે કેટલીક કાવ્ય પંક્તિઓ લલકારી,હુઝુર ﷺ એ હ હસ્સાન રદી ને આદેશ આપ્યો કે તમે આનો જવાબ આપો ,એમણે એજ રદીફ –કાફિયામાં એને જબરજસ્ત જવાબ આપ્યો.હિસ ૧૧મા હુઝુર ﷺ નું જાહેરી દુનિયાથી અવસાન થયું.બધા જ સહાબા અને એહલે બય્ત માટે આ ગમનાક ઘટના હતી, એ વખતે હ હસ્સાન રદી એ આપની શાનમાં દર્દભર્યા મરશીયા કહ્યાં જે ઇબ્ન સા’દ એ તબકાતમાં રજૂ કર્યા છે.તેઓ મસ્જિદે નબવીમાં કવિતાઓ કહેતા.એક વખત હ ઉમર રદી એ એમને શાયરી કરતા રોકી દીધા કે મસ્જીદમાં યોગ્ય નથી એના જવાબમાં હ હસ્સાન રદી એ કહ્યું હતું કે તમે જાણો છો કે તમારાથી શ્રેષ્ઠ વ્યક્તિ (રસુલલ્લાહ ﷺ) ની સામે હું કાવ્યો કહેતો હતો.હ ઉમર રદી એ કોઈ વિરોધ ના કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા.
નબી કરીમ ﷺ પછી હ અબુ બક્ર સિદ્દીક રદી અને હ ઉમર રદી પણ હ હસ્સાન ને ઇજ્જતથી જોતા અને એમની સાથે પ્રતિષ્ઠાભર્યો વ્યવહાર કરતા.એમને માલે ગનીમતમાંથી ભાગ પણ આપતા.હ ઉમર બિન ખત્તાબ રદી એ તો એમને કાઝી એ શરઅ (શરીઅત મુજબ ન્યાય આપનાર ન્યાયધીશ) બનાવ્યા હતા.હ ઉમર રદી ના ખિલાફત કાળમાં જ હ હસ્સાન રદી ની દ્રષ્ટિ ચાલી ગઈ હતી.

હ હસ્સાન રદી ના જીવન ચારિત્ર્યમાં શાયરી /કવિતા એક અભિન્ન અંગ છે.શેર અને શાયરી આરબોના લોહીમાં વહે છે એવું કહેવાતું હતું.આરબોનું વાક્ચાતુર્ય એમની જીભ અને ભાષામાં ટપકતું હતું.હ હસ્સાન રદી પોતે તો સારા કવિ હતા આ ઉપરાંત એમના દાદા,પિતા,પોતે,એમના પુત્ર અબ્દુર રહમાન પણ સારા કવિઓ હતા.આ શાયરોમાં કેટલાંક ‘અસહાબે મુઝેહ્બાત’ ના નામે પ્રસિદ્ધ છે , મુઝેહ્બાત ઝહબમાંથી નીકળ્યું છે જેનો અર્થ થાય છે ‘સોનેરી’.કેમ કે કેટલાક શાયરોના શ્રેષ્ઠ શેર સોના ના ઢોળ થી લખવામાં આવતા હતા તેથી એમણે મુઝેહ્બા કહેવાતા. હ હસ્સાન રદી નું શેર પણ સોને મઢેલું હતું.
એ વખતે ગ્રામીણ અને શહેરી શાયરો જેવા બે વિભાગ હતા.મોટા ભાગના કવિઓ ગ્રામ્ય વિસ્તારોથી સંબંધ ધરાવતા હતા .હ હસ્સાન રદી શહેરી કવિઓમાં અગ્ર સ્થાન ધરાવતા હતા.

હ હસ્સાન રદી.ની પત્ની નું નામ સીરીન હતું, જે હુઝુર ﷺ ની પુનીત પત્ની હ મારિયા કીબ્તીયા રદી.ના બહેન હતા.હ સીરીનથી એમને એક પુત્ર અબ્દુર રહમાન રદી. થયો હતો.

હ હસ્સાન રદી એ કેટલીક હદીસો પણ રિવાયત કરી છે.
હ હસ્સાન રદી ની ઇસ્લામી શાયરીનો વિષય ધર્મનો બચાવ કે કુફ્ફારનો ઉપહાસ છે.એમણે કાફીરોના ઉપહાસ કાવ્યો ઘણા લખ્યા છે એમ છતાં પણ એમની કવિતામાં અભદ્રતા કે અશ્લીલતા જરાય નથી ,એમના ઉપહાસ માં પણ જબરજસ્ત તાર્કિક દલીલો રહેતી.

એમનું કાવ્ય સંગ્રહ ‘દિવાન એ હસ્સાન બિન સાબિત રદી’ સૌ પ્રથમ મુહમ્મદ ઇબ્ન હબીબે (મૃત્યુ.૨૪૫/૮૬૦) માં સંપાદન કર્યું હતું.આ દિવાન ભારત અને ટ્યુનીશીયા માં ૧૮૬૪માં પ્રકાશિત થઇ ચુક્યું છે .અંગ્રેજી ભાષામાં પણ એના અનુવાદ થઇ ચુક્યા છે.અરબીમાં અબ્દુર રહમાન અલ બરકુકીએ એનું વિવેચન લખ્યું છે જે ઘણો પ્રસિદ્ધ છે. 

 (ગુજરાત ટુડે પ્રકાશન તારીખ ૧૧-૦૫-૨૦૨૫,રવિવાર) 

31 ઑક્ટોબર, 2024

ઉમ્મુલ મોમીનીન હઝરત ઝૈનબ બિંતે જહશ (રદીઅલ્લાહુ અનહા)(ઈસ આ.૫૯૦ : ૬૪૦/૬૪૧)

 

ગુજરાત ટુડે ( પ્રકાશન તારીખ ૨૭-૧૦-૨૦૨૪,રવિવાર )

લેખક : મોહમ્મદ સઈદ શેખ 

 

ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત ઝૈનબ બિંતે જહશ બિન રિઆબ  રદીઅલ્લાહુ અનહા પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ ના સાતમા  પુનીત પત્ની હતા.

હ.ઝૈનબ રદી.ના પિતા જહશ ,અસદ બિન ખુજેમાં કબીલાથી સંબંધ ધરાવતા હતા ત્યાંથી તેઓ સ્થાનાંતર કરી મક્કામાં સ્થાઈ થયા હતા..હ.ઝીનાબના માતા ઉમયમાં બિંતે અબ્દુલ મુત્તલીબ,  કુરેશના હાશિમ જેવા ઉચ્ચ કબીલાથી હતા ,આમ તેઓ હુઝુર ના ફુઈની પુત્રી હતા.એમના ભાઈ પ્રસિદ્ધ સહાબી અને સેનાપતિ હ.અબ્દુલ્લાહ બિન જહશ,એમના એક બીજા ભાઈ હ અબુ એહમદ બિન જહશ રદી.ધાર્મિક કવિતાઓ લખનાર કવિ હતા, એમના મામા હ.હમઝા રદી ,અને હ.અબ્બાસ રદી જેવા ઉચ્ચ કોટીના શુરવીરો અને સહાબીઓ હતા.

હ.ઝૈનબ રદી.નો જન્મ હિજરતથી લગભગ બત્રીસ વર્ષ પહેલા મક્કામાં થયો હતો.નબી એ નબુવ્વતનો એલાન કર્યો એ વખતે જહ્શ અવસાન પામ્યા હતા પરંતુ એમના સંતાનોએ એ પ્રારંભમાં જ ઇસ્લામ સ્વીકારી લીધું હતું,અને આખું કુટુંબ હિજરત કરી મદીના ચાલ્યું ગયું હતું,એમના ખાલી પડેલા મકાનો પર મક્કાના કુરેશીઓએ કબજો કરી લીધો હતો.

હ.ઝૈનબ રદી.ના પ્રથમ લગ્ન ઇસ્લામ સ્વીકાર્યા પહેલા થઇ ચુક્યા હતા ,એમના પતિનું નામ ઇતિહાસમાં જાણીતું નથી, પરંતુ અલ તબરીએ નોંધ્યું છે એ મુજબ હિજરત પહેલા એમના પતિનું અવસાન થઇ ચુક્યું હતું.નબી એ ઝૈદ બિન હારીશહ રદી. ને દત્તક લીધા હતા અને તેઓ ઝૈદ બિન મુહમ્મદ તરીકે જ ઓળખાતા હતા.નબી હ.ઝૈનબ રદી. પાસે ગયા અને કહ્યું કે જો તમે ઇચ્છો તો તમારા નિકાહ કરાવી દઉં.તેઓ સમજ્યા કે નબી પોતાના માટે કહી રહયાં છે તો તેઓ સંમત થઇ ગયા પરંતુ નબી   એ પોતાના આઝાદ કરેલા ગુલામ અને દત્તક પુત્ર હ.ઝૈદ બિન હારીશહ નું નામ લીધું તો હ.ઝૈનબે કહ્યું કે મને એમની સાથે લગ્ન મંજૂર નથી,હું કુરેશની એક ઐયીમ (વિધવા) સ્ત્રી છું.’ એમના એક ભાઈએ પણ વાંધો લીધો તો નબી એ એમને સમજાવ્યા કે ઇસ્લામમાં આઝાદ અને અને આઝાદ કરેલ (ગુલામ) જેવા કોઈ ભેદ નથી, બધા સરખા છે.ત્યારે એમણે કહ્યું કે હું વિચાર કરીશ.હુઝુર એ વધુમાં એમને કુરાનનની આ આયાત સંભળાવી કે “  જયારે કોઈ મુસલમાન પુરુષ કે સ્ત્રીના મામલે અલ્લાહ  અને અલ્લાહના રસૂલ () કોઈ નિર્ણય આપી દે એ પછી આ મામલે કોઈ શંકા બાકી નથી રહેતી અને જે અલ્લાહ અને રસૂલ   ની નાફરમાની કરે એ સખત ગુમરાહ (માર્ગ ભુલેલો) છે.” (સુરહ : અલ અહ્ઝાબ:૩૬) એ પછી હઝ ઝૈનબ રદી. અને એમના કુટુંબીઓ હ ઝૈદ રદી સાથે લગ્ન માટે રાજી થયાહ..ઝૈનબ રદી.ના આ લગ્ન હ.ઝૈદ રદી. સાથે કરાવવાનું એક કારણ આ પણ હતું કે ઇસ્લામી સમાજમાં સમાનતાનું દ્રષ્ટાંત આપી શકાય , કોઈ કુટુંબ કે વ્યક્તિ ઊંચું કે નીચું નથી.માત્ર પોતાના કર્મો ને લીધે જ વ્યક્તિનો રૂતબો અલ્લાહની દ્રષ્ટિમાં ઉંચો કે નીચો હોય છે.

હ.ઝૈનબ રદી સાથે હ.ઝૈદ ના લગ્ન થયા એ પહેલા એમના ચાર લગ્નો થઇ ચુક્યા હતા.એમાં એમના બીજા  પત્ની હ.ઉમ્મે અયમન (બરાકાહ બિંતે સાલ્બા )રદી.હતા જેઓહુઝુર ના માતા પિતાના દાસી હતા,અને હુઝુર   માતા પિતા અવસાન પામ્યા તો હ.અબ્દુલ મુત્તલીબ ના ઘરમાં એમણે જ હુઝુર ને ઉછેર્યા હતા.હુઝુર એમણે આઝાદ કરી દીધા હતા.આમ તેઓ હ.ઝૈદ થી ઉમરમાં મોટા હતા અને હ.ઉસામા બિન ઝૈદ રદી. ના માતા હતા.હ.ઝૈનબ રદી ના લગ્ન હ ઝૈદ રદી સાથે થયા પરંતુ બનેના સ્વભાવ માં ઘણો તફાવત હતો. અને જે પરિસ્થિતિમાં એમના લગ્ન થયા હતા એ પરથી કહી શકાય કે એમની વચ્ચે મનમેળ નહિ જ થયો હોય.લગ્નના એક વર્ષ પછી હ.ઝૈદ રદી. હુઝુર    પાસે પત્નીની ફરિયાદ લઈને આવ્યા એ પછી ફરિયાદો વધતી ગઈ અને દરેક વખતે હુઝુર એમને સમજાવતા રહ્યા.

નબી ના હ.ઝૈનબ રદી. સાથેના લગ્ન બાબતે ઘણી ખોટી ખોટી રીવાયાતો પ્રસિદ્ધ થઇ ગઈ છે.એક રિવાયત મુજબ હુઝુર એક દિવસે હ.ઝૈદ રદી.ના ઘરે ગયા ત્યારે તેઓ ઘરે નહોતા .હ ઝૈનબ રદી.એ (બારણા તરીકે કામ આપતો ) પડદો ખસેડી નબી ને ઘરમાં પધારવા માટે કહ્યું પરંતુ આપ ઘરમાં ના ગયા અને ફરમાવ્યું ‘ પાક છે એ (અલ્લાહની ) જાત જે દિલો પર અધિકાર રાખે છે” અને પછી ત્યાંથી ચાલ્યા ગયા.જયારે હ ઝૈદ રદી.ઘરે આવ્યા તો હ.ઝૈનબ રદી એ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો.હ.ઝૈદ રદી.એ વિચાર્યું કે હવે હ.ઝૈનબ રદી થી અલગ થવાનો સમય આવી ગયો છે.તેઓ તરત હુઝુર પાસે ગયા ને પોતે પત્નીને તલાક આપી દેશે એમ જણાવ્યું તો  નબી એમને સમજાવ્યું કે તેઓ તલાક ન આપે અને અલ્લાહથી ડરે.પરંતુ હ ઝૈદ.રદીએ હ.ઝૈનબ રદી. ને તલાક આપી દીધા.

અલ્લાહે હ.જીબ્રિલ  અસ દ્વારા નબી ને આ સંદેશો પહોંચાડ્યો કે તમારા લગ્ન હ.ઝૈનબ સાથે થશે.આને લીધે ને પહેલા તો લાગ્યું કે આરબો આ બાબતને બહુજ ખોટી રીતે લેશે.કેમ કે પોતાના સગા તો ઠીક પણ દત્તક પુત્રના પત્ની સાથે લગ્ન કરવાને પણ બહુ જ ખરાબ સમજતા હતા.પરંતુ અલ્લાહ આ લગ્ન થકી સામાજિક પરિવર્તન ઇછ્ચ્તો હતો.અલ્લાહે સુરહ અહ્ઝાબ ની ૩૭-૪૦  આયાતમાં સ્પષ્ટ કરી દીધું કે દત્તક પુત્રની તલાક લીધેલી પત્ની સાથે નિકાહ થઇ શકે છે અને ઉમ્મતને કહી દેવામાં આવ્યું કે પયગંબર મુહમ્મદ તમારામાંથી  કોઈ પણ પુરુષના પિતા નથી, એ અલ્લાહના નબી અને અંતિમ રસૂલ છે.વધુમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે દત્તક લીધેલ પુત્ર (કે પુત્રી) તમારી વાસ્તવિક સંતાન નથી.તમે ભલે એમને પુત્ર કે પુત્રી તરીકે રાખો પરંતુ તમે એમના જૈવિક પિતા બની શકતા નથી.તેઓ તો માત્ર એમના જૈવિક (જેમના થકી જન્મ્યા) પિતાના જ સંતાણ છે અને રહેશે.એ સંતાનોને એમના જૈવિક પિતાના નામ સાથે જ સંબોધન કરવું જોઈએ.(આ આયાત પછી હ.ઝૈદ ,ઝૈદ બિન હારીશહ રદી. તરીકે જ ઓળખાતા થયા.)(ઉપખંડમાં જોવામાં આવે છે કે જે મુસ્લિમ દંપત્તિઓ છોકરા કે છોકરીને દત્તક લે છે એમને પોતાનું નામ આપે છે અને ડોક્યુમેન્ટ્સ માં પણ પિતા તરીકે જ નામ લખાવે છે.જયારે એમને સમજાવવામાં આવે છે કે શરીઅતની દ્રષ્ટીએ આ યોગ્ય નથી ત્યારે દલીલ આપે છે કે અમે જાણીએ છીએ પરંતુ કાયદાની આંટી ઘૂંટી એટલી જટિલ છે કે બાળકોને પોતાનું નામ આપી દેવું વધારે સરળ છે.)

ટૂંકમાં,ઇદ્દતના સમયગાળા પછી હ.ઝૈનબ રદી.ના લગ્ન નબી સાથે થયા અને તેઓ ઉમ્મુલ મોમીનીનના ભાગ્યશાળી જૂથમાં સામેલ થઇ ગયા.નબી એ ૪૦૦ દીર્હમ મહેર આપી.આ લગ્ન ના જમણવાર પછી અલ્લાહે જે આયાત અવતરિત કરી એનો ખુલાસો આ છે કે હે મુસલમાનો જયારે તમને નબી જમણ માટે બોલાવે તો જમીને તરત નીકળી જાવ અને જરૂર વિના વાતો કરતા બેસી નાં રહો,નબી શરમાળ છે તેઓ તમને કઈ કહેતા નથી પરંતુ અલ્લાહ સત્ય કહેવામાં શરમાળ નથી.અને જયારે નબી ની પત્નીઓ પાસેથી કૈક માગો તો પડદાની આડશ માં રહીને માંગો અથવા વાત કરો.અને નબી પછી એમની પત્નીઓ સાથે લગ્ન કરવા તમારા માટે યોગ્ય નથી (તેઓ ઉમ્મુલ મોમીનીન છે).

હ.ઝૈનબ રદી ખૂબ જ ઇબાદત ગુઝાર હતા અને આ કારણે નબી  એમને ચાહતા હતા.તેઓ લાંબા ઊંચા કદના હતા.તેઓ ચામડા ધોવાનું કામ કરતા અને જે કઈ રકમ મળતી એ દાન કરી દેતા.જયારે ખલીફા હ ઉમર રદી એ બધા જ પુનીત પત્નીઓને ૧૨૦૦૦ દીરહ્મ વાજીફો બાંધી આપ્યો હતો , હ ઝૈનબ રદી બધું જ મદીનાના ગરીબોમાં વહેંચી દેતા હતા.તેઓ ખૂબ સખી અને ઉદાર હતા આ કારણે જ જયારે એમનું અવસાન થયું ત્યારે એમની પાસે એક દીર્હમ પણ નહોતું . હુઝુર એ આગાહી કરી હતી કે ‘મને મારી પત્નીઓમાંથી સૌ પ્રથમ એ આવી મળશે જેના હાથ લાંબા હશે’લાંબા હાથથી આશય ઉદારતા અને સખાવત હતો.બધી જ પુનીત પત્નીઓમાં સૌ પ્રથમ એમનું અવસાન થયું .તેઓ હિસ.૨૦ માં હ.ઉમર રદી.ના ખિલાફત કાળમાં અવસાન પામ્યા ત્યારે એમની ઉમર લગભગ ૫૧ વર્ષ હતી.

એમણે અગિયાર હદીસો રિવાયત કરી હતી, જે હદીસ સંગ્રહોમાં સંગ્રહાયેલ છે.

 

 

 

 

 

 


30 એપ્રિલ, 2024

અબ્બાસ મિર્ઝા

 

કાઝાર વંશના ફતેહ અલી ખાન અને આશિયાખાનમનો પુત્ર  રાજકુમાર અબ્બાસ મિર્ઝાનો જન્મ હિસ1203 / ઇસ.1789માં  માં ઈરાનના માઝ્ન્દરાન  પ્રાંતમાં નવા મુકામે થયો હતો. 

પિતા ફતેહઅલી ખાન કોયોન્લું અને માતા દેવેલ્લુ  શાહી ખાનદાન થી સંબંધ ધરાવતા હતા.

20 માર્ચ 1798 ના દિવસે ફતેહઅલી ખાને અબ્બાસ મિર્ઝાને ઉત્તરાધિકારી રાજકુમાર 'નાયબ અલ સલ્તનત ' જાહેર કર્યો.એનાથી મોટા બીજા રાજકુમારોની અવગણના કરવામાં આવી હતી કેમ કે તેમની માતાઓનો સંબંધ શાહી ખાનદાનથી ન હતો.બે કુટુંબો ને  રાજકીય રીતે મજબૂત કરવા માટે અબ્બાસને ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યો હતો.

માત્ર  દસ વર્ષના રાજકુમારના સહાયકો તરીકે  સુલેમાનખાન કાઝાર અને મિરઝા  ઈસા ફરાહાનીને મોકલવામાં આવ્યા હતા. એજ વર્ષે એને આઝરબેજાન અને કરબાગનો ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યો હતો.ઉત્તર-પૂર્વમાં ખુરાસાનની જેમ જ આઝરબેજાન પર પણ શત્રુઓનો ભય હતો.એને બીજા પ્રાંતના ગવર્નરોને નિયુક્ત કરવા કે પદ્ચુત કરવાની સત્તા આપવામાં આવી હતી.૧૮૩૧ સુધી મોટા ભાગનો સમય એણે આઝરબેજાનમાં જ પસાર કર્યો હતો.

૧૮૦૪માં ફતેહ અલી શાહે અબ્બાસને 30 હજાર સૈનિકોના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યો.૧૮૦૪-૧૩ દરમિયાન રશિયા સામેના યુદ્ધમાં ઈરાનને દસ હજાર જેટલા સૈનિકો ઉપરાંત ઘણા પ્રાંતો ગુમાવવાનો વારો આવ્યો.ઓક્ટોબર ૧૮૧૩માં ગુલિસ્તાન ની સંધિ થઇ,જેમાં કોકેસસ માં આવેલ આજના જ્યોર્જીયા,દાઘેસ્તાન અને આઝરબેજાન ના પ્રાંતોને આપી દેવા પડ્યા.આ ખુવારીએ અબ્બાસને અનુભૂતિ કરાવી દીધી કે પોતાના સૈનિકોને યુરોપીય પદ્ધતિથી લડવા શીખવાની જરૂરત હતી.તુર્કીના સુલતાન સલીમ ત્રીજાના સુધારાઓથી પ્રભાવિત થઈને અબ્બાસ પણ ઈરાનમાં ‘નિઝામે જદીદ’ (નવી રાજય વ્યવસ્થા) ઉભી કરવા માંગતો હતો.એ માટે એણે કબીલાઓ અને પ્રાંતીય સૈન્ય પર નિર્ભરતા ઓછી કરી.યુરોપીય લડાઈ પ્રશિક્ષણ  માટે એણે એક ટુકડીને ૧૮૧૧માં અને બીજી ૧૮૧૫માં ઇંગ્લેન્ડ મોકલી હતી.૧૮૧૨માં તબરેઝમાં પ્રિન્ટીંગ પ્રેસનો પ્રારંભ થતા યુરોપીય સૈન્ય હેન્ડબૂક છાપવામાં આવી.તબરેઝમાં જ દારૂગોળા અને લશ્કરી સાધનોની ફેક્ટરી ની સ્થાપના થઇ હતી.

અબ્બાસને આ બધી બાબતોનો લાભ ઉસ્માની-ઈરાની યુદ્ધ(૧૮૨૧-૨૩)માં જોવા મળ્યો.આમાં ઈરાનીઓએ વિજય મેળવ્યો.

૧૮૨૬-૨૮ માં ફરીથી રશિયાનો સાથે યુદ્ધ છેડાયું.આ વખતે ઈરાનીઓએ બરાબરની ટક્કર આપી અને યુદ્ધના પ્રથમ વર્ષમાં પહેલા યુદ્ધમાં ગુમાવેલા ઘણાં પ્રાંતો પાછા મેળવ્યા.પરંતુ ફતેહ અલી શાહે નવી કુમકો મોકલવાની મના કરી.અંતે ૧૮૨૮માં જ્યોર્જીયા અને કોકેશીયસ પ્રાંતો ગુમાવવા પડ્યા.આ કારમી હારને લીધે સૈન્ય સુધારાઓમાંથી અબ્બાસનું મન ઉઠી ગયું.એણે નવા સુધારાઓ સ્થગિત કર્યા.

એની તબિયત લથડતી ગઈ.બળવાખોરો સામે સંઘર્ષ કરતાં કરતાં ૨૫ ઓક્ટોબર ૧૮૩૩માં મશહદમાં એનું અવસાન થયું.૧૮૩૪માં ફતેહઅલી શાહ નું પણ અવસાન થતા અબ્બાસનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ મિર્ઝા રાજગાદીએ બેઠો.

અબ્બાસનું મૂલ્યાંકન કરતા જણાય છે કે એ એક પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતો હતો.આર.જી.વોટસને અબ્બાસને “કાઝાર વંશનો સૌથી ઉમદા” માણસ ગણાવ્યો છે.એણે તબરેઝ શહેરને પશ્ચિમી અંદાઝમાં વિકસિત કર્યો હતો.એને યુરોપીય ઇતિહાસનું સારું જ્ઞાન હતું.જોકે એ પોતે અંગ્રેઝી બહુ સારી જાણતો ન હતો ,એમ છતાંય એના નાનકડા પુસ્તકાલયમાં અંગ્રેજીના ઘણા પુસ્તકો હતા.એણે લશ્કરી સુધારાઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ઘણા અંશે એ સફળ પણ રહ્યો હતો.એણે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.દેશના ઘણા યુવાનોને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા.

બધા કાઝાર શાસકોની જેમ અબ્બાસને પણ ઘણા સંતાનો હતા.એણે છવ્વીસ પુત્રો અને ૨૧ પુત્રીઓ છોડી હતી.એના પાંચ પુત્રો ફારસના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા: ફિરોઝ મિર્ઝા,ફરીદુન મિર્ઝા ફરમાનફર્મા બીજો,ફરહાદ મિર્ઝા,બેહરામ મિર્ઝા અને સુલતાન મુરાદ મિર્ઝા.પુત્ર જહાંગીર મિરઝાએ ‘ તારીખે નવ’ ઇતિહાસ ગ્રંથ રચ્યો હતો.ફરહાદ મિરઝા દરબારી કવિ નીમાયો હતો અને અંગ્રેજી-ફારસી શબ્દકોષની રચના પણ કરી હતી.